Wednesday, 6 July 2011

ખેડૂતો ખાતર


કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની પદયાત્રાને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની સમસ્યા સમજવા અને ઉકેલવાની કોશિશ ગણાવાય રહી છે અને તેમના વિરોધી તેને આગામી વિધાનસભા ચૂંટણીઓ સાથે જોડી રહ્યા છે. દિલ્હીની આસપાસના વિસ્તારમાં જમીન અધિગ્રહણને લઈને જે રાજકીય ઉથલ-પાથલ ચાલી રહી છે, તેમા રાહુલ ગાંધીને ઘણું સમર્થન મળી રહ્યું છે. જો આ રાજકીય ફાયદો ઉઠાવવા માટે કરવામાં આવેલો કાર્યક્રમ છે, તો પણ આ સમજદારીની રાજનીતિ છે અને આ વાત અચરજમાં નાખનારી છે કે અન્ય રાજકીય પાર્ટીઓનો કેટલોક જનાધાર તો બાકી છે, પરંતુ બહુજન સમાજ પાર્ટીને ગંભીર પડકાર આપવા માટે તેમણે આ જનાધારને ઘણો વધારવો પડશે. ભાજપ હાલ રણનીતિ બનાવવામાં જ વ્યસ્ત છે અને જમીની કાર્યક્રમ તેણે ચાલુ કરવાના છે. અજીત સિંહ પરંપરાગત વોટબેંકથી સંતુષ્ટ લાગે છે. ઉત્તર પ્રદેશમાં હાલ કોંગ્રેસ જ એવી વિપક્ષી પાર્ટી છે, જે સતત ચર્ચામાં છે. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં સતત સક્રિય છે અને તેમને ઠેકઠેકાણે જનસમર્થન પણ મળી રહ્યુ છે, પરંતુ પ્રભાવશાળી સ્થાનિક નેતાઓ અને સંગઠનના માળખાની ઉણપને કારણે આ ટેકો આગામી ચૂંટણીમાં કેટલી નક્કર ઉપલબ્ધિમાં ફેરવાશે, તે જોવુ રહ્યું. ખેડૂતોની સમસ્યાઓ ઉઠાવીને તેની સાથે આંદોલન કરવાથી કોંગ્રેસની પરંપરાગત વોટબેંક સિવાય વધારાનો જનાધાર પણ કોંગ્રેસ સાથે જોડાય શકે છે, પરંતુ રાજકારણથી ઈતર પણ ખેડૂતોની સમસ્યાઓ સમજવા અને ઉકેલવાની કોશિશ જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે ગ્રેટર નોઈડામાં જમીન અધિગ્રહણ મામલાની સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી છે, તેનાથી પણ રાહુલ ગાંધીના આંદોલનને બળ મળશે. અલ્હાબાદ હાઈકોર્ટે ગ્રેટર નોઈડામાં શાહબેરી ગામની 156.3 હેક્ટર જમીનના અધિગ્રહણને ખોટું ઠેરવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરતાં કહ્યું કે સરકારો ખેડૂતોની જમીન હડપવા માટે ઉપનિવેશિક કાયદાઓનો સહારો લઈ રહી છે. કોર્ટે એ પણ કહ્યું કે ઘણી રાજ્ય સરકારો પોતાના જ લોકો વિરુદ્ધ દુષ્ટતાપૂર્ણ અભિયાનમાં લાગેલી છે. ગત કેટલાંક વર્ષોથી વિકાસની ગતિ તેજ થઈ જવાથી જમીનોની કિંમતો ઝડપથી વધી ગઈ છે. તેના કારણથી જમીનોથી નાણાં કમાવવાની હોડમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ સાથે સરકાર પણ જોડાઈ ગઈ છે.

બીજી મોટી સમસ્યા એ છે કે જમીનના ઉત્પાદક ઉપયોગથી વધારે નાણાં તેના ખરીદ-વેચાણમાં છે, કારણ કે તેમા કાળા નાણાંનો ખેલ પણ સામેલ છે. માટે જમીનોના અધિગ્રહણના અનુપાતમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો નથી. ઉત્તર પ્રદેશ સરકાર પર આરોપ એ છે કે તેણે ઔદ્યોગિક ઉપયોગના નામે કટોકટી કાળના અધિકારોનો ઉપયોગ કરીને જમીનોનું અધિગ્રહણ કરી અને પછી તેને બિલ્ડરોને વેચી દીધી. એ સાચું છે કે ઉદ્યોગો અથવા શહેરીકરણ માટે જે ખેતીની જમીન અધિગૃહીત કરવામાં આવી રહી છે, તે દેશની કુલ જમીનનો નાનકડો ભાગ છે, પરંતુ ખેડૂતો માટે તો તે જ રોજી-રોટી છે અને મોટાભાગે અધિગ્રહણની આ પ્રક્રિયામાં ખેડૂતોને લાગે છે કે તે છેતરાઈ રહ્યાં છે. દરેક વિકાસશીલ અર્થવ્યવસ્થામાં ખેતીથી ઈતર ઉપયોગ માટે જમીન અધિગ્રહણ અનિવાર્ય છે, પરંતુ જરૂરી એ છે કે આ પ્રક્રિયાને પારદર્શી બનાવવામાં આવે, જેમાં ખેડૂતોનું શોષણ ન થાય. જો બીજી પાર્ટીઓ પણ રાહુલ ગાંધીની જેમ ખેડૂતોના મામલાને લઈને અન્ય રાજ્યોમાં સંઘર્ષ કરે, તો કદાચ ખેડૂતો અને વિકાસની વચ્ચે વિરોધ ખતમ થઈ જાય અને ખેડૂતોને પણ વિકાસમાં ખરેખર ભાગીદાર બનાવી શકાય.

(સૌજન્ય- હિંદુસ્તાન સમાચાર)


No comments:

Post a Comment