Wednesday, 22 June 2011

અન્નાના હાલ રામદેવ જેવા થશે: દિગ્વિજય


લોકપાલ કાયદાને લઈને સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે જબરદસ્ત ટકરાવના આસાર દેખાઈ રહ્યા છે. એક તરફ અન્ના સરકારને પાઠ શીખવાડવા માટે 16 ઓગસ્ટથી અનશન પર બેસવાની જીદ પર અડગ છે, તો બીજી તરફ દિગ્વિજય સિંહે કહ્યું છે કે અન્ના અનશન પર બેસીને તો દેખાડે, તેના એવા જ હાલ થશે જેવા રામદેવના થયા.

બુધવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન અન્ના હજારેએ કહ્યું કે સરકારના મનમાં બેઈમાની છે. તે કડક લોકપાલના પક્ષમાં નથી. તેમણે સમાનાંતર સરકાર બનાવવાની કોશિશ કરવાના સરકારના આરોપોને રદિયો આપતા સવાલ કર્યો કે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને સીવીસીના સ્વતંત્ર અને સ્વાયત થવાનો અર્થ શું દેશમાં સમાનાંતર સરકાર ચલાવવાનો છે.

અન્નાએ તો ત્યાં સુધી કહ્યું કે આજની તારીખમાં આતંકવાદથી વધારે ખતરનાક ભ્રષ્ટાચાર છે.

અન્નાએ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ પર દેશની જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેમના લોકપાલના ડ્રાફ્ટમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે પ્રસ્તાવિત તપાસ એકમને જીડીપીના 1 ટકા જેટલું બજેટ ફાળવવામાં આવે.

અન્ના હજારેએ બુધવારે ફરી એક વખત ઘોષણા કરી છે કે તેઓ 16 ઓગસ્ટથી આંદોલન કરશે અને આ આંદોલન એપ્રિલમાં થયેલા આંદોલનથી ઘણું મોટું હશે. આ આઝાદીની બીજી લડાઈ હશે. જો સરકાર તેમને જંતર-મંતર જવાની મંજૂરી નહીં આપે, તો તેઓ લાઠીઓ ખાશે, ધરપકડ વ્હોરશે અને જેલ જશે, પરંતુ આંદોલન જરૂર થશે.

એ સવાલ પર કે તેમના પ્રસ્તાવિત આંદોલનને પણ બાબા રામદેવના આંદોલનની જેમ જ સરકાર દ્વારા કચડી નાખવાની સ્થિતિમાં શું થશે? હજારેએ કહ્યું કે તેઓ આવી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેઓ ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છે.

બીજી તરફ, કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે અન્ના હજારેને ગાંધીવાદી અને વડીલ નેતા ગણાવતા કહ્યું કે તેમના ટેકેદારો તેમને ચણાના ઝાડ પર ચઢાવીને અનશન પર બેસાડી દે છે, જ્યારે તેમની ઉંમર જોતા તેમનું અનશન પર બેસવું યોગ્ય નથી.

દિગ્વિજય સિંહે કહ્યું કે અન્ના હજારે જો નવી દિલ્હીમાં અનશન પર બેસે છે, તો તેનની સાથે પણ તે વ્યવહાર કરવામાં આવશે, જે તે વખતની પરિસ્થિતિઓમાં કરી શકાય છે.

No comments:

Post a Comment