Showing posts with label અરુણ જેટલી. Show all posts
Showing posts with label અરુણ જેટલી. Show all posts

Saturday, 16 July 2011

મુંબઈનો બોધપાઠ


અરુણ જેટલી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટો ભારતીય લોકોને જઘન્ય રીતે યાદ કરાવી રહ્યાં છે કે આપણે આતંકવાદીઓના નિશાના પર છીએ. આપણે ન તો સુરક્ષામાં ઢીલ સહન કરી શકીએ છીએ અને ન તો એ આંકડાથી સંતુષ્ટ થઈ શકીએ છીએ કે આતંકવાદીઓએ 31 માસના સમયગાળા બાદ મુંબઈ પર હુમલો કર્યો છે. આખરે આતંકવાદીઓ વારંવાર મુંબઈને જ શા માટે નિશાન બનાવે છે? તેનું કારણ ઘણું સ્પષ્ટ છે. મુંબઈ પર હુમલાથી ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. અહીં થયેલો હુમલો આખી દુનિયાનું ધ્યાન ખેંચે છે. અહીં મોટા હુમલાની આખી શ્રૃંખલા છે, જેની શરૂઆત 1993ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી થઈ હતી. લોકલ ટ્રેનોમાં થયેલા વિસ્ફોટો અને 26/11ના હુમલા તેની જ કડી છે. ઉદ્યમશીલતા મુંબઈનો જીવ છે.

બહુલતાવાદ મુંબઈની જાન છે, પરંતુ મુંબઈ આતંક વિરુદ્ધ નરમ ન થઈ શકે. મુંબઈ એક હુમલો સહન કર્યા બાદ બીજા હુમલાની રાહ ન જોઈ શકે. મુંબઈ પર વારંવાર થઈ રહેલા આ હુમલા નિશ્ચિતપણે આખા ભારતને અહેસાસ કરાવી રહ્યાં છે કે આપણને ગુપ્તચર તંત્ર, બચાવ અને સજા આપવાની એક મજબૂત વ્યવસ્થાની જરૂર છે, જેથી ભારતના કોઈપણ ભાગમાં ફરી કોઈ આતંકવાદી હુમલો ન થાય. જો કોઈ હજીપણ ભારતમાં હુમલો કરવા માટે કામિયાબ થઈ રહ્યું છે, તો આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેને તેની આકરી સજા મળે. આખરે 9/11 બાદ કોઈએ અમેરિકા પર ફરીથી હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું નથી. આ મુંબઈનો બોધપાઠ હોવો જોઈએ કે આ છેલ્લો હુમલો સાબિત થાય.

ભારત ઘણાં ઘાતક પરિવેશમાં રહે છે. આ તાજા હુમલા સાથે જોડાયેલા તથ્યોની હજી તપાસ ચાલી રહી છે. જો કે તેમાં જરા પણ શંકા નથી કે લશ્કરે તોઈબા અને જમાત-ઉદ-દાવા જેવા સંગઠનોની સ્થાપના સરહદ પાર કરવામાં આવી હતી અને ત્યાંથી જ તેને ખાતર-પાણી મળે છે. તેઓ ભારતને અસ્થિર કરવા ચાહે છે. મુંબઈમાં કસાબની સુનાવણી અને શિકાગોમાં થયેલી સુનવણી દરમિયાન પ્રાપ્ત થયેલા મોટા પુરાવા તેને સાબિત કરે છે. પશ્ચિમી સીમા પર આવેલા આપણા પડોશીએ આતંકવાદને રાજ્યની નીતિ અને ઓજાર બનાવી લીધો છે.

દુનિયાભરમાં થનારા મોટા આતંકવાદી હુમલામાં ભાગ્યે જ કોઈ એવો હુમલો હશે કે જેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા ન હોય. પાકિસ્તાન વૈશ્વિક આતંકની ધરી યોગ્ય રીતે જ કહેવામાં આવે છે. આખરે દુનિયાના કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનને માત્ર પાકિસ્તાનમાં જ શરણ મળી શકી હતી, તો તેની પાછળનો તર્ક સ્પષ્ટ છે. ઈન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના બહારી સમર્થનથી એવી રીતે કરવામાં આવી હતી, અને એ દર્શાવવાની કોશિશ કરવામાં આવી કે તે સ્થાનિક સ્તરે વિકસેલા અલગતાવાદીઓનું સંગઠન છે. તાજેતરના વર્ષોમાં ભારતમાં થયેલા હુમલામાં ઈન્ડિયન મુજાહિદ્દીનનો હાથ રહેલો છે. મોટી સંખ્યામાં પોતાના સભ્યોની ધરપકડ બાદ આ સંગઠન જરા સુસ્ત હતું. પરંતુ હવે એવું લાગે છે કે તે ફરીથી સંગઠિત થઈ રહ્યું છે.

વારંવાર થનારા આતંકવાદી હુમલા પર ભારતની પ્રતિક્રિયા કેવી હોય છે? સ્વાભાવિક રીતે આપણે હુમલાની નિંદા કરીએ છીએ, મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોને રાહત પહોંચાડીએ છીએ. પરંતુ ભારતીય સમાજ ખાસ કરીને સરકાર આતંકની વિરુદ્ધ ક્યાં પ્રકારનો સંદેશ આપી રહી છે? રાજીવ ગાંધી આતંકવાદી પ્રવૃતિઓની તપાસ અને આતંકવાદીઓને સજા આપવા માટે ટાડા લાવ્યા હતા. પરંતુ મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો માટે જવાબદાર આતંકવાદીઓ વિરુદ્ધ જ્યારે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે તેને હટાવવા માટે અભિયાન છેડી દેવામાં આવ્યું અને આખરે તેને પાછો લેવામાં આવ્યો.

પોટાને એ આધારે પાછો ખેંચવામાં આવ્યો કે આપણે આતંકની વિરુદ્ધ કોઈ વિશેષ કાયદાની જરૂરત નથી. આતંકની વિરુદ્ધ જે લોકોએ વિશેષ કાયદાનો વિરોધ કર્યો હતો, તેઓ હવે સાંપ્રદાયિક હિંસાથી નિપટવા માટે એક ભારે ભેદભાવ કરનારો વિશેષ કાયદો લાવવા ચાહે છે, જેમાં એક જ સમુદાયને સજા આપી શકાય છે. જ્યારે આતંકવાદીઓએ બટલા હાઉસમાં શરણ લીધી હતી, ત્યારે આપણા કેટલાંક રાજકારણી ત્યાં એન્કાઉન્ટરમાં સામેલ રહેલા સુરક્ષા દળોથી સવાલ કરવા લાગ્યા. કોંગ્રેસના એક રાજનેતાએ તો આતંકવાદી હુમલાના પીડિતોની જગ્યાએ આ હુમલાના આરોપીઓના પરિવારજનોને મળવાનું વધારે જરૂરી માન્યું. વોટબેંકની રાજનીતિ જ સંસદમાં થયેલા હુમલાના ષડયંત્રકારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીમાં વિલંબ માટે જવાબદાર છે. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરની સ્થાપનાનો વાયદો સપ્ટેમ્બર, 2009માં કરવામાં આવ્યો હતો, પરંતુ તે હજી સુધી અસ્તિત્વમાં આવી શક્યું નથી.

માઓવાદી હિંસા દેશની સુરક્ષા માટે બીજો મોટો પડકાર છે. ગૃહ મંત્રી જ્યારે તેની વિરુદ્ધ કડકાઈ દેખાડવા ચાહે છે, તો કેન્દ્રમાં બેઠેલી તેમની પોતાની પાર્ટી ઉદારતા દર્શાવવા લાગે છે. જ્યારે ક્યારેક માઓવાદી ભારતના લોકતંત્ર પર હુમલો કરે છે, ત્યારે તેની નિંદા કરવા અને તેનાથી નિપટવાનો સંકલ્પ કરવાની જગ્યાએ તર્ક આપવામાં આવે છે કે લોકો માઓવાદી કેમ બને છે. શું રાષ્ટ્રીય સુરક્ષા ક્યારેય સિવિલ સોસાયટીની તરફદાર હોવાનો દાવો કરનારા અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદના એજન્ડા પર રહી છે? મુંબઈનો બોધપાઠ રાષ્ટ્રીય સ્તરે એ સંકલ્પ હોવો જોઈએ કે આતંકવાદને ખતમ કરવા માટે રાજકીય, વહીવટી અને સુરક્ષા સંબંધિત પગલા ઉઠાવવામાં આવશે. પાકિસ્તાન જ્યાં સુધી કટ્ટરતા નહીં છોડે, વધારે પારદર્શી નહીં થાય, વધારે લોકતાંત્રિક નહીં બને અને ખુદને આતંકથી અલગ નહીં કરે, ત્યાં સુધી તેની સાથે કોઈપણ પ્રકારના સંબંધના સાર્થક પરિણામ નીકળી શકશે નહીં.
(સૌજન્ય-અમર ઉજાલા)