Thursday, 18 August 2011

અન્નાના અનશનથી ફાયદો કોને?


લલિત સુરજન

આમ જનતાને લાગી રહ્યું છે કે અન્ના હજારે દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ કાયદો બની જવાથી દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળી જશે.

જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને અન્ના હજારેના અભિયાનમાં આશાનું કિરણ જોઈ કમ સે કમ મધ્યમ વર્ગ તો તેમની સાથે જોડાય જ ગયો છે, પરંતુ એ વાત જનતાએ સમજી લેવી જોઈએ કે અન્ના પાસે કોઈ જાદૂઈ લાકડી નથી. જો કાલે સંસદ અન્નાના મુસદ્દા પર વિચાર કરવાનું મન બનાવી લે ત્યારે પણ તેને કાયદાનો આકાર મળી શકશે કે કેમ, તેમાં શંકા છે. આજે વિરોધી દળ તાત્કાલિક હિત માટે ભલે અન્નાનું સમર્થન કરી રહ્યાં હોય, એ નક્કી છે કે જનલોકપાલનો મુસદ્દો કોઈને પણ સ્વીકાર્ય નથી. 

બુધવારે લોકસભામાં જેટલી ચર્ચા થઈ તેમાં રાજકીય પક્ષોએ એ કહ્યું કે તેઓ અન્ના હજારે દ્વારા પ્રસ્તાવિત સૂચનો સાથે સંપૂર્ણપણે સંમત નથી. સુષ્મા સ્વરાજ, શરદ પવાર, ગુરુદાસ દાસગુપ્તા વગેરેએ અન્નાને અનશન ન કરવા દેવા અને તેમની ધરપકડ પર સરકારની ખૂબ ટીકા કરી, પરંતુ તેમાંથી કોઈએ પણ એ કહેવાથી પણ ચુક્યું નથી કે તેઓ અન્નાના પ્રસ્તાવોનું સંપૂર્ણ સમર્થન કરતાં નથી. સુષ્મા સ્વરાજે તો એક પગલું આગળ વધીને ત્યાં સુધી કહ્યું કે અન્નાએ વડાપ્રધાનને 14 ઓગસ્ટે જે પત્ર લખ્યો, તેની કેટલીક વાતો ખોટી હતી. આ વાસ્તવિકતાને જાણ્યા બાદ એ સવાલ ઉભો થાય છે કે જનતાનો એક વર્ગ તો પછી આંખો બંધ કરીને અન્ના અને તેમના સાથીદારોની વાતનો ભરોસો શા માટે કરી રહ્યાં છે? તેની સાથે બીજો એક સવાલ ઉભો થાય છે કે અન્નાનું આ આભામંડળ કેવી રીતે બન્યુ?

ગુરુવાર બપોરે ઈન્ડિયા ટુડે ગ્રુપની ચેનલ હેડલાઈન્સ ટુડેમાં જે પરિચર્ચા આવી, તેમાં આ બીજા સવાલનો જવાબ મળે છે. ચર્ચાનું શીર્ષક હતું કે શું અન્નાને મીડિયાએ સ્થાપિત કર્યા છે? આ ચર્ચામાં જે ચાર જાણીતાં લોકો ભાગ લઈ રહ્યાં હતા, તેમાના બધાંએ આ સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે, પરંતુ તેના બહાને અન્નાને હીરો બનાવવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. તેમાંથી એક વાર્તાકાર દિલીપ ચેરિયને ત્યાં સુધી કહ્યું કે આજના સમયગાળામાં મીડિયાના માધ્યમથી જ કોઈ આંદોલન થઈ શકે છે. આ ચર્ચામાં એ વાત સ્થાપિત થઈ કે જો મીડિયા ખાસ કીને ટીવીએ આટલું આગળ પડતું કવરેજ ન કર્યું હોત તો આંદોલનને જે વ્યાપકતા મળી, તે મળી શકી ન હોત.

આજકાલ જે સંચાર માધ્યમો છે તેની ઉપયોગિતાથી કોણ ઈન્કાર કરી શકે, પરંતુ આ રવિવારે ધ હિંદુમાં સેવંતી નાઈનને એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે નવું સામાજિક મીડિયા આવ્યું છે, શું તે હંમેશા સમાજ હિતૈષી જ રહેશે અથવા તેની કોઈ નુકસાનકારક ભૂમિકા પણ હોઈ શકે છે? તેમણે ઈંગ્લેન્ડના તાજેતરના ઉપદ્રવોનું ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવી રીતે ફેસબુક, ટ્વિટર વગેરેનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ વાતને ભારતના સંદર્ભમાં મૂકીને જોવો. આ માધ્યમ બાળકોના રમકડાં નથી, તેનો શોખ રાખવો એક વાત છે, પરંતુ તેના સારા અને નરસા પ્રભાવો સંદર્ભે વિચારવાનું પણ જરૂરી છે. 

એ સમજી શકાય છે કે આરબ જગતમાં ખાસ કરીને ટ્યૂનિશિયા અને ઈજીપ્તમાં સત્તા પરિવર્તનમાં આ માધ્યમોએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. એવું લાગે છે કે ભારતનું મીડિયા તે સમયથી જ ઉતાવળુ હતું કે અહીં પણ આવું કંઈક કરી નાખવામાં આવે. હું ફરી એક વાર માર્શલ મેકલુહાનની ઉક્તિ યાદ કરું છું કે માધ્યમ જ સંદેશ છે. જેવું કે બધાં જાણે છે કે મીડિયા હવે પત્રકારોના હાથમાં નથી, પરંતુ કોર્પોરેટ હાઉસના હાથમાં છે. વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજકારણ પર નિયંત્રણ માટે આ મહામૂડીવાદીઓ પાસે મીડિયાના રૂપમાં એક સશક્ત શસ્ત્ર આવી ગયું છે. અન્નાને મહાનાયક બનાવવામાં આ શસ્ત્રોનો ઉપયોગ કરવો તેમની રણનીતિનો જ એક ભાગ માની શકાય છે, પરંતુ અહીં તેમની એક વિસંગતિ તરફ પણ ધ્યાન આપો. ગુરુવાર સવાર સુધી મીડિયા અન્નાનું અઢળક કવરેજ આપી રહ્યું હતું, પરંતુ બપોર બાદ તે કંઈક ઠંડુ પડી ગયું. શું એટલા માટે કે સરકાર દ્વારા સ્થિતિ સંભાળી લીધા બાદ સનસનાટી ફેલાવવામાં હાલ કોઈ અન્ય બિંદુ ન હતું, અથવા એટલા માટે કે એક અબજ વીસ કરોડની જનતાને ઘણાં લાંબા સમય સુધી બેવકૂફ બનાવી શકાય નહીં, આ વાત મીડિયાને સમજમાં આવી ગઈ?

એ નક્કી છે કે મીડિયા આગળ પણ આવા અવસરોની શોધમાં રહેશે, જ્યાં તે આમ જનતાને પોતાના બનાવેલા એજન્ડા પર લઈ જઈ શકે. હાલ થોડું ધ્યાન એ વાત પર પણ આપો કે અન્નાના અનશનથી મીડિયા સિવાય અન્ય ક્યાં લોકોને લાભ થઈ શકે છે. જો સરકાર પર કોઈ આંચ આવે છે તો તેનો લાભ કદાચ ભાજપને જ મળશે, જેમકે મે ગઈકાલે પણ લખ્યું હતું. આ સિવાય કોંગ્રેસમાં જે અસંતુષ્ટ છે તેમના માટે પણ કદાચ એક અનુકૂળ અવસર થઈ શકે છે. સ્મરણીય છે કે સરકાર તરફથી પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ અને અંબિકા સોની જ કમાન સંભાળી રહ્યાં છે, એ. કે. એન્ટોની, વીરપ્પા મોઈલી, સલમાન ખુર્શિદ વગેરે આ બધાંની વચ્ચે ભાગ્યે જ ક્યાંક દેખાયા છે. બીજું અન્નાના આંદોલનને સાધન ઉપલબ્ધ કરાવવામાં દેશના વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને અપ્રવાસી ભારતીયોનું ઘણું યોગદાન રહ્યું છે. તેમના મનસૂબા શું છે, તે સમજવું પડશે. ત્રીજું ઘણાં બધાં જનઆંદોલનો અને સ્વૈચ્છિક સંગઠનોને પણ સરકારને હેરાન કરવાનો એક સારો અવસર મળ્યો હોવાનું પ્રતીત થયું. ધ્યાન રહે તેમની વચ્ચે પણ નીતિગત અને રાજનીતિગત ઘણાં મતભેદો છે. કુલ મળીને અન્નાને સમર્થન આપવા પાછળ બધાંએ પોતપોતાનો લાભ જોયો, પરંતુ અંતમાં જેને છેતરવામાં આવનારા છે તે આમ જનતા જ છે.

સૌજન્ય- દેશબંધુ

No comments:

Post a Comment