Wednesday, 10 August 2011

ISIનો કાશ્મીર એજન્ડા



જગમોહન

જો ગુલામ નબી ફઈ વિરુદ્ધ એફબીઆઈની ચાર્જશીટ વાંચવામાં આવે તો એ વાતના પુરતા પુરાવા મળી જશે કે કાશ્મીરી-અમેરિકન કાઉન્સિલના કાર્યકારી નિદેશક હકીકતમાં મે-1989થી આઈએસઆઈની અમેરિકી શાખાના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યાં હતા. એફબીઆઈની ફરીયાદ સાથે સંલગન અનેક ઈમેઈલ અને અન્ય દસ્તાવેજોથી ખબર પડે છે કે પરિષદના સંચાલન અને નાણાંકીય પ્રબંધન પર આઈએસઆઈનો કડક અંકુશ હતો. પરિષદનું પ્રત્યેક પગલું આઈએસઆઈના દિશા-નિર્દેશોને અનુરૂપ ઉઠાવવામાં આવતું હતું. ત્યાં સુધી કે સંમેલનોમાં બોલાવાયેલા ભારતીય અને પાકિસ્તાની પત્રકારોની યાદી પણ આઈએસઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવાતી હતી. 

ફઈના સંમેલનોમાં ભાગ લેનારા કેટલાંક પત્રકારો અને બુદ્ધિજીવીઓની મીડિયામાં ટીકા થઈ રહી છે. તેના જવાબમાં તેમણે દલીલ આપી છે કે તેઓ પરિષદ અને આઈએસઆઈના સંબંધો સંદર્ભે અજાણ હતા. આ દલીલ ભારતીયોના ગળે ઉતરતી નથી. તેમનું કહેવું છે કે આ કેવી રીતે સંભવ છે કે જાહેર જીવનના વ્યાપક અનુભવવાળા પત્રકાર અને બુદ્ધિજીવી આ નિમંત્રણોનો મર્મ ન જાણતા હોય? એ કહેવું મુશ્કેલ છે કે બિઝનેસ ક્લાસમાં અમેરિકા આવવા-જવા, ફાઈવસ્ટાર હોટલોમાં રોકાવા અને ફઈની મહેમાનગીરીનો લુત્ફ ઉઠાવનારા ભારતીય પત્રકારો અને બુદ્ધિજીવીઓના મનમાં શું ચાલી રહ્યું હતું, પરંતુ એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાઓ, ખાસ કરીને કાશ્મીર સંદર્ભેના મુદ્દાઓ પર આ બુદ્ધિજીવી અને પત્રકારોનો તે દ્રષ્ટિકોણ હતો કે જે આઈએસઆઈ અને અન્ય પાકિસ્તાની એજન્સીઓનો છે. આ ખરાબ પ્રચાર આઈએસઆઈની એ યોજનાનો એક ભાગ હતો કે જેના હેઠળ તે કાશ્મીરમાં આતંક ફેલાવી તેને હડપવા ચાહતું હતું. એવામાં જરૂરી હતું કે તેનો વિરોધ કરી રહેલા લોકોમાં ભ્રમ ફેલાવીને તેમને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવે. 1989-90માં કાશ્મીરી પંડિતોને ખદેડવાના મામલાથી આ વાતની પુષ્ટિ થઈ જાય છે. 

આ સમગ્ર યોજનાનો એક ઉદેશ્ય હતો ખીણમાંથી તમામ કથિત કાફિરો અને ભારતના એજન્ટોને ખદેડવામાં આવે. એક વર્ગ તરીકે કાશ્મીરી પંડિતો પહેલા નિશાન બન્યા. કાશ્મીરી પંડિતો ખીણમાં ભારતીય કિલ્લાના સૌથી મજબૂત સ્તંભ ગણાતા હતા. શેખ અબ્દુલ્લાએ પોતાની આત્મકથા આતિશ-એ-ચિનારમાં તેમને દિલ્હીના પાંચમી કતારિયા અને જાસૂસ કહીને સંબોધિત કર્યા હતા. એક કાશ્મીરી પંડિતને મારવા અને એક હજારને ભયાક્રાંત કરી ત્યાંથી ભગાડવાની રણનીતિ બનાવાઈ હતી. પંડિત સમુદાયના મુખ્ય સભ્યોને વિશેષ રીતે મારી નાખવામાં આવ્યા હતા. 

14 સપ્ટેમ્બર, 1989એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ટિક્કાલાલ ટપલૂને શ્રીનગરમાં તેમના ઘરની સામે ધોળા દિવસે મારી નાખવામાં આવ્યા. ત્યાર બાદ 4 નવેમ્બરે જજ એન. કે. ગંજૂને હરિસિંહ માર્ગ પર મારી નાખવામાં આવ્યા. એન. કે. ગંજૂએ 1966 અને 1975માં આતંકી કાર્યવાહીના આરોપી મકબૂલ બટ્ટના મામલાની સુનાવણી કરી હતી. ત્યાર બાદ 28 ડિસેમ્બર, 1989એ પત્રકાર પી. એન. ભટ્ટની નૃશંસ હત્યા કરવામાં આવી. તેમના અહેવાલો અલગતાવાદીઓ અને આતંકવાદીઓને હજમ થઈ રહ્યાં ન હતા. નાના કસ્બા અને અંતરિયાળ વિસ્તારોમાં પણ અનેક કાશ્મીરી પંડિતોનો આ જ હાલ થયો હતો.
16 જાન્યુઆરી, 1990ના રોજ અખિલ ભારતીય કાશ્મીરી પંડિત સંમેલનના એક પ્રતિનિધિમંડળે તત્કાલિન રાજ્યપાલ કે. વી. કૃષ્ણા રાવને આવેદન આપ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે ખીણમાં સરકારની જગ્યાએ ઉગ્રવાદીઓ શાસન ચલાવી રહ્યાં છે. ખીણનો ઘટનાક્રમ લઘુમતીઓ પર કટ્ટરપંથીઓના સુનિયોજીત હુમલાનો સંકેત હતો. સરકારની નિષ્ક્રિયતા વધતી જઈ રહી છે. લઘુમતી નેતાઓની હત્યા કરનારા એકપણ હત્યારાની ઓળખ સુદ્ધાં થઈ શકી નથી.

સ્પષ્ટ છે કે ફારુક અબ્દુલ્લા સરકારના રાજીનામા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગવા અને 19 જાન્યુઆરીએ રાજ્યપાલ પદ પર મારી નિમણૂકના સમય સુધી આતંકવાદી, અલગતાવાદી અને અન્ય પાકિસ્તાની ટેકેદાર તત્વોએ ખીણને પૂરી રીતે પોતાના જડબામાં દબાવી દીધી હતી. આ પહેલા કે તેઓ પોતાના જડબા બંધ કરીને ખીણને હડપી લે, તબક્કાવાર ઉપાયો દ્વારા તેને તેમના જડબામાંથી બહાર ખેંચી લેવામાં આવી. કાશ્મીરી પંડિતોના ખીણમાંથી પલાયનને રોકવા અને ખીણની બહાર ચાલ્યા ગયેલા પંડિતોને પાછા બોલાવવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા. સરકારે એ પ્રેસનોટ જારી કરીને પંડિતોને પાછા બોલાવવા અપીલ કરી-જગમોહન પંડિત સમુદાયના એ તમામ સભ્યોને ખીણમાં પાછા આવવા માટે અપીલ કરે છે જે અહીંથી અસ્થાયી રીતે જમ્મુ પલાયન કરી ગયા છે. તે ચાર સ્થાનો પર-શ્રીનગર, અનંતનાગ, બારામૂલા અને કુપવાડામાં ચાર અસ્થાયી શિબિરોની સ્થાપનાની પેશકશ કરી રહ્યાં છે, જ્યાં પંડિતોને અસ્થાયી રીતે વસાવામાં આવશે. મારી બહુઆયામી નીતિઓથી આઈએસઆઈ અને આતંકવાદી તથા અલગતાવાદીઓની કુટિલ ચાલો નિષ્ફળ ગઈ. તેના પછી આ તત્વોએ મારી છબીને કલંકીત કરવાનો પુરજોર પ્રયાસ શરૂ કરી દીધો. જ્યારે 1984થી 1989 દરમિયાન મે કાશ્મીર ખીણમાં અનેક વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી હતી. તેમણે મારી વિરુદ્ધ દુષ્પ્રચાર શરૂ કરી દીધો. મારા વિરુદ્ધ અનેક મનઘડંત વાતો ફેલાવવામાં આવી. મારા વિરુદ્ધ ખાસ પ્રકારે એ પ્રચારીત કરવામાં આવ્યું કે કાશ્મીરી પંડિતોના ખીણમાંથી પલાયન માટે હું જ જવાબદાર છું. આ દુષ્પ્રચાર આઈએસઆઈ તંત્ર દ્વારા કરવામાં આવ્યો, પરંતુ તેનાથી પણ વધારે નિંદનીય એ હતું કે કેટલાંક મુખ્ય પત્રકારો પણ આ દુષ્પ્રચારમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં હતા. આ તે મુખ્ય પત્રકારો હતા જે ફઈની પરિષદ દ્વારા પસંદ કરાયેલી યાદીમાં અત્યારે જોઈ શકાય છે. 

તેમણે તમામ દસ્તાવેજો અને અકાટય પુરાવાની અણદેખી કરી અને ચેતવણી જારી કરીને એવી નોટિસ પણ કાશ્મીરના મુખ્ય અખબારોમાં પ્રકાશિત કરાવી, જેમાં કાશ્મીરી પંડિતોને 48 કલાકની અંદર ખીણ છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બધું આઈએસઆઈના આશ્રયથી થયું. આ તથ્યોના આલોકમાં આપણે આ પત્રકારો અને બુદ્ધિજીવીઓની મનસા સંદર્ભે સવાલ કેમ ન ઉઠાવીએ જે ફઈના સંમેલનમાં આઈએસઆઈની ભાષા બોલતા હતા. શું તેમના વિચારો અને આઈએસઆઈના વિચારોમાં સામ્યતાને માત્ર એક સંજોગ કહી શકાય છે? અથવા તેની પાછળ કેટલાંક નિહિત સ્વાર્થ હતા? તેનો કોઈ સીધો જવાબ આપી શકાય નહીં, પરંતુ આ સંદર્ભે આપણને સંકેત જરૂરથી મળી રહ્યાં છે કે આપણે સાવધાન અને સચેત થઈ જઈએ.

(જગમોહન- જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ છે, સૌજન્ય- દૈનિક જાગરણ)

No comments:

Post a Comment