Sunday, 26 June 2011

કોંગ્રેસ-ભાજપમાં શ્રેષ્ઠ કોણ?


આશુતોષ, મેનેજિંગ એડીટર, આઈબીએન-7, સૌજન્ય- લાઈવ હિંદુસ્તાન વેબસાઈટ

એ સવાલ હંમેશાથી જ ઉઠે છે કે કોંગ્રેસ અને ભાજપમાં શ્રેષ્ઠ કોણ છે? જવાબ આપવો હંમેશા મુશ્કેલ હોય છે. કોંગ્રેસ આઝાદીની લડાઈમાંથી નીકળેલી પાર્ટી છે. આઝાદી બાદ રાષ્ટ્ર નિર્માણમાં તેની ભૂમિકા છે. જવાહરલાલ નેહરુના સેક્યુલર-ડેમોક્રેટિક-પોલિટિક્સે આ દેશને પાકિસ્તાન બનતો બચાવી લીધો. ભાજપ આ દાવો કરી શકે તેમ નથી. આઝાદીની લડાઈ સમયે ભાજપ હતું જ નહીં. આરએસએસ હતું.

ગાંધીજીની હત્યા બાદ લાગેલા પ્રતિબંધથી આરએસએસને રાજકીય પક્ષનું મહત્વ સમજમાં આવ્યું અને જનસંઘનો ઉદય થયો. શ્યામા પ્રસાદ મુખર્જી અને ત્યાર બાદ દીનદયાળ ઉપાધ્યાયે પાર્ટીની બાગડોર સંભાળી. હિંદુવાદમાં લપેટાયેલો ઉગ્ર-રાષ્ટ્રવાદ જનસંઘની ઓળખ બન્યો. કેડર આધારીત પાર્ટી થયા બાદ પણ તેનો જનાધાર સીમિત હતો.

કટોકટીએ જનસંઘને દેશની રાજનીતિના કેન્દ્રમાં લાવવામાં મદદ કરી. પરંતુ ભાજપનો અસલી ઉભાર અયોધ્યા આંદોલન વખતે દેખાયો. બોફોર્સની માર, મંડલ અને મંદિર પર સ્પષ્ટ સ્ટેન્ડ ન લેવાની લાચારી અને લચર નેતૃત્વે કોંગ્રેસને કેન્દ્રની સત્તાથી દૂર કરી દીધી અને ભાજપ પહેલીવાર કેન્દ્રમાં સરકાર બનાવવામાં કામિયાબ થયું. ત્યાર બાદથી જ દેશમાં દ્વિધ્રુવીય રાજનીતિની શરૂઆત થઈ.

દેશની રાજનીતિના એક ધ્રુવની આગેવાની કોંગ્રેસ પાસે અને બીજા ધ્રુવની આગેવાની ભાજપ પાસે રહી. પરંતુ નવી આર્થિક નીતિએ બંને મુખ્ય પક્ષો વચ્ચેના વૈચારીક અંતરને ઓછું કરી દીધું. આજે ભાજપ અને કોંગ્રેસમાં કોઈ ખાસ ફરક દેખાતો નથી. ન તેમના નેતાઓના આચરણમાં અને ન તેમની નીતિઓના સ્તરમાં કોઈ ફરક દેખાઈ રહ્યો છે. નહીંતર એક જમાનો હતો, કોંગ્રેસ સમાજવાદનો ઢોલ પીટતી હતી અને ગુટનિરપેક્ષતા આંદોલનની આગેવાન હોવા છતાં તે સોવિયત સંઘ સાથે ઘણો ધરોબો ધરાવતી હતી.

જનસંઘ અને ભાજપને ત્યારે આર્થિક રીતે ખુલ્લા બજારવાદની ટેકેદાર ગણાવાતા હતા અને તે અમેરિકા સાથે નજીકના સંબંધોની તરફેણ કરતા હતા. સમાજવાદના ખાત્માની સાથે જ કોંગ્રેસ પણ આર્થિક ઉદારવાદના ખોળામાં બેસી ગઈ. મનમોહન સિંહના સૌજન્યથી દેશમાં બજારવાદનનો પવન વહેવા લાગ્યો. આરએસએસને તમામ સ્વદેશી આંદોલન છતાં અટલ બિહારી વાજપેયીના છ વર્ષના શાસનમાં દેશ ઉદારીકરણના રસ્તાથી સહેજ પણ ભટક્યો નહીં. ક્યારેક-ક્યારેક તો એ લાગતું હતું કે કોંગ્રેસ પણ જો 1998થી 2004 સુધી કેન્દ્રમાં સત્તામાં રહેત, તો આર્થિક નીતિઓમાં કોઈ નવી વસ્તુ જોવા મળત નહીં.

ધ્યાનથી જોવામાં આવે તો સેક્યુલારિઝમ સિવાય માત્ર એક અંતર બંનેમાં નજરે પડે છે. ભાજપ કોંગ્રેસની સરખામણીએ વધારે લોકતાંત્રિક પાર્ટી દેખાય છે. નેહરુ-ગાંધીના વારસાને કારણે કોંગ્રેસમાં જે પ્રકારની આંતરીક લોકશાહી હોવી જોઈએ, તેમા સ્પષ્ટપણે કમી નજરે પડે છે.

આઝાદીના 63 વર્ષો બાદ પણ પાર્ટી નેહરુ-ગાંધીની મોહતાજ છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસની બાગડોર સંભાળી ન હોત, તો કદાચ કોંગ્રેસનું આજે કોઈ નામ પણ લેનારું ન હોત. નરસિંહ રાવ અને સીતારામ કેસરીએ પાર્ટીની અધોગતિ કરી દીધી હતી અને પાર્ટી એટલી હદે કમજોર થઈ ગઈ કે આજ સુધી કેન્દ્રમાં એકલા હાથે સરકાર બનાવવાનું વિચારી શકી નથી.

સોનિયા પર નિર્ભરતાએ પાર્ટીને કેન્દ્રમાં વાપસીમાં મદદ તો કરી, પરંતુ તેને હંમેશા માટે પંગુ પણ બનાવી દીધી. તમામ મોટા નેતાઓ હોવા છતાં પણ પાર્ટી રાહુલ ગાંધીમાં પોતાના આગલા નેતા અને વડાપ્રધાન જોવા માટે બાંધ્ય છે. પાર્ટીમાં આંતરીક ચૂંટણી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. એક વખત હતો, જ્યારે કોંગ્રેસ કાર્યકારિણીના સભ્યો ખુલ્લી ચૂંટણીઓ દ્વારા ચૂંટાતા હતા, આજે આ પરંપરા ખતમ થઈ ગઈ છે. કાર્યકારિણી માટે નેતા ઈલેક્ટ નહીં, સિલેક્ટ થાય છે. મુખ્યમંત્રીની ચૂંટણી ધારાસભ્યો નહીં, હાઈકમાન્ડ કરે છે.

ભાજપ આ મામલામાં અત્યાર સુધી ખુશકિસ્મત માની શકાય છે. પાર્ટી એક પરિવારના સહારે નથી. ત્યાં કોઈપણ સામાન્ય કાર્યકર્તા પાર્ટીના અધ્યક્ષ બનવાનો ખ્વાબ પાળી શકે છે અને દેશના વડાપ્રધાન પણ બની શકે છે. તેમને ત્યાં કોઈ એક નેતાનો આદેશ ચાલતો નથી. વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને નિર્ણયો કરે છે.

લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાએ પણ, ભલે આરએસએસના દબાણમાં જ સહી, પાર્ટીના અધ્યક્ષ અને વિપક્ષના નેતાનું પદ છોડવું પડે છે. પાર્ટીમાં વિકસિત થયેલા અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ જેવા લોકો વડાપ્રધાન બનાવાના સપના જોઈ શકે છે. તેના માટે તેમને પોતાની કાબેલિયત સાબિત કરવાની રહેશે. રાહુલ ગાંધીની જેમ પરિવારમાં જન્મ લેવો તે એકમાત્ર યોગ્યતા નથી.
મનમોહન સિંહના હોવા છતાં હું એ કહેવાની ગુસ્તાખી કરી શકુ કે કોંગ્રેસમાં કોઈ નીતિન ગડકરી પણ હોઈ શકે છે, તેમા મને શંકા નથી. મનમોહન સિંહને હું અપવાદ માનુ છુ. હું ત્યારે કોંગ્રેસને દાદ આપીશ, જ્યારે રાહુલ ગાંધીના હોવા છતાં પાર્ટી આગામી ચૂંટણીમાં અન્ય કોઈ નેતાને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરે. કહેનારા એ કહી શકે કે ભાજપમાં આરએસએસના ઈશારા વગર પાંદડુ પણ હલતુ નથી.

પરંતુ આરએસએસ પોતાની તમામ ખામીઓ છતાં પાર્ટીના રોજિંદા કામોમાં હસ્તક્ષેપ કરતું નથી, જ્યારે કોંગ્રેસમાં રોજિંદા નિર્ણયો નેહરુ-ગાંધી પરિવારના ઈશારા વગર થઈ શકતા નથી. આરએસએસ ભાજપ પર નિયંત્રણ રાખે છે, આ સચ્ચાઈ છે, પરંતુ તેનું નિયંત્રણ વૈચારીક છે, જ્યારે કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવાર દરેક જગ્યાએ, દરેક વખતે હાજર છે.

સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં નવી ઊર્જાનો સંચાર કર્યો, રાહુલની હાજરી પાર્ટીમાં શક્તિ આપે છે. નેહરુ-ગાંધી પરિવારને કારણે પાર્ટીમાં ભાજપ કરતાં ઘણું વધારે અનુશાસન છે, જૂથબંધી પર અંકુશ છે. જ્યારે ભાજપમાં આરએસએસની હાજરીમાં પણ અનુશાસનની કોઈ ગેરેન્ટી નથી. એક સર્વમાન્ય નેતાની ગેરહાજરીએ ભાજપને જૂથબાજીનું પર્યાય બનાવી દીધું છે. સુષ્મા, જેટલી, વેંકૈયા, રાજનાથ, અનંત કુમાર, મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી તમામ એકબીજાથી નિપટવામાં લાગેલા છે. પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીને પણ ગોપીનાથ મુંડેનો ડર લાગે છે.

શીર્ષસ્થ સ્થાનો પર જનાધારવિહીન નેતાઓએ કબજો જમાવી દીધો છે. અને આ નેતા દિવસભર જનાધારવાળા નેતાઓને બરબાદ કરવામાં લાગેલા રહે છે. કલ્યાણ સિંહ, ઉમા ભારતી, બાબુલાલ મરાંડી, શંકર સિંહ વાધેલા, વસુંધરા રાજે સિંધિયા અને હવે ગોપીનાથ મુંડે તેના ઉદાહરણ છે. વળી વૈચારીક સ્તર પર ભાજપ લઘુમતીઓને સુરક્ષાની ગેરેન્ટી આપી શકતું નથી. ગુજરાતના હુલ્લડો દિલમાં દહેશત ભરી રહ્યાં છે. તેવામાં કોંગ્રેસના સેક્યુલારિઝમ અને અનુશાસન પર જો પરિવારવાદનો ડાઘ છે, તો ભાજપમાં આંતરીક લોકતંત્ર અને ખુલ્લાપણા પર કોમવાદ તથા જૂથબાજીના નાગ ફેણ ચઢાવીને બેઠા છે. તેવામાં શ્રેષ્ઠ કોણ તે નિર્ણય આમ આદમી પર જ છોડી દેવો જોઈએ.
(આ લેખકના વ્યક્તિગત વિચારો છે.)

No comments:

Post a Comment