Showing posts with label ચીન. Show all posts
Showing posts with label ચીન. Show all posts

Friday, 9 September 2011

આ ઈતિહાસનો મોટો વળાંક ન હતો


- ટિમોથી ગાર્ટન એશ, બ્રિટિશ ઈતિહાસકાર

કલ્પના કરો કે આજથી 20 વર્ષ બાદ એટલે કે 11 સપ્ટેમ્બર, 2031એ જ્યારે દુનિયાના ઈતિહાસકાર આતંક વિરુદ્ધ જંગને પાછળ વળીને જોશે, તો શીત યુદ્ધના મુકાબલે શું તેને ઈતિહાસનો નિર્ણાયક વળાંક કહેશે? મને લાગે છે કે નહીં. વધારે સંભાવના એ છે કે તેઓ આને એવા તબક્કા તરીકે જોશે, જ્યારે દુનિયાની સત્તા પશ્ચિમથી નીકળીને પૂર્વના હાથમાં ચાલી ગઈ. એક વધારે શક્તિશાળી ચીન અને ઓછું શક્તિશાળી અમેરિકા સામે આવ્યું. એક મજબૂત ભારત અને કમજોર યૂરોપ બન્યું.

જેમ કે સ્ટેનફોર્ડના ઈતિહાસકાર ઈયાન મોરિસે પોતાના પુસ્તક વાયે વેસ્ટ રુલમાં લખ્યું છે કે હવે જે ભૂરાજકીય પરિવર્તન થશે, તે એક તરફ તો તકનીકની અભૂતપૂર્વ તેજીથી થઈ રહેલા આધુનિકીકરણની બૃહદ સીમાઓમાં થશે અને બીજી તરફ અભૂતપૂર્વ વૈશ્વિક પડકારોને કારણે થશે. નિસંદેહ આ વિચાર પણ ઈતિહાસની જાણકારી સાથે લગાવાયેલો એક અંદાજ જ છે. પરંતુ, જો પરિસ્થિતિ આ તરફ ગઈ, તો (અને જો ઈસ્લામી આતંકવાદથી દૂર અન્ય કોઈ રાહ પર પણ ગઈ તો પણ) આ ગત દશક અમેરિકી વિદેશ નીતિના એક પડાવ તરીકે જોવામાં આવશે, ઈતિહાસના કોઈ મુખ્ય માર્ગની જેમ નહીં.

અને જો પાછલા દિવસોમાં અરબ દેશોમાં ચાલેલા જનઆંદોલનોની હવાથી આધુનિકીકરણની આશા બંધાય છે, તો ન્યૂયોર્ક, મેડ્રિડ અને લંડનના આતંકવાદી હુમલા ભૂતકાળમાંથી ઉછળી આવેલા કેટલાંક વિસ્ફોટો લાગશે. ત્યારે આ માત્ર એક અંત દેખાશે, કોઈ શરૂઆત નહીં. અને જો અરબના આંદોલનોની આ હવા પર ઈસ્લામી આતંકવાદ હાવી થઈ ગયો, ત્યારે પણ તેનો અર્થ એ નથી કે ઈસ્લામની હિંસક અને ઉદાર વિચારધારાનો સંઘર્ષ આગામી કેટલાંક દશકોની મુખ્યધારા હશે. ઈસ્લામની હિંસક ધારા એક જોખમ બની રહેશે, પરંતુ તેને તેમ છતાં પણ નિર્ણાયક ક્ષણ કહી શકાશે નહીં.

આ મુદ્દા પર આપણે જો આમ થાત તો-વાળા અંદાજમાં પણ વિચારી શકીએ છીએ. 2001ના ઉનાળામાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે પોતાનો જે ભૂરાજનીતિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો, તેમા નવા સામરીક પ્રતિસ્પર્ધીઓ તરીકે સમગ્ર ધ્યાન ચીન પર આપવાની વાત કહી હતી. હવે માની લો કે 11 સપ્ટેમ્બરનો આતંકવાદી હુમલો થયો ન હોત, તો અમેરિકા પોતાનું સમગ્ર ધ્યાન ચીનથી સ્પર્ધામાં જ લગાવત. શું થાત, જ્યારે તેને આ અનુભવ થાત કે જે શીત યુદ્ધના ખાત્મા અને મૂડીવાદના વૈશ્વિકરણને પોતાની જીત માની રહ્યું હતું, તેનાથી જ પેદા થયેલી પૂર્વની શક્તિને પશ્ચિમની સામે મોટો પડકાર ઉભો કરી દીધો છે? ત્યારે કદાચ અમેરિકા એવા નિષ્કર્ષ પર પહોંચત કે આ સ્પર્ધા માટે જંગી તાકાતની નહીં, પરંતુ શિક્ષણ, ઊર્જા, પર્યાવરણ અને ઈનોવેશન પર રોકાણ વધારવાની જરૂરત છે. એશિયાના ઉદય સામે તેને એ વિચારવા માટે મજબૂર થવું પડત કે અમેરિકામાં ઉપભોગ, રોકાણ અને બચતના સંબંધોમાં ફરીથી સંતુલન બેસાડવાનો સમય પાકી ગયો છે. અને અમેરિકા જો આ બધાંમાં કમિયાબ પણ થઈ જાત, તો પણ ચીન અને ભારતનો ઉદય ચાલુ જ રહેત. ત્યારે પણ સત્તાનું સંતુલન પશ્ચિમથી પૂર્વ તરફ ઝુકત. ગ્લોબલ વોર્મિંગનું જોખમ ત્યારે પણ રહેત. જળ સંકટ, મહામારીઓ તમામ મુશ્કેલીઓ ત્યારે પણ માથે ચઢીને બોલત. એ જરૂર છે કે ત્યારે પશ્ચિમી દેશ અને ખાસ કરીને અમેરિકા કંઈક સારી સ્થિતિમાં હોત.

હવે જો આ થાત તો-વાળી કલ્પનાને બંધન કરી દઈએ. હુમલો થયો. અમેરિકાએ જવાબ આપવનો જ હતો. એક વહીવટી તંત્ર જે પહેલા એક ગુંચવાડામાં ફસાયેલું હતું, તેને બદલાની એક ભાવના મળી ગઈ. દસ વર્ષ બાદ આપણે કહી શકીએ છીએ કે અલ કાયદાનું જોખણ ઓછું થઈ ચુક્યું છે. તે સંપૂર્ણપણે ખતમ થયું નથી, પણ ઓછું તો થયું છે. પરંતુ કઈ કિંમતે? અમેરિકાએ બે મોટી લડાઈઓ લડી. અફઘાનિસ્તાનની લડાઈ લડવી તેની મજબૂરી હતી, પરંતુ ઈરાકની લડાઈ તેણે પોતે પસંદ કરી. અફઘાનિસ્તાનની લડાઈ જલ્દીથી પૂરી થઈ શકતી હતી. તે ઓછી લાગત પર વધારે પરિણામ આપી શકતી હતી, પરંતુ શરત હતી કે બુશ વહીવટી તંત્રે ઈરાકમાં ઘૂસણખોરી ન કરી હોત. અમેરિકાએ સોફ્ટ પાવરની પોતાની છબીને અબૂ ગરીબ જેવી ભયાનક ચીજોથી ખુદ ધૂળમાં મેળવી છે. અને આ દશકમાં જે થયું, તે વધારે ગડબડ છે. પરમાણુ હથિયારવાળો દેશ પાકિસ્તાન દસ વર્ષ પહેલાના મુકાબલે હવે વધારે ખતરનાક છે. આ દસ વર્ષમાં યૂરોપના મુસ્લિમ સમુદાય સહીત ઈસ્લામિક વિશ્વમાં પરસ્પર વિરોધી પ્રવૃતિઓ જોવા મળી છે. અરબ જનઆંદોલનો અને યૂરોપના મુસ્લિમ સમુદાયોએ ઉદારતા અને આધુનિકીકરણની ઝલક રજૂ કરી છે. જ્યારે પાકિસ્તાન અને યમન જેવા દેશોમાં ઉગ્ર ઈસ્લામ હાવી થયો છે.

આ દસ વર્ષની લડાઈની જે કિંમત ચુકવવી પડી છે, તેના પર બ્રાઉન યૂનિવર્સિટીએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ જંગ પર, જેમાં 22 લાખ અમેરિકી ગયા અને 10 લાખ યુદ્ધવીર તરીકે પાછા આવી ચુક્યા છે. આ પરિયોજનામાં અનુમાન લગાવાયું છે કે અફઘાનિસ્તાન, ઈરાક અને પાકિસ્તાનમાં ચાલી રહેલી લડાઈ પર 32થી 40 અબજ ડોલરનો ખર્ચ આવ્યો છે. 2020 સુધી આ ખર્ચ 44 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. આ આંકડાઓ પર વિવાદ થઈ શકે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ ખર્ચ વધારે ભારે છે. ઉભડક રીતે જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રીય કર્જના એક ચતુર્થાંસ અને આ કર્જ પણ સકલ ઘરેલુ ઉત્પાદની બરાબર થવાનું છે.

અને આ આંકડાઓમાં એ બધી બાબતો જોડવામાં આવી નથી, જેમને અર્થશાસ્ત્રીઓની ભાષામાં અવસરની લાગત કહેવામાં આવે છે. મામલો એ છે કે 40 અબજ ડોલરમાં રોજગારના કેટલાં અવસર પેદા કરી શકાતા હતા અથવા કેટલાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર ઉભાં કરી શકાતા હતા. અથવા અડધી કિંમતમાં જ જો આતંકવાદનો મુકાબલો કરી લેવાત, તો શું થઈ શકતું હતું. તેનાથી પણ મોટો મુદ્દો છે કે અમેરિકાએ ઊર્જા, રાષ્ટ્રીય ફોક્સ અને કલ્પનાશક્તિના મામલાઓમાં પોતાના અવસરોમાં કેટલું નુકસાન કરી લીધું છે.

હાલ અમેરિકા પાસે બે પ્રકારના હીરો છે. એક તરફ સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા લોકો છે, તો બીજી તરફ વર્દી પહેરનારા ફોજના હીરો છે. પરંતુ આપણી મુશ્કેલી એ છે કે નામી યુદ્ધવીર જ્યારે અહીં પાછા ફરશે, તો તેમના માટે નોકરીઓ નહીં હોય. માટે આ સપ્તાહ કોંગ્રેસમાં રોજગાર પેદા કરવા સંદર્ભે બરાક ઓબામાનું જે ભાષણ થશે, તે વધારે મહત્વપૂર્ણ હશે, તેના કરતાં રવિવારે ગ્રાઉન્ડ ઝીરો પર થનારા ભાષણને મુકાબલે. યોદ્ધાઓનું સમ્માન થવું જોઈએ, પરંતુ હાલ અમેરિકાને એવા નાયકોની જરૂરત છે, જે રોજગાર પેદા કરી શકે.

Monday, 5 September 2011

ડ્રેગનથી મુકાબલો


-મારુફ રઝા

ભારત સાથે સૌથી વધારે દુશ્મની અને આક્રમક વલણ દાખવનાર પડોશી દેશ ચીન છે. ચીનની દાદાગીરીનું સૌથી તાજેતરનું ઉદાહરણ વિયેતનામની નિયમિત યાત્રાએ જઈ રહેલા એક ભારતીય યુદ્ધજહાજ આઈએનએસ ઐરાવતને તથાકથિત ચીની સમુદ્રી ક્ષેત્ર ખાલી કરવાની ચેતવણી દ્વારા સામે આવ્યું છે. આમ તો આ ઘટના જુલાઈના છેલ્લા અઠવાડિયાની છે, પરંતુ તેના સંદર્ભે ઢાંકપિછોડો કરાયા બાદ હવે અત્યારે જાણ થઈ છે. આમ ઢાંકપિછોડો કરવા પાછળનું દેખીતું કારણ ચીન સંદર્ભેની ભારતની બિનઆક્રમક અને દબ્બુ નીતિ પ્રમાણે મામલાને વધારે સળગવા ન દેવાની વૃતિ છે. વિયેતનામના નિયમિત પ્રવાસે ગયેલા આઈએનએસ ઐરાવતને જ્યારે ચીની નૌસેના દ્વારા ચેતવણી આપવામાં આવી, ત્યારે તે ચીની સરહદથી 40 સમુદ્રી માઈલ દૂર હતું. ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે તટસ્થ જળસીમામાં નિયમિત પ્રવાસે જઈ રહેલા ભારતીય યુદ્ધજહાજની સાથે દાદાગીરી કરવા પાછળ ચીનની મનસા શું હતી?

ભારતની વિદેશ નીતિ સ્વીકારે કે અસ્વીકારે, પણ એક વાત સ્પષ્ટ છે કે ચીન ભારતને પોતાનું મિત્ર માનતું નથી. આમ તો ચીનનો શત્રુવત વ્યવહાર હોય છે, પણ સારી ભાષામાં કહીએ તો ચીન ભારતને રણનીતિક પ્રતિસ્પર્ધી માને છે. ભારતીય યુદ્ધજહાજ દક્ષિણ ચીનના સમુદ્ર વિસ્તારમાં જે ક્ષેત્રમાં હતું, ત્યાં તેલ જેવાં પ્રાકૃતિક સંસાધનો છે. ચીન સંપૂર્ણ આક્રમતા સાથે આ ક્ષેત્ર પર દાવો કરી રહ્યું છે. આ સિવાય આ વિસ્તારમાં વિયેતનામ ચીન સામે એશિયાની નવી શક્તિ તરીકે ઉભું થઈ રહ્યું છે. ત્યારે વિયેતનામ સાથે ભારતના મજબૂતાઈથી વધી રહેલા સંબંધો ચીનને પોતાના હિતો વિરુદ્ધના લાગે છે. તો સામે પક્ષે ભારતની ચિંતાનું કારણ પણ સ્પષ્ટ છે કે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે અને તેણે ભારતની ઉત્તર તથા દક્ષિણે પોતાના સૈન્ય અને નૌસૈનિક અ઼ડ્ડાઓ પણ બનાવી લીધા છે.

ચીને મ્યાંમારમાં નૌસૈનિક થાણું અને શ્રીલંકા તથા પાકિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં પોર્ટ બનાવીને ભારતને વ્યૂહાત્મક રીતે ઘેરી લીધું છે. તેની સાથે ચીને ગત કેટલાંક વર્ષોથી સુનિયોજીત ઢબે ભારતીય સરહદો નજીક સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. લડાખ, ઉત્તરાખંડ, હિમાચલ અને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી સિવાય હિમાલયની ઉત્તરે તિબેટમાં સુખોઈ અને યંત્રીકૃત દલો સાથે જમીની અને હવાઈ સૈન્ય અભ્યાસ પણ કર્યો છે. વળી ચીન હવે ઉત્તર કોરિયા સિવાય પાકિસ્તાનને એશિયામાં પોતાનું બીજું પીછલગ્ગુ માને છે. ચીનને આશા છે કે એક વખત જ્યારે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના વિસ્તારોમાંથી અમેરિકી અને નાટો સૈનિકો પાછા ફરશે, તો તે દક્ષિણ-પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લઈને બાદશાહત ભોગવશે.

ભારત વિકાસના મામલે અને આર્થિક પ્રગતિમાં ચીનનું દુનિયામાં સૌથી મોટું પ્રતિસ્પર્ધી છે. ત્યારે ભારતની પ્રગતિને પાકિસ્તાની ષડયંત્રમાં ગુંચવી નાખવાની કોશિશ ચીન દ્વારા સતત થઈ રહી છે. ભારત પર નિશાન સાધી શકાય તેવી મિસાઈલો ચીન પાકિસ્તાનને આપી રહ્યું છે. ચીને પાકિસ્તાનને પરમાણુ બોમ્બ બનાવવાની પરમાણ્વિક ટેક્નોલોજી પણ પ્રદાન કરી છે. જેમ કે એક વિશ્લેષકે કહ્યું છે કે પાકિસ્તાનનો પોતાનો કોઈ પરમાણુ કાર્યક્રમ નથી, જે પણ છે તે ચીનનો પરમાણુ કાર્યક્રમ છે. પરંતુ આંચકો લાગે તેવી વાત એ છે કે ચીનની આ બેવડી માનસિકતા સામે દુનિયા આખીએ આંખ આડા કાન કર્યા છે, કારણ કે તેણે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાન અને ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર બનાવવામાં મદદ કરીને ચીને સૌથી વધારે વખત એનપીટી- પરમાણુ બિન પ્રસાર સંધિનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને ચીનની મદદથી બનાવેલા પરમાણુ હથિયારો માત્ર ભારત માટે જ નહીં, પરંતુ આખી દુનિયા પર ઝળુંબતું જોખમ થઈ ગયા છે. ભારતની સંસદ અને વડાપ્રધાને દેશની જનતાને આશ્વસ્ત કરી છે કે ભારત ચીનના આવા આક્રમક વલણને ઠેકાણે લાવવા માટે પૂરી રીતે સક્ષમ છે. પરંતુ અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભારત કઈ રીતે પોતાના કૂટનીતિક પ્રભાવનો ઉપયોગ કરીને ઉપખંડમાં ચીનના વર્ચસ્વને પડકારશે.

1962નું ચીની આક્રમણ થયા બાદ વણસેલા સંબંધો અતીતથી વિરુદ્ધ હવે બદલાઈ રહ્યા છે. પહેલા ચીનના ભયથી ભારત નિષ્ક્રિય રહ્યું હતું, પરંતુ હવે તેણે આક્રમક રાજનયિક વલણ અપનાવી લીધું છે. ચાહે અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાનો મામલો હોય કે પછી ભારતીય સેનાના ઉત્તર કમાન્ડના વડા લેફ્ટિનેન્ટ જનરલ બી. એસ. જસવાલને વીઝા આપવાથી ઈન્કારનો મામલો હોય, ભારતે ચીનનો પૂરતી દ્રઢતાથી મુકાબલો કર્યો છે. જો કે અફસોસની વાત એ છે કે મનમોહન સિંહની સરકારે ચીનના વિકાસને એક વાસ્તવિકતાના રૂપમાં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે અને કહ્યું છે કે વાતચીત જ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ ચીન પોતાની શરતો પર જ વાતચીત કરવા માટે તૈયાર છે. લાંબા સમયથી ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદથી દેખાય છે કે વર્ષો બાદ પણ ચીન ભારત પાસેથી સરહદોના નક્શા સ્વીકારવાના મામલે ચુપ છે.

હવે સવાલ એ છે કે ચીનના પ્રભાવને ભારત કેવી રીતે પડકારે? વ્યૂહાત્મક સ્તર પર ભારતે ચીનને ચારે તરફથી એક ઘેરો બનાવીને ઘેરવું જોઈએ અને વિયેતનામ આ મામલામાં કોઈ અન્ય દેશ કરતાં શ્રેષ્ઠ વિકલ્પ થઈ શકે છે. દક્ષિણ એશિયાઈ દેશોનું એક જોડાણ બનાવવું જોઈએ, જેની સાથે ઉત્તરમાં રશિયા અને જાપાન પણ હોય. આમ થવાથી ચીન પર કૂટનીતિક દબાણ નાખી શકાશે. તો જમીન પર ભારતીય સેનાએ અરુણાચલ અને લડાખમાં ઘૂસણખોરી અથવા સમુદ્રમાં આઈએનએસ ઐરાવત સાથે થયેલી ઘટના જેવી પરિસ્થિતિઓમાં કોઈપણ બેતુકા વ્યવહારથી બચીને ચીનને સખત ટક્કર આપવી જોઈએ. જેવી રીતે ભારતે 1967માં ચીનને નાથુલામાં જવાબ આપ્યો હતો. સાથેસાથે ભારતીય સેનાએ ચીની સેનાઓ સાથે સૈન્ય અભ્યાસ બિલકુલ છોડી દેવો જોઈએ. આવી વાતો કાગળ પર જ સારી લાગે છે, દીર્ઘકાલિક દ્રષ્ટિએ આનાથી કદાચ કોઈ ઉદેશ્ય સિદ્ધ થતા નથી. વળી ચીની સૈનિકો ભારતીય ભાષાઓમાં માહિર હોય છે, જ્યારે ભારતીય સૈનિકો મંદારિન ભાષાના જાણકાર હોતા નથી. આવી સ્થિતિમાં ભારતીય સૈનિકો પાસેથી રણનીતિઓ સંદર્ભે ચીની સૈનિકો વધારે માહિતી મેળવી શકે છે. આમ આવા અભ્યાસોમાં આપણે આપીએ છીએ વધારે અને ઘણું ઓછું મેળવીએ છીએ.

Friday, 5 August 2011

ચીનનો દમનકારી ચહેરો


બ્રહ્મા ચૈલાની
ચીનની વિડંબણા એ છે કે આ વિશ્વની સૌથી મોટી, મજબૂત અને લાંબી તાનાશાહી સત્તા છે. તે જનતાનું જેટલું દમન કરે છે, તેના આંતરીક પડકારો એટલા જ વધારે વિકરાળ થઈ જાય છે. તે ખાસ કરીને જાતિય-લઘુમતી ક્ષેત્રોમાં દેખાય રહ્યું છે, જે ચીનના કુલ ભૂભાગનો 60 ટકા ભાગ છે. ગત કેટલાંક સપ્તાહ દરમિયાન ચીની સેના જિનજિયાંગ પ્રાંતના પશ્ચિમી ક્ષેત્રમાં એક ડઝનથી વધારે દેખાવકારોને મોતને ઘાટ ઉતારી ચુકી છે અથવા તેમને ઘાયલ કરી ચુકી છે. આ ક્ષેત્રમાં યુઘુરના મૂળ નિવાસીઓનો વિદ્રોહ થંભવાનું નામ લઈ રહ્યો નથી. ફેલાતા વિદ્રોહને જોતા જિનજિયાંગ સરકારે આરોપ લગાવ્યો છે કે એક મુખ્ય યૂઘુર અલગતાવાદી નેતાને ચીનના સદાબહાર મિત્ર પાકિસ્તાનમાં તાલીમબદ્ધ કરવામાં આવ્યો છે. આ આરોપ એ દિવસે લગાવવામાં આવ્યો જ્યારે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ અહમદ શુજા પાશા જિનજિયાંગની મુલાકાત બાદ બીજિંગમાં ચીનને વિનંતી કરવામાં લાગ્યા હતા કે પાકિસ્તાન પર વધી રહેલા અમેરિકી દબાણને ખતમ કરવામાં ચીન મદદ કરે.


આ આરોપ ચીનની એ અધીરતા જાહેર કરે છે, જે યૂઘુર અલગતાવાદીઓને સીમા પારથી મળનારા સમર્થનને રોકવામાં પાકિસ્તાનની અક્ષમતાથી ઉપજી છે. તેનાથી એ સંકેત પણ મળે છે કે પાકિસ્તાનને લાડ લડાવવાની ચીનની પરંપરાગત નીતિ હવે તેના માટે જાતીય સમસ્યા ઉભી કરવા લાગી છે. ચીન ન કેવળ બહારી દેશો દ્વારા પ્રાયોજીત છદ્મ યુદ્ધનો સામનો કરી રહ્યું છે, પરંતુ ઉપનિવેશિક હાનની વિરુદ્ધ યૂઘુર લોકોના વધતા પ્રતિઘાતથી પણ ઝઝુમી રહ્યા છે. તિબેટમાં પણ, જ્યાં ચીની શાસનનો વિરોધ મુખ્યત્વે અહિંસક જ રહ્યો છે અને જ્યાં દોષારોપણ કરવા માટે કોઈ આતંકી જૂથ નથી, ચીન મૂળ નિવાસીઓની ઓળખ, સંસ્કૃતિ અને ભાષાને કચડવા અને તેમના પ્રાકૃતિક સંસાધનોનો લાભ ઉઠાવવાની નીતિઓના કડવા ફળ ચાખી રહ્યું છે. લઘુમતીઓની ભૂમિના ચીનીકરણમાં બીજિંગની રણનીતિના પાંચ મુખ્ય ઘટક છે-નક્શાઓમાં ફેરબદલ કરીને જાતીય સમુદાયોની સીમાઓમાં પરિવર્તન, ગેરહાન સંસ્કૃતિમાં વસ્તીના સ્તરે ઘૂસણખોરી, ચીની આધિપત્યને ન્યાયોચિત ઠેરવવા માટે ઈતિહાસનું પુનર્લેખન, પ્રાદેશિક ઓળખને મિટાવવા માટે સાંસ્કૃતિક સમરૂપતા આરોપિત કરવી અને રાજકીય દમન કરવું. માંચુ અને મંગોલિયાઈ જાતિના હાન સમાજમાં સમાવેશ બાદ હવે તિબેટી અને તુર્કભાષી યૂઘુરની પ્રાદેશિક ઓળખ બચી છે, પરંતુ જેવું કે 2008ના તિબેટ, 2009ના યૂઘુર વિદ્રોહ અને 2011ના ઈનર મોંગોલિયાઈ પ્રદર્શનોથી રેખાંકીત થાય છે, જાતીય અને આર્થિક ઉપનિવેશિક રણનીતિના દુષ્પરિણામ સામે આવી રહ્યાં છે. આ વર્ષે ફરીથી મોંગોલિયાઈ પ્રદર્શન ભડકી ઉઠયા અને તિબેટમાં ચીની આધિપત્યને પડકાર મળી રહ્યો છે. તેના સિવાય, જિનજિયાંગમાં યૂઘુર-હાન સંઘર્ષમાં ગત એક માસમાં ડઝનો લોકો માર્યા ગયા છે અને આ ટકરાવ સુદૂર હોતાના શહેરથી સિલ્ક રોડ શહેર કાશ્ગર સુધી ફેલાઈ ગયો છે.


રશિયા, કેન્દ્રીય એશિયાઈ દેશો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ઘેરાયેલા જિનજિયાંગને 1949માં એટલે કે તિબેટ પર હુમલાના એક વર્ષ પહેલા ચીનમાં મેળવી લેવામાં આવ્યું હતું. તેનાથી પહેલા 1944માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સોવિયત લોહપુરુષ જોસેફ સ્ટાલિન સમર્થિત વિદ્રોહી મુસ્લિમ જૂથોએ જિનજિયાંગમાં પૂર્વ તુર્કિસ્તાન રિપબ્લિકની રચના કરી હતી. ગત છ દશકોમાં કરોડો હાન ચીની જિનજિયાંગમાં વસી ગયા અને આ સમૃદ્ધ પ્રાંતમાં નવી વસ્તી અને મૂળ સમુદાય વચ્ચે જમીન અને જળ સંસાધનોના મુદ્દા પર આંતરજાતીય સ્પર્ધા અને ટકરાવ તેજ બની ગયો. ચીનની મહાન દીવાલનું નિર્માણ મિંગ વંશે 1369-1644ના કાળખંડમાં મુખ્યત્વે એટલા માટે કર્યું હતું કે જેથી હાન સામ્રાજ્યની રાજકીય હદબંધી કરી શકાય. આજનું ચીન મિંગ કાળના મુકાબલે ત્રણ ગણું મોટું થઈ ચુક્યું છે. તેની સીમાઓ મહાન દીવાલથી પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં ઘણી આગળ સુધી ફેલાઈ ગઈ છે.


જિનજિયાંગની સાંસ્કૃતિક રાજધાની કાશ્ગર બીજિંગની સરખામણીમાં બગદાદની નજીક છે અને તિબેટની રાજધાની લ્હાસાનું બીજિંગથી અંતર નવી દિલ્હીના મુકાબલે લગભગ બેગણું છે. તિબેટ અને જિનજિયાંગના બળજબરીથી સમાવેશની નીતિ વસ્તુત્ ત્યારે સામે આવી જ્યારે ચીને ભારતના અક્સાઈ ચીનના 38 હજાર વર્ગ કિલોમીટર જમીન પર કબજો જમાવીને બંને પ્રાંતો વચ્ચે સંપર્ક સ્થાપિત કરી લીધો.


જેવું કે અનેક ક્ષેત્રોમાં અલગતાવાદી હિંસાથી રેખાંકીત થયું છે, ચીનને પોતાની ઉપનિવેશિક નીતિઓના કારણે આંતરીક સુરક્ષાનું જોખમ ઉઠાવવું પડી રહ્યું છે. તિબેટ અને જિનજિયાંગનું ક્ષેત્રફળ ચીનના કુલ ભૂભાગથી અડધું છે, તેનાથી માલૂમ પડે છે કે આંતરીક સુરક્ષાના મોરચા પર ચીનની સમસ્યાઓ ભારતની સરખામણીએ ઘણી વધારે ગંભીર છે. ભારતમાં વિવિધતા છે, જ્યારે ચીન પોતાની સીમાઓમાં સાંસ્કૃતિક અને ભાષાકીય સમરૂપતા થોપી રહ્યું છે, જો કે આધિકારીક રીતે ત્યાં 56 રાષ્ટ્રીયતાઓ છે. એકલસાંસ્કૃતિકવાદની આડમાં ચીન હાન બહુમતીનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યું છે. વિશ્વમાં એકમાત્ર ચીન એવો દેશ છે કે જેની આંતરીક સુરક્ષાનું બજેટ રાષ્ટ્રીય સુરક્ષા બજેટથી પણ વધારે છે. તેનાથી ખબર પડે છે કે સ્થિરતાના કાયમ રાખવા માટે ચીન કેટલી મોટી કિંમત ચુકવી રહ્યું છે.


તિબેટ અને જિનજિયાંગમાં અસંતોષને દબાવવા માટે ચીને ભારે-ભરખમ સુરક્ષા માળખું ખડું કર્યું છે. તેમાં અત્યાધુનિક નિરીક્ષણ ઉપકરણોની સાથે મુખબીરોની ફોજનું ચુકવણું કરવું અને સુરક્ષા પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સમસ્યા ઉભી કરનારા તત્વોને ઝડપી શકાય. જો કે વિદ્રોહીઓની આગ હાન મુખ્યભૂમિમાં પણ પહોંચી ચુકી છે, જ્યાં ગ્રામીણ ક્ષેત્રોમાં વિરોધ પ્રદર્શન ચીની સકળ ઘરેલુ ઉત્પાદનના અનુપાતમાં વધી રહ્યાં છે. પરંપરાગત જાતીય લઘુમતી તો ચીનની ગંભીર સમસ્યા બની ચુક્યા છે.


ચીનમાં યૂઘુર, તિબેટી અને મંગોલિયાન સામે એ વિકલ્પ છે કે યા તો તેઓ પોતાના અધિકાર માટે લડે અથવા પછી મૂળ અમેરિકીઓની જેમ બરબાદ થવા માટે તૈયાર રહે. અથવા પછી તેમના હાલ પણ એ માંચુઓની જેમ થઈ જશે જેમને ઓળખ મિટાવીને ચીનમાં સમાહિત કરી દેવાયા છે. યૂઘુર, તિબેટીઓ અને મંગોલિયાઈઓ દ્વારા દમનકારી શાસન વિરુદ્ધ ઉભા થઈ જવાથી સ્પષ્ટ થઈ જાય છે કે ચીનની આંતરીક સમસ્યાઓ ત્યાં સુધી ખતમ નહીં થાય, જ્યાં સુધી આ દશકો પુરાણી જાતીય અને આર્થિક ઉપનિવિશક નીતિઓનો ત્યાગ નહીં કરે.

સૌજન્ય- દૈનિક જાગરણ

Wednesday, 3 August 2011

ઉઈગર મુસ્લિમોના આતંકથી ત્રસ્ત ચીન



ડૉ. વેદપ્રતાપ વૈદિક

આપણે ત્યાં કહેવત છે કે- જાકે પૈર ન ફટે બિવાઈ, વો ક્યાં જાને પીર પરાઈ!

ચીન અત્યાર સુધી ભારતની ફરીયાદો પર આંખો બંધ કરીને બેસી રહેતું હતું. તેને પાકિસ્તાનની આતંકવાદી ભૂમિકા ક્યારેય વાંધાજનક દેખાતી ન હતી. તે જાણીજોઈને માખી ગળી રહ્યું હતું, પરંતુ હવે કાશગરમાં થયેલા ભયંકર રક્તપાતે તેને હલબલાવી નાખ્યું છે. ચીનની સરકારના પ્રવક્તાએ હવે સ્પષ્ટ શબ્દોમાં આરોપ લગાવ્યો છે કે ચીને શિંચ્યાંગ પ્રાંતના ઉઈગર મુસલમાનોને પાકિસ્તાન ભડકાવી રહ્યું છે. પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં તેમને આતંકવાદી તાલીમ આપવામાં આવી રહી છે. કાશગરમાં પકડાયેલા ઉઈગર આતંકવાદીઓએ, જે ચીની નાગરીક છે, આ સત્ય જણાવ્યું છે કે તેઓ બોમ્બ વગેરે બનાવવાનું પાકિસ્તાન પાસેથી જ શીખ્યા છે. 

સૌથી પહેલા તો એ જાણવામાં આવે કે શિંચ્યાંગ ક્ષેત્ર ક્યાં છે, આ ઉઈગર લોકો કોણ છે અને ચીન તથા પાકિસ્તાન સાથે તેમનો શું સંબંધ છે. શિંચ્યાંગ ચીનનું પશ્ચિમી રાજ્ય છે, જેની સીમા ભારત, પાકિસ્તાન, કિરગિજિસ્તાન, ઉજબેકિસ્તાન અને મંગોલિયા વગેરે દેશોને સ્પર્શ કરે છે. પાકિસ્તાને ચીનને ગેરકાયદેસર રીતે આઝાદ કાશ્મીરની કેટલીક જમીન આપી રાખી છે. જો તે આપવામાં આવી ન હતો, તો ચીનના આ પ્રાંતની સરહદ ભારતથી ઘણી દૂર સુધી જોડાત. લગભગ 16 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું આ રાજ્ય આખા ચીનનો એક છઠ્ઠમાંશ ભૂભાગ છે અને તેમાં લગભગ બે કરોડ લોકો રહે છે. તેમાં 47 અલગ-અલગ જાતિઓના લોકોની વસ્તી છે, તેમાંથી ઉઈગર લોકોની ટકાવારી 45 ટકા એટલે કે સૌથી વધારે છે. પરંતુ ગત સાઠ વર્ષોમાં ચીનની સામ્યવાદી સરકારે કેટલીક એવી ચાલ ચાલી છે કે ઉઈગર લોકો પોતાના જ ઘરમાં લઘુમતી થઈ ગયા છે. ત્યાં બિનઉઈગરની સંખ્યા 55 ટકા થઈ ગઈ છે. ચીનની મુખ્ય જાતિ-હાન લોકોને ત્યાં મોટી સંખ્યામાં વસાવવામાં આવ્યા છે કે તેઓ જ હવે શિંચ્યાંગના અસલી માલિક બની ગયા છે. 

આજે સ્થાનિક સરકાર અને પ્રશાસનમાં ઉઈગરોનું પ્રતિનિધિત્વ નામમાત્રનું છે. તમામ મુખ્ય સ્થાનો પર હાન લોકો જામી ગયા છે. તેઓ ચીની ભાષા બોલે છે, જ્યારે ઉઈગરની ભાષા તુર્કી છે. તેમનો ચહેરો-મહોરો, ખાન-પાન, રહેણી-કરણી, સભ્યતા-સંસ્કૃતિ ઉઈગરોથી બિલકુલ અલગ છે. ઉરુમચી, કાશગર, ખોતાન જેવા મોટા-મોટા શહેરોમાં ચીનીઓની બોલબાલા સ્પષ્ટ દેખાય છે. મોટામોટા મકાન, મોટીમોટી કારો, મોટીમોટી દુકાનો બધું ચીનાઓ પાસે છે અને ગંદી વસ્તીઓ, નાની-મોટી નોકરીઓ અને વંચનાપૂર્ણ જીવન ઉઈગરોના ખાતામાં છે. શિંચ્યાંગને દરેક દ્રષ્ટિએ આગળ વધારવા માટે બીજિંગની સરકારે ઘણાં પગલાં ઉઠાવ્યા છે, પરંતુ સંપૂર્ણ પ્રગતિનો લાભ લોકોમાં બરાબર વહેંચી શકાયો નથી. માખણ તો ચીની હાન લોકો લૂંટી ગયા અને ઉઈગરોને છાશ પણ મળી નથી. ઘનઘોર અસંતોષનું મુખ્ય કારણ આ છે. 

ઉઈગરના અસંતોષને ભડકાવવા માટે આર્થિક વિષમતાની મુખ્ય ભૂમિકા તો છે જ, તે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ છે, જેના કારણે શિંચ્યાંગને સ્વતંત્ર તુર્કિસ્તાન બનાવવાની માગણી વખતોવખત ઉઠતી રહે છે. શિંચ્યાંગ, તિબેટ, મંગોલિયા અને મંચૂરિયા-આ કેટલાંક એવા દેશ છે, જે ચીનની ઉત્તરી અને પશ્ચિમી સીમા પર આવેલા છે. આ રાષ્ટ્રો અથવા રાજ્યો પર ચીને ઘણીવાર કબજો કરી લીધો અને ઘણીવાર તેઓ તેમના હાથમાંથી લસરી ગયા. 1933 અને 1944માં શિંચ્યાંગ ચીનના હાથમાંથી નીકળીને પૂર્વી તુર્કિસ્તાનનું ઈસ્લામી ગણરાજ્ય બની ગયું હતું. તેને સોવિયત સંઘનું સમર્થન પણ હતું. પરંતુ માઓની લાલ સેનાએ ડંડાના જોર પર તેને ફરીથી પોતાની સાથે મેળવી લીધું. હવે અનેક ઉઈગર લોકો ત્યાં પૂર્વી તુર્કિસ્તાન ઈસ્લામી આંદોલન ચલાવી રહ્યાં છે. આઝાદીના આ આંદોલનને અમેરિકા અને પાકિસ્તાનમાં વસેલા અનેક પ્રબુદ્ધ અને માલદાર ઉઈગર દ્રઢતાપૂર્વક ટેકો આપી રહ્યાં છે. 

પહેલા ચ્યાંગ કાઈ શેક અને પછી સામ્યવાદી સરકારોએ શિંચ્યાંગમાં એટલું ભયંકર દમનચક્ર ચલાવ્યું હતું કે ઉઈગર ઉગ્રવાદી વધારે માથું ઉંચકી શક્યા ન હતા. પરંતુ જ્યારે તેઓ પાકિસ્તાન ઈસ્લામી આતંકવાદનો ગઢ બન્યું છે, ઉઈગર આતંકવાદ પણ શક્તિશાળી બની ગયો છે. ઉઈગર આતંકવાદીઓને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ વધારવામાં ત્રણ કારણોથી લાભ થાય છે. એક તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી શિંચ્યાંગ એકદમ સાથે લાગેલો વિસ્તાર છે. બંનેની વચ્ચે સારી એવી સડક છે, જેના પર મોટર અને ટ્રક દોડે છે. સારા મોસમમાં લોકો પગપાળા અથવા ઘોડા-ખચ્ચર પર આરપાર આવાગમન કરે છે. 

ઈસ્લામાબાદ અને ઉરુમચી (શિંચ્યાંગની રાજધાની)ની વચ્ચે સીધી હવાઈ સેવા પણ ઘણાં જ રાહત દરે દરરોજ ઉપલબ્ધ છે. શિંચ્યાંગના શહેરોમાં બનેલી મેડિકલ કોલેજોમાં તમે સેંકડો પાકિસ્તાની વિદ્યાર્થીઓને જોઈ શકો છો. બીજું કારણ છે કે ઉઈગર લોકો મુસ્લિમ છે. પાકિસ્તાનના લોકો તેમના પ્રત્યે ભાઈચારો અનુભવે છે. ત્રીજું કારણ, ઉઈગર લોકો દેખાવમાં ચીનાઓથી એકદમ અલગ લાગે છે. તેઓ પાકિસ્તાનના ઉત્તરી ભાગોના લોકો જેવાં લાગે છે. લગભગ ત્રણ હજાર ઉઈગર શિંચ્યાંગથી ભાગીને પાકિસ્તાનમાં વસી ગયા છે. ચીની સરકાર આ ઉઈગરો પર કડક નજર રાખવા માટે પાકિસ્તાન સરકાર પર હંમેશા દબાણ બનાવી રાખે છે. પાકિસ્તાનથી પકડાયેલા કેટલાંક ઉઈગરોને અમેરિકાએ ગ્વાંટેનામોબે પણ બંધ કરી દીધા હતા.


આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન સરકાર ચીનાઓને એ જ તર્ક આપે છે, જે ભારત સરકારને આપે છે એટલે કે આતંકવાદીઓ નોન સ્ટેટ એક્ટર્સ છે. તેમને રાજ્યની કોઈ મદદ મળતી નથી. આ તર્કને ભારત સરકાર તો માની લે છે. તેના પર અમેરિકી દબાણ પણ બનેલું રહે છે, પરંતુ ચીનનું વલણ ઘણું આક્રમક છે. આ મામલામાં થોડા દિવસો પહેલા આસિફ અલી ઝરદારીએ ફોન કરીને ચીની નેતાઓને પોતાની સ્પષ્ટતા આપવી પડી હતી અને આજકાલ આઈએસઆઈના પ્રમુખ શુજા પાશા બીજિંગમાં છે. ઉઈગર આતંકવાદીઓ અને આમ જનતાએ બે વર્ષ પહેલા શિંચ્યાંગમાં એટલા હુલ્લડો મચાવ્યા હતા કે બસ્સોથી વધારે લોકો માર્યા ગયા હતા. ત્યાર બાદ નાના-મોટા ઘણાં હુલ્લડો થયા છે. ચીનના અન્ય ભાગમાં વસેલા ઉઈગરોએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. 

જો આ લોકોએ ચીનના મોટા શહેરોમાં બોમ્બ મુકવાના શરૂ કરી દીધા અને તેમની સાથે તિબેટી અને મંગોલ જાતિઓ પણ મળી ગઈ તો ચીનને ખબર પડશે કે ભારતના દર્દનો અર્થ શું છે. ચીનને હવે શંઘાઈ સહયોગ પરિષદમાં આતંકવાદ વિરુદ્ધ પોતાનો અવાજ પહેલાથી ઘણો વધારે બુલંદ કરવો પડશે.
પાકિસ્તાની સરકારને પાટા પર લાવવામાં ભારત આજ સુધી સફળ થઈ શક્યું નથી, પરંતુ ચીને જો કડક વલણ અપનાવ્યું તો પાકિસ્તાન સરકાર મજબૂર થઈ જશે. કારણ કે પાકિસ્તાન ચીનનું સૌથી ઘનિષ્ઠ મિત્ર છે અને હવે તે ચીન પર જ સંપૂર્ણપણે નિર્ભર થવાનું છે. ઓસામા કાંડે અમેરિકીઓની આંખો ખોલી નાખી છે. ખબર નહીં, ઉઈગર આતંકવાદ ચીનની આંખો ક્યારે ખોલશે?

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

Tuesday, 2 August 2011

ચીનની ચિંતા


બી. રામન

એકલા અમેરિકા અને ભારત જ પાકિસ્તાન પર પોતાની જમીનને આતંકવાદી પ્રવૃતિઓ માટે અભ્યારણ્યની જેમ ઉપયોગ કરનારા જેહાદીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા માટે દબાણ બનાવી રહ્યાં નથી. પરંતુ પાકિસ્તાની ક્ષેત્રથી પ્રવૃતિઓ ચલાવનારા ઉઈઘુર અને અન્ય આતંકી સમૂહો પર કાર્યવાહી માટે ચીન પણ તેના પર દબાણ બનાવી રહ્યું છે. આ આતંકી માત્ર પાકિસ્તાનમાં કાર્યરત ચીની નાગરીકોની સુરક્ષા માટે પડકાર બન્યા નથી, પરંતુ ચીનના શિનજિયાંગ પ્રાંતની આંતરીક સુરક્ષાને પણ તેનાથી જોખમ છે.

ચીનની ચિંતાના ત્રણ કારણો છે. પહેલું, ચીની નાગરીકોના જીવન પર ખતરો. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં ચીની નાગરીકો પર પાંચ હુમલા થઈ ચુક્યા છે. તેમાંથી ત્રણ બલુચિસ્તાનમાં અને એક-એક પશ્ચિમોત્તર સીમા પ્રાંત (એનડબલ્યુએફપી) અને સંઘ દ્વારા શાસિત કબાઈલી ક્ષેત્ર ફાટામાં થયા છે. આ હુમલામાં ત્રણ ચીની નાગરીકોના જીવ પણ ગયા છે. તેમાંથી બે હુમલાને જુલાઈ-2007માં ઈસ્લામાબાદ ખાતે લાલ મસ્જિદમાં થયેલી કમાન્ડો કાર્યવાહી બાદ અંજામ આપવામાં આવ્યો હતો. તેના સિવાય ઈસ્લામાબાદના એક મસાજ પાર્લરમાં કામ કરનારી છ ચીની મહિલાઓને લાલ મસ્જિદ મદરેસામાં ભણનારી મહિલાઓને ગુમ કરી દીધી હતી, જેમને બાદમાં છોડી મુકવામાં આવી હતી.

ચીનની ચિંતાનું બીજું કારણ છે, આ ઘટનાઓની તપાસમાં પાકિસ્તાની પોલીસની બેરૂખી. ત્રીજું, ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈસ્ટ તુર્કિસ્તાન (આઈએમઈટી)થી સંબંધ રાખનારા ઉઈઘુર આતંકવાદીઓને શોધી નાખવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા. જ્યારે ચીન માને છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાની ક્ષેત્રમાં શરણ લઈ રહ્યાં છે.

ઓગસ્ટ, 2007માં લાહોરમાંથી પ્રકાશિત અખબાર ડેલી ટાઈમ્સમાં મોસ્કોમાં તેનાત ચીની રાજદૂત લિઉ ગુચાંગનું એક નિવેદન પ્રકાશિત થયું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે તાજેતરના વર્ષોના આકલનથી ખબર પડે છે કે સૌથી મોટો આતંકી પડકાર પૂર્વી તુર્કિસ્તાનના આતંકી સમૂહોથી છે, જેઓ ચીનની અંદર અને તેની સીમાઓમાં સક્રીય છે.

પાકિસ્તાન પર અમેરિકા અને ચીન, બંનેની તરફથી જેહાદી આતંકીઓ પર કાર્યવાહીનું દબાણ છે. પરંતુ પાકિસ્તાની સરકાર ચીનની ચિંતાઓ પ્રત્યે ઘણી વધારે સજગ છે અને તેના કારણે તેની સાથે રણનીતિક સંબંધો પર પડનારા પ્રભાવને લઈને પણ પરેશાન પણ છે. વાસ્તવમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ લાલ મસ્જિદમાં શરણ લેનારા તાલિબાન સમર્થકો પર કોઈપણ પ્રકારની કાર્યવાહીથી બચતા રહે, પરંતુ જ્યારે છ ચીની મહિલાઓને ગુમ કરીને તેમના પર વેશ્યાવૃતિમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, તો ચીનની તરફથી પાકિસ્તાન પર દબાણ વધ્યું. ત્યાર બાદ જ મુશર્રફે લાલ મસ્જિદમાં કમાન્ડો કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

ચીનની ચિંતા પર પાકિસ્તાની કાર્યવાહીનો વધુ એક મામલો તાલિબાન સમર્થક કબાઈલી નેતા અબ્દુલ્લા મહસૂદથી જોડાયેલો છે. તે અફઘાનિસ્તાનમાં નવ તાલિબાન જૂથોને મદદ કરી રહ્યો હતો. હામિદ કરજઈ સરકારે વારંવાર ચિંતા વ્યક્ત કરી હોવા છતાં પાકિસ્તાની સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહી. પરંતુ જ્યારે ચીને મહસૂદથી પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોના જીવને જોખમ હોવાનું જણાવ્યું, તો તેને પાકિસ્તાની સુરક્ષા તંત્રે ઠાર કરી નાખ્યો.

પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોની સુરક્ષા વધારવા અને ભૂતકાળમાં થયેલા હુમલાની તપાસ માટે પાકિસ્તાન અને ચીને ઓગસ્ટ, 2007માં એક સંમતિ પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. તેના લગભગ એક વર્ષ બાદ બીજિંગ ગયેલા પાકિસ્તાનના તત્કાલિન ગૃહ મંત્રી રહમાન મલિકે કહ્યું હતું કે ચીનના શત્રુ પાકિસ્તાનના શત્રુ છે. અમે અમારા સૌથી વિશ્વસનીય સહયોગી માટે જોખમ બનેલા તત્વોને છોડીશુ નહીં.

મલિક જૂન, 2009માં પણ બીજિંગ ગયા હતા. તેમની આ યાત્રા બાદ પાકિસ્તાની સરકારે એમનેસ્ટી ઈન્ટરનેશનલના વાંધાઓ છતાં ઉઈઘુર સમુદાયના દશ લોકોને ચીનને સોંપી દીધા હતા. એમનેસ્ટીને અંદેશો હતો કે આ લોકોને કોઈપણ યોગ્ય સુનાવણી વગર ચીન ફાંસીના માંચડે લટકાવી દેશે. ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે લોકો આઈએમઈટી સાથે સંબંધિત હતા, જેમને પાકિસ્તાની સેનાએ ફાટામાં ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં પકડયા હતા.

એબટાબાદમાં ગત 2જી મેએ અમેરિકી અભિયાનમાં ઓસામા બિન લાદેનના માર્યા ગયા બાદ ચીને મજબૂતી સાથે પાકિસ્તાનનો બચાવ કર્યો હતો. પરંતુ હજી જુલાઈમાં શિનજિયાંગ પ્રાંતમાં ભડકેલી હિંસામાં ચીનની આ ચિંતા તાજી થઈ ગઈ કે પાકિસ્તાન આઈએમઈટીના આતંકીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી.

શરૂઆતમાં ચીની આતંકવાદ વિરોધી વિશેષજ્ઞોએ એ ચિંતા વ્યક્ત કરી, પરંતુ હવે પાર્ટીના નિયંત્રણવાળા ગ્લોબલ મીડિયાના સ્તંભોમાં પણ આ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જમીનથી સંચાલિત ભારત વિરોધી આતંકી પ્રવૃતિઓને લઈ ચીને ક્યારેય ભારતની ચિંતાની સાથે સંબંધ રાખ્યો નથી. એટલું જ નહીં, અનેક વર્ષો સુધી તેણે સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી નિરીક્ષણ સમિતિને જમાત-ઉદ-દાવા અને લશ્કરે તોઈબાને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાથી રોકી રાખી હતી. ચીની બેરૂખી છતાં ભારતે પાકિસ્તાનમાં હાજર આતંકી માળખાં સંદર્ભે તેના બેવડા વલણને બેનકાબ કરવું જોઈએ.

(સૌજન્ય-અમર ઉજાલા)

Sunday, 31 July 2011

સંકટમાં દરેક સરકાર



હરિવંશ

ભારત માટે સૌથી જરૂરી વસ્તુ છે શાસન. તે પણ કેન્દ્રનું. શાસન એટલે કેન્દ્રનું શક્તિશાળી હોવું. મધુ લિમયે જે સત્તાના વિકેન્દ્રીકરણ સિદ્ધાંતના પાલનમાં પળીને મોટા થયા, તે પણ માનતા હતા કે મજબૂત ભારત માટે દિલ્હીનું સશક્ત હોવું જરૂરી છે.

કોંગ્રેસની સતત દુર્દશા અને રાજા દ્વારા થનારી રોજની ફજેતીએ કેન્દ્રને સૌથી વધારે કમજોર કરી દીધી છે. ભાજપ, ભારતમાં કોંગ્રેસનો વિકલ્પ બની શક્યું નથી. યેદિયુરપ્પા જેવાના પાપ ભાજપ જેવા પક્ષોને ડુબાડી રહ્યાં છે. માટે ભાજપ સશક્ત, સાર્થક અને સમયને અનુરૂપ વિપક્ષની ભૂમિકામાં નથી, કારણ કે યેદિયુરપ્પાના મેન્ટર (સંરક્ષક) ભાજપમાં મોટા પદો પર છે. યેદિયુરપ્પા મામલા પર ભાજપ લોકલાજ છોડીને સતી થવા ઈચ્છે છે, તો તેનાથી દેશનું મોટું નુકસાન નથી. ભાજપ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરે છે, તો તેના પક્ષમાં યેદિયુરપ્પા જેવા લોકો સભ્ય પણ ન હોવા જોઈએ. પરંતુ સંકેત છે કે તે મુખ્યમંત્રી પદ છોડશે, તો તેમને કર્ણાટક ભાજપનું અધ્યક્ષ પદ જોઈએ. માટે ભાજપ તો ભવિષ્યહીન છે, પરંતુ કોંગ્રેસ? કોંગ્રેસનું, ભારતની મુક્તિના સંઘર્ષ અને જન્મ સાથે જોડાણ રહ્યું છે. અતીતમાં આ પાર્ટી, સંયુક્ત સમાજની અભિવ્યક્તિનો મંચ રહી છે. જો આ પાર્ટી રાજા, અમર સિંહ જેવાના સવાલોથી ઘેરાય જાય, તો ચર્ચિલના કહેલા પ્રસંગનું સ્મરણ થાય છે. આઝાદી મળવાની હતી, ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે આ વૃદ્ધ પેઢીના ગુજર્યા બાદ આ દેશને ચલાવવાની ક્ષમતા અહીંના લોકોમાં નથી. આ દેશ તૂટી અને વિખેરાય જશે.

રાજાએ કોર્ટમાં વડાપ્રધાન અને ચિદમ્બરમ પર જે પલટવાર કર્યો છે, તેણે કેન્દ્ર સરકારની શાખ ખતમ કરી નાખી છે. કોંગ્રેસ બચાવમાં કહી રહી છે કે ભાજપ પહેલા યેદિયુરપ્પાની વાત કરે, તેમને હટાવે. શું વડાપ્રધાન મનમોહન સિંહની સરખામણી યેદિયુરપ્પાથી થશે? આ જવાબ કોંગ્રેસ ભાજપને આપી રહી છે અથવા દેશને? શું ભાજપ અને યેદિયુરપ્પા જ દેશ છે? અથવા યેદિયુરપ્પા અને ભાજપની બહાર પણ ભારત છે? વડાપ્રધાનની એક છબી રહી છે. તેમની વ્યક્તિગત છબી હજી સુધી બેદાગ રહી છે. પરંતુ રાજાના સવાલોએ નાણાં મંત્રી અને વડાપ્રધાન પદની બંધારણીય ભૂમિકા, મંત્રીમંડળના સામૂહિક દાયિત્વ પર ગંભીર સવાલ કર્યા છે, કોઈ તત્કાલિન નાણાં મંત્રીને કોર્ટમાં ખેંચવા ચાહે છે, કોઈ ભૂતપૂર્વ સરકારી સચિવ કહે છે કે હું જેલમાં છું, તો રિજર્વ બેંકના ગવર્નર સાચા કેવી રીતે છે? ભારત સંઘની શક્તિનું પ્રતીક છે, વડાપ્રધાન, નાણાં મંત્રી, ગૃહ મંત્રી, રિજર્વ બેંકના ગવર્નર વગેરે. આ પદ પણ આરોપોના લપેટામાં આવ્યા, તો ભારત સંઘની શક્તિનું શું થશે? આ પદ માત્ર બંધારણીય-કાયદાકીય સત્તાના પ્રતીક નથી. લોક નજરમાં આ સર્વોચ્ચ પદ, વૈદ્યતા ખોવા લાગશે, તો ભારતનું ભવિષ્ય શું હશે?
બીજી તરફ, કોંગ્રેસ સંગઠનની પરિસ્થિતિ વધુ ખરાબ છે. મણિશંકર અય્યર નિવેદન આપે છે કે કોંગ્રેસ સરકસ છે. તે 24 અકબર રોડ પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યાં હતા. મણિશંકર અય્યર રાજીવ ગાંધીના પારિવારીક મિત્ર રહ્યાં છે. અધિકારીમાંથી તેઓ મંત્રી બન્યા. કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કહ્યું છે કે પર્યાવરણ મંત્રીના રૂપમાં તેઓ પોતાની સરકારમાં શિખંડીની ભૂમિકામાં હતા. દિગ્વિજય સિંહ જેવા નેતા નવા અવતારમાં છે. જો આ પદનો વ્યક્તિ (જેમાં ક્યારેક દેશ ભાવિ વડાપ્રધાનની છબી જોતો હતો) સડક પર ઉતરીને મારામારી કરે, તો તે પાર્ટીના પતનને રાષ્ટ્રીય આપત માની લેવી જોઈએ. એટલું જ નહીં, કોંગ્રેસ એ પણ ભૂલી ગઈ છે કે તે કોઈ મહાન પરંપરાની દેણ છે. (ગાંધીજીની ઈચ્છા પ્રમાણે આઝાદી બાદ ભંગ થઈ લોકસેવક સંઘ બન્યો હોત, તો કદાચ દેશનો ઘણો ઉપકાર હોત.) મોટા કોંગ્રેસી નેતા જ્યારે મારામારી કરે છે, તો નાના કોંગ્રેસી નેતા શું કરશે? રાંચીમાં કપિલ સિબ્બલ આવ્યા હતા. આઈસાના કેટલાંક નવયુવાનો બહાર તેમનો વિરોધ કરી રહ્યાં હતા. તેમને કોંગ્રેસીઓએ ખરાબ રીતે માર્યા. શું સત્તામદમાં કોંગ્રેસના લોકો લઘુત્તમ મર્યાદા પણ ભૂલી રહ્યાં છે? શું તેઓ વિરોધને કચડી નાખવા ચાહે છે? જો આ રસ્તો સાચો છે, તો જે જૂનાં મોટા કોંગ્રેસી નેતાઓએ આઝાદીની લડાઈમાં પ્રતિકાર અથવા વિરોધ પ્રદર્શનને રાજનીતિ તરીકે કારગર હથિયાર તરીકે પસંદ કર્યા હતા, શું તેઓ બધાં અપરાધી હતા? શું કોંગ્રેસ રાજનીતિની ફિલોસોફી બદલવા ચાહે છે?

જે હથિયારોથી કોંગ્રેસ અસ્તિત્વમાં આવી, સત્યાગ્રહ, ધરણાં, સવિનય કાનૂન ભંગ, પ્રદર્શન, વિરોધ, તેને તે ખૂબસૂરતીથી કચડી રહી છે. યાદ કરો જ્યારે પહેલી વાર લોકતંત્રમાં આ નવા વધુ ધારદાર સાત્વિક પ્રતિરોધક હથિયાર સાધન તરીકે અપનાવાયા, ત્યારે દુનિયાએ આશ્ચર્યની સાથે ભારત તરફ જોયું. કોંગ્રેસે બાબા રામદેવના આંદોલનને કચડી નાખવા નવું હથિયાર શોધી લીધું છે. વિરોધને દબાવવા-કચડવા માટે. દિલ્હી પોલીસ પાસે અન્ના હજારેના આંદોલન પર રોક લગાવડાવી દીધી. બીજી તરફ દિગ્વિજય સિંહે નિવેદન આપ્યું કે સરકાર કોઈના અનશનથી ડરતી નથી. બાબા રામદેવના પ્રદર્શન-ધરણાંમાં દિલ્હી પોલીસે જે કર્યું, હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન છુપાયેલા-દબાયેલા તથ્યો અને સંકેત સામે આવી રહ્યાં છે. દિલ્હી પોલીસ, દિલ્હી વહીવટી તંત્રના તાબામાં છે, પરંતુ બાબા રામદેવના ધરણાં દરમિયાન તેને રામલીલા મેદાનમાં કાર્યવાહી કરવા માટે ઉપરથી આદેશ મળ્યા? શું આ સંઘીય માળખા હેઠળ શાસન છે? હવે આ જ રણનીતિ અન્ના હજારે સાથે અપનાવાય રહી છે. 

કોંગ્રેસના આ વલણ પર આરજેડી, સમાજવાદી પાર્ટી અને ડાબેરીની ભૂમિકા અથવા ચુપકીદી ધ્યાન આપવા લાયક છે? મોંઘવારીનો વિરોધ કરતાં ઘૂમી રહ્યાં હતા મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવ. પરંતુ બહાર વિરોધ, લોકસભામાં કોંગ્રેસને મદદ. આ પ્રકારે ભ્રષ્ટાચારના એવા-એવા મામલા સામે આવ્યા છે, જેવા વીતેલા 60 વર્ષોમાં આવ્યા નથી. મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની જ ઉપજ છે. પરંતુ આજના જેવો ભ્રષ્ટાચાર જાહેર જીવનમાં ક્યારેય રહ્યો નથી, પરંતુ આ જમીની નેતા મૌન છે. લાલુજી રામદેવજીની વિરુદ્ધ બોલે છે. લોકપાલ મુદ્દા પર આ પક્ષોનો મત શું છે? ખબર નથી. સાંસદ લાંચકાંડમાં, પૂર્ણ તપાસ વગર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મુક્ત કરી દેવાઈ. ઓછામાં ઓછી તપાસ પૂરી થવાની લોકલાજ તો દાખવત. જે કટ્ટર વેરી થઈ ગયા હતા, એકબીજાને મિટાવી દેવાનો શંખનાદ કરી રહ્યાં હતા, તે મુલાયમ સિંહ-અમર સિંહમાં નવા પ્રેમનું રહસ્ય શું છે?

અન્ના હજારે અને બાબા રામદેવના પ્રસંગમાં જે પ્રકારે કોંગ્રેસીઓના નિવેદન આવી રહ્યાં છે, તે સંકેત છે કે મહાન વરસાવાળી આ પાર્ટી ક્યાં પહોંચી ગઈ છે? અન્ના હજારે અને રામદેવથી આપણે અસંમત હોઈ શકીએ, આ બંનેની બધી માગણીઓ અને પસ્તાવોથી સંમત પણ ન થઈ શકાય. પરંતુ જાહેર જીવનમાં લોકમર્યાદા જાળવી રાખવાની જવાબદારી કોની છે? શાસક પાર્ટીની અથવા અન્ના હજારે કે રામદેવજીની?

એ પણ દુર્ભાગ્ય છે કે કોંગ્રેસના સતત હ્રાસથી જન્મેલા મહાશૂન્યને ભરવા માટે આજે કોઈ વિકલ્પ નથી. આ વિશ્લેષણનો એ નિષ્કર્ષ પણ છે કે આઝાદી બાદ કોંગ્રેસ સત્તા ચલાવવામાં નિપુણ બની શકી નથી. આઝાદીની આગથી આ પાર્ટી તપાઈને નીકળી. સૌથી વધારે સમય સુધી શાસન આ પક્ષના લોકોએ કર્યું. તેમ છતાં આ પક્ષ દેશને રાજકીય સ્થિરતા આપી શક્યો નથી. ગત 60 વર્ષોના ઈતિહાસ પર આપણે નજર નાખીએ, ખાસ કરીને 1962 બાદ. દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્રની સરકાર ડગમગવા લાગે છે. તે પોતાની વૈદ્યતા, નૈતિક-આભા અને પ્રામાણિકતા ખોતી નજરે પડે છે. શાસન સંચાલન કઠિન લાગે છે. અરાજકતાની પરિસ્થિતિ દેખાવા લાગે છે. જેમને જનતા શક્તિ આપીને મજબૂત બનાવે છે, ગાદી પર બેસાડે છે, તે પક્ષઘાતના શિકાર બની જાય છે. 

શરૂઆતમાં 15 વર્ષ સુધી પંડિત નેહરુએ ભારત પર એકછત્ર રાજ્ય કર્યું. 1962માં કોંગ્રેસને જનતાએ ભારે બહુમતી સાથે ચૂંટી, પરંતુ ચીન યુદ્ધે કોંગ્રેસને અસમયે નિસ્તેજ કરી દીધી. 1957થી 1962 સુધી કોંગ્રેસને વધારે બહુમતી મળી હતી. ચીનના હુમલાની સાથે જ 10 માસમાં તે લોક સમર્થન વિખેરાઈ ગયું. કોંગ્રેસ નિસ્તેજ થઈ ગઈ. કેન્દ્ર સરકારની વિશ્વસનીયતા, વહીવટી કૌશલ પર સવાલ ઉઠવા લાગ્યા. આ પરાજયે દેશના મન અને માન બંને તોડી નાખ્યા. પંડિતજી આંદોલનની દેણ હતા. તેઓ ઓળખી ગયા. લોક નજરમાં પાર્ટી ગુનેગાર બની રહી છે. પંડિતજીનો અધ્યાય ખતમ થઈ ગયો હતો. તેમ છતાં તેમણે પાર્ટીનું તેજ-શૌર્ય પાછું મેળવવાની કોશિશ કરી. કામરાજ પ્લાનથી.

1963માં પંડિત નેહરુએ કામરાજ યોજના લાગુ કરી. મોટા-મોટા કોંગ્રેસી મોરારજી દેસાઈ, લાલબહાદૂર શાસ્ત્રી, જગજીવન રામ, કામરાજ, બીજૂ પટનાયક, ભગવંતરામ મંડલાઈ, વિનોદાનંદ ઝા જેવા નેતાઓને હટાવાયા. પંડિત નેહરુએ સમજી લીધું, જનતા નારાજ છે, માટે કોંગ્રેસની અંદર સફાઈ જરૂરી છે. પંડિત નેહરુ અસ્વસ્થ હતા અને વડાપ્રધાન હોવા છતાં અપ્રભાવી ભૂમિકામાં હતા. પછી પંડિતજી રહ્યાં નહીં. લાલબહાદૂર શાસ્ત્રીએ કમાન સંભાળી, પછી ઈન્દિરા ગાંધીએ. આ તબક્કામાં દુષ્કાળ, કાશ્મીરમાં મુજાહિદ, પાકિસ્તાન સાથે યુદ્ધ, બે વડાપ્રધાનોના મોત, દેશે બધું જોયું અને ભોગવ્યું. તે દિવસોમાં દિલ્હીને કમજોર જાણીને રાજ્યોમાં અરાજકતા પગ ફેલવવા લાગી. 1966માં અલગ પંજાબ માટે સંત ફતેસિંહે આત્મદાહની ધમકી આપી. વિશાખાપટ્ટનમમાં સ્ટીલ કારખાનાના સવાલ પર આંધ્ર પ્રદેશમાં હુલ્લડ ફેલાયા. ગોવધના પ્રશ્ને સંસદનો ઘેરાવ થયો. આ બધી બાબતોના પરિણામે ભારતના નવ રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો. પછી 1966થી ઈન્દિરા ગાંધીના યુગની શરૂઆત થઈ.
1967થી 1971 વચ્ચે પક્ષપલટાથી લઈને રાજકારણના દરેક અનૈતિક હથકંડાઓને લોકમાન્યતા આપવાનો તબક્કો શરૂ થયો. ઈન્દિરા ગાંધીએ 1969માં કોંગ્રેસના ભાગલા કરી દીધા. કોંગ્રેસના કાયાકલ્પ માટે. 1967માં લોકસભામાં કોંગ્રેસને બહુમતી જરૂર મળી હતી, પરંતુ સંખ્યા ઘણી ઘટી ગઈ હતી. શ્રીમતી ગાંધીએ રાજકારણને પાયાના સવાલો સાથે જોડવાની પહેલ કરી. કોંગ્રેસને તોડી અને દેશને નવા સપના આપ્યા. તેમને બે તૃતિયાંશ બહુમતી મળી, પરંતુ પરિણામ શું આવ્યું, આ બે તૃતિયાંશ બહુમતીનું?

1971માં દેશે ઈન્દિરા ગાંધીને તે સત્તા આપી, જે પંડિત નેહરુ જેવા કદ્દાવર નેતાને મળી ન હતી. 1971ના અંતમાં બાંગ્લાદેશ યુદ્ધ થયું. શ્રીમતી ગાંધી મહાશક્તિશાળી બન્યા. ત્યારે અટલ બિહારી વાજપેયીએ તેમને દુર્ગા પણ કહ્યાં. 1973માં પેટ્રોલના ભાવ વધ્યા, મોંઘવારી દરવાજો ખખડાવા લાગી, દુષ્કાળ પડયો, ઘઉંના થોક વેપારનું રાષ્ટ્રીયકરણ થયું, તો શ્રીમતી ગાંધીએ પણ માન્યું કે દેશને એક આર્થિક જાદૂગર જોઈએ. તેમણે જર્મનીના લૂડવીકની ચર્ચા કરી, જેમણે પશ્ચિમ જર્મનીનો આર્થિક કાયાપલટ કર્યો હતો. પરંતુ ભારતમાં કોઈ ચમત્કાર થયો નહીં. 

1974માં દેશ ફરીથી રાજકીય સંકટમાં ફસાવવા લાગ્યો. વધતાં ભ્રષ્ટાચાર, અનૈતિક રાજનીતિ, ચૂંટણીમાં સુધારા જેવા ગંભીર મામલા પર કોઈ ઉકેલ નીકળ્યો નહીં. ગવર્નેંસનું કોઈ મોડલ કોંગ્રેસ વિકસિત કરી શકી નહીં. કુશાસન, ભ્રષ્ટાચાર, ચૂંટણીઓમાં ધાંધલી, ગુનેગારોના હાથમાં જતી રાજનીતિ, બ્લેક મનીની વધતી શક્તિ, પાર્ટીઓની અંદર ખતમ થતું લોકતંત્ર, કોંગ્રેસનો વિકલ્પ ન ઉભરવા જેવા અનેક પાયાના સવાલો હતા, જે ગત બે દશકોથી દેશની પીઠ પર બોજ બની ચુક્યા હતા. પરંતુ તેને ઉકેલવાની કોશિશ કોઈ સ્તરે ન હતી. તેને ઉકેલવાના બે જ રસ્તા હતા. પહેલો આદર્શ રાજનીતિ, જે પોતાના વિચારો, સિદ્ધાંતો, કલ્પનાઓ અને સપનાઓથી બુઝેલા મન અને કોમને એક નવો બોધ, ગતિ અને અર્થ આપી શકે, એક નવી રાહ પર લઈ જઈ શકે. પરંતુ લોકસત્તાને જગાડનારી તે રાજનીતિ જ ખતમ થઈ ગઈ. રાજનીતિનો અર્થ થઈ ગયો સત્તા. જયપ્રકાશ નારાયણ અપવાદ હતા, તેઓ લોક રાજનીતિના આગેવન હતા. આ લોક રાજનીતિએ સત્તા રાજનીતિને પડકારી. તેનું પરિણામ સામે હતું. દેશને પાટા પર લાવવાનો બીજો રસ્તો હતો, શ્રેષ્ઠ શાસન. પંડિત નેહરુના જીવનકાળમાં જ પ્રો. ગુન્નાર મિર્ડલે ભારતને ફંક્શનલ એનાર્કી કહ્યું. તેના ચોપટ થઈ રહેલા શાસકીય માપદંડો જોઈને. આ સમસ્યા સતત ગંભીર અને બેકાબૂ થતી ગઈ છે. આજે ભારતનો મોટો ભાગ લગભગ અશાસિત છે. ત્યાં સત્તાનું નહીં, સત્તાના સમાંતર કેન્દ્રોનું રાજ છે. લોકસભામાં પ્રબળ અને પ્રચંડ બહુમત બાદ પણ ઈન્દિરા ગાંધી દેશના રાજકીય અને આર્થિક પડકારોનો હલ શોધી શક્યા નહીં. 

1975માં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ તે સત્તામાં રહેવા છતાં પણ આભા ખોઈ બેઠા. અંતે ઈમરજન્સી લગાવીને તેમણે પોતાની ચમક પાછી મેળવવાની કોશિશ કરી. પરંતુ 21 માસમાં તે પણ ધ્વસ્ત થઈ ગયા. 1977માં જનતા પાર્ટી બે તૃતિયાંશ બહુમતીથી જીતી. પહેલીવાર કોંગ્રેસ કેન્દ્રમાંથી હટી. પરંતુ આ જનતા લહેર પણ 28 માસની અંદર ઉતરી ગઈ. દેશની પાયાગત સમસ્યાઓ પોતાની જગ્યાએ યથાવત રહી. 1980માં ફરીથી ઈન્દિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા. 1983 આવતા સુધી તે અસહાય દેખાવા લાગ્યા. તે પોતાનો જાદૂઈ સ્પર્શ ગુમાવી ચુક્યા હતા. પંજાબની સમસ્યા, ભિંડરાવાલેનો પડકાર નવા સંકટ તરીકે સામે આવ્યો હતો. 1984માં તેમનો દુખદ અંત થયો. તેમના મોતની લહેરે રાજીવ ગાંધીને તે શક્તિ અને સમર્થન આપ્યા, જે પંડિત નેહરુ અથવા ઈન્દિરા ગાંધીને મળ્યું ન હતું. એક નવા સપનાની સાથે રાજીવ ગાંધીનો ઉદય થયો. પરંતુ ત્રણ વર્ષ પણ પસાર થયા ન હતા કે બોફોર્સનો મુદ્દો તેમને લઈને ડૂબ્યો. ફરી એક વખત બિનકોંગ્રેસી સરકાર બની. વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત અથવા ચૂંટણી સુધાર જેવા પાયાગત સવાલો પાછળ છૂટી ગયા. દેશમાં મંડળ અને કમંડળનો તબક્કો શરૂ થયો. 

ચંદ્રશેખરને કોંગ્રેસે સત્તામાં બેસાડયા, પછી કેટલાંક માસમાં તેમની સરકાર પાડી નાખી, ચરણ સિંહની જેમ. આ બંને સરકારોને પાડવાનું કામ કોંગ્રેસે કર્યું. પછી નરસિંહ રાવની સરકાર બની. પરંતુ બે વર્ષોમાં જ તે પોતાનું તેજ ગુમાવી બેઠી. પહેલીવાર સાંસદોને લાંચ આપવાનો આરોપ લાગ્યો. સાસંદોને સુખી રાખવા માટે તેમણે સાંસદ ફંડ શરૂ કર્યું. હર્ષદ મેહતા અને લખુભાઈએ સીધી વડાપ્રધાનને લાંચ આપ્યાનો આરોપ લગાવ્યો. હર્ષદ મેહતાએ સીધો વડાપ્રધાન કાર્યાલયમાં લાંચ આપવાનો આરોપ લગાવ્યો. દેવગૌડા, ગુજરાલની સરકારો દેશમાં અસ્થિરતાનો તબક્કો લાવી. 5-6 વર્ષોમાં 2-3 સરકારો આવી અને ગઈ. પછી આવ્યો એનડીએનો તબક્કો, જેમાં ઘણાં મુદ્દા ઉભર્યા. ગુજરાતથી લઈને સંરક્ષણ સોદા સુધીના. ત્યાર બાદ યુપીએની વાપસી થઈ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. સ્વચ્છ છબીવાળી તેમની ઈમેજ છે. પંરતુ તેમના મંત્રીમંડળમાં અનેક ગંભીર આરોપોથી ઘેરાયેલા લોકો હતા. બે-અઢી વર્ષોમાં જ અનેક ગંભીર આરોપોથી તેમની સરકાર ઘેરાઈ ગઈ. અંત આવતા સુધી સંસદમાં પરમાણુ કરારના પ્રસંગ પર સાંસદોને લાંચના પ્રકરણે યુપીએ સરકારનો બચેલો યશ પણ ધોઈ નાખ્યો. હવે તે મામલા પણ પલટીને રંગ લાવવા લાગ્યા છે. વિકિલીક્સથી લઈને ઘણાં અન્ય સ્ત્રોતોથી ખુલાસા થયા. પછી અમર સિંહના બચાવમાં સત્તાની ભૂમિકા, પૂરી તપાસ પહેલા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ક્લીન ચીટ.

યુપીએનો બીજો કાર્યકાળ તો વધુ સંકટપૂર્ણ છે. લોકસભા ચૂંટણીઓના દોઢ વર્ષ બાદ જ આ સરકાર શ્રીહીન થવા લાગી. તેના મંત્રીઓ પર અનેક ગંભીર આરોપો લાગ્યા. રાજા પ્રકરણ, કોમનવેલ્થ ગેમ્સ ગોટાળા જેવા અનેક ગોટાળાથી કેન્દ્ર સરકાર સત્વહીન બની છે, તેનો નૈતિક પ્રતાપ ખતમ થઈ ચુક્યો છે.
આ પ્રકારે તમે ધ્યાન આપો કે દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્ર એક ગંભીર સંકટમાં ઘેરાઈ જાય છે. આ સંકટ શું છે? તેનું મૂળ શું છે? શું આપણે ભારતીય શાસન ચલાવવા-સંભાળવા યોગ્ય નથી? શું ચર્ચિલે આપણી યોગ્યતાની સાચી ભવિષ્યવાણી કરી હતી? ક્યાં કારણોથી આવું વારંવાર થઈ રહ્યું છે? જ્યાં સુધી તે કારણો શોધવામાં નહીં આવે, પરિસ્થિતિ સુધરવાની નથી. દેશ લગભગ અશાસિત થઈ ગયો છે. તેને ઠીક કરવા માટે પહેલી જરૂરત છે- ચૂંટણી સુધાર, ભ્રષ્ટાચારની વિરુદ્ધ કડક કાયદા, ભ્રષ્ટ લોકોને ફાંસી અથવા આજીવન કેદની સજા. વિદેશોમાં રાખેલા ભારતીય ધનની વાપસી. કોર્પોરેટ હાઉસોના દલાલોનો રાજનીતિમાંથી સફાયો. ત્વરીત ન્યાય પ્રક્રીયા અને કેસોનો નિપટારો. કુદરતી સંસાધનોની લૂંટ પર પ્રતિબંધ. જેમને અસીમિત અધિકાર છે, તેમાં કાપ. સંસ્થાઓને મજબૂત બનાવવી. પ્રતિભાને સંરક્ષણ, વોટની રાજનીતિથી દેશને ઉપર માનવો. રાજકીય પક્ષોમાં વિચારોની વાપસી. રાજકીય પક્ષોની અંદર લોકતંત્ર, પરિવારવાદનો ખાતમો. સિસ્ટમને નૈતિક બનાવવી, જેથી એકાઉન્ટિબિલિટી નક્કી થાય. આટલાં મોટાં-મોટાં ગોટાળા થયા, પરંતુ કોઈ એકે તેની જવાબદારી લીધી? બ્રિટેનમાં મડરેક પ્રકરણ થયું છે. ત્યાંના વડાપ્રધાને જવાબદારી લીધી છે. પોતાની ભૂલ માની છે. તેને ઠીક કરવા માટે બંધારણીય પહેલ કરી છે. ભારતમાં 2જીથી લઈને કોમનવેલ્થ ગેમ્સ સુધીના ગોટાળાઓમાં કોઈએ કહ્યું નથી કે અમારાથી ભૂલ થઈ છે. આ મામૂલી લોકલાજ અને શરમ પણ રાષ્ટ્રીય જીવનમાં બચી નથી. શાસન કેવું ઢીલુંઢાલું ચાલી રહ્યું છે? ચિદમ્બરમ હાર્વર્ડથી ભણેલા છે. ખૂબ તેજ-તર્રાર અને સક્ષમ ગણાય છે. તેમણે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓની યાદી સોંપી, તેમાં ઘણાં આતંકવાદીઓ ભારતીય જેલોમાં છે. તેનાથી આખી દુનિયામાં ભારતની જગ હસાઈ થઈ. તેનો કોઈ દોષિત છે કે નહીં? હકીકત એ છે કે આપણી આખી સિસ્ટમ ઈનએફિશિયન્ટ, અક્ષમ અને અકર્મણ્ય લોકોથી ભરાઈ ગઈ છે. જાહિલોની ફોજ તો આવી જ રીતે કામ કરશે ને?

બીજી તરફ, પાકિસ્તાનમાં ઘૂસીને અમેરિકાએ લાદેનને માર્યો, તો ભારતીય સેનાધ્યક્ષનું અમર્યાદિત અને ધ્યાન આપવા લાયક નિવેદન આવ્યું કે આપણી અંદર પણ આમ કરવાની ક્ષમતા છે. શું આ એક ગંભીર રાષ્ટ્ર અને સમાજનું નિવેદન છે? આટલા મોટા પદો પર બેઠેલા લોકો આવી કેવી બિનજવાબદાર વાતો કરી શકે છે? પરાકાષ્ઠા તો ત્યારે થઈ, જ્યારે વડાપ્રધાને આ વિષય પર કહ્યું કે અમેરિકા જેવી કાર્યવાહીની આપણી અંદર ક્ષમતા જ નથી. સેનાધ્યક્ષ કંઈક કહે છે, વડાપ્રધાન કંઈક કહે છે. યાદ રાખો, આ વિરોધી નિવેદનો નથી. સરકારમાં બેઠેલા શિખરના લોકોના નિવેદનો છે. આ દેશ કેવી રીતે ચાલી રહ્યો છે? ઉપરના સ્તરે કેવો તાલમેલ છે? કોના નિયંત્રણમાં છે આ દેશ? એ સ્પષ્ટ નથી. સતત આતંકવાદી હુમલા થઈ રહ્યાં છે, તેને આપણે રોકી શકતા નથી. ન તો આ ટોળકીઓને ધ્વસ્ત કરી શકીએ છીએ, ન તો ખરાં અપરાધીને પકડી શકીએ છીએ. પરંતુ આપણાં એર ચીફ માર્શલ પી.વી.નાયકે 26 જુલાઈએ નિવેદન આપ્યું કે પાકિસ્તાને દુસ્સાહસ કર્યું, તો આપણે તેને મિટાવી દઈશું. આ નિવેદન એવા સમયે આવ્યું, જ્યારે બંને દેશોના વિદેશ સચિવ અને વિદેશ મંત્રી 27 જુલાઈની વાતચીતની તૈયારીમાં લાગેલા હતા. શું આ રાજનીતિ અથવા કૂટનીતિ છે?

શક્તિનો અહેસાસ કેવો હોય છે, આ જોવું હોય, તો ચીન પાસેથી શીખો. તાજેતરમાં ઓબામા, દલાઈ લામાને મળ્યા. આ મુલાકાત પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગંભીર વાંધો ઉઠાવ્યો. બીજા દિવસે વ્હાઈટ હાઉસની માફીના લહેજામાં સ્પષ્ટતા આવી. ચીનના કોઈ મોટા નેતા અથવા મંત્રીએ નિવેદન આપ્યું ન હતું. પરંતુ માત્ર પ્રવક્તાના નિવેદન પર, અમેરિકા જેવા મહાશક્તિશાળી દેશે તુરંત સ્પષ્ટતા આપી. આ છે શક્તિનું રહસ્ય. જૂની કહેવત છે કે કરનારા અથવા વરસનારા ગરજતા નથી.

Monday, 25 July 2011

ચીનને પડકાર


મારુફ રજા

પોતાના બે દિવસના પ્રવાસ બાદ ચેન્નઈથી રવાના થતાં અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે ભારત માટે આ નેતૃત્વ કરવાનો સમય છે. બેશક ભારતની ક્ષમતા અમેરિકાને આશ્વસ્ત કરે છે, પરંતુ નવી દિલ્હીની પણ પોતાની મર્યાદાઓ છે. તેમ છતાં અમેરિકા ચાહે છે કે એશિયામાં ચીનના વર્ચસ્વને ભારત પડકારે. શું ભારત અમેરિકા અને એશિયાની આશાઓ પર ખરું ઉતરશે?

દક્ષિણ એશિયામાં ચીન જો કે એક શક્તિ નથી, પરંતુ આ ક્ષેત્રમાં તે પોતાની મજબૂત ઉપસ્થિતિની તૈયારી કરી રહ્યું છે. મ્યાંમાર અને બાંગ્લાદેશમાં નૌસૈનિક થાણાં બનાવી અને શ્રીલંકાના હંબનટોટા અને પાકિસ્તાનના ગ્વાદરમાં પોર્ટનું નિર્માણ કરી ચીન ભારતને ઘેરવાની નીતિ પર કામ કરી રહ્યું છે. જ્યારે એક મત એ પણ છે કે પોર્ટોના નિર્માણ પાછળ ચીનનો વિચાર પશ્ચિમ એશિયા અને આફ્રિકાથી થનારી ઊર્જાની આપૂર્તિ સુરક્ષિત કરવાનો છે.

પાકિસ્તાન સાથે સંબંધ બીજિંગની પ્રાથમિકતા યાદીમાં હજી પણ માત્ર ઉપર જ નથી, પંરતુ તેની પાછળ એક મજબૂત રણનીતિક સમીકરણ પણ કામ કરી રહ્યું છે. બીજિંગના રણનીતિક આકલન પ્રમાણે, તિબેટમાં મજબૂત સૈન્ય ઉપસ્થિતિ અને પારંપરીક અને પરમાણુ શક્તિથી સંપન્ન એક શક્તિશાળી પાકિસ્તાની સેના દ્વારા જ ભારતની સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિથી બચી શકાય છે. માટે ગત કેટલાંક વર્ષો દરમિયાન બીજિંગે સુનિયોજીત રીતે ભારતીય સીમા પર પોતાની સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. સરહદ પર ઘૂસણખોરી સિવાય ચીને તિબેટના પઠાર પર હિમાલનની ઉત્તરમાં સુખોઈ જેટ વિમાનો અને સૈનિકોની સાથે અભ્યાસ પણ કર્યો છે. ચીન ચાહે છેકે અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સૈનિકોની વિદાઈની સાથે જ તે પાકિસ્તાનના સહયોગથી દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લે.

ચીનના સામરીક આકલનમાં પાકિસ્તાન બાદ નેપાળનું સ્થાન આવે છે. ભારત વિરુદ્ધ નેપાળનો ઉપયોગ જ્યાં યુદ્ધ અને શાંતિ, બંને તબક્કામાં કરી શકાય છે, ત્યાં દલાઈ લામા ન રહેવાની સ્થિતિમાં તિબેટમાં અસ્થિરતા પેદા કરવા માટે પણ નેપાળનો ઉપયોગ કારગર થઈ શકે છે. ચીનની નજર બાંગ્લાદેશના તેલ અને ગેસ પર પણ છે, અને ત્યાં ચીની ઉત્પાદનને મ્યાંમારના અરાકાન ક્ષેત્રથી જોડવું માત્ર સમયની વાત છે, જેથી બાંગ્લાદેશના તેલ અથવા ગેસને પાઈપલાઈન દ્વારા સીધા યન્નાનથી જોડી શકાય. અરાકાનથી યન્નાનને જોડનારી પાઈપલાઈન પર કામ ચાલી રહ્યું છે. ચીની મદદથી મ્યાંમારના રસ્તે યન્નાનથી બાંગ્લાદેશ સુધી રેલવે લાઈન બિછાવવાની વાત પણ ચાલી રહી છે. બીજિંગે ચટગાંવમાં પોર્ટ બનાવવા અને પહેલા ઉપગ્રહના નિર્માણમાં મદદની પણ વાત કહી છે.

નેપાળ અને બાંગ્લાદેશ, બંને આજે ચીનના ખેમામાં છે, તો તેના માટે નવી દિલ્હીની નીતિઓ જવાબદાર છે. તેવામાં વર્ચસ્વવાદી ચીનનો મુકાબલો કરવા માટે ભારત શું કરે? રણનીતિક સ્તર પર ભારતને જોઈએ કે તે ચીનની આસપાસના એ દેશો સાથે ધરોબો વધારે, જે બીજિંગના વર્ચસ્વ માટે જોખમરૂપ દેખાય છે. એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે રશિયા અને જાપાનની સાથે ધરોબો ઉપયોગી થશે.

હિલેરી ક્લિન્ટને નવી દિલ્હીને આ સૂચન કર્યું છે. જ્યારે એશિયાઈ દેશો વચ્ચે રણનીતિક સ્તર પર ભારતની સ્થિતિ માત્ર એક પર્યવેક્ષકની છે. દુર્યોગથી આપણા રાજનયિકોની પાસે દ્રષ્ટિકોણનો અભાવ છે. સ્પષ્ટ છે કે આપણા રાજનેતાઓ અને રાજનયિકો માટે આ તે દિશામાં વિચારવાનો સમય છે. આપણી સેનાએ અરુણાચલ અને લડાખમાં ચીની ઘૂસણખોરીને જોરદાર જવાબ આપવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.

(સૌજન્ય- અમર ઉજાલા)