Saturday, 25 March 2023

કોંગ્રેસી નેતાએ જ રાહુલ ગાંધીની ઓબીસી સમુદાયને માફી માંગવાની કરી માંગ!

 

 

-     - આનંદ શુક્લ

મોદી સરનેમ માનહાનિ કેસમાં 2 વર્ષની સજા પામેલા રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે તેવી માગણી હવે એક કોંગ્રેસી નેતાએ જ કરી દીધી છે.

મોદી સરનેમ માનહાનિ કેસમાં 2 વર્ષની સજા બાદ પૂર્વ સાંસદ બની ચુકેલા રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે તેવી માગણી ભાજપ તરફથી થઈ રહી છે. ભાજપના જ સૂરમાં સૂર મિલાવતા મહારાષ્ટ્રના વિદર્ભથી કોંગ્રેસના નેતા આશિષ દેશમુખે એક મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં માગણી કરી છે કે  રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે. જો રાહુલ આમ નહીં કરે, તો આગામી ચૂંટણીઓમાં તેનું નુકશાન ઉઠાવવું પડશે. 

કોંગ્રેસના નેતા આશિષ દેશમુખે મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે  રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના માધ્યમથી સાડા ત્રણ હજાર કિલોમીટરની પદયાત્રા કરી. સાડા ચાર મહીના સુધી ચાલ્યા. ભારત જોડો યાત્રાને દેશભરમાં સારો પ્રતિસાદ મળ્યો. રાહુલ ગાંધી આજે લોકપ્રિયતાના ઉચ્ચત્તમ શિખર પર છે. પરંતુ તેમ છતાં ચાર વર્ષ પહેલા તેમણે એક ખોટું નિવેદન આપ્યું હતું. તેનાથી ઓબીસી સમાજની ભાવનાઓ ઘવાય હતી. માટે તે દેશના ઓબીસી સમાજની માફી માંગે.

વિદર્ભના નેતાએ કહ્યુ છે કે રાહુલ ગાંધી ચોકીદાર ચોર અને રાફેલ પર આપેલા નિવેદન પર કોર્ટની માફી માંગી ચુક્યા છે. આ સવાલ એક વ્યક્તિનો નથી, આખા ઓબીસી સમાજનો છે. રાહુલ ગાંધીના નિવેદનથી ઓબીસી સમાજની ભાવનાઓ ઘવાય છે, તો રાહુલ ગાંધીએ માફી માંગી લેવી જોઈએ. આ એક આખા સમાજનો સવાલ છે.

જો કે આશિષ દેશમુખની માગણી પર મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેને સવાલ કરાતા તેમણે કહ્યુ કે આશિષ દેશમુખ તેમની પાર્ટીમાં નથી. એટલે કે આશિષ દેશમુખ કોંગ્રેસમાં નથી.

પરંતુ દર્શકોને જણાવી દઈએ કે આશિષ દેશમુખ 2014 બાદ વિધાનસભાના સદસ્ય હતા. 2019ની ચૂંટણીમાં તેઓ દેવેન્દ્ર ફડણવિસની સામે હારી ગયા હતા. જાન્યુઆરીમાં આશિષ દેશમુખે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલેને હટાવવાની મુહિમ શરૂ કરી હતી. એટલે કે નાના પટોલે અને આશિષ દેશમુખ કોંગ્રેસમાં એકબીજાના વિરોધી છે.

No comments:

Post a Comment