Saturday, 25 March 2023

દિલ્હીમાં ભાજપ-આમ આદમી પાર્ટી વચ્ચે પોસ્ટર વૉર

 

-  આનંદ શુક્લ

દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પોસ્ટર વોર ફાટી નીકળ્યું છે. મોદી હટાવો-દેશ બચાવોનો જવાબ અરવિંદ કેજરીવાલ હટાવો- દિલ્હી બચાવો લખેલા પોસ્ટરથી અપાયો છે.

 

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ચુક્યું છે. આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના બે મોટા મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ગોટાળાના આરોપમાં જેલમાં છે, ત્યારે મોદી વિરોધી પોસ્ટરો દિલ્હીમાં લાગ્યા હતા. હવે તેનો જવાબ મંડી હાઉસ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તસવીર સાથેના પોસ્ટરથી અપાયો છે. કેજરીવાલની તસવીર સાથેના પોસ્ટરમાં સૌથી ઉપર બેઈમાન, લાંચખોર, તાનાશાહ લખાયું છે. પછી અરવિંદ કેજરીવાલ હટાવો દિલ્હી બચાવો લખવામાં આવ્યું છે અને તેની વચ્ચે કેજરીવાલની તસવીર છે. છેક નીચે નિવેદકના સ્થાને ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાનું નામ છે.

 

આ પહેલા મંગળવારે આખા દિલ્હીમાં પીએમ મોદી સામે વાંધાજનક પોસ્ટર જોવા મળ્યા હતા. તેમાં મોદી હટાવો-દેશ બચાવો લખાયું હતું. પરંતુ કોઈ નિવેદક-પ્રકાશકના નામ તેના પર ન હતા. આ મામલે દિલ્હી પોલીસે 100 જેટલી એફઆઈઆર નોંધાવી છે અને 6ની ધરપકડ પણ કરી છે.

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોલીસ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીને અસુરક્ષિત અને ડરેલા ગણાવ્યા હતા. પોલીસનો દાવો હતો કે આમ આદમી પાર્ટીના મુખ્યમથકથી બહાર નીકળેલા વાહનમાંથી 2000થી વધારે પોસ્ટરો જપ્ત કરાયા છે. એરેસ્ટ કરાયેલા 6 લોકોમાંથી 2 આરોપી પ્રિન્ટિંગ પ્રેસના માલિક છે.

 

હવે સવાલ એ છે કે દિલ્હી પોલીસે પીએમ મોદી સામેના પોસ્ટરો મામલે કાર્યવાહી કરી છે. તો હવે કેજરીવાલ સામેના પોસ્ટરો મામલે કાર્યવાહી થશે? સવાલ એ પણ છે કે પીએમ મોદી સામેના પોસ્ટરો મામલે એફઆઈઆર નોંધાય છે, તો શું કેજરીવાલ સામેના પોસ્ટરો મામલે એફઆઈઆર નોંધાશે?

 

No comments:

Post a Comment