Tuesday, 6 September 2011

સરકાર પર અંકુશનો સવાલ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અન્ના હજારેના આંદોલનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ અને મતદારો વચ્ચે ઘેરી તિરાડ પડી ચુકી છે. સંસદીય લોકશાહીનો મૌલિક અધિકાર છે કે સાંસદ મતદાતાઓના હિતમાં કાર્ય કરશે, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં સાંસદોનો પ્રયત્ન મતદાતાઓને ફોસલાવી તેમના મત હાસિલ કરવા માત્રનો રહી ગયો છે. 17મી સદીમાં થયેલા વિચારક જીન જૈક્વેસ રોસેના વિચારોના આધારે જ આધુનિક લોકશાહીને સૃજિત કરવામાં આવી છે. તેમણે લખ્યું હતું કે, આ સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે કે ચૂંટાયેલા લોકો જનતા પર શાસન કરે જ્યાં સુધી એ સુનિશ્ચિત કરવામાં આવે કે તેઓ જનહિતમાં શાસન કરશે, પોતાના વ્યક્તિગત હિત માટે નહીં. આજે આપણા સાંસદ વ્યક્તિગત હિતમાં શાસન કરી રહ્યાં છે, માટે આ વ્યવસ્થા વિકૃત અને અમાન્ય થઈ ગઈ છે. સાંસદો દ્વારા બંધારણની દુહાઈ આપીને પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવી વ્યર્થ છે. આ મહાન સંસ્કૃતિના પાછલા પાંચ હજાર વર્ષોમાં ન જાણે કેટલાં બંધારણ આવ્યા અને ગયા. આ બંધારણ પણ ચાલ્યુ જશે. બંધારણની દુહાઈ આપવી એવી રીતે છે જેમ વસિયતનામાના આધારે આજે કોઈ વ્યક્તિ પોતાની પૈતૃક જમીનદારીનો હક માંગે. આ પ્રકારે આપણા સાંસદ એક દસ્તાવેજના આધારે પોતાની સર્વોચ્ચતા સિદ્ધ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. 

બંધારણીય લોકશાહીના સ્વાર્થી થઈ જવાનું મૂળ કારણ પાર્ટીતંત્ર અને વ્હિપનો અધિકાર છે. દલબદલ કાયદા હેઠળ વ્યવસ્થા કરવામાં આવી છે કે પાર્ટીના અધિકારી સાંસદોને કોઈ પ્રસ્તાવ પર વિશેષ પક્ષમાં વોટિંગ કરવા માટે બાધ્ય કરી શકે છે. જેમ કોંગ્રેસ અને ભાજપ પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને આદેશ આપી શકતા હતા કે જનલોકપાલ બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવામાં આવે. મતદારો જનલોકપાલ બિલના પક્ષમાં હોય તો પણ સાંસદને બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવું પડશે, નહીંતર તેને પાર્ટી અથવા સંસદમાંથી બરતરફ કરવામાં આવશે. માટે સાંસદ દ્વારા નાખવામાં આવેલો મત પાર્ટીના અધિકારીઓના આદેશ પર નિર્ભર હોય છે, સાંસદના વિવેકને આધારે હોતો નથી. જનતાની ભૂમિકા માત્ર એટલી છે કે તે નક્કી કરી શકે છે કે તેના હિતોનું હનન કોઈ રામભરોસે કરશે કે મોહમ્મદ ઈશફાક? સાંસદ વોટ ક્યાં પક્ષમાં નાખશે, તેને નિર્ધારીત કરવાનો જનતાનો અધિકાર છીનવી લેવાયો છે. 

વ્હિપ સિવાય પણ મતદારો અપ્રાસંગિક છે. સાંસદો અને ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટીના અધિકારીઓને અનુરૂપ વોટ આપવો પડશે. માટે જનલોકપાલ બિલ પારિત થઈ જાય તો પણ સુશાસનની મૂળ સમસ્યા જેમની તેમ જ રહેવાની છે. જનલોકપાલની નિમણૂક બાદ પણ સાંસદ જનવિરોધી નીતિઓ બનાવતા રહેશે. મોટી કંપનીઓના લાભ માટે ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક અધિગ્રહીત થતી રહેશે. ચિકન અને પિત્ઝાનો કારોબાર કરનારી બહુરાષ્ટ્રીય કંપનીઓને લાભ પહોંચાડવા માટે નાગરીકોના આરોગ્યને દાવ પર લગાવવામાં આવશે. વિદેશી કંપનીઓ દ્વારા બનાવાયેલી નવી દવાઓની તપાસ માટે ભારતીય નાગરીકોની બલિ દેવાતી રહેશે. 

અમીરોના એરકન્ડિશનર ચલાવવા માટે દેશની નદીઓની હત્યા થતી રહેશે. અમેરિકી પરમાણુ ઊર્જા કંપનીઓને લાભ પહોંચાડવા માટે ભારતની સ્વતંત્રતાને સીમિત કરી દેવામાં આવશે, વગેરે. જનલોકપાલ કાયદાથી આ જનવિરોધી કાર્યોને સંપાદીત કરવામાં મંત્રીઓ દ્વારા લેવામાં આવનારી લાંચ પર કંઈક અંકુશ જરૂરથી લાગી શકે છે, પરંતુ જનવિરોધી નીતિઓને બનાવવામાં સહેજ પણ રોક લાગશે નહીં. જો કોઈ વિશેષ નીતિ પર આંદોલન ઉભું થઈ જાય અને સંસદ ઘૂંટણિયા ટેકવી દે તો પણ વાત બનતી હોય તેમ નથી, કારણ કે જનઆંદોલન દરરોજ ઉભું થતું નથી, જેમ સરકાર બળજબરીથી ખેડૂતોની જમીનનું અધિગ્રહણ કરવા માટે કાયદો બનાવવા માટે તૈયાર છે. જન આંદોલનથી આ કાયદો રોકાય ગયો તો પણ ક્લિનિકલ ટ્રાયલ, જંક ફૂડ, નદીઓની હત્યા, દેશની સ્વતંત્રતાને ગિરવી રાખવાનું ચાલુ રહેશે. 

જન આંદોલનને થકવાડીને ઢીલું કરવામાં સરકાર માહિર છે. મારું નિશ્ચિત માનવું છે કે જનલોકપાલ બિલના પક્ષમાં પ્રસ્તાવ પારિત કરવા છતાં સંસદ તેને પારિત કરશે નહીં. જનતા થાકી જશે અને આ આંદોલન સમાપ્ત થઈ જશે. કેટલાંક સમય પહેલા આ પ્રકારના અનશન પર્યાવરણવિદ્દ ડૉ. ગુરુદાસ અગ્રવાલે કર્યા હતા. આપવામાં આવેલા આશ્વાસનથી સરકાર બે વખત પાછી હટી ગઈ. ત્રીજી વખત 37 દિવસના ઉપવાસ બાદ સરકારે ગંગા પર ઉત્તરકાશીની ઉપર લોહારીનાગપાલા બંધને રોકવાની માગણી માની, પરંતુ આજે ફરીથી સરકારે પોતાના વાયદાથી પીછેહઠ કરી છે અને એક મોટી પરિયોજનાના સ્થાન પર મોટી સંખ્યામાં નાની પરિયોજનાઓના માધ્યમથી ગંગાની હત્યા કરવા માટે તૈયાર છે. ઉપવાસ અને જનઆંદોલનને લાંબા સમય સુધી ચાલુ રાખવા કઠિન હોય છે. માટે પાર્ટીઓ અને સાંસદોનો વ્યક્તિગત સ્વાર્થ હાવી થઈ જાય છે અને જનતા થાકીને મૂક સંમતિ આપી જ દે છે. 

આ સમસ્યાના સમાધાન માટે લાંબાગાળાની વ્યવસ્થા બનાવવી પડશે. જેથી સંસદ પર સતત અંકુશ રાખી શકાય. આપણે સમજી લેવું જોઈએ કે સરકારનું મૂળ ચરિત્ર જ જનવિરોધી હોય છે. આ જનવિરોધી સરકાર દ્વારા જનલોકપાલ બિલ પારિત થઈ જાય, તો તે ચોર દ્વારા મંદિરમાં પૂજા કરવા જેવું હશે. તેમ છતાં પણ અન્ના હજારે આંદોલનને અંકુશની એક સફળ કડીના રૂપમાં જોવું જોઈએ. 

આ લાંબાગાળાની વ્યવસ્થા બનાવવામાં આપણે આપણી પરંપરાઓમાંથી બોધપાઠ લઈ શકીએ છીએ. પ્રોફેસર ઈલા ઘોષ જણાવે છે કે કાલિદાસના રઘુવંશમાં અધ્યાપક, પુરોહિત, મંત્રી અને જનતાને ધૂર્ત શાસક પર નિયંત્રણ કરવાનું માધ્યમ બતાવાયા છે. આ નિયંત્રણ વ્યવસ્થાના ઘણાં બિંદુ છે. એક, તેમના દ્વારા શાસક પર આરોપ લગાવી શકાય છે, જેવી રીતે રાજીવ ગાંધી પર બોફોર્સ મામલામાં લગાવાયો હતો. બીજું, તેના દ્વારા શાસકની ટીકા કરી શકાય છે. શાસકના કાર્ય પ્રત્યે લોકો અસંમતિ વ્યક્ત કરી શકે છે. ત્રણ, તેમના દ્વારા ધરણાં, અનશન, ઘેરાવ વગેરે થઈ શકે છે. ચાર, જનતા દ્વારા શાસકને શ્રાપ આપી શકાય છે. શ્રાપથી શાસકની આંતરીક શક્તિનો હ્રાસ થાય છે અને તે ખોટા કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. પાંચ, સંતોની અગ્નિને છોડી શકાય છે, જેમ રાજા સાગરના પુત્ર માર્યા ગયા હતા. છ, જનતા શાસક પર અવિશ્વાસ કરીને તેના કાર્યોમાં અસહયોગ કરી શકે છે, જેવી રીતે સરકાર કહે છે કે દિકરીને દહેજ ન આપો, પરંતુ જનતાએ દિકરીના અધિકારને છીનવી લેવાનો ઈન્કાર કર્યો છે. આ તમામ ઉપાયોથી સરકારના મૂળ જનવિરોધી ચરિત્ર પર અંકુશ લગાવી શકાય છે. એક આંદોલનથી સરકારનું ચરિત્ર કંઈ બદલાશે નહીં. 

સૌજન્ય- દૈનિક જાગરણ

No comments:

Post a Comment