Tuesday, 12 July 2011

સબસિડીનો અનોખો ખેલ



ડૉ. ભરત ઝુનઝુનવાલા, સૌજન્ય-પ્રભાત ખબર

નાણાં મંત્રીએ મન બનાવ્યું છે કે લાભાર્થીઓને સબસિડી રોકડમાં આપવામાં આવે. નાણાં મંત્રીના મંતવ્યનું સ્વાગત કરવું જોઈએ. ગરીબના નામે ઉચ્ચ વર્ગ અને કંપનીઓને પોષિત કરવી યોગ્ય નથી. આપણાં ધર્મગ્રંથોમાં પણ ગરીબોને રોકડ આપવાની વાત કહેવામાં આવી છે. 

સરકાર દ્વારા ડીઝલ, યૂરિયા, ખાદ્યાન્ન વગેરે પર સબસિડી આપવામાં આવી રહી છે. આમ આદમી સમજે છે કે તેનાથી તેને રાહત મળી રહી છે, પરંતુ એવું નથી. સબસિડીમાં આપવામાં આવેલી રકમ વસૂલ કરવા માટે સરકાર જનતા પર ટેક્સ લગાવે છે. આ ભાર અંતે તો જનતા પર જ પડે છે. અંતર એટલું છે કે આ ભાર ટેક્સ અદા કરનારાઓ પર પડે છે, જ્યારે સબસિડી મેળવનારને રાહત મળે છે. અભ્યાસ જણાવે છે કે સબસિડીનો મોટો ભાગ ઉચ્ચ વર્ગને પહોંચે છે. આ પ્રકારે સબસિડી આમ જનતા પાસેથી રકમ વસૂલીને ઉચ્ચ વર્ગને પહોંચાડવાનું માધ્યમ છે. 

આ પ્રક્રિયામાં ઘણી સમસ્યાઓ પણ છે. કંપનીઓ દ્વારા ઉત્પાદનની પડતર કિંમત વધારીને નોંધાવવાના સંકેત મળે છે. માની લો કે, યુરિયાની વાસ્તવિક ઉત્પાદન કિંમત 9 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે અને કંપની 2 રૂપિયા સબસિડી મેળવવા માટે હકદાર છે. પરંતુ કંપની ખાતાઓમાં હેરાફેરી કરીને ઉત્પાદન કિંમત 10 રૂપિયા દર્શાવે છે અને સરકાર પાસેથી 3 રૂપિયા સબસિડી મેળવી લે છે. બીજી સમસ્યા એ છે કે સબસિડીની વધારેમાં વધારે રકમ કૃષિ કંપનીઓ અને મોટા ખેડૂતો દ્વારા લેવામાં આવે છે. 

ઈન્ડિયન ઈનસ્ટીટ્યૂટ અમદાવાદે અભ્યાસમાં તારવ્યું છે કે મોટા ખેડૂતો પાસે 18 ટકા ખેતીની જમીન છે, પરંતુ તેઓ 48 ટકા ફર્ટિલાઈઝરની ખપત કરે છે. એટલે કે સબસિડીનો મુખ્ય લાભ મોટા ખેડૂતો ઉઠાવી રહ્યાં છે. ખાદ્ય સબસિડીનું વિતરણ બીપીએલ કાર્ડના આધારે થાય છે. ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટીટ્યૂટે અભ્યાસમાં તારવ્યું છે કે લગભગ 52 ટકા ખેત મજૂરો અને અનુસૂચિત જાતિઓના 60 ટકાને બીપીએલ કાર્ડ મળતા નથી. આવી સમસ્યાઓ રસોઈ ગેસ, કેરોસિન અને ડીઝલ પર સબસિડીમાં પણ જોવાઈ છે. માટે નાણાં મંત્રીએ મન બનાવી લીધું છે કે લાભાર્થીને સબસિડી રોકડ સ્વરૂપે આપવામાં આવે. નાણાં મંત્રીના મંતવ્યનું સ્વાગત કરવું જોઈએ. ગરીબોના નામે ઉચ્ચ વર્ગ અને કંપનીઓને પોષિત કરવી યોગ્ય નથી. આપણાં ધર્મગ્રંથોમાં પણ ગરીબોને રોકડ આપવાની વાત કહેવામાં આવી છે. અર્થશાસ્ત્રમાં કૌટિલ્ય કહે છે કે રાજ્યએ અમીરો પાસેથી ટેક્સ વસૂલ કરીને ગરીબોની મદદ કરવી જોઈએ.

સબસિડી રોકડ આપવાના વિરોધમાં ઘણાં તર્કો આપવામાં આવે છે. પહેલો તર્ક છે કે રોકડ સબસિડી લાભાર્થીઓ સુધી પહોંચાડવી એટલી જ કઠિન હશે કે જેટલી ફર્ટિલાઈઝર અથવા ખાદ્યાન્ન સબસિડીને પહોંચાડવી. રોજગાર ગેરેન્ટી કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓનું પેમેન્ટ ઘણાં રાજ્યોમાં તેમના બેંક ખાતાઓમાં કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ ખોટા નામથી ખોલવામાં આવેલા ખાતાથી રકમનું ગળતર થઈ રહ્યું છે. આ સમસ્યા સાચી છે. પરંતુ જોવું જોઈએ કે ગળતર ઓછું કેવી રીતે કરી શકાય? બેંક ખાતાની શોધખોળ અપેક્ષાકૃત આસાન છે. 

સરકાર દ્વારા દરેક વ્યક્તિને વિશેષ ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે, તેમા ફિંગર પ્રિન્ટ અને આંખના ચિત્ર સામેલ હશે. આમા ગડબડ કઠિન હશે. બીજો તર્ક છે કે દેશની ખાદ્ય સુરક્ષા પર સંકટ આવી શકે છે. હજી તમામ મુખ્ય પાક માટે લઘુત્તમ સમર્થન મૂલ્ય ઉપલબ્ધ છે. તેનાથી ખેડૂત ઘઉં અને ચોખા જેવા પાકનું વધુ ઉત્પાદન કરી રહ્યાં છે. લાભાર્થીઓને રોકડ સબસિડી આપવા પર સાર્વજનિક વિતરણ પ્રણાલી દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં નહીં આવે અને સમર્થન મૂલ્ય પોલિસી સમાપ્ત થઈ જશે. ખેડૂતોને યોગ્ય કિંમતની ગેરેન્ટી નહીં મળે અને ખાદ્યાન્ન ઉત્પાદન ઘટી શકે છે. સમસ્યા સાચી છે. પરંતુ તેના બીજા વિકલ્પ ઉપલબ્ધ છે. સૂચન છે કે સમર્થન મૂલ્ય પોલિસી ચાલુ રાખવામાં આવે. ફૂડ કોર્પોરેશનને ફૂડ ટ્રેડિંગ કોર્પોરેશનમાં ફેરવવામાં આવે. સમર્થન મૂલ્ય હેઠળ ખાદ્યાન્ન ખુલ્લા બજારમાં વેચવામાં આવે. ખાદ્યાન્નનું ઉત્પાદન વધારે થવાથી ફૂડ કોર્પોરેશન તેને ખરીદીને તેનું ભંડારણ કરે. જ્યારે ઉત્પાદન ઓછું હોય તો વેચાણ કરી માલ ઉપલબ્ધ કરાવી દે. આ પ્રકારે સાર્વજનિક વિતરણ પ્રણાલી સમાપ્ત કરીને પણ સમર્થન મૂલ્ય ચાલુ રાખી શકાય છે. 

રોકડ સબસિડી વિરુદ્ધ ત્રીજો તર્ક જનતાને સારી દશા આપવાનો છે. વિચાર છે કે જનતા ખુદ સાચો નિર્ણય લઈ શકતી નથી. જેમ કે સાઠના દશકમાં ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી રહ્યા હતા, જો કે તેનો ઉપયોગ લાભકારક હતો. માટે લાભકારક વસ્તુઓને સસ્તી બનાવીને જનતાને તેના ઉપયોગ માટે પ્રેરીત કરવી જોઈએ. આ આધારે ફર્ટિલાઈઝર સબસિડી આપવાની શરૂઆત થઈ હતી. સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ આપવાનો પણ આ આધાર છે. મારું આકલન છે કે આ તર્ક સાચો નથી. જનતાને મૂર્ખ માનવામાં આવે તો લોકતંત્રનો આધાર જ ખસકી જાય છે. અનેક અભ્યાસ જણાવે છે કે ખેડૂત મૂલ્યોના આધારે પાકની પસંદગી ખૂબ સારી રીતે કરે છે. જો ફર્ટિલાઈઝર વાસ્તવમાં લાભકારક છે, તો જનતા તેને સબસિડી વગર જ અપનાવી લેશે. રોકડ સબસિડીને સરકારી શિક્ષણ, સ્વાસ્થ્ય અને જન કલ્યાણ તંત્રમાં પણ વિસ્તાર આપવાની જરૂરત છે. રોકડ વિતરણને બીપીએલના ઝંઝટમાંથી મુક્ત કરવી જોઈએ. માત્ર બીપીએલને સબસિડી આપવાથી ગરીબ બની રહેવાની મનોવૃતિ બને છે. ગરીબોને ચિન્હિત કરવામાં પણ વિવાદ થાય છે.

No comments:

Post a Comment