Showing posts with label અંગ્રેજી રાજ. Show all posts
Showing posts with label અંગ્રેજી રાજ. Show all posts

Sunday, 14 August 2011

બીમારી નહીં, લક્ષણ છે ભ્રષ્ટાચાર


માર્ક ટુલી

કોઈપણ દેશ માટે ચોસઠ વર્ષની સફર ઓછી હોતી નથી. જે તબક્કામાં ભારતે આઝાદી હાસિલ કરી હતી, તે સંક્રમણનો તબક્કો હતો. દેશમાં ગરીબી હતી, બેરોજગારી હતી, નિરક્ષરતા હતી, આરોગ્ય ક્ષેત્રમાં ખરાબ પરિસ્થિતિ હતી, ચારે તરફ અનિશ્ચિતતાનો માહોલ હતો. આ તમામ મોરચા પર ગત છ દશકોમાં ઘણી પ્રગતિ થઈ છે, રોજગારના નવા અવસરો પેદા થયા છે, સાક્ષરતાનો દર વધ્યો છે, સરેરાશ ઉંમર 65 વર્ષથી વધારે થઈ ચુકી છે. પરંતુ જેવી પ્રગતિ થવી જોઈતી હતી, તેવી થઈ નથી. ખાસ કરીને ગરીબી ઓછી થઈ શકી નથી. હું વારંવાર એ વાતને રેખાંકીત કરુ છુ કે સરકારી પ્રણાલી આજે પણ અંગ્રેજી રાજની છાયામાંથી પુરી રીતે મુક્ત થઈ શકી નથી. આ દેશના લોકતંત્રની આ સૌથી મોટી ખામી છે.

વાસ્તવમાં સ્વતંત્રતા મળ્યા બાદ ભારતે લોકતાંત્રિક વ્યવસ્થાને અપનાવી તો લીધી, પરંતુ તેનો લાભ આમ આદમી સુધી યોગ્ય રીતે પહોંચ્યો નથી. તેનું સૌથી મોટું કારણ છે કે ઉપનિવેશિક પ્રણાલીમાં જે ખામીઓ હતી, તેને દૂર કરવામાં આવી નથી. જે સંશોધન અને સુધાર થવા જોઈતા હતા, તે થયા નથી. ઉદાહરણ તરીકે ભારતમાં આજે પણ અંગ્રેજોના જમાનાના અનેક કાયદા લાગુ છે. દેશની પ્રગતિ અને ભવિષ્ય માટે સૌથી વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે તમામ લોકતાંત્રિક સંસ્થાઓએ એકબીજાનું સમ્માન કરવું જોઈએ, કારણ કે જ્યાં સુધી લોકતંત્રના પાયા મજબૂત નહીં થાય, દેશ મજબૂત થઈ શકે નહીં. સંસદ, નોકરશાહી અને ન્યાયપાલિકા લોકતંત્રના મુખ્ય સ્તંભ છે. તેમણે એકબીજાના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. ભારતમાં મુશ્કેલી એ છે કે રાજકીય વર્ગ પોતાને સર્વોચ્ચ સમજવા લાગ્યો છે. રાજનેતાને લાગે છે કે સંસદ સર્વોચ્ચ છે, માટે તે લોકતંત્રની બીજી સંસ્થાઓના કામકાજમાં પણ હસ્તક્ષેપ કરી શકે છે. જ્યારે સંસદની સર્વોચ્ચતાનો ક્યારેય આ અર્થ નથી. બીજી વાત, આજે પણ દેશમાં બાબુ રાજ ચાલી રહ્યું છે. પરિણામે કોઈપણ સરકારી કામ કરાવવામાં ઘણો સમય લાગે છે, ફાઈલો અટકેલી રહે છે. કોમ્પ્યુટર પણ આ સુસ્તી અને અક્ષમતાને દૂર કરી શક્યા નથી.

સ્પષ્ટ છે કે ભારતની સામે પ્રશાસનિક સુધાર અને સુશાસન બે મોટા પડકારો છે. આજે ભ્રષ્ટાચારનો મુદ્દો ગરમ છે, તે આનાથી પણ સંલગ્ન છે. ભ્રષ્ટાચારને લઈને અન્ના હજારેનું આંદોલન થઈ હોય અથવા બાબા રામદેવનું તેનાથી ઈન્કાર કરી શકાય નહીં કે ભ્રષ્ટાચાર આજે એક મોટો મુદ્દો છે, કારણ કે દેશની મોટાભાગની વસ્તી તેનો રોજ સામનો કરે છે. સવાલ એ છે કે તેનાથી કેવી રીતે નિપટવામાં આવે. 1974માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણું મોટું આંદોલન થયું હતું, તે આંદોલનને ઘણી સફળતા પણ મળી હતી. પરંતુ અંતમાં કંઈ થયું નહીં અને દેશ ફરીથી તે રસ્તા પર આવી ગયો. ભ્રષ્ટાચાર કોઈ બીમારી નથી, તે બીમારીનું લક્ષણ છે, માટે એ વિચારવું પડશે કે આગળ શું કરવામાં આવે.

માટે ઘણી વાર ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક સુધારના મુદ્દાની ચર્ચા કરતા રાજકીય વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવાય છે. પરંતુ આપણે તેને લોકતંત્રની ખામી કહી શકીએ નહીં. ભારતના લોકતંત્રે તો એક ઉદાહરણ કાયમ કર્યું છે. ભારતની સાથે જ બનેલા પાકિસ્તાન અને ત્યાર બાદ તેનાથી અલગ થઈ નવું રાષ્ટ્ર બનેલા બાંગ્લાદેશ જેવા પડોશીઓની તરફ આપણે જોઈએ, તો ખબર પડે છે કે ભારતનું લોકતંત્ર કેટલું મજબૂત છે. બાંગ્લાદેશે જ્યારે લોકતંત્ર છોડીને લશ્કરી શાસનની રાહ પકડી તો તેની દુર્દશા થઈ ગઈ. પરંતુ હવે ફરીથી લોકતંત્રની રાહ પર છે અને પ્રગતિ કરી રહ્યું છે.

લોકો આજે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાની વાત કરવા લાગ્યા છે, જ્યારે દેશની મોટી વસ્તી 20 રૂપિયાથી ઓછી આવક પર જીવવા મજબૂર છે. આપણી સૌથી મોટી ચિંતા આ હોવી જોઈએ. વર્તમાનનો યોગ્ય રીતે સામનો કરવો જોઈએ, ત્યારે જ ભવિષ્ય સારું થઈ શકે છે. નહીં તો આવનારા આવતીકાલમાં મુશ્કેલી વધારે મોટી હોઈ શકે છે.

સૌજન્ય- અમર ઉજાલા