Showing posts with label હાન. Show all posts
Showing posts with label હાન. Show all posts

Friday, 5 August 2011

ચીનનો દમનકારી ચહેરો


બ્રહ્મા ચૈલાની
ચીનની વિડંબણા એ છે કે આ વિશ્વની સૌથી મોટી, મજબૂત અને લાંબી તાનાશાહી સત્તા છે. તે જનતાનું જેટલું દમન કરે છે, તેના આંતરીક પડકારો એટલા જ વધારે વિકરાળ થઈ જાય છે. તે ખાસ કરીને જાતિય-લઘુમતી ક્ષેત્રોમાં દેખાય રહ્યું છે, જે ચીનના કુલ ભૂભાગનો 60 ટકા ભાગ છે. ગત કેટલાંક સપ્તાહ દરમિયાન ચીની સેના જિનજિયાંગ પ્રાંતના પશ્ચિમી ક્ષેત્રમાં એક ડઝનથી વધારે દેખાવકારોને મોતને ઘાટ ઉતારી ચુકી છે અથવા તેમને ઘાયલ કરી ચુકી છે. આ ક્ષેત્રમાં યુઘુરના મૂળ નિવાસીઓનો વિદ્રોહ થંભવાનું નામ લઈ રહ્યો નથી. ફેલાતા વિદ્રોહને જોતા જિનજિયાંગ સરકારે આરોપ લગાવ્યો છે કે એક મુખ્ય યૂઘુર અલગતાવાદી નેતાને ચીનના સદાબહાર મિત્ર પાકિસ્તાનમાં તાલીમબદ્ધ કરવામાં આવ્યો છે. આ આરોપ એ દિવસે લગાવવામાં આવ્યો જ્યારે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ અહમદ શુજા પાશા જિનજિયાંગની મુલાકાત બાદ બીજિંગમાં ચીનને વિનંતી કરવામાં લાગ્યા હતા કે પાકિસ્તાન પર વધી રહેલા અમેરિકી દબાણને ખતમ કરવામાં ચીન મદદ કરે.


આ આરોપ ચીનની એ અધીરતા જાહેર કરે છે, જે યૂઘુર અલગતાવાદીઓને સીમા પારથી મળનારા સમર્થનને રોકવામાં પાકિસ્તાનની અક્ષમતાથી ઉપજી છે. તેનાથી એ સંકેત પણ મળે છે કે પાકિસ્તાનને લાડ લડાવવાની ચીનની પરંપરાગત નીતિ હવે તેના માટે જાતીય સમસ્યા ઉભી કરવા લાગી છે. ચીન ન કેવળ બહારી દેશો દ્વારા પ્રાયોજીત છદ્મ યુદ્ધનો સામનો કરી રહ્યું છે, પરંતુ ઉપનિવેશિક હાનની વિરુદ્ધ યૂઘુર લોકોના વધતા પ્રતિઘાતથી પણ ઝઝુમી રહ્યા છે. તિબેટમાં પણ, જ્યાં ચીની શાસનનો વિરોધ મુખ્યત્વે અહિંસક જ રહ્યો છે અને જ્યાં દોષારોપણ કરવા માટે કોઈ આતંકી જૂથ નથી, ચીન મૂળ નિવાસીઓની ઓળખ, સંસ્કૃતિ અને ભાષાને કચડવા અને તેમના પ્રાકૃતિક સંસાધનોનો લાભ ઉઠાવવાની નીતિઓના કડવા ફળ ચાખી રહ્યું છે. લઘુમતીઓની ભૂમિના ચીનીકરણમાં બીજિંગની રણનીતિના પાંચ મુખ્ય ઘટક છે-નક્શાઓમાં ફેરબદલ કરીને જાતીય સમુદાયોની સીમાઓમાં પરિવર્તન, ગેરહાન સંસ્કૃતિમાં વસ્તીના સ્તરે ઘૂસણખોરી, ચીની આધિપત્યને ન્યાયોચિત ઠેરવવા માટે ઈતિહાસનું પુનર્લેખન, પ્રાદેશિક ઓળખને મિટાવવા માટે સાંસ્કૃતિક સમરૂપતા આરોપિત કરવી અને રાજકીય દમન કરવું. માંચુ અને મંગોલિયાઈ જાતિના હાન સમાજમાં સમાવેશ બાદ હવે તિબેટી અને તુર્કભાષી યૂઘુરની પ્રાદેશિક ઓળખ બચી છે, પરંતુ જેવું કે 2008ના તિબેટ, 2009ના યૂઘુર વિદ્રોહ અને 2011ના ઈનર મોંગોલિયાઈ પ્રદર્શનોથી રેખાંકીત થાય છે, જાતીય અને આર્થિક ઉપનિવેશિક રણનીતિના દુષ્પરિણામ સામે આવી રહ્યાં છે. આ વર્ષે ફરીથી મોંગોલિયાઈ પ્રદર્શન ભડકી ઉઠયા અને તિબેટમાં ચીની આધિપત્યને પડકાર મળી રહ્યો છે. તેના સિવાય, જિનજિયાંગમાં યૂઘુર-હાન સંઘર્ષમાં ગત એક માસમાં ડઝનો લોકો માર્યા ગયા છે અને આ ટકરાવ સુદૂર હોતાના શહેરથી સિલ્ક રોડ શહેર કાશ્ગર સુધી ફેલાઈ ગયો છે.


રશિયા, કેન્દ્રીય એશિયાઈ દેશો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ઘેરાયેલા જિનજિયાંગને 1949માં એટલે કે તિબેટ પર હુમલાના એક વર્ષ પહેલા ચીનમાં મેળવી લેવામાં આવ્યું હતું. તેનાથી પહેલા 1944માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સોવિયત લોહપુરુષ જોસેફ સ્ટાલિન સમર્થિત વિદ્રોહી મુસ્લિમ જૂથોએ જિનજિયાંગમાં પૂર્વ તુર્કિસ્તાન રિપબ્લિકની રચના કરી હતી. ગત છ દશકોમાં કરોડો હાન ચીની જિનજિયાંગમાં વસી ગયા અને આ સમૃદ્ધ પ્રાંતમાં નવી વસ્તી અને મૂળ સમુદાય વચ્ચે જમીન અને જળ સંસાધનોના મુદ્દા પર આંતરજાતીય સ્પર્ધા અને ટકરાવ તેજ બની ગયો. ચીનની મહાન દીવાલનું નિર્માણ મિંગ વંશે 1369-1644ના કાળખંડમાં મુખ્યત્વે એટલા માટે કર્યું હતું કે જેથી હાન સામ્રાજ્યની રાજકીય હદબંધી કરી શકાય. આજનું ચીન મિંગ કાળના મુકાબલે ત્રણ ગણું મોટું થઈ ચુક્યું છે. તેની સીમાઓ મહાન દીવાલથી પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં ઘણી આગળ સુધી ફેલાઈ ગઈ છે.


જિનજિયાંગની સાંસ્કૃતિક રાજધાની કાશ્ગર બીજિંગની સરખામણીમાં બગદાદની નજીક છે અને તિબેટની રાજધાની લ્હાસાનું બીજિંગથી અંતર નવી દિલ્હીના મુકાબલે લગભગ બેગણું છે. તિબેટ અને જિનજિયાંગના બળજબરીથી સમાવેશની નીતિ વસ્તુત્ ત્યારે સામે આવી જ્યારે ચીને ભારતના અક્સાઈ ચીનના 38 હજાર વર્ગ કિલોમીટર જમીન પર કબજો જમાવીને બંને પ્રાંતો વચ્ચે સંપર્ક સ્થાપિત કરી લીધો.


જેવું કે અનેક ક્ષેત્રોમાં અલગતાવાદી હિંસાથી રેખાંકીત થયું છે, ચીનને પોતાની ઉપનિવેશિક નીતિઓના કારણે આંતરીક સુરક્ષાનું જોખમ ઉઠાવવું પડી રહ્યું છે. તિબેટ અને જિનજિયાંગનું ક્ષેત્રફળ ચીનના કુલ ભૂભાગથી અડધું છે, તેનાથી માલૂમ પડે છે કે આંતરીક સુરક્ષાના મોરચા પર ચીનની સમસ્યાઓ ભારતની સરખામણીએ ઘણી વધારે ગંભીર છે. ભારતમાં વિવિધતા છે, જ્યારે ચીન પોતાની સીમાઓમાં સાંસ્કૃતિક અને ભાષાકીય સમરૂપતા થોપી રહ્યું છે, જો કે આધિકારીક રીતે ત્યાં 56 રાષ્ટ્રીયતાઓ છે. એકલસાંસ્કૃતિકવાદની આડમાં ચીન હાન બહુમતીનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યું છે. વિશ્વમાં એકમાત્ર ચીન એવો દેશ છે કે જેની આંતરીક સુરક્ષાનું બજેટ રાષ્ટ્રીય સુરક્ષા બજેટથી પણ વધારે છે. તેનાથી ખબર પડે છે કે સ્થિરતાના કાયમ રાખવા માટે ચીન કેટલી મોટી કિંમત ચુકવી રહ્યું છે.


તિબેટ અને જિનજિયાંગમાં અસંતોષને દબાવવા માટે ચીને ભારે-ભરખમ સુરક્ષા માળખું ખડું કર્યું છે. તેમાં અત્યાધુનિક નિરીક્ષણ ઉપકરણોની સાથે મુખબીરોની ફોજનું ચુકવણું કરવું અને સુરક્ષા પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સમસ્યા ઉભી કરનારા તત્વોને ઝડપી શકાય. જો કે વિદ્રોહીઓની આગ હાન મુખ્યભૂમિમાં પણ પહોંચી ચુકી છે, જ્યાં ગ્રામીણ ક્ષેત્રોમાં વિરોધ પ્રદર્શન ચીની સકળ ઘરેલુ ઉત્પાદનના અનુપાતમાં વધી રહ્યાં છે. પરંપરાગત જાતીય લઘુમતી તો ચીનની ગંભીર સમસ્યા બની ચુક્યા છે.


ચીનમાં યૂઘુર, તિબેટી અને મંગોલિયાન સામે એ વિકલ્પ છે કે યા તો તેઓ પોતાના અધિકાર માટે લડે અથવા પછી મૂળ અમેરિકીઓની જેમ બરબાદ થવા માટે તૈયાર રહે. અથવા પછી તેમના હાલ પણ એ માંચુઓની જેમ થઈ જશે જેમને ઓળખ મિટાવીને ચીનમાં સમાહિત કરી દેવાયા છે. યૂઘુર, તિબેટીઓ અને મંગોલિયાઈઓ દ્વારા દમનકારી શાસન વિરુદ્ધ ઉભા થઈ જવાથી સ્પષ્ટ થઈ જાય છે કે ચીનની આંતરીક સમસ્યાઓ ત્યાં સુધી ખતમ નહીં થાય, જ્યાં સુધી આ દશકો પુરાણી જાતીય અને આર્થિક ઉપનિવિશક નીતિઓનો ત્યાગ નહીં કરે.

સૌજન્ય- દૈનિક જાગરણ