Monday, 18 July 2011
આતંકવાદ પર ક્ષુદ્ર રાજકારણ
બલબીર પુંજ
(કોંગ્રેસ પર રાજકીય લાભ માટે આતંકવાદ વિરુદ્ધ નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યાં છે, બલબીર પુંજ)
શું ભારત અમેરિકાની તર્જ પર આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ જીતી શકે છે? જો વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રતીક્ષારત વડાપ્રધાન કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના નિવેદનોને જોઈએ તો નિરાશા હાથ લાગે છે. વડાપ્રધાન કહે છે કે આતંકી હુમલાની ભનક ગુપ્તચર વિભાગને ન લાગવાને કારણે આતંકવાદી હુમલો કરવામાં કામિયાબ રહ્યાં. બીજી તરફ રાહુલ ગાંધી આતંકવાદી હુમલો રોકી શકવો બેહદ મુશ્કેલ ગણાવી રહ્યાં છે. તેમના અવિવેકી નિવેદનના બચાવમાં ઉતરેલા દિગ્વિજય સિંહ માને છે કે ભારત ઓછામાં ઓછું પાકિસ્તાનથી તો સારું છે, જ્યાં રોજ બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યાં છે. આ કેવી માનસિકતા છે?
અમેરિકામાં 9/11એ થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની જે કડક વ્યવસ્થા કરવામાં આવી તેને કારણે ફરીથી એકપણ આતંકવાદી ઘટના ત્યાં થઈ નથી. તેનાથી વિપરીત ભારતમાં આતંકવાદી કોઈપણ જગ્યાએ હુમલો કરવા માટે સક્ષમ થઈ રહ્યાં છે. કારણ? આ પહેલા 26/11એ મુંબઈ પર મોટો હુમલો થયો હતો. વડાપ્રધાન-ગૃહમંત્રીએ ત્યારે ભ્રમરો ચઢાવીને આગળ હુમલો થવાની સ્થિતિમાં ભારત જવાબી કાર્યવાહી કરશેની ધમકી આપી હતી. વાસ્તવમાં ભારતમાં આતંકવાદની ઉપજાઉ જમીન કોંગ્રેસની મુસ્લિમ વોટબેંકની નીતિ અને ડાબેરીઓના વિકૃત સેક્યુલરવાદને કારણે જ મળી રહી છે.
એનડીએ સરકારના કાર્યકાળમાં આતંકવાદ વિરુદ્ધ સખત કાયદો બનાવાયો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે સત્તામાં આવતાની સાથે જ પોટાને રદ્દ કરીને આતંકવાદીઓનું માનવર્ધન કર્યું. 26/11ના હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીની રચના કરીને સરકારે આતંકવાદ વિરુદ્ધ શૂન્ય સહનશીલતા દર્શાવવાનો દાવો કર્યો, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સીની ગત ત્રણ વર્ષની ઉપલબ્ધિ શું છે? એજન્સીએ પોતાની તમામ શક્તિ ભગવા આતંકવાદનો આભાસ ઉભો કરવામાં બરબાદ કરી છે. ભગવા આતંકવાદ કોંગ્રેસનો રાજકીય એજન્ડા હોઈ શકે છે, પરંતુ શું આ કુનીતિથી જેહાદનું ઝેર ઓછું થઈ જશે? પ્રતિબંધિત મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન-સીમી પોતાના નવા અવતાર ઈન્ડિયન મુજાહિદ્દીનના રૂપમાં ભારતની સનાતન સંસ્કૃતિને નિરંતર લોહીલુહાણ કરવામાં લાગી છે. ત્યારે ભારતનું સત્તા અધિષ્ઠાન આતંકવાદનો સામનો હિંદુ આતંકવાદનો દેકારો ઉભો કરવામાં વ્યસ્ત છે.
આજે ચારે તરફ અરાજકતાનો માહોલ છે. દેશનો ચાલીસ ટકા ભાગ નક્સલી હિંસાનો શિકાર છે. જેહાદી ઈસ્લામનું ઝેર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાઈ ચુક્યું છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે કેટલાંક રાજ્યોની વસ્તીના સ્વરૂપમાં પરિવર્તનની સાથે આંતરીક સુરક્ષા પર પણ ગંભીર જોખમ ઝળુંબી રહ્યું છે, પરંતુ સેક્યુલર સત્તા અધિષ્ઠાન હિંદુ આતંકનો પ્રલાપ કરી રહ્યું છે. પોટા જેવા આતંકવાદ નિરોધક કાયદાને સેક્યુલરિસ્ટ મુસ્લિમોની હેરાનગતિનું યંત્ર ગણાવે છે. કેટલીક બિનકોંગ્રેસી રાજ્ય સરકારોએ જ્યારે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદો લાવવા ઈચ્છયો છે, તો કેન્દ્ર સરકાર તેમના માર્ગમાં અડચણ ઉભી કરે છે. ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢના આતંકવાદ નિરોધક કાયદા કેન્દ્ર સરકાર પાસે છેલ્લા ચાર વર્ષોથી મંજૂરી માટે વિલંબિત છે. 2005થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 20 મોટી આતંકવાદી ઘટનાઓ દેશના જુદાંજુદાં ભાગોમાં થઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ દોષિતોને સજા થઈ શકી નથી. સંસદ પર હુમલો કરવાનું ષડયંત્ર રચનારા અફઝલ ગુરુની ફાંસીની સજા પણ વિલંબિત છે. બીજી તરફ મુંબઈ હુમલામાં એકમાત્ર જીવિત પકડયાલા આતંકવાદી અજમલ કસાબને સુરક્ષિત રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શું તેના પણ હાલ અફઝલ ગુરુ જેવા જ થશે? કોયમ્બટૂર બોમ્બ વિસ્ફોટના આરોપી અબ્દુલ નાસેર મદનીને પેરોલ પર મુક્ત કરવા માટે કેરળ વિધાનસભાનું વિશેષ સત્ર હોળીની રજાવાળા દિવસે આયોજીત કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ-માર્ક્સવાદીઓએ સર્વસંમતિથી તેની મુક્તિ માટેનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. શું આવી માનસિકતા રહેવાથી આતંકવાદનો ખાત્મો સંભવ છે?
આતંકવાદને લઈ કોંગ્રેસનું બેવડું સ્વરૂપ કોઈનાથી છુપાયેલુ નથી. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓના પણ મોત થયા હતા, પરંતુ પોતાના જવાનોની શહાદતને અપમાનિત કરીને કોંગ્રેસના કેટલાંક નેતા અથડામણ બાદ બટલા હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મુસ્લિમ વોટબેંકની ખાતિરદારીમાં મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓ પહેલેથી જ બેઠેલા હતા. સત્તાસીન કોંગ્રેસે પોતાના નેતાઓને આતંકવાદીઓનો સાથ આપનારા કટ્ટરપંથી તત્વોથી અંતર બનાવવાનો નિર્દેશ આપવાની જગ્યાએ સુરક્ષાકર્મીઓની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા. બટલા હાઉસ એન્કાઉન્ટર અને ઘણાં અન્ય રાજ્યોની તપાસમાં આતંકવાદ અને ઉત્તર પ્રદેશના આઝમગઢ વચ્ચે ઘેરો સંબંધ સામે આવ્યો, પરંતુ વોટબેંકની રાજનીતિને કારણે આજમગઢ સેક્યુલારિસ્ટોનું નવું તીર્થ બની ગયું. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ અને અન્યત્ર આતંકી પ્રવૃતિમાં સામેલ હોવાને કારણે આજમગઢના જે યુવાનોની ધરપકડકરવામાં આવી, તેમના ઘરો પર માતમ મનાવવા માટે સેક્યુલરિસ્ટોની ભીડ લાગી ગઈ. સુરક્ષા જવાનોનું મનોબળ તોડનારા સેક્યુલરિસ્ટ શું ક્યારેય આતંકવાદ વિરુદ્ધ ઉભા થઈ શકશે?
ઘણાં વર્ષોથી આખા દેશમાં કોમી સૌહાર્દ છે. પરંતુ યુપીએ સરકાર કોમી હિંસા રોકથામ બિલ-2011નો મુસદ્દો તૈયાર કરીને બેઠી છે. આ બિલને લાવવાનો ઉદેશ્ય પણ મુસ્લિમ સમાજને કટ્ટરપંથી વર્ગને ખુશ કરી પોતાની વોટબેંક વધારવાનો છે. આ મુસદ્દામાં પહેલેથી જ એમ માની લેવાયું છે કે કોમવાદી તણાવ માટે માત્ર બહુસંખ્યક જવાબદાર છે અને લઘુમતીઓનો તેમા કોઈ દોષ નથી. કોમવાદી તણાવ અને સંઘર્ષની સ્થિતિમાં માત્ર બહુમતી સમાજને જ દંડિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. વોટબેંકની રાજનીતિને કારણે શું આ કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયત્ન નથી? વસ્તુત્ સામાજીક ટકરાવથી જ કોંગ્રેસ પોતાના રાજકીય હિત સાધતી આવી છે. કોઈપણ પ્રકારનો આતંકવાદ ભારતીય સાર્વભૌમત્વ અને અખંડતાને પ્રત્યક્ષ પડકાર છે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘુસીને મારી નાખવો પાકિસ્તાનની સાર્વભૌમતાનું ઉલ્લંઘન ભલે હોય, પરંતુ તેનાથી અમેરિકાની દ્રઢ ઈચ્છાશક્તિ પણ રેખાંકીત થઈ છે. આખો અમેરિકી સમાજ આ મામલામાં બરાક ઓબામા સાથે ઉભો હતો. વોટબેંકની વૈચારીક ગુલામીમાં બંધાયેલા ભારતીય સત્તા અધિષ્ઠાન પાસેથી આવી અપેક્ષા વ્યર્થ છે.
(લેખક ભાજપના રાજ્યસભા સાંસદ છે) સૌજન્ય- દૈનિક જાગરણ
No comments:
Post a Comment