પુષ્પરંજન
કાશ્મીર પર 15 એપ્રિલ, 2005ના આઠ સૂત્રીય બ્રસેલ્સ પ્રસ્તાવ પર જે 15 લોકોના હસ્તાક્ષર છે, તેમાં મજીદ ટ્રાંબો અને ડૉ. ફાઈ સિવાય કુલદીપ નૈય્યર અને કાશ્મીરના ભૂતપૂર્વ સચિવ અને તે સમયે ટેરીના ડાયરેક્ટર અશોક જેટલી પણ સામેલ છે.
ભૂતપૂર્વ વિદેશ સચિવ જી. પાર્થસારથિએ માન્યું છે કે તેઓ કાશ્મીરી અલગતાવાદીઓની કોન્ફરન્સમાં ગયા હતા. પરંતુ શિક્ષાવિદ્દ રાધા કુમાર અને કાશ્મીરના ભૂતપૂર્વ સેક્રેટરી અશોક જેટલીએ હજી સુધી પોતાની ચુપકીદી તોડી નથી. જાણકારી મળી છે કે તેઓ પણ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા ફંડેડ કાશ્મીર સેન્ટરની કોન્ફરન્સમાં બ્રસેલ્સ ગયા હતા. રાધા કુમાર અને જી. પાર્થ સારથિ 2006માં, જ્યારે અશોક જેટલી 2005માં ગયા હતા.
આઈએસઆઈનું ફંડ લેનારા ડૉ. ફાઈ સાથે પત્રકાર દિલીપ પડગાંવકરના સંબંધોનો વિવાદ હજી ઠંડો પડયો ન હતો કે રાધા કુમારનું નામ પણ સામે આવ્યું. ભારત સરકારે ઓક્ટોબર-2010માં કાશ્મીરી અલગતાવાદીઓ સાથે સંવાદ માટે ત્રણ વાર્તાકારોની નિમણૂક કરી હતી. પડગાંવકર, શિક્ષાવિદ્દ રાધા કુમાર અને માહિતી કમિશનર એમ. એમ. અંસારી. આ ત્રણેય સીધા ગૃહ મંત્રી અને વડાપ્રધાનને રિપોર્ટ કરે છે.
કાલે જ મને બ્રસેલ્સથી 2006માં થયેલી કાશ્મીર કોન્ફરન્સની કેટલીક તસવીરો મળી. જેમાં કાશ્મીરની વાર્તાકાર રાધા કુમાર ડૉ. ફાઈ સાથે બેઠેલી દેખાય છે. એ કતારમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને 1997માં ભારતમાં હાઈકમિશનર રહેલા રિયાઝ ખોખર બેઠેલા દેખાઈ રહ્યાં છે. કાશ્મીર સેન્ટરના એક બીજા સત્રમાં પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દેખાઈ રહ્યાં છે. આ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ જી. પાર્થસારથિ અને પ્રખ્યાત શિક્ષાવિદ્દ રાધા કુમાર સાથેસાથે બેઠેલા દેખાય છે.
રાધા કુમારને જ્યારે કાશ્મીરના વાર્તાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા, ત્યારે ગૃહ મંત્રાલયને તેમની આ કોન્ફરન્સમાં ભાગ લેવાની વાતની જાણકારી હતી કે નહીં, તે સવાલ સત્તાના વર્તુળોમાં ફરવા લાગ્યો છે. ભરોસાપાત્ર સૂત્રો જણાવે છે કે કાશ્મીરના બંને સરકારી વાર્તાકારો- દિલીપ પડગાંવકર અને રાધા કુમારના સીવીમાં આવા સંમેલનોનો ઉલ્લેખ નથી.
આશ્ચર્યની વાત છે કે એફબીઆઈએ માત્ર ડૉ. ફાઈ જેવા એક ચહેરાનો નકાબ ઉઠાવ્યો છે. બાકી ચહેરા છૂટી ગયા અથવા છોડી દેવાય, એ મોટો સવાલ છે. કાશ્મીર માટે લોબિંગ કરવાની વાત કોઈ નવી ખબર નથી. નવી વાત એ પણ નથી કે ફાઈને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી નાણાં મળતા હતા. આ સમાચારથી ભડકો ત્યારે થયો, જ્યારે અમેરિકી ગુપ્તચર સંસ્થા એફબીઆઈએ તે ભારતીય પત્રકારો અને બુદ્ધિજીવીઓને બેપરદા કર્યા, જે ફાઈના સેમિનારમાં અમેરિકા જઈને કાશ્મીરી અલગતાવાદી થિંક ટેંકને તાકાત આપતા હતા. કાશ્મીરી અલગતાવાદી યૂરોપમાં શું ખિચડી પકવી રહ્યાં છે, તેના પર એફબીઆઈ અને બ્રિટિશ ગુપ્તચર સંસ્થાએ હજી સુધી ચુપકીદી સાધી રાખી છે.
કુલદીપ નૈય્યર, કાશ્મીર ટાઈમ્સા વેદ ભસીન, દિલીપ પડગાંવકર, હરિંદર બાવેજા, ભારત ભૂષણ, મનોજ જોશી, પ્રફુલ્લ બિદવઈ, આ પત્રકારત્વ જગતના તે મોટા નામ છે કે જેમની કાબેલિયત પર શંકા કરી શકાય નહીં. કુલદીપ નૈય્યર સહીત તમામ ફાઈને યોગ્ય રીતે જાણતા નથી. પ્રો. કમલ મિત્ર ચિનોય, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર સચ્ચર, ડાબેરી એક્ટિવિસ્ટ ગૌતમ નવલખા જેવાં બુદ્ધિજીવીઓએ આ મુદ્દા પર પ્રભુ મુરત દેખી તિન તૈસી વાળા અંદાજમાં સ્પષ્ટતા આપી છે.
ખબર નથી કે ભારતમાં કેટલાં લોકોને ખબર છે કે ડૉ. ફાઈથી પણ મોટા બોસ બ્રસેલ્સમમાં બેસે છે. નામ છે બેરિસ્ટર મજીદ ટ્રાન્બો. કાશ્મીર અને મુંબઈ યુનિવર્સિટીથી ભણેલા બેરિસ્ટર ટ્રામ્બોએ લંડનમાં જ આઈએસઆઈની બંદગી સ્વીકારી લીધી. આ 1990ના દિવસોની વાત છે, જ્યારે કુલદીપ નૈય્યર બ્રિટનમાં ભારતના હાઈકમિશનર હતા. તે સમયે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશનર ઓસફ દુર્રાનીએ તહરીકે કાશ્મીરની સ્થાપના બર્મિઘમમાં કરી હતી.
જુલાઈ 1990ના અંતિમ સપ્તાહમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય જમાત-એ-ઈસ્લામીના પ્રમુખ અબ્દુર રશીદ દુર્રાનીને બ્રિટને સ્પાર્ક બ્રુક સંમેલનમાં બોલાવ્યા હતા. આ સંમેલનમાં હાઉસ ઓફ લોર્ડસના સભ્ય નાજિર અહમદે કાશ્મીર પર પ્રો એક્ટિવ પોલિસી અખત્યાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોન્ફરન્સમાં કાશ્મીર સેન્ટર લંડન અને કાશ્મીર સેન્ટર બ્રુસેલ્સની સ્થાપનાનો વિચાર મૂકવામાં આવ્યો હતો.
1990માં જ ડૉ. અયૂબ ઠાકુરે વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટની સ્થાપના કરી હતી. 1993 આવતા અમેરિકા, કેનેડા, યૂરોપ, મધ્ય-પૂર્વમાં તેની ડઝનબંધ શાખાઓ ખુલી હતી. તેના સભ્યો ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોન્ફરન્સ (ઓઆઈસી)ના સંમેલનોમાં સતત જતા-આવતા રહે છે અને અહીં કાશ્મીરની આઝાદીની વાત ઉઠાવતા રહે છે. ખબર નહીં કે આનાથી કુલદીપ નૈય્યર કેવી રીતે અજાણ રહ્યાં. ડૉ. કાજી, ડૉ. જી.એન. મીર, ડૉ. ફાઈ, ડૉ. નાજિર અહમદ કુરૈશી વગેરે વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટના એવા જાણીતાં વ્યક્તિઓ છે, જેમને કાશ્મીર પર કૂટનીતિનો કક્કો વાંચનારા પણ ઓળખે છે.
પત્રકારમાંથી કૂટનીતિક બનેલા કુલદીપ નૈય્યરને ક્યારથી અને કેવી રીતે બેરિસ્ટર ટ્રાંબો અને ડૉ. ફાઈએ આઈનામાં ઉતારી લીધા, એ તો આમાંથી કોઈક જ સારી રીતે જણાવી શકે છે. અમેરિકાથી પહેલા કાશ્મીર સેન્ટર બ્રસેલ્ના સંમેલનોમાં કુલદીપ નૈય્યર ફાઈને મળતા રહ્યાં છે, તેની પુષ્ટિ બ્રસેલ્સમાં લાગેલી તસવીરો કરે છે. પરંતુ આ તસવીરોથી વધારે ગંભીર મામલો છે, કાશ્મીર પર બ્રસેલ્સ પ્રસ્તાવ આ પ્રસ્તાવ પર ભૂતપૂર્વ હાઈ કમિશનર કુલદીપ નૈય્યરે પણ હસ્તાક્ષર કર્યા હતા.
15 એપ્રિલ, 2005ના આઠ સૂત્રી પ્રસ્તાવમાં કાશ્મીરમાં રોકટોક વગર આવાગમન, કાશ્મીરના રાજકીય કેદીઓની મુક્તિ, માનવાધિકારવાદીઓની ફ્રી મૂવમેન્ટ, સેનાની સંખ્યામાં ઘટાડો, સ્પેશ્યલ પાવર એક્ટ સમાપ્ત કરવો, પોલીસની મનમાની અને કસ્ટડીમાં મોત સંદર્ભે તપાસની માગણી કરવામાં આવી છે. આ પ્રસ્તાવ પર જે 15 વ્યક્તિઓના હસ્તાક્ષર છે, તેમાં મજીદ ટ્રાંબો અને ડૉ. ફાઈ સિવાય કુલદીપ નૈય્યર અને કાશ્મીરના ભૂતપૂર્વ સચિવ અને તે સમયના ટેરીના ડાયરેક્ટર અશોક જેટલી પણ સામેલ છે. તેનાથી આ મામલાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. ખાસ કરીને તે વખતે જ્યારે પાકિસ્તાન સતત ફાઈના ટેકામાં ખુલીને સામે આવી રહ્યું છે.
(લેખક ઈયૂ-એશિયા ન્યૂઝના દિલ્હી ખાતેના સંપાદક છે, સૌજન્ય-પ્રભાત ખબર)
No comments:
Post a Comment