Showing posts with label વિયેતનામ. Show all posts
Showing posts with label વિયેતનામ. Show all posts

Monday, 5 September 2011

ડ્રેગનથી મુકાબલો


-મારુફ રઝા

ભારત સાથે સૌથી વધારે દુશ્મની અને આક્રમક વલણ દાખવનાર પડોશી દેશ ચીન છે. ચીનની દાદાગીરીનું સૌથી તાજેતરનું ઉદાહરણ વિયેતનામની નિયમિત યાત્રાએ જઈ રહેલા એક ભારતીય યુદ્ધજહાજ આઈએનએસ ઐરાવતને તથાકથિત ચીની સમુદ્રી ક્ષેત્ર ખાલી કરવાની ચેતવણી દ્વારા સામે આવ્યું છે. આમ તો આ ઘટના જુલાઈના છેલ્લા અઠવાડિયાની છે, પરંતુ તેના સંદર્ભે ઢાંકપિછોડો કરાયા બાદ હવે અત્યારે જાણ થઈ છે. આમ ઢાંકપિછોડો કરવા પાછળનું દેખીતું કારણ ચીન સંદર્ભેની ભારતની બિનઆક્રમક અને દબ્બુ નીતિ પ્રમાણે મામલાને વધારે સળગવા ન દેવાની વૃતિ છે. વિયેતનામના નિયમિત પ્રવાસે ગયેલા આઈએનએસ ઐરાવતને જ્યારે ચીની નૌસેના દ્વારા ચેતવણી આપવામાં આવી, ત્યારે તે ચીની સરહદથી 40 સમુદ્રી માઈલ દૂર હતું. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે તટસ્થ જળસીમામાં નિયમિત પ્રવાસે જઈ રહેલા ભારતીય યુદ્ધજહાજની સાથે દાદાગીરી કરવા પાછળ ચીનની મનસા શું હતી?

ભારતની વિદેશ નીતિ સ્વીકારે કે અસ્વીકારે, પણ એક વાત સ્પષ્ટ છે કે ચીન ભારતને પોતાનું મિત્ર માનતું નથી. આમ તો ચીનનો શત્રુવત વ્યવહાર હોય છે, પણ સારી ભાષામાં કહીએ તો ચીન ભારતને રણનીતિક પ્રતિસ્પર્ધી માને છે. ભારતીય યુદ્ધજહાજ દક્ષિણ ચીનના સમુદ્ર વિસ્તારમાં જે ક્ષેત્રમાં હતું, ત્યાં તેલ જેવાં પ્રાકૃતિક સંસાધનો છે. ચીન સંપૂર્ણ આક્રમતા સાથે આ ક્ષેત્ર પર દાવો કરી રહ્યું છે. આ સિવાય આ વિસ્તારમાં વિયેતનામ ચીન સામે એશિયાની નવી શક્તિ તરીકે ઉભું થઈ રહ્યું છે. ત્યારે વિયેતનામ સાથે ભારતના મજબૂતાઈથી વધી રહેલા સંબંધો ચીનને પોતાના હિતો વિરુદ્ધના લાગે છે. તો સામે પક્ષે ભારતની ચિંતાનું કારણ પણ સ્પષ્ટ છે કે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે અને તેણે ભારતની ઉત્તર તથા દક્ષિણે પોતાના સૈન્ય અને નૌસૈનિક અ઼ડ્ડાઓ પણ બનાવી લીધા છે.

ચીને મ્યાંમારમાં નૌસૈનિક થાણું અને શ્રીલંકા તથા પાકિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં પોર્ટ બનાવીને ભારતને વ્યૂહાત્મક રીતે ઘેરી લીધું છે. તેની સાથે ચીને ગત કેટલાંક વર્ષોથી સુનિયોજીત ઢબે ભારતીય સરહદો નજીક સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. લડાખ, ઉત્તરાખંડ, હિમાચલ અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી સિવાય હિમાલયની ઉત્તરે તિબેટમાં સુખોઈ અને યંત્રીકૃત દલો સાથે જમીની અને હવાઈ સૈન્ય અભ્યાસ પણ કર્યો છે. વળી ચીન હવે ઉત્તર કોરિયા સિવાય પાકિસ્તાનને એશિયામાં પોતાનું બીજું પીછલગ્ગુ માને છે. ચીનને આશા છે કે એક વખત જ્યારે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના વિસ્તારોમાંથી અમેરિકી અને નાટો સૈનિકો પાછા ફરશે, તો તે દક્ષિણ-પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લઈને બાદશાહત ભોગવશે.

ભારત વિકાસના મામલે અને આર્થિક પ્રગતિમાં ચીનનું દુનિયામાં સૌથી મોટું પ્રતિસ્પર્ધી છે. ત્યારે ભારતની પ્રગતિને પાકિસ્તાની ષડયંત્રમાં ગુંચવી નાખવાની કોશિશ ચીન દ્વારા સતત થઈ રહી છે. ભારત પર નિશાન સાધી શકાય તેવી મિસાઈલો ચીન પાકિસ્તાનને આપી રહ્યું છે. ચીને પાકિસ્તાનને પરમાણુ બોમ્બ બનાવવાની પરમાણ્વિક ટેક્નોલોજી પણ પ્રદાન કરી છે. જેમ કે એક વિશ્લેષકે કહ્યું છે કે પાકિસ્તાનનો પોતાનો કોઈ પરમાણુ કાર્યક્રમ નથી, જે પણ છે તે ચીનનો પરમાણુ કાર્યક્રમ છે. પરંતુ આંચકો લાગે તેવી વાત એ છે કે ચીનની આ બેવડી માનસિકતા સામે દુનિયા આખીએ આંખ આડા કાન કર્યા છે, કારણ કે તેણે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાન અને ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર બનાવવામાં મદદ કરીને ચીને સૌથી વધારે વખત એનપીટી- પરમાણુ બિન પ્રસાર સંધિનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને ચીનની મદદથી બનાવેલા પરમાણુ હથિયારો માત્ર ભારત માટે જ નહીં, પરંતુ આખી દુનિયા પર ઝળુંબતું જોખમ થઈ ગયા છે. ભારતની સંસદ અને વડાપ્રધાને દેશની જનતાને આશ્વસ્ત કરી છે કે ભારત ચીનના આવા આક્રમક વલણને ઠેકાણે લાવવા માટે પૂરી રીતે સક્ષમ છે. પરંતુ અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભારત કઈ રીતે પોતાના કૂટનીતિક પ્રભાવનો ઉપયોગ કરીને ઉપખંડમાં ચીનના વર્ચસ્વને પડકારશે.

1962નું ચીની આક્રમણ થયા બાદ વણસેલા સંબંધો અતીતથી વિરુદ્ધ હવે બદલાઈ રહ્યા છે. પહેલા ચીનના ભયથી ભારત નિષ્ક્રિય રહ્યું હતું, પરંતુ હવે તેણે આક્રમક રાજનયિક વલણ અપનાવી લીધું છે. ચાહે અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાનો મામલો હોય કે પછી ભારતીય સેનાના ઉત્તર કમાન્ડના વડા લેફ્ટિનેન્ટ જનરલ બી. એસ. જસવાલને વીઝા આપવાથી ઈન્કારનો મામલો હોય, ભારતે ચીનનો પૂરતી દ્રઢતાથી મુકાબલો કર્યો છે. જો કે અફસોસની વાત એ છે કે મનમોહન સિંહની સરકારે ચીનના વિકાસને એક વાસ્તવિકતાના રૂપમાં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું છે કે વાતચીત જ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ ચીન પોતાની શરતો પર જ વાતચીત કરવા માટે તૈયાર છે. લાંબા સમયથી ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદથી દેખાય છે કે વર્ષો બાદ પણ ચીન ભારત પાસેથી સરહદોના નક્શા સ્વીકારવાના મામલે ચુપ છે.

હવે સવાલ એ છે કે ચીનના પ્રભાવને ભારત કેવી રીતે પડકારે? વ્યૂહાત્મક સ્તર પર ભારતે ચીનને ચારે તરફથી એક ઘેરો બનાવીને ઘેરવું જોઈએ અને વિયેતનામ આ મામલામાં કોઈ અન્ય દેશ કરતાં શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે છે. દક્ષિણ એશિયાઈ દેશોનું એક જોડાણ બનાવવું જોઈએ, જેની સાથે ઉત્તરમાં રશિયા અને જાપાન પણ હોય. આમ થવાથી ચીન પર કૂટનીતિક દબાણ નાખી શકાશે. તો જમીન પર ભારતીય સેનાએ અરુણાચલ અને લડાખમાં ઘૂસણખોરી અથવા સમુદ્રમાં આઈએનએસ ઐરાવત સાથે થયેલી ઘટના જેવી પરિસ્થિતિઓમાં કોઈપણ બેતુકા વ્યવહારથી બચીને ચીનને સખત ટક્કર આપવી જોઈએ. જેવી રીતે ભારતે 1967માં ચીનને નાથુલામાં જવાબ આપ્યો હતો. સાથેસાથે ભારતીય સેનાએ ચીની સેનાઓ સાથે સૈન્ય અભ્યાસ બિલકુલ છોડી દેવો જોઈએ. આવી વાતો કાગળ પર જ સારી લાગે છે, દીર્ઘકાલિક દ્રષ્ટિએ આનાથી કદાચ કોઈ ઉદેશ્ય સિદ્ધ થતા નથી. વળી ચીની સૈનિકો ભારતીય ભાષાઓમાં માહિર હોય છે, જ્યારે ભારતીય સૈનિકો મંદારિન ભાષાના જાણકાર હોતા નથી. આવી સ્થિતિમાં ભારતીય સૈનિકો પાસેથી રણનીતિઓ સંદર્ભે ચીની સૈનિકો વધારે માહિતી મેળવી શકે છે. આમ આવા અભ્યાસોમાં આપણે આપીએ છીએ વધારે અને ઘણું ઓછું મેળવીએ છીએ.