Showing posts with label તુર્કી. Show all posts
Showing posts with label તુર્કી. Show all posts

Saturday, 13 August 2011

સેક્યુલરવાદને તુર્કીનો નવો પડકાર



કે. વિક્રમ રાવ

યૂરોપિયન યુનિયનનું સભ્ય બનવા માટે તત્પર અને ઉત્સુક તુર્કી ગણરાજ્ય આ સમયે ઈસ્લામી કટ્ટરવાદીઓના પડકારથી ઝઝુમી રહ્યું છે. 

તાજેતરની સંસદીય ચૂંટણીમાં એન્ડોગનની દક્ષિણપંથી પાર્ટીને લોકસમર્થન મળ્યું છે. તો પ્રશ્ન છે કે શું ત્યાં રાષ્ટ્રપિતા મુસ્તફા કમાલ પાશા અતાતુર્કની પ્રગતિશીલ પરંપરાઓ તથા સેક્યુલર બંધારણનો અંત આવી જશે? પ્રતિકાત્મક શરૂઆતના રૂપમાં બુરખાને શું કાયદાકીય ધોરણે પહેરવેશ બનાવી દેવાશે? અત્યારે ત્યાં બુરખા પહેરવા પર પ્રતિબંધ છે. તો શું ત્યાં આ પ્રતિબંધ હવે દૂર થઈ જશે?

તુર્કીની 17મી સંસદીય ચૂંટણીમાં સત્તારુઢ ન્યાય અને વિકાસ પાર્ટીને ત્રણ બેઠકો ઓછી મળી. બે તૃતિયાંશ બહુમતી પણ ન મલી જે સેક્યુલર બંધારણને ખતમ કરવાની અથવા સંશોધિત કરવાની પ્રક્રીયા માટે અનિવાર્ય છે. તેમ છતાં વિજય દિવસે એન્ડોગને ઘોષણા કરી કે તેઓ બંધારણને વિપક્ષની મદદથી બદલશે. 

તુર્કી સાત સદીઓથી કટ્ટર ઈસ્લામી સામ્રાજ્ય રહ્યું. ઓટોમન હુકૂમતના ખલીફાએ પૂર્વ યૂરોપને ઈસ્લામી કોલોની બનાવી હતી. પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધમાં તેને બ્રિટનના હાથે હાર મળી તો ખલીફાનું પદ જ ખતમ કરવું પડયું. તુર્કી ક્યારેક ઈસ્લામ વિશ્વનું મુખ્યમથક હતું. પરંતુ કાળાંતરે સેક્યુલર ગણરાજ્ય ઘોષિત થઈ ગયું. પરંતુ ઈસ્લામી કટ્ટરવાદી લોકો ફરીથી તેને મઝહબી રાષ્ટ્ર બનાવવા માટે સક્રીય રહ્યાં. એન્ડોગનની પાર્ટી આ અભિયાનની આગેવાન છે. 

આઠ દશક થયા 99 ટકા મુસ્લિમ વસ્તી છતાં, રૂઢિવાદી રસમો અને રીવાજોને નેસ્તનાબૂદ કરીને રાષ્ટ્રપિતા મુસ્તફા કમાલ પાશાએ નિઝામે મુસ્તફાને હટાવી તુર્કીને સેક્યુલર ગણરાજ્ય ઘોષિત કરી દીધું હતું. ત્યાં અરબીની જગ્યાએ રોમન લીપિમાં તુર્કી લખવામાં આવે છે. બુરખા પ્રથા અને બહુપત્ની વ્યવસ્થાનો અંત કરી દેવાયો છે. મદરસાઓ અને મસ્જિદોને નિયંત્રિત કરવામાં આવી. ઐતિહાસિક સોફિયા ચર્ચને, જેને ખલીફાએ મસ્જિદમાં પરિવર્તિત કરી દીધી હતી, મુસ્તફા કમાલે તેને રાષ્ટ્રીય સંગ્રહાલય બનાવી દીધું. ઝબ્બેદાર લાલ તુર્કી ટોપી (જેને મૌલાના આઝાદ આજીવન પહેરતા રહ્યાં) પહેરવી પ્રતિબંધિત કરી દેવામાં આવી. 

આ પ્રકારે યુવા તુર્ક મુસ્તફા કમાલ પાશાએ ઈસ્લામના વિશ્વ મુખ્યાલયને, ખલીફાના સિંહાસનને, ઓટોમન સુલ્તાનના સામ્રાજ્યને સમગ્ર રીતે ખતમ કરી નાખ્યું. તેની સાથે જ એક પછાત સામંતી રાષ્ટ્રનું આધુનિકીકરણ થઈ ગયું. આજના ઈસ્લામિક વિશ્વમાં તુર્કી ઘણું ઉન્નત છે, કારણ કે ત્યાં મતદાન દ્વારા ચૂંટણી, સેક્યુલર બંધારણ, સ્ત્રી-પુરુષ સમાનતા અને મફત શિક્ષણ ઉપલબ્ધ છે. તુર્કીમાં હિજાબ અને બુરખા પર રોક છે. થોડા દિવસો પહેલા ઈસ્તંબુલની 11 સભ્યવાળી બંધારણીય પીઠે એક સંસદીય કાયદાને ગેરકાયદેસર જાહેર કર્યો, કારણ કે તે તુર્કીના સેક્યુલર બંધારણને પ્રતિકૂળ હતો. વિશ્વાસ નથી થતો કે મુસલમાન બહુલ તુર્કી ભારતથી ઘણું સારું સેક્યુલર રાષ્ટ્ર છે. 

જ્યાં સુધી ઈસ્લામી રીતિ-રીવાજોનું પ્રચલન છે, તેને ત્યાં સીમિત અને પ્રતિબંધિત કરી દેવાયું છે. કોઈને કોઈ છૂટ નથી. કેન્દ્રીય મુખ્ય અભિયોજક અબ્દુર્રહીમન યાલસિન્કયાએ ગત વર્ષ લેખિત આરોપપત્રમાં ન્યાયાધીશને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પોતાની ઈસ્લામી પાર્ટી દ્વારા તુર્કીના સેક્યુલર બંધારણની કલમોને તોડી છે. પ્રતિબંધિત હિજાબને વૈધાનિક પહેરવેશ બનાવવા માટે કાયદો પ્રસ્તાવિત કર્યો છે. ખુદ રાષ્ટ્રપતિની પત્ની જાહેર સમારંભોમાં માથા પર હિજાબ પહેરીને સામેલ થાય છે. તુર્કીમાં પડદો કરવો દંડાત્મક ગુનો છે. ફરીયાદી પક્ષનો આરોપ છે કે બંધારણના નીતિ-નિર્ધારક નિયમોની અવગણના કરીને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સર્વધર્મ સમભાવવાળા તુર્કીમાં ફરીથી શરિયત થોપવા માટે આતુર છે. તેઓ બંને ઈસ્લામી રાજ્યની પુનર્સ્થાપના માટે પ્રયત્નશીલ છે. 

જો તુર્કીના ગત સદીના ઈતિહાસનું વિશ્લેષણ કરીએ તો જાણકારી મળે છે કે તુર્કીના 1 ટકા બિનમુસ્લિમોના મુકાબલે ભારતમાં વીસ ટકા મુસલમાન છે. તેમ છતાં પણ તુર્કીને ઈસ્લામી ગણરાજ્ય બનાવાયું નથી, કારણ કે સેક્યુલર રાષ્ટ્રમાં વોટનો મઝહબથી કોઈ સંબંધ નથી. સેક્યુલરવાદનું પલડું તુર્કી ગણરાજ્યમાં કોઈપણ તરફ નમતું નથી. માટે તુર્કીમાં રમજાનના દિવસોમાં ભોજનાલયો ખુલ્લા હોય છે. 

ગત સંસદીય ચૂંટણીના સમયે શરીયત કાયદાઓ ફરીથી લાવવાની માગણી ઉઠાવાઈ હતી, તો સવા લાખ મહિલાઓએ (16 ફેબ્રુઆરી, 1997) અંકારાની સડકો પર પ્રદર્શન કર્યું હતું. તેમના સૂત્રો હતા- તુર્કીને પાછળ ધકેલો નહીં, શરીયત કાયદો ખારીજ કરો. નવોન્મુખી કાયદાવિદ્દ સંઘની નેતા શ્રીમતી સેનલ સેરાહાને કહ્યું, તુર્કીની મહિલાઓ મધ્યયુગીન બર્બર અને અંધકારમય યુગમાં ક્યારેય પાછી ફરશે નહીં. 

સરખામણીમાં ભારતનું સેક્યુલર પરિદ્રશ્ય જોવો. આપણા તત્કાલિન વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ ચિત્રકાર એમ. એફ. હુસૈનને ભારત પાછા ફરવા માટે આમંત્રણ આપ્યું, પરંતુ તસલીમા નસરીન સંદર્ભે ખામોશ રહ્યાં. શું એક સેક્યુલર મુદ્દા પર ચર્ચા અહીં થંભી જાય કે સાનિયા મિર્ઝાનું સ્કર્ટ કેટલું લાંબુ હોય અથવા નેલ્સન મંડેલા દ્વારા પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રીનો બોસા લેવાથી મઝહબ પર કેવો ખતરો આવી જાય છે. ઈમેઈલ પર ત્રણ વાર ટાઈપ કરવા માત્રથી નિકાહના તમામ બંધનો તૂટી જાય છે અથવા બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા અધાર્મિક છે. પરંતુ જ્યારે હજયાત્રીઓ માટે સાઉદી સરકાર તેને અનિવાર્ય કરી દે તો આ કેમ ધર્મસંમત થઈ જાય છે. ફોટો પડાવવો અને ફિલ્મમાં અભિનય કરવો બુતપરસ્તી જેવું કેટલું મોટું પાપ છે, કોઈ યુવતી તેના પિતા-પતિ-પુત્ર અને ભાઈ સિવાય અન્ય પુરુષ મિત્ર સાથે બહાર નીકળે તો કેવી રીતે જારકર્મ સમાન છે? તને પર ખુલીને ચર્ચા થવી જોઈએ જેથી સેક્યુલર ભારત ક્યાંક નબળું ન પડી જાય.  

ભારતીય સેક્યુલરવાદના ત્રણ ખાસ પ્રતિક હતા- સીમાંત ગાંધી ખાન અબ્દુલ ગફ્ફાર ખાં, મૌલાના અબુલ કલામ આઝાદ અને રફી અહમદ કિદવઈ. આ ત્રિમૂર્તિએ પંથનિરપેક્ષતાના જીવનને પહેલી પાયરી પર તથા મઝહબ અને રાજનીતિને બીજી અને ત્રીજી પાયરી પર પ્રતિષ્ઠિત કરી હતી. સીમાન્ત ગાંધીએ મોહમ્મદ અલી જિન્નાની મઝહબ પર ભારતના વિભાજનની વાતને ફગાવી દીધી હતી કારણ કે તેમની માન્યતા હતી કે મઝહબ વ્યક્તિગત અને રાજનીતિ જાહેરજીવનનો વિષય હોય છે. બંનેમાં ઘાલમેલ ઘાતક છે. ખાન અબ્દુલ ગફ્ફારખાને કહ્યું હતું કે અમે પશ્તૂન લોકો પહેલા આર્ય હતા, પછી બૌદ્ધ થયા અને બાદમાં મુસલમાન. પરંતુ અમારી કોમ તો પઠાણ જ રહી. ધર્મથી રાષ્ટ્રીયતા બનતી કે બદલાતી નથી. આ નિર્ધારક નીતિ સેક્યુલર ભારતની આધારશિલા છે. અને તુર્કીની પણ. પરંતુ તુર્કીમાં આ આધારશિલા દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિને પરિણામે વધારે ટકાઉ અને અડગ છે. 

(સૌજન્ય- રાષ્ટ્રીય સહારા)