Showing posts with label ભ્રષ્ટાચાર. Show all posts
Showing posts with label ભ્રષ્ટાચાર. Show all posts

Wednesday, 24 August 2011

પરિવર્તનના બિંદુઓ



હરિવંશ

વ્યવસ્થા પરિવર્તનની પહેલી સીડી છે, ચૂંટણી પદ્ધતિ-પ્રક્રિયામાં સુધારા. ચૂંટણીમાં સુધારાનો ક્યો રસ્તો અપનાવામાં આવે? લગભગ તમામ સાંસદ (કેટલાંક અપવાદોને બાદ કરતાં) અથવા ધારાસભ્ચ સોગંદનામામાં ખર્ચનું વિવરણ આપે છે, શું તે સાચું છે? આખો દેશ-સમાજ જાણે છે કે આ જૂઠ્ઠું છે.
ચૂંટણી માટે નક્કી ખર્ચની મર્યાદા પણ આજની મોંઘવારીમાં વ્યાજબી નથી. ખોટું બોલીને લોકતંત્રના મંદિરમાં પ્રવેશ કરનારા કેવી રીતે સાત્વિક અને સૈદ્ધાંતિક લોકશાહીના પક્ષધર બનશે? ચૂંટણી જીતવા માટે મોટી મૂડી જોઈએ. કાળું ધન જોઈએ.

ભારતના માનસમાં બેચેની છે. આ બેચેનીનું પ્રતિબિંબ છે, અન્ના હજારે. હજારો વર્ષની ગુલામી, આ દેશ અને સમાજે જોઈ છે. માટે ડૉ. રામમનોહર લોહિયા કહેતા હતા કે તે જીદ જે પરિવર્તન, બદલાવ અથવા ક્રાંતિ માટે જરૂરી છે, તે ભારતમાં નથી. પરંતુ 1857ના બળવા અને સ્વતંત્રતાની લડાઈએ સ્વાભિમાન સાથે જીવવાની પ્રેરણા આપી. લોહિયા અને જયપ્રકાશ નારાયણના આંદોલનોને સમાજને હલબલાવ્યો. 1974 અને 1989માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલા આંદોલને પરિવર્તનની ભૂખ જગાડી, પરંતુ પરિવર્તન થયું નહીં. જો કે બંને વખત સત્તા બદલાઈ. હકીકતમાં વ્યવસ્થા પરિવર્તન વગર હકીકતમાં વ્યવસ્થા પરિવર્તન વગર ભારત બદલાવાનું નથી.

અન્નાના આંદોલનથી ભારત જાગી રહ્યું છે. તેની બેચેની સાર્વજનિક થઈ રહી છે, સડકો પર દેખાઈ રહી છે. પરંતુ માત્ર બેચેનીના પ્રદર્શનથી દેશ બદલાવાનો નથી. જયપ્રકાશ નારાયણે 1974માં જ કહ્યું હતું કે સત્તા પરિવર્તન તો એક પડાવ છે. અસલી હેતુ છે, સંપૂર્ણ ક્રાંતિ. સંપૂર્ણ ક્રાંતિ એટલે વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન. એટલે કે ચૂંટણી પદ્ધતિમાં પરિવર્તન, રાજકીય પક્ષોના કામકાજમાં પરિવર્તન, રાજકારણમાં સિદ્ધાંત અને મુદ્દાઓનો પ્રવેશ, લોકસભા અને વિધાનસભાઓને સાર્થક બનાવવી. આ પ્રકારે જીવન અને વિચારમાં પરિવર્તન. જો આ ક્ષેત્રોમાં પરિવર્તનના પગલાં ઉઠાવવામાં નહીં આવે, તો દેશમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. 1974ના અસલ આંદોલનકારી અને 1989માં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લડનારા નિરાશ થયા, કારણ કે ભ્રષ્ટાચાર વધતો જ ગયો. એવું એટલા માટે થયું, કારણ કે વ્યવસ્થા બદલાઈ નહીં. 

વ્યવસ્થા બદલવાની પહેલી સીડી છે, ચૂંટણી પદ્ધતિ-પ્રક્રિયામાં સુધારા. ચૂંટણીમાં સુધારાનો ક્યો રસ્તો અપનાવવામાં આવે? કેટલાંક અપવાદોને બાદ કરતાં લગભગ તમામ સાંસદો અથવા ધારાસભ્યો સોગંદનામામાં ખર્ચનું વિવરણ આપે છે, શું તે સાચું છે? આખો દેશ-સમાજ જાણે છે કે તે જૂઠ્ઠું છે. ચૂંટણી માટે નક્કી કરાયેલી ખર્ચની મર્યાદા પણ આજની મોંઘવારીમાં વ્યાજબી નથી. ખોટું બોલીને લોકશાહીના મંદિરમાં પ્રવેશ કરનારા કેવી રીતે સાત્વિક અને સૈદ્ધાંતિક લોકશાહીના પક્ષધર બનશે? ચૂંટણી જીતવા માટે મોટી મૂડી જોઈએ. કાળું ધન જોઈએ. આ પ્રકારે સાંસદ, ધારાસભ્ય અથવા સંસદ-ધારાસભાની રચનામાં સાત્વિક અને પવિત્ર મૂડી કેટલી લાગે છે? હવે કાળાધનના ગર્ભમાંથી નીકળતા સાંસદ-ધારાસભ્યો સફેદ (ઈમાનદાર) મૂડીના ઉપાસક કેવી રીતે બનશે?

તેવી જ રીતે રાજકીય દળોમાં પરિવર્તન વગર ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થશે? આજે પક્ષોની અંદર લોકતંત્ર ક્યાં છે? શું પક્ષોના વાર્ષિક અધિવેશ થાય છે? આ અધિવેશનોમાં શું પક્ષોના પ્રતિનિધિઓ પાર્ટીના પદાધિકારીઓની ચૂંટણી કરે છે? પક્ષના વાર્ષિક અધિવેશનોમાં દેશની ઘરેલુ અને વિદેશી નીતિ પર વાત થાય છે? આ તમામ પ્રક્રિયા ઓછા વત્તા પ્રમાણમાં ખતમ થઈ ચુકી છે. કેટલાંક અપવાદો છે. પક્ષોમાં હાઈકમાન્ડ છે. પક્ષ પારીવારીક સંપત્તિ બની ગયા છે. એક જ પરિવારના લાકોના ખિસ્સામાં છે, પક્ષ.

મોટા નેતાઓની ગણેશ પરિક્રમા કરીને લોકો મોટા પદો પર પહોંચે છે. ટિકિટ મેળવે છે. પોતાની પ્રતિભા, સિદ્ધાંત, કૌશલ અને વિચારના કારણે કોઈ પાર્ટીના કોઈ સાધારણ કાર્યકર્તા હવે શીર્ષસ્થ ં આ પદો પર પહોંચવાનું સપનું પણ જોઈ શકતા નથી. પક્ષો હવે પ્રતિભાઓથી નહીં, દલાલોથી ચાલે છે. પ્રતિભા, સ્વાભિમાન, ચરિત્ર અને પ્રતિબદ્ધતાની રાજનીતિમાં જગ્યા નથી. પક્ષોની અંદર ટિકિટ ખરીદવામાં અને વેચવામાં આવે છે. એક ઈમાનદાર કાર્યકર્તા આસાનીથી પોતાનું ભવિષ્ય સારું કરી શકતો નથી. તેને ડગલેને પગલે સમજૂતીઓ કરી પડે છે. સ્વાભિમાનનો સોદો કરીને તે આગળ વધે છે. શું આવા લોકો સારા જનપ્રતિનિધિઓ થઈ શકે છે? આનું પરિણામ ક્યાં દેખાય છે? સંસદ અને ધારાસભામાં.

આજે સંસદ, ખાસ કરીને લોકસભામાં, મહત્વપૂર્ણ ચર્ચા પર ઉપસ્થિતિ જોવો. પછી ચર્ચાઓમાં ભાગીદારીનું આકલન કરો. વક્તાના ભાષણની ગુણવત્તાને પરખો. એટલે કે ભાષણની સમીક્ષા કરો. મોંઘવારી, ભ્રષ્ટાચાર, વિદેશ નીતિ અથવા પછી અન્નાના સવાલ પર જ્યારે સંસદમાં પૂરી હાજરી હોવી જોઈએ, ત્યારે કેટલાં લોકો દેખાય છે? આ પ્રકારે રાજ્યની ધારાસભાઓનો શો હાલ છે? અનર્ગલ પ્રલાપ. બૂમાબૂમ. અભદ્ર પ્રદર્શન. આરોપ-પ્રત્યારોપ. આ સ્તર છે, ધારાસભાઓનું? શું આને શ્રેષ્ઠ બનાવ્યા વગર લોકશાહીને સમૃદ્ધ અને બહેતર બનાવી શકાશે? શું આનાથી ભ્રષ્ટાચાર મુક્ત શાસન-સમાજ અથવા દેશ શક્ય છે? આ પ્રકારે જનલોકપાલની રચના તો થાય, અન્નાના આંદોલનની માગણી હોવી જોઈએ કે ચૂંટણી પદ્ધતિની સમીક્ષા થાય, ચૂંટણી ખર્ચના વિકલ્પ પર વિચાર થાય. ન્યાયતંત્રમાં પરિવર્તન થાય.
ભ્રષ્ટાચારના કેસોની શું સ્થિતિ છે? ચારા ગોટાળાની સુનાવણી 16 વર્ષોથી ચાલી રહી છે. જો આ 20-30 વર્ષો સુધી આ ઝડપથી મામલા ચાલે, ત્યારે પણ ચુકાદા આવવાના નથી. તેમાં મોટા-મોટા રાજનેતાઓ ફસાયેલા છે? આ પ્રકારે ભ્રષ્ટાચારને જન્મ આપનારી સિસ્ટમને બદલવાની શરૂઆત થાય? આ કઈ વ્યવસ્થા અથવા અર્થતંત્ર છે, જ્યાં આટલી ઝડપથી સંપત્તિ વધે છે? દુનિયાની કોઈ આર્થિક પ્રણાલીમાં આ ચમત્કાર શક્ય છે? હકીકતમાં આ રાજનીતિ અને સત્તાની લૂંટ પ્રણાલીમાં જ સંભવ છે. માટે આ લૂંટ પ્રણાલીને યોગ્ય અને ઈમાનદાર અર્થતંત્રમાં બદલાની વાત થાય. આ તમામ ક્ષેત્રોમાં વ્યવસ્થાગત પરિવર્તન વગર ન દેશ બદલાશે, ન વ્યવસ્થા. અન્ના આંદોલનની અગ્નિપરીક્ષા છે કે તે આ જરૂરી ક્ષેત્રોમાંથી કોઈ એક ક્ષેત્રમાં પણ બદલાવનો પાયો નાખી શકે છે. ચૂંટણી પ્રણાલી, રાજકીય પક્ષ, સમાજ-દેશનું વ્યક્તિગત અને જાહેર ચરિત્ર, સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર, અર્થતંત્ર આ બધાંમાં પરિવર્તન વગર અન્નાનું આંદોલનના સપના સાકાર થવાના છે?

રાજકીય પક્ષોના કામકાજ પર નવી ચર્ચા થાય, તેમાં પરિવર્તન હોય, જેથી દરેક પક્ષની અંદર પ્રતિભાવાન, સક્ષમ અને સારા લોકો સામે આવે. ભાટ, ચમચા અને ચાપલૂસ નહીં. અન્ના આંદોલનના લોકોની માગણી હોય કે રાજકીય પક્ષો પારીવારીક પક્ષ અને વારસો તૈયાર કરનારી સંપત્તિ બને નહીં. નહીંતર તેનું પરિણામ શું થશે? 19 ઓગસ્ટના સમાચાર છે. સીબીઆઈની ટીમે જગનમોહન રેડ્ડી અને આંધ્ર પ્રદેશના ગૃહ સચિવના ઘરે છાપા માર્યા. સાત વર્ષોમાં જગનમોહન રેડ્ડીની સંપત્તિ 11 લાખથી વધીને 43 હજાર કરોડ થઈ ગઈ. હૈદરાબાદમાં સીબીઆઈએ તેમના 60 બેડરૂમવાળા ભવ્ય મકાન પર પણ છાપો માર્યો. હૈદરાબાદના સૌથી મોંઘા વિસ્તાર બંજારા હિલ્સમાં. તેમની બહેનના ઘરે પણ. 

આંધ્ર પ્રદેશના ગૃહ સચિવ જ્યારે આંધ્ર પ્રદેશ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર કોર્પોરેશનના પ્રબંધ નિદેશક હતા, ત્યારે એક ગૃહ સાથે સમજૂતી દરમિયાન આ સરકારી કોર્પોરેશનને 1 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે જગનમોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના દિવંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાઈ. એસ. રાજશેખર રેડ્ડીના પુત્ર છે. રાજશેખર રેડ્ડીના મુખ્યમંત્રી કાળ દરમિયાન આ સંપત્તિ અર્જિત થઈ છે. જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીમાં બળવો કર્યો છે, માટે તેમના પર કાર્યવાહી ચાલી રહી છ. એવો તેમના ટેકેદારોનો આરોપ છે. પરંતુ જગન રેડ્ડીની જેમ ઓછાવત્તા અનેક નેતાઓના રાજકુમાર છે. તમિલનાડુના આવા ઘણાં નેતાઓના રહસ્યો સામે આવ્યા છે. 2જી મામલામાં જ જોઈ લો. આ પરિસ્થિતિ મહારાષ્ટ્ર અને દેશના અન્ય ક્ષેત્રોમાં પણ છે. શું આ રાજકીય પક્ષોની અંદરની સફાઈ વગર ભ્રષ્ટાચાર મુક્ત શાસન શક્ય છે?

સૌજન્ય- પ્રભાત ખબર

Sunday, 21 August 2011

લોકશાહીમાં લોકો જ હોય છે, સર્વોપરી



સુબ્રમણ્યમ સ્વામી

આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર એક ઘણો મોટો મુદ્દો છે. રોજબરોજ ગોટાળાની વધતી સંખ્યા અને તેની વ્યાપકતાને કારણે લોકોમાં તેના પ્રત્યે પહેલેથી જ ગુસ્સો હતો. સાથે 2જી અને કોમનવેલ્થ ગેમ્સના ગોટાળામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સરકારની આનાકાનીથી લોકોમાં એવી ધારણા બનવા લાગી કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ભરવા માંગતી નથી.

ગત 5 એપ્રિલે થયેલા અન્નાના અનશનની આગળ ઝુકતી સરકારે જનલોકપાલ બિલ પર એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવી દીધી. પંરતુ કેટલીક બેઠકો બાદ જ સિવિલ સોસાયટી અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપથી સ્પષ્ટ થઈ ગયુ કે સરકાર કડક લોકપાલ કાયદો બનાવવાના પક્ષમાં નથી. 
રહી-સહી કસર સંસદમાં રજૂ કરવામાં આવેલા નબળા લોકપાલ બિલે પૂરી કરી દીધી. આ પ્રકારે લોકોની અંદરનો ગુસ્સો ધીરેધીરે ઉકળતો રહ્યો અને આજે એક દેશવ્યાપી જનઆંદોલનમાં ફેરવાઈ ગયો.

અન્ના હજારે પહેલા જ ઘોષણા કરી ચુક્યા હતા કે સંસદના મોનસૂન સત્ર દરમિયાન જો 15 ઓગસ્ટ સુધી સખત લોકપાલ બિલ લાવવામાં આવશે નહીં, તો તેઓ આમરણ અનશન પર બેસશે. પરંતુ સરકારને લાગ્યું કે અન્ના પર વ્યક્તિગત હુમલા અને ધરપકડથી આ આંદોલનને કચડી નખાશે. એવી રીતે જેમ બાબા રામદેવના અનશનને રાત્રે  પોલીસ દબંગાઈને કારણે સરકાર કચડવામાં કામિયાબ રહી હતી. પરંતુ જનસમર્થનના કારણે આ આંદોલને બીજું જ સ્વરૂપ ધારણ કરી લીધું, જેની કલ્પના સરકારે કરી ન હતી. એક વાત તો સ્પષ્ટ છે કે કેટલાંક મંત્રીઓ અને કોંગ્રેસી પ્રવક્તાઓની અન્ના પર કરવામાં આવેલી નકામી ટિપ્પણીઓથી મામલો વધુ બગડયો. સરકારના આ દાવ ઉલ્ટા પડયા.

ભ્રષ્ટાચારથી ઉબાઈ ગયેલી જનતાને અન્ના હજારે પરના વ્યક્તિગત હુમલાના કારણે એવું લાગ્યું કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ઉઠાવવાની જગ્યાએ તેની વિરુદ્ધ લડનારને જ નિશાન બનાવી રહી છે. આમ જનતામાં અન્નાની છબી એક ઈમાનદાર વ્યક્તિની છે. એક એવા વ્યક્તિની છે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષરત રહ્યો છે. લોકોને એક એવા નાયકની શોધ હતી જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની અવાજને ઉઠાવી શકે. અન્ના હજારેના રૂપમાં જનતાને એક નેતૃત્વકર્તા મળી ગયો. 

74 વર્ષની ઉંમરમાં તેમની સાદગી અને વ્યવસ્થા બદલવાની તેમની અપીલ લોકોના દિલમાં ઉતરતી ગઈ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમના વિચાર આમ જનતાના મનમાં ઉતરી ગયા. પોતાની વાતમાં ગાંધીજીની અહિંસાત્મક વાતોને અમલમાં લાવવાની જનતાને વિનંતી કરતા જે હોશ અને ઊર્જાથી તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યાં છે, લોકો તેની સાથે આપોઆપ જોડાય રહ્યાં છે. ખાસ વાત એ છે કે અન્નાનું આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે. તેમને ન તો ચૂંટણી લડવી છે અને ન તો તેનાથી કોઈ ફાયદો લેવો છે. અન્ના હજારેની આ પૃષ્ઠભૂમિ લોકોને આ આંદોલનથી જોડી રહી છે. ભલે જનલોકપાલ બિલના તમામ મુદ્દાથી સંમત થઈ શકાય નહીં, પરંતુ ભ્રષ્ટાચારનો મુદ્દો આમ જનતા સાથે જોડાયેલો છે. માટે સરકારે એક મજબૂત લોકપાલ બિલ સંસદમાં રજૂ કરવું જોઈતું હતું. 

હાલનું સરકારી બિલ એટલું કમજોર છે કે તેનાથી ભ્રષ્ટાચાર રોકવો સંભવ નથી. સરકારી વલણને કારણે જ આખા દેશમાં આ આંદોલનથી લોકો જોડાય રહ્યાં છે. યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ આ ઐતિહાસિક આંદોલનનો ભાગ બનવા ચાહે છે. હવે આ આંદોલનનો ફલક પણ વ્યાપક થઈ ગયો છે. ભ્રષ્ટાચારના મુદ્દાથી શરૂ થયેલું આ આંદોલન વ્યવસ્થા પરિવર્તનથી લઈ ચૂંટણી સુધારના મુદ્દા સુધી પહોંચે છે. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે વ્યવસ્થામાં પરિવર્તન કરવું ઘણું જરૂરી બની ગયું છે. ઘણાં સમય બાદ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલો વ્યાપક લોકજુવાલ જોવા મળી રહ્યો છે. સરકાર અને તમામ રાજકીય પક્ષોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની દિશામાં તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ.

હવે દેશના લોકો કોઈપણ કિંમતે ભ્રષ્ટાચારને સહન કરવા ચાહતા નથી. સંસદ અને તેની પ્રક્રિયાઓને આધાર બનાવીને આ આંદોલનને દબાવી શકાય નહીં. આ આંદોલનની ખાસિયત એ છે કે તે પૂરી રીતે અહિંસાત્મક છે. સરકારને અનશન સમાપ્ત કરવા માટે નમવું પડશે. કારણ કે આંદોલન જેટલું લાંબુ ચાલશે, સરકારની મુશ્કેલી એટલી વધતી જશે. લોકતંત્રમાં લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખવો સરકારનું દાયિત્વ છે. તેને અહમનો મુદ્દો ન માની સરકારે વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરવી જોઈએ.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ મુહિમ માત્ર અન્ના હજારેની નહીં, પરંતુ આમ જનતાની છે. લોકતંત્રમાં આમ જનતા જ સર્વોપરી હોય છે. જો ધ્યાન આપીએ તો બંધારણની પ્રસ્તાવનામાં પણ આ કહેવામાં આવ્યું છે કે જનતા સાર્વભૌમ છે અને બંધારણ સર્વોચ્ચ. તેવામાં સરકારે જનભાવનાનો ખ્યાલ રાખવો જોઈએ. આ તેનું કર્તવ્ય છે. 

સૌજન્ય-પ્રભાત ખબર

ભ્રષ્ટાચારની વિરુદ્ધ


સુધાંશુ રંજન

અન્ના હજારેના આંદોલનને દેશમાં અને દેશની બહાર જે વ્યાપક સમર્થન મળી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારથી જનતા પરેશાન છે. આ અનાયાસ નથી કે વડાપ્રધાન મનમોહન સિંહએ સ્વાધીનતા દિવસના સંબોધનમાં 16 વખત ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો. અન્ના હજારે હકીકતમાં લોકાની હતાશાને જ પ્રતિબિંબિત કરી રહ્યા છે. તેમણે ઘોષણા કરી છે કે તેમના અનશન જનલોકપાલ બિલને કાયદો બનાવવા સુધી ચાલુ રહેશે. જ્યારે સરકારના પ્રમાણે, જનલોકપાલ વિધેયકની 40માંથી 24 માગણી પૂર્ણપણે અને 10 માગણીઓ આંશિક રીતે સ્વીકારી લેવામાં આવી છે. માત્ર છ માગણીઓને જ સ્વીકારવામાં આવી નથી, માટે અન્નાના અનશન અયોગ્ય છે.

એ સાચું છે કે લોકપાલ કોઈ એવો જાદૂ કરી દેશે નહીં, જેનાથી ભ્રષ્ટાચાર રાતોરાત સમાપ્ત થઈ જાય. પરંતુ ભ્રષ્ટાચારીઓને દંડિત કરનારી અત્યારે જે સંસ્થાઓ દેશમાં કામ કરી રહી છે, તેમના ક્રિયાકલાપો પર વિચાર કરવાની જરૂરત છે કે આખરે તે કામ કેમ કરી શકતી નથી. તેમ છતાં પણ સરકારી લોકપાલ વિધેયકમાં એક ખતરનાક જોગવાઈ છે કે ખોટી ફરીયાદ કરનારને બે વર્ષની જેલની સજા છે, જ્યારે ભ્રષ્ટાચારના મામલામાં લઘુત્તમ સજા છ માસની છે. જો ફરીયાદકર્તાને દંડિત કરવામાં આવશે, તો પછી ફરીયાદ કરવાનું સાહસ કોણ ભેગું કરી શકશે. કેટલીક વખત તકનીકી કારણોથી પુરાવાના અભાવમાં ફરીયાદો પ્રમાણિત થઈ શકતી નથી, પરંતુ આરોપો સાચા હોય છે. તાજેતરમાં સુભાષ અગ્રવાલે લોકસભા સચિવાલય પાસેથી માહિતી માંગી કે કેટલાં સાંસદોએ પોતાની સંપત્તિની ઘોષણા કરી છે. તેમને જવાબ મળ્યો કે 70 સાંસદોએ ઘોષણા કરી નથી. તેમણે પછી પુછયું છે કે તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે, તો તેમને જણાવવામાં આવ્યું કે તેના માટે કોઈએ ઔપચારીક રીતે ફરીયાદ કરવી પડશે. પછી તેમણે ફરીયાદ પણ કરી, તો તેમને સૂચિત કરવામાં આવ્યા કે આ ફરીયાદ એફિડેવિટ દાખલ કરીને કરવી પડશે અને જો તેમનું એફિડેવિટ દાખલ કરતાં પહેલા કોઈએ પોતાની સંપત્તિ ઘોષિત કરી દીધી, તો તેમની ફરીયાદ ખોટી માનવામાં આવશે અને તેમની સામે જ કાર્યવાહી થશે. એટલે કે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની મનસા જ નથી.

દેશની શાસન વ્યવસ્થામાં ભ્રષ્ટાચારના કીટાણુ સ્વતંત્રતા પ્રાપ્તિના તુરંત બાદથી પ્રવેશ કરી ગયા હતા. 1950માં કેન્દ્ર સરકારેના પ્રખ્યાત નોકરશાહ એ.ડી.ગોરવાલાને શાસન વ્યવસ્થામાં સુધાર કરવા માટે સૂચન આપવા માટે કહેવામાં આવ્યું હતું. એક વર્ષ બાદ પોતાના રિપોર્ટમાં તેમણે બે કડવી ટિપ્પણીઓ કરી કે નેહરુ મંત્રીમંડળના કેટલાંક ભ્રષ્ટ મંત્રીઓ સંદર્ભે આમ જાણકારી છે, અને એ છે કે સરકાર આ મંત્રીઓને ખોટી રીતે બચાવી રહી છે.

તે વખત સુધી માત્ર જીપ ગોટાળો સામે આવ્યો હતો, જેમાં વી. કે. કૃષ્ણમેનન પર આંગળી ચિંધાઈ હતી. ભારતીય સેનાએ 155 જીપોની માગણી કરી હતી, જેનો ઉપયોગ અશાંત કાશ્મીર અને હૈદરાબાદમાં થવાનો હતો. સેનાએ તેના માટે એક બ્રિગેડિયરની સેવા ઉપલબ્ધ કરાવી હતી, પરંતુ કૃષ્ણમેનને તેમને નજરઅંદાજ કરીને એજન્ટ દ્વારા એક વિદેશી કંપનીને જીપની આપૂર્તિ કરવાનો આદેશ આપી દીધા. જો કે કૃષ્ણમેનન એક ઈમાનદાર વ્યક્તિ માનવામાં આવતા હતા અને જીપની ગુણવત્તા સંદર્ભે પણ શંકા ન હતી, પરંતુ પ્રક્રિયાનું પાલન ન કરવાને કારણે તે વિપક્ષના નિશાન પર આવી ગયા.

બીજો ગોટાળો જીવન વીમા નિગમ-મુંદરા ડીલ હતો, જે સ્વતંત્ર ભારતનો પહેલો નાણાંકીય ગોટાળો હતો. હરિદાસ મુંદરા કોલકત્તા સ્ટોક એક્સચેન્જના દલાલ અને ઉદ્યોગપતિ હતા. તેમણે પોતાના પ્રભાવથી જીવન વીમા નિગમનું 1.24 કરોડ રૂપિયાનું રોકાણ પોતાની છ સમસ્યાગ્રસ્ત કંપનીઓમાં કરાવી દીધું. તત્કાલિન કોંગ્રેસ સાંસદ ફિરોઝ ગાંધીએ આખો ગોટાળો સંસદમાં ઉજાગર કર્યો. 

સરકારે ન્યાયમૂર્તિ એમ. સી. છાગલાની એક સભ્યની તપાસ સમિતિની રચના કરી. રિપોર્ટમાં તત્કાલિન નાણાં મંત્રી ટી.ટી. કૃષ્ણમાચારીને કાયદાકીય રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા અને તેમને રાજીનામું આપવું પડયું. મુંદરાને જેલની સજા થઈ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ કેન્દ્રીય સતર્કતા પંચની રચના થઈ.

ત્યાર બાદ ગોટાળાનો તબક્કો સતત ચાલુ રહ્યો, જ્યારે સીબીઆઈ આરોપીઓને સજા અપાવવામાં અક્ષમ સાબિત થઈ, કારણ કે આ સાચા અર્થમાં સ્વાયત નથી અને રાજકીય દબાણ હેઠળ કામ કરે છે. સીબીઆઈ દ્વારા દાખલ લગભગ નવ હજાર મામલા જુદીજુદી કોર્ટોમાં પેન્ડિંગ છે, જેમાંથી લગભગ 2000 મામલા તો એક દશકથી વધારે સમયથી પેન્ડિંગ છે. તેના સિવાય એકલ નિર્દેશ એક ભેદભાવ કરનારી જોગવાઈ છે, તેના હેઠળ કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ અથવા તેનાથી ઉપરના અધિકારી પર ખટલો ચલાવવા મેટ તેને નિયુક્ત કરનારા અધિકારીની પૂર્વાનુમતિ લેવી પડે છે. આ સમાનતાના અધિકારનું હનન કરે છે.

ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે વિશેષાધિકાર ખતમ કરવા યોગ્ય રીતે પરિભાષિત પ્રક્રિયા બનાવવી જરૂરી છે. તેના સિવાય ભ્રષ્ટાચારની પરિભાષાને વ્યાપક રૂપ આપવાની પણ જરૂરત છે. સર્વોચ્ચ અદાલતના ડૉ. એસ. દત્ત વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મામલામાં વ્યવસ્થા આપી હતી કે ભ્રષ્ટ શબ્દમાં માત્ર લાંચ લેવી જ સામેલ નથી. તેનો ઉપયોગ એવા આચરણથી થાય છે, જે નૈતિક રીતે પતિત છે. અન્ના હજારેનું આંદોલન પણ માત્ર જનલોકપાલ માટે નથી, આ આપણા સમગ્ર જીવનમાં ઘર કરી ચુકેલા ભ્રષ્ટાચારને ખતમ કરવાના ઉદેશ્યથી પણ શરૂ થયું છે. આશા કરીએ કે આ આંદોલન તેના લક્ષ્ય સુધી પહોંચશે.

જેપી વિરુદ્ધ અન્નાનું આંદોલન



નિરજા ચૌધરી

જે રામલીલા મેદાનમાં જેપીએ ઈન્દિરા સરકારને દિનકરની કવિતા- સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ, થી પડકારી હતી, તે રામલીલા મેદાનમાં અન્ના હજારેનું અનશન સત્તાની દીવાલોમાં હલચલ મચાવી રહ્યું છે. જેપીએ જ્યાં સંપૂર્ણ ક્રાંતિનું સૂત્ર આપ્યું હતું, ત્યાં અન્નાએ બીજી આઝાદીનો નારો બુલંદ કર્યો છે. યુગના બે અંતિમ પર ઉભેલા આ બંને આંદોલનોના સંયુક્ત સૂત્રોની શોધ કરવાનો આજે સમય છે.

અલગ છે, બંને આંદોલન અને પરિસ્થિતિઓ
-નિરજા ચૌધરી

જેપીએ પણ લગભગ આ ઉંમરમાં આખા દેશને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠો કરી દીધો હતો. પરંતુ જ્યાં જેપીને રાજકીય અનુભવ હતો, ત્યાં અન્ના બિનરાજકીય છે. 

જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન અને અન્ના હજારેનું હાલનું આંદોલન કેટલીક બાબતોમાં સમાન, તો ઘણાં સ્તરે અલગ દેખાય છે. જેપીનું આંદોલન રાજકીય આંદોલન હતું, જ્યારે અન્નાનું આંદોલન બિનરાજકીય છે. કટોકટીના તબક્કામાં અને વર્તમાન હાલતમાં ઘણું અંતર છે, પરંતુ એક મુદ્દો સમાન છે. આ મુદ્દો છે ભ્રષ્ટાચારનો. ભ્રષ્ટાચારના મુદ્દા પર જ જેપીએ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો અને આજે અન્ના હજારે પણ તેને રોકવા માટે સખત લોકપાલ કાયદાને લાગુ કરવાની વાત કરી રહ્યાં છે. 

70ના દશક અને આજની રાજકીય પરિસ્થિતિમાં જમીન-આસમાનનું અંતર છે. તે સમયે કેન્દ્રથી લઈ રાજ્યમાં મોટાભાગની જગ્યા કોંગ્રેસના શાસનમાં હતી. જેપીએ બિનકોંગ્રેસી દળોને એક મંચ પર લાવીને સરકાર વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરી હતી. તે સમયે સંચાર માધ્યમો પણ એટલા શક્તિશાળી ન હતા. તેમ છતાં પણ જેપીનું આંદોલન આખા દેશમાં ફેલાય ગયું. પ્રવર્તમાન સમયમાં દેશની સ્થિતિ ઘણી અલગ છે, પરંતુ ભ્રષ્ટાચારનું સ્તર ઘણું વધી ગયું છે. ઓછાવત્તા પ્રમાણમાં કોઈપણ રાજકીય પક્ષ તેનાથી અછૂતો નથી. રાજનેતાઓ અને સામાન્ય જનતા વચ્ચે સંવાદહીનતાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. 

આ સંવાદહીનતાની વચ્ચે અન્નાએ લોકોની ભાવનાઓને સમજીને આ ઉંમરે પણ આંદોલનનું એલાન કર્યું. અન્નાની છબી એક ઈમાનદાર અને સમાજસેવીની રહી છે. આ છબી યુવાનોને પણ ગમી ગઈ અને જોતજોતામાં જ જનસમૂહ તેમના આંદોલનમાં જોડાતો ગયો. આ એ વાતનો સકારાત્મક સંકેત છે કે હજી પણ દેશનો સમાજ ઈમાનદાર વ્યક્તિ પાછળ ઉભો થઈ શકે છે. જેપીએ પણ લગભગ આ ઉંમરમાં આખા દેશને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠો કરી દીધો હતો. પરંતુ જ્યાં જેપીને રાજકીય અનુભવ હતો, ત્યાં અન્ના બિનરાજકીય વ્યક્તિ છે. બિનરાજકીય વ્યક્તિ હોવા છતાં પણ અન્નાની વ્યવસ્થા વિરુદ્ધ સંઘર્ષ કરવાની કહાણી ઘણી લાંબી છે. આ અનુભવ તેમના આંદોલનને અહિંસક રાખવામાં મદદ કરી રહ્યો છે. 

કારણ કે અન્ના જાણે છે કે હિંસક થતાં જ તેમનું આંદોલન પોતાના મકસદમાંથી ભટકી જશે. દેશમાં દરરોજ ભ્રષ્ટાચારના મામલા સામે આવવા અને રાજકીય મજબૂરીમાં સખત પગલાં ઉઠાવવામાં સરકારની નાકામીથી આમ જનતામાં સરકારની શાખ કમજોર થઈ છે. દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહોલ બની રહ્યો છે અને અન્નાની ઈમાનદાર છબી લોકો અને યુવાનોને તેમના આંદોલનથી જોડી રહી છે. સમાજ ઘણાં સમયથી એક એવા નાયકની તલાશમાં હતો, જે તેમની ભાવનાઓને સંઘર્ષ દ્વારા અંજામ સુધી પહોંચાડી શકે. અન્નામાં સમાજ આવો જ નાયક એવો નાયક શોધવાની કોશિશ કરી રહ્યો છે. એ કારણ છે કે સમાજના તમામ વર્ગોનું સમર્થન અન્નાના આંદોલનને મળી રહ્યું છે. ઘણાં સમય બાદ દેશમાં જનભાવનાનો આવો ઉભરો જોવા મળી રહ્યો છે. આશા કરવી જોઈએ કે લોકતંત્ર અને ભારતીય રાજકીય વ્યવસ્થા માટે અન્નાનું આંદોલન પરિવર્તનનો રસ્તો તૈયાર કરવા મદદરૂપ થશે.

સૌજન્ય- પ્રભાત ખબર

Saturday, 20 August 2011

અન્નાનું આંદોલન: કેટલીક છૂટક ટિપ્પણીઓ

વિમાંશુ દિવ્યાલ

અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

અદભૂત! બેમિસાલ! રાજધાની દિલ્હીમાં આવી વિશાળ ભીડ, આવો જન ઉભાર, લોકાની આવી દિવાનગી, આવો ઝનૂની ઉત્સાહ! રાજઘાટ હોય અથવા છત્રસાલ સ્ટેડિયમ, તિહાડ હોય અથવા રામલીલા મેદાન, જ્યાં અન્ના રહ્યાં ત્યાં જનતાનું ઘોડાપૂર ઉમટી પડયું, ત્યાં આંદોલન ઉભરી ઉઠયું. એકવાર તો એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું કે અન્ના તિહાડ જેલમાં કેદ છે અથવા તિહાડ જેલ અન્નાની કેદમાં છે. પોલીસે અન્નાને કસ્ટડીમાં લીધા છે અથવા અન્નાએ પોલીસને. સરકારે અન્નાને પ્રતિબંધિત કર્યા છે અથવા અન્નાએ સરકારને. હવે ચાહે કોઈ કંઈપણ કહે, અપાર જનસમૂહે અન્નાને ભ્રષ્ટાચાર વિરોધના પ્રતીકમાં બદલી નાખ્યા છે. વ્યક્તિ અન્ના વૃદ્ધ હોય અથવા મનીષ તિવારી માથાથી પગ સુધી ભ્રષ્ટ પરંતુ પ્રતીક અન્ના એટલા ભારે-ભરખમ થઈ ગયા છે કે કોઈપણ વ્યક્તિગત નિંદા અથવા આરોપ અથવા ટીકા આ અન્નાને હાલ નાના કરી શકે નહીં. તેનાથી આગળ સરકારનું જે થવાનું હતું તે થયું. અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

આહ કોંગ્રેસ આહ!

ખરેખર હેરાની થાય છે કે દેશની સૌથી અનુભવી અને સૌથી શક્તિશાળી રાજકીય પાર્ટી અને કેન્દ્રમાં આસિન તેની સરકાર આટલી બાળકબુદ્ધિ અને ક્ષુદ્ર રીતે એક આવા આંદોલનકારીથી નિપટવાની કોશિશ કરશે જેની જનશક્તિનો સાક્ષાત્કાર તે પહેલા પણ કરી ચુકી હતી. તેના પ્રવક્તા જેટલાં વધારે વ્યક્તિગત મોટા પ્રહાર અન્ના પર કરી રહ્યાં હતા, તેઓ તેટલાં જ નાના અને વેંતિયા નજરે પડી રહ્યાં હતા. પોતાની પાર્ટી અને સરકારની છબી પર એટલી જ કાળાશ નાખી રહ્યા હતા. અન્નાના આંદોલનને નહીં ખુદ પોતાની પાર્ટી અને સરકારને જ આરોપીના પાંજરામાં ઉભા કરી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ સરકારે પોતાની વાત મીડિયાની સામે મૂકી તો લોકોએ તેમના તમામ તર્કો સંદર્ભે આંખ આડા કાન કર્યા. સંસદની સર્વોચ્ચતાનો તેનો તર્ક જનતાએ ધડમૂળથી નકારી દીધો. તે સમજી શકી નહીં કે અન્નાના બહાને લોકો સંસદને નહીં, પરંતુ એ વેંતિયાઓને નકારી રહ્યાં છે કે જેમણે સંસદને પંગુ બનાવી દીધી છે. જે ચાલો-કુચાલોથી તેમણે બાબા રામદેવને આસમાનથી પાતાળમાં પાડી દીધા હતા, તે ચાલો-કુચાલોએ અન્નાના મામલામાં ખુદ તેમને જ એ પ્રકારે જમીન પર ફેંક્યા કે તેઓ ધૂળ પણ ખંખેરી શકે તેમ નથી. 

બહોત ખૂબ મીડિયા!

અન્નાના આંદોલનની ટીઆરપી એટલી મોટી હતી કે તેની નીચે મીડિયાની તટસ્થતાએ દબાઈને દમ તોડી નાખ્યો. અન્ના સમર્થક સરકારની આટલી મારક આલોચના-ટીકા કરી શકતા ન હતા કે જેટલી તેમના પક્ષમાં ઉભા રહીને મીડિયા કરી રહ્યું હતું. મીડિયા અન્નાનું અતિરંજીત યશોગાન કરી રહ્યું હતું, અન્નાની તૂતી બનીને બોલી રહ્યું હતું, અન્નાની જેલમાંથી બહાર આવવાની યાત્રા પર એવી લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યું હતું કે જેમ ગણતંત્ર દિવસની પરેડના પ્રસંગે તેની યશોગાથા ગાનારા ઉદ્ઘોષણા કરે છે. તે અન્ના સમર્થક ભીડનો ભાગ બની ગયું હતું અને ઉત્સાહી ભીડની તર્જ પર જ પ્રશસ્તિવાચન કરી રહ્યું હતું. ચેનલોની પ્રતિસ્પર્ધા એ હતી કે બિરુદાવલિમાં કોણ સૌથી ઉપર રહે. આખા મીડિયા વેપારમાંથી તે ઠહેરાવ ગાયબ હતો જે કોઈ ઈતર વૈચારીક હસ્તક્ષેપનો અવકાશ બનાવે છે. તમામ ચર્ચા અન્ના સમર્થક અને કોંગ્રેસી પ્રવક્તાઓના તર્કો અને પ્રતિતર્કોની ધરી પર ટંગાયેલી રહી, જેમાંથી નેવું ટકા ચર્ચા સંચાલક અન્નાના પક્ષણાં હસ્તક્ષેપ કરતા રહ્યાં અને પોતાની રીતે ચર્ચાનો નિષ્કર્ષ અન્નાના પક્ષમાં પહોંચાડતા રહ્યાં. ભીડની આગળ સારા-સારા લોકોનો વિવેક કામ કરવાનું બંધ કરી દે છે, પછી દેશનું હિંદી ઈલેક્ટ્રોનિક મીડિયા તો વિવેકના મામલામાં આમ પણ શૂન્યથી બે-ચાર ક્રમ ઉપર છે. 

કોંગ્રેસને સલાહ

કોંગ્રેસ પાર્ટી અને તેની સરકારે હવે એ ભ્રમમાં રહેવું જોઈએ નહીં કે તેમની સીમિત સમજદારી અને ઉલટી ચાલોને કારણે તેમનું કોઈ નુકસાન થયું નથી. ભરપાઈ માટે તેમણે એ કરવું જોઈએ જે અન્ના અને તેમના ટેકેદારો કરી રહ્યાં છે. કોંગ્રેસે પોતાના તમામ ધુરંધર પ્રવક્તાઓને દિલ્હીમાં કોઈ સારી જગ્યા જોઈ અને પોલીસ પાસેથી અનુમતિ લઈને અનશન પર બેસાડી દેવા જોઈએ. જે લોકો અન્નાના અનશનમાં સામેલ થવા ચાહતા નથી તે જરૂર તેમના અનશનમાં સામેલ થશે. જો તેમની વાતોમાં દમ હશે તો લોકો સાંભળશે. પરંતુ આ સમયે લોકો સાંસદો-મંત્રીઓ નહીં, અનશનકારીઓનું સાંભળવાના મૂડમાં છે. કોંગ્રેસને લોકોના આ મૂડને જરૂરથી ભાપવો અને માપવો જોઈએ.

અન્ના અને તેમના ટેકેદારોથી નિવેદન

મહાનુભાવો, તમારી સાથે આવેલો અપાર જનસમૂહ એ દર્શાવી રહ્યો છે કે લોકો ભ્રષ્ટાચારથી કેટલી હદે ઉબાઈ ગયા છે અને કેવી રીતે સંસદ પર કબજો જમાવી બેઠેલી જમાતો પ્રત્યે અવિશ્વાસ, ગુસ્સા અને નફરતથી ભરાયેલા છે. તેઓ તમારી તરફ વધુ આશાથી જોઈ રહ્યા છે અને ખુદને ભ્રષ્ટાચારથી લડવા માટે આપસમાં જોડી પણ રહ્યા છે. તેમ છતાં પણ એવા લોકો ઓછાં નથી જે તમારા આંદોલનને યોગ્ય માનવા છતાં પણ તેના દૂરગામી પરિણામને લઈને આશંકિત છે. તેઓ જાણવા ચાહે છે કે સંપૂર્ણ ક્રાંતિ, બીજી આઝાદી અને વ્યવસ્થા પરિવર્તનથી તમારું તાત્પર્ય શું છે? જો તમે ખરેખર લોકતાંત્રિક છો, તો તમારા અનશન મંચથી થોડીવાર માટે એમને નીચે ઉતારી દો જે તમારા નારાથી બંધાયેલી બિરુદાવલિ ગાઈ રહ્યાં છે. તેમને પણ બોલવા દો જે તમારા આંદોલનને લઈને આશંકિત છે અને અન્ય મત ધરાવે છે. કોંગ્રેસ-પ્રવક્તાઓને પણ આમંત્રિત કરી શકો છો. તેનાથી તમારા આંદોલનને શક્તિ મળશે, શિથિલતા નહીં. જોડાયેલા લોકો પણ પોતાનો સ્થિર મત બનાવી શકશે. નહીંતર ભીડનું શું છે, જેમ ભેગી થાય છે, તેમ વિખેરાઈ પણ જાય છે.

સૌજન્ય-રાષ્ટ્રીય સહારા

ભ્રષ્ટાચારથી મુક્તિનો માર્ગ


સુભાષ કશ્યપ

ભ્રષ્ટાચારને લઈ મધ્યમવર્ગ અને યુવાનોમાં ભારે આક્રોશ છે. તેનાથી આજે દેશનું એક મોટું જનમાનસ પ્રભાવિત અને પરેશાન છે. માટે ભ્રષ્ટાચારને લઈને લડાઈ રહેલી સિવિલ સોસાયટીની માગણી પ્રત્યે સરકારનું ટકરાવપૂર્ણ વલણ કોઈપણ દ્રષ્ટિએ યોગ્ય કહી શકાય નહીં, પરંતુ તે સરકારની હઠધર્મિતાનું પરિચાયક છે. આ સંસદીય લોક પ્રક્રિયાની દ્રષ્ટિથી પણ હટીને છે. દેશના પ્રત્યેક નાગરીકને બંધારણે આ અધિકાર આપ્યો છે કે તે કેવળ પોતાની માગણી જ ન કરી શકે, પરંતુ તેનાથી સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ સરકાર પાસે વિચારાર્થ પ્રસ્તુત કરી શકે છે. આ પ્રસ્તાવ અથવા બિલને માનવું અથવા ન માનવું સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તે ચાહે તો સંસદમાં મૂકે અથવા ન મૂકે? અન્ના હજારેની ટીમ દ્વારા બનાવાયેલું જનલોકપાલ બિલ પણ આ શ્રેણીમાં આવે છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અન્ના હજારેની ટીમ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે લાંબો વિચાર-વિમર્શ અને મેળ-મિલાપ થવા છતાં સંસદની સ્થાયી સમિતિ પાસે જે પ્રસ્તાવ મોકવામાં આવ્યો તે સશક્ત લોકપાલની સંભાવનાઓ કમજોર કરનારો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર ભ્રષ્ટાચાર સામે લડાઈ પ્રત્યે ઘણી પ્રતિબદ્ધ નથી અને તેની પાસે એ અપેક્ષા પણ કરી શકાય નહીં, કારણ કે વર્તમાન રાજકીય પક્ષ વ્યવસ્થા અને ચૂંટણી વ્યવસ્થા દોષપૂર્ણ હોવાથી ભ્રષ્ટ લોકોની સંખ્યા સંસદમાં વધારે છે અને ભ્રષ્ટ લોકો ક્યારેય ઈચ્છશે નહીં કે આવો કોઈ પ્રસ્તાવ પારિત થાય અથવા કાયદો બને જેનાથી તેમના હાથ આસાનીથી મરડી શકાય.

ભ્રષ્ટાચાર સામે લડાઈ માટે અન્નાની ટીમને અને દેશના બીજા વર્ગોને કેટલીક વધારે વ્યવહારીક વાતો પર ભાર મૂકવાની જરૂરત છે. સૌથી પહેલા આપણે એ વાતને સમજવી પડશે કે ભ્રષ્ટાચાર છે શું અને તેનું કારણ તથા સ્ત્રોત શું છે? ભ્રષ્ટાચારના મૂળમાં વ્યવસ્થા સર્વોપરી છે અને વ્યવસ્થાને બદલ્યા વગર આપણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી શકીએ નહીં. આ વ્યવસ્થામાં ફેરફાર માટે સૌથી પહેલું પગલું છે તે દોષપૂર્ણ રાજકીય પક્ષ વ્યવસ્થા અને ચૂંટણી પ્રક્રિયામાં તાત્કાલિક સુધારો લાવવો. આ સિવાય આપણે સંસદીય, વહીવટી અને ન્યાયિક વ્યવસ્થામાં પણ મોટા સ્તરે ફેરફાર કરવા પડશે, જેના માટે વધુ મોટા પ્રયાસની જરૂરત છે. અન્ના હજારેએ સમજવું જોઈએ કે તેમની લડાઈ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે છે, ન કે જનલોકપાલ માટે. એક સશક્ત લોકપાલની તેમની લડાઈ યોગ્ય છે, પરંતુ એ માની લેવું પણ ઠીક નહી થાય કે માત્ર લોકપાલ બનાવી દેવાથી ભ્રષ્ટાચારનો રાવણ મરી જશે.

લોકપાલની મર્યાદામાં ન્યાયતંત્ર અને વડાપ્રધાનને અનિવાર્યપણે સામેલ કરવાની તેમની માગણી પણ યોગ્ય નથી, કારણ કે કોઈ એક સંસ્થા પાસે આટલી વધારે શક્તિઓ હોવી કોઈપણ દ્રષ્ટિથી યોગ્ય નથી. એક જ લોકપાલને આટલી વધારે શક્તિ આપવાથી તો સારું એ છે કે આપણે સંસદીય લોકપાલ અલગ બનાવીએ અને ન્યાયિક લોકપાલ અલગ કરીએ. તેનાથી સંસ્થાઓની વચ્ચે પરસ્પર ટકરાવને પણ રોકી શકાશે અને તેમના અધિકાર ક્ષેત્રોની વિશિષ્ટતા પણ કાયમ રહેશે, પરંતુ તેના માટે બંને પક્ષોએ ફરીથી મળી-બેસી એક રાજકીય સમાધાન શોધવાની દિશામાં કામ કરવાની જરૂરત છે. જ્યાં સુધી અન્નાના આમરણ અનશનની વાત છે, તો એ પણ યોગ્ય નથી, કારણ કે સમાધાનનો રસ્તો વાતચીતથી જ નીકળી શકે છે, ન કે પોતાની વાતો પર અક્કડ રહેવાથી. સરકારે શરૂઆતમાં જ અન્નાની ધરપકડ કરી તેમને અને તેમના ટેકેદારોને વધુ આક્રોશિત થવાનો મોકો આપી દીધો જેના માટે નિશ્ચિતપણે સરકાર દોષિત છે, પરંતુ હવે જ્યારે સરકારે પણ વાતચીતની પેશકશ કરી છે તો અન્નાની ટીમએ ફરીથી પોતાની વાત મૂકવી જોઈએ. એક રસ્તો એ પણ હોઈ શકે છે કે અન્નાની ટીમ સંસદની સ્થાયી સમિતિની સામે પોતાની વાતો અને પ્રસ્તાવ રજૂ કરે. તેના સિવાય કોઈ સાંસદ વ્યક્તિગત રીતે પણ સિવિલ સોસાયટીના બિલને સંસદમાં રજૂ કરી શકે છે. 

સંસદની સ્થાયી સમિતિની પાસે સરકાર દ્વારા રાખવામાં આવેલા લોકપાલ બિલનું સ્વરૂપ હજી અંતિમ નથી અને તેમાં ફેરફાર કરી શકાય છે. સ્થાયી સમિતિ જ્યારે તેને અંતિમ સ્વરૂપ આપી દેશે તો તેને સંસદીય પટલ પર રજૂ કરવામાં આવશે, જેના પર સાંસદો ચર્ચા કરશે અને જો જરૂરત પડશે તો તેની જોગવાઈમાં અંતિમ અનુમતિ મળ્યા પહેલા ફેરફાર કરી શકશે. માટે હજી પણ સમય છે કે ટકરાવનો રસ્તાને છોડીને આમ સંમતિનો રસ્તો શોધવો જોઈએ. બીજું એ પણ સમજવું પડશે કે સરકાર અને સંસદ એક નથી. જો સરકાર અન્નાની વાતોને માને નહીં, તો સંસદમાં જઈ શકાય છે. જેના માટે બાકી રાજકીય પક્ષોએ પહેલ કરવાની જરૂરત છે. અન્ના હજારેને જોઈએ કે તેઓ પોતાના આમરણ અનશન ખતમ કરે અને બંધારણીય પ્રક્રિયામાં કોઈ પ્રકારની અડચણ ઉભી થવા ન દે. સિવિલ સોસાયટી આખા દેશની પ્રતિનિધિ થઈ શકે નહીં અને સંસદ તેનાથી ઘણી વધારે સર્વોચ્ચ અને સાર્વભૌમ છે. માટે પોતાની વાત અનિવાર્યપણે મનાવવા માટે સંસદ પર કોઈ પ્રકારનું દબાણ અથવા શરત થોપવાની વાત ઠીક નથી. તેમાં કોઈ બેમત નથી કે વર્તમાન વ્યવસ્થામાં તમામ ખામીઓ, વ્યાપક ભ્રષ્ટાચાર અને અસંવેદનશીલતાના કારણે જ સ્થિતિઓ આટલી ગુંચવાઈ છે. 

સરકારનું એ કહેવું યોગ્ય નથી કે સિવિલ સોસાયટીનો મુસદ્દો સંસદમાં રજૂ કરી શકાય નહીં. જો સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદા પ્રસ્તાવો કેબિનેટની મંજૂરીથી સંસદમાં મૂકવામાં આવે છે, તો સિવિલ સોસાયટીના પ્રસ્તાવોને સરકાર પોતાના પ્રસ્તાવમાં સામેલ કેમ કરી શકે નહીં? આ સંદર્ભમાં આપણે ભૂલવું જોઈએ નહીં કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેવી સુપર કેબિનેટ સંસ્થાઓની કોઈ વૈધાનિકતા નથી, માટે સિવિલ સોસાયટીને પણ સંસદનો પર્યાય માની શકાય નહીં, પરંતુ અહીં સવાલ ભ્રષ્ટાચારના મુદ્દાનો છે. લોકતાંત્રિક સંસ્થાઓની મર્યાદા અને અધિકાર ક્ષેત્રની વ્યાખ્યામાં પડવાથી વધારે જરૂરી ભ્રષ્ટાચારના પગ પર કુહાડી મારવાનું છે, જે અન્નાનો પણ ઉદેશ્ય છે. આજે જે સૌથી મોટી જરૂરત છે આખી વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની, કારણ કે સખત કાયદા બનાવી દેવા માત્રથી પરિવર્તન આવી જવાની અપેક્ષા કરવી યોગ્ય નથી. તાત્કાલિક પણે ચૂંટણી અને રાજકીય પક્ષ વ્યવસ્થામાં એવું પરિવર્તન લાવવામાં આવે જેથી ભ્રષ્ટ લોકો ચૂંટાઈને જ ન આવી શકે અને જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી ભ્રષ્ટાચારનું કેન્સર ખતમ થવાનું નથી. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Friday, 19 August 2011

મધ્યમ વર્ગની લહેરો પર અન્ના


હેમંત શર્મા

રામલીલા મેદાનમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલા અન્ના હજારે કોઈ વ્યક્તિનું નામ નથી. અન્ના પ્રતીક છે ભ્રષ્ટ વ્યવસ્થા સામે ઝઝુમવાનું. અન્ના સંકલ્પ અને દ્રઢ નિશ્ચયનું નામ છે. 

કોઈપણ સંગઠન વગર અન્નાનું આંદોલન ગુજરાતથી ગૌહાટી સુધી જે રીતે ફેલાયું, તેનાથી સરકાર ઘૂંટણિયે પડી ગઈ. અત્યાર સુધી જે લોકો એ કહેતા હતા કે ભ્રષ્ટાચાર આ દેશમાં મુદ્દો રહ્યો નથી, તેઓ ખોટા સાબિત થયા. શહેરી મધ્યમ વર્ગ અને નવયુવાનોને લાગ્યું કે અન્નાની હાર તેમનો વ્યક્તિગત પરાજય છે. જો આ આંદોલન કચડવામાં આવશે, તો રાજનેતાઓ નિરંકુશ થઈ જશે. ગાંધીના અનશનનું હથિયાર હંમેશા માટે કચડાઈ જશે. આ ડરે આમ જનતાને સરકાર વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરવા મજબૂર કરી.

અન્નાએ કોંગ્રેસનું જે નુકસાન એકલપંડે કર્યું, તે નુકસાન આખો વિપક્ષ મળીને અત્યાર સુધીના કાર્યકાળમાં કરી શક્યો ન હતો. અન્નાએ એક ઝાટકામાં સરકારનું નૈતિક બળ ખતમ કરી નાખ્યું. ભ્રષ્ટાચાર વિરુદ્ધ છેડાયેલો જંગ કોંગ્રેસ વિરુદ્ધના યુદ્ધમાં ફેરવાઈ ગયો. કોંગ્રેસ અનાયાસ ભ્રષ્ટાચારના ટેકેદારોના પક્ષમાં નજરે પડી. પહેલી વાર અન્નાએ શહેરી અરાજનીતિક વર્ગને સડકો પર ઉતાર્યો. જે યુવાવર્ગ દ્વારા સખત મહેનત કરીને રાહુલ ગાંધી પોતાની રાજકીય જમીન શોધી રહ્યાં હતા, તે નવયુવાનો એક જ ઝાટકામાં 74 વર્ષના આ વૃદ્ધની નજીક ચાલ્યા ગયા. મંડલ આંદોલન બાદ રાજનીતિ પહેલી વાર સંસદથી નીકળીને સડક પર આવી અને કટોકટી લાગ્યા વગર અન્નાએ ડાબેરીઓથી લઈને ભાજપ સહીત આખા વિપક્ષને એકજૂટ કરી દીધો.

અન્ના હજારેના આ આંદોલનનો સૌથી વધારે ઝાટકો રાહુલ ગાંધીને લાગ્યો છે. આખા દેશના નવયુવાનોએ જે રીતે આ આંદોલનમાં ભાગ લીધો અને શહેરી યુવાનોનો ગુસ્સો સડકો પર જે રીતે ઉતર્યો, તે રાહુલ ગાંધીની રાજનીતિ માટે ખતરાનો સંકેત છે. રાહુલ દેશભરમાં ફરીને આ નવયુવાન પેઢીના સહારે રાજકારણ પર કાબજો જમાવવા ચાહતા હતા. એક ઝાટકામાં આ આધાર આ ડોસાની સાથે ચાલ્યો ગયો, કારણ કે ભ્રષ્ટાચારથી ત્રસ્ત યુવાનોને અન્નાના આંદોલનમાં એક વિશ્વાસ અને ભરોસો દેખાયો. જે રાજકીય પક્ષોએ તોડયો હતો.

રાહુલ ગાંધીની રાજકીય શૈલીમાં કોંગ્રેસના જે યુવાનો સંગઠન અને સરકારમાં આવ્યા, તેનાથી એક ખાસ પ્રકારના શહેરી મધ્યમ વર્ગ, અંગ્રેજી પરસ્ત શાસક વર્ગ ઉભર્યો હતો. મોટાભાગના વિદેશોમાં ભણેલા આ યુવા નેતાઓનો સમાજને બોધ અંગ્રેજિયતની આસપાસ છે. અન્નાના આંદોલનમાં ભારતના તે નવયુવાનો ફરી સામે આવ્યા છે, જે અત્યાર સુધી સત્તા પરિવર્તનમાં ભાગીદાર બનતા રહ્યાં છે. જેપી આંદોલન બાદ આ પેઢી રાજનીતિમાં હાસિયા પર હતી. હવે આ પેઢી ફરીથી પોતાની સક્રીયતા દેખાડી રહી છે.

આ દેશની જનતા ભ્રષ્ટાચારનો હિસાબ લે છે. ઈતિહાસમાં આપણે ઘણીવાર જોયુ છે. ચારસો સાંસદોની સાથે એક પરમ પ્રતાપી વડાપ્રધાન થયા હતા. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. આંદોલન થયા. ચૂંટણીમાં જનતાએ હિસાબ ચુકતે કર્યો. લાલુ યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. આજે તે હાસિયા પર છે. તે પ્રકારે કેન્દ્રની હાલની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એટલે કે લોઢું ગરમ છે. રાજનીતિમાં અત્યાર સુધી દર્શક ગેલેરીમાં બેઠેલા લોકો પહેલીવાર આંદોલન માટે સડક પર નીકળ્યા છે. માત્ર મીણબત્તી લઈને સડક પર જવાથી કંઈ થશે નહીં. પોલિંગ બૂથ પર પણ જવું પડશે.

વડાપ્રધાન મનમોહન સિંહે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે અનશન ઠીક નથી, સંસદીય લોકતંત્રને પડકાર ફેંકી શકાય નહીં. તો શું ગાંધીએ દેશમાં અનશન અને સત્યાગ્રહને ગેરબંધારણીય કહેવામાં આવે? વડાપ્રધાન એમ પણ કહી ગયા કે ભ્રષ્ટાચારથી નિપટવા માટે અમારી પાસે કોઈ જાદૂઈ છડી નથી. અજીબ વાત છે. સરકાર પાસે જનઆંદોલનોને કચડવા માટે લાકડી છે, પરંતુ ભ્રષ્ટાચારથી નિપટનારો દંડો નથી. સરકાર પાસે ભલે કોઈ જાદૂઈ છડી નથી, પરંતુ આ દેશની સર્વશક્તિમાન જનતા પાસે એક લાકડી છે. આ લાકડી જ્યારે ચાલે છે, તો સરકાર સત્તાથી ઉખડી જાય છે. ઈતિહાસ સાક્ષી છે.

સૌજન્ય- અમર ઉજાલા

Thursday, 18 August 2011

અન્નાના અનશનથી ફાયદો કોને?


લલિત સુરજન

આમ જનતાને લાગી રહ્યું છે કે અન્ના હજારે દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ કાયદો બની જવાથી દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળી જશે.

જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને અન્ના હજારેના અભિયાનમાં આશાનું કિરણ જોઈ કમ સે કમ મધ્યમ વર્ગ તો તેમની સાથે જોડાય જ ગયો છે, પરંતુ એ વાત જનતાએ સમજી લેવી જોઈએ કે અન્ના પાસે કોઈ જાદૂઈ લાકડી નથી. જો કાલે સંસદ અન્નાના મુસદ્દા પર વિચાર કરવાનું મન બનાવી લે ત્યારે પણ તેને કાયદાનો આકાર મળી શકશે કે કેમ, તેમાં શંકા છે. આજે વિરોધી દળ તાત્કાલિક હિત માટે ભલે અન્નાનું સમર્થન કરી રહ્યાં હોય, એ નક્કી છે કે જનલોકપાલનો મુસદ્દો કોઈને પણ સ્વીકાર્ય નથી. 

બુધવારે લોકસભામાં જેટલી ચર્ચા થઈ તેમાં રાજકીય પક્ષોએ એ કહ્યું કે તેઓ અન્ના હજારે દ્વારા પ્રસ્તાવિત સૂચનો સાથે સંપૂર્ણપણે સંમત નથી. સુષ્મા સ્વરાજ, શરદ પવાર, ગુરુદાસ દાસગુપ્તા વગેરેએ અન્નાને અનશન ન કરવા દેવા અને તેમની ધરપકડ પર સરકારની ખૂબ ટીકા કરી, પરંતુ તેમાંથી કોઈએ પણ એ કહેવાથી પણ ચુક્યું નથી કે તેઓ અન્નાના પ્રસ્તાવોનું સંપૂર્ણ સમર્થન કરતાં નથી. સુષ્મા સ્વરાજે તો એક પગલું આગળ વધીને ત્યાં સુધી કહ્યું કે અન્નાએ વડાપ્રધાનને 14 ઓગસ્ટે જે પત્ર લખ્યો, તેની કેટલીક વાતો ખોટી હતી. આ વાસ્તવિકતાને જાણ્યા બાદ એ સવાલ ઉભો થાય છે કે જનતાનો એક વર્ગ તો પછી આંખો બંધ કરીને અન્ના અને તેમના સાથીદારોની વાતનો ભરોસો શા માટે કરી રહ્યાં છે? તેની સાથે બીજો એક સવાલ ઉભો થાય છે કે અન્નાનું આ આભામંડળ કેવી રીતે બન્યુ?

ગુરુવાર બપોરે ઈન્ડિયા ટુડે ગ્રુપની ચેનલ હેડલાઈન્સ ટુડેમાં જે પરિચર્ચા આવી, તેમાં આ બીજા સવાલનો જવાબ મળે છે. ચર્ચાનું શીર્ષક હતું કે શું અન્નાને મીડિયાએ સ્થાપિત કર્યા છે? આ ચર્ચામાં જે ચાર જાણીતાં લોકો ભાગ લઈ રહ્યાં હતા, તેમાના બધાંએ આ સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે, પરંતુ તેના બહાને અન્નાને હીરો બનાવવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. તેમાંથી એક વાર્તાકાર દિલીપ ચેરિયને ત્યાં સુધી કહ્યું કે આજના સમયગાળામાં મીડિયાના માધ્યમથી જ કોઈ આંદોલન થઈ શકે છે. આ ચર્ચામાં એ વાત સ્થાપિત થઈ કે જો મીડિયા ખાસ કીને ટીવીએ આટલું આગળ પડતું કવરેજ ન કર્યું હોત તો આંદોલનને જે વ્યાપકતા મળી, તે મળી શકી ન હોત.

આજકાલ જે સંચાર માધ્યમો છે તેની ઉપયોગિતાથી કોણ ઈન્કાર કરી શકે, પરંતુ આ રવિવારે ધ હિંદુમાં સેવંતી નાઈનને એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે નવું સામાજિક મીડિયા આવ્યું છે, શું તે હંમેશા સમાજ હિતૈષી જ રહેશે અથવા તેની કોઈ નુકસાનકારક ભૂમિકા પણ હોઈ શકે છે? તેમણે ઈંગ્લેન્ડના તાજેતરના ઉપદ્રવોનું ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવી રીતે ફેસબુક, ટ્વિટર વગેરેનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ વાતને ભારતના સંદર્ભમાં મૂકીને જોવો. આ માધ્યમ બાળકોના રમકડાં નથી, તેનો શોખ રાખવો એક વાત છે, પરંતુ તેના સારા અને નરસા પ્રભાવો સંદર્ભે વિચારવાનું પણ જરૂરી છે. 

એ સમજી શકાય છે કે આરબ જગતમાં ખાસ કરીને ટ્યૂનિશિયા અને ઈજીપ્તમાં સત્તા પરિવર્તનમાં આ માધ્યમોએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. એવું લાગે છે કે ભારતનું મીડિયા તે સમયથી જ ઉતાવળુ હતું કે અહીં પણ આવું કંઈક કરી નાખવામાં આવે. હું ફરી એક વાર માર્શલ મેકલુહાનની ઉક્તિ યાદ કરું છું કે માધ્યમ જ સંદેશ છે. જેવું કે બધાં જાણે છે કે મીડિયા હવે પત્રકારોના હાથમાં નથી, પરંતુ કોર્પોરેટ હાઉસના હાથમાં છે. વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજકારણ પર નિયંત્રણ માટે આ મહામૂડીવાદીઓ પાસે મીડિયાના રૂપમાં એક સશક્ત શસ્ત્ર આવી ગયું છે. અન્નાને મહાનાયક બનાવવામાં આ શસ્ત્રોનો ઉપયોગ કરવો તેમની રણનીતિનો જ એક ભાગ માની શકાય છે, પરંતુ અહીં તેમની એક વિસંગતિ તરફ પણ ધ્યાન આપો. ગુરુવાર સવાર સુધી મીડિયા અન્નાનું અઢળક કવરેજ આપી રહ્યું હતું, પરંતુ બપોર બાદ તે કંઈક ઠંડુ પડી ગયું. શું એટલા માટે કે સરકાર દ્વારા સ્થિતિ સંભાળી લીધા બાદ સનસનાટી ફેલાવવામાં હાલ કોઈ અન્ય બિંદુ ન હતું, અથવા એટલા માટે કે એક અબજ વીસ કરોડની જનતાને ઘણાં લાંબા સમય સુધી બેવકૂફ બનાવી શકાય નહીં, આ વાત મીડિયાને સમજમાં આવી ગઈ?

એ નક્કી છે કે મીડિયા આગળ પણ આવા અવસરોની શોધમાં રહેશે, જ્યાં તે આમ જનતાને પોતાના બનાવેલા એજન્ડા પર લઈ જઈ શકે. હાલ થોડું ધ્યાન એ વાત પર પણ આપો કે અન્નાના અનશનથી મીડિયા સિવાય અન્ય ક્યાં લોકોને લાભ થઈ શકે છે. જો સરકાર પર કોઈ આંચ આવે છે તો તેનો લાભ કદાચ ભાજપને જ મળશે, જેમકે મે ગઈકાલે પણ લખ્યું હતું. આ સિવાય કોંગ્રેસમાં જે અસંતુષ્ટ છે તેમના માટે પણ કદાચ એક અનુકૂળ અવસર થઈ શકે છે. સ્મરણીય છે કે સરકાર તરફથી પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ અને અંબિકા સોની જ કમાન સંભાળી રહ્યાં છે, એ. કે. એન્ટોની, વીરપ્પા મોઈલી, સલમાન ખુર્શિદ વગેરે આ બધાંની વચ્ચે ભાગ્યે જ ક્યાંક દેખાયા છે. બીજું અન્નાના આંદોલનને સાધન ઉપલબ્ધ કરાવવામાં દેશના વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને અપ્રવાસી ભારતીયોનું ઘણું યોગદાન રહ્યું છે. તેમના મનસૂબા શું છે, તે સમજવું પડશે. ત્રીજું ઘણાં બધાં જનઆંદોલનો અને સ્વૈચ્છિક સંગઠનોને પણ સરકારને હેરાન કરવાનો એક સારો અવસર મળ્યો હોવાનું પ્રતીત થયું. ધ્યાન રહે તેમની વચ્ચે પણ નીતિગત અને રાજનીતિગત ઘણાં મતભેદો છે. કુલ મળીને અન્નાને સમર્થન આપવા પાછળ બધાંએ પોતપોતાનો લાભ જોયો, પરંતુ અંતમાં જેને છેતરવામાં આવનારા છે તે આમ જનતા જ છે.

સૌજન્ય- દેશબંધુ

બીજી આઝાદી (?)ની લડાઈ


લલિત સુરજન
સુપ્રસિદ્ધ સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના ઉદેશ્યથી લોકપાલ નિયુક્ત કરવા માટે પોતાનું તાજેતરના આંદોલનની શરૂઆત કરી હતી, પરંતુ ધીરેધીરે તેનું સ્વરૂપ બદલાતું ગયું અને હવે તો અન્ના વ્યવસ્થા પરિવર્તન તથા બીજી આઝાદીની લડાઈનું આહ્વવાન કરવા લાગ્યા છે. 15 ઓગસ્ટની સાંજે દિલ્હીમાં તેમણે પ્રેસની સામે વક્તવ્ય આપ્યું તેમાં જળ, જંગલ, જમીનના મુદ્દા પણ તેમણે ઉઠાવ્યા તથા વીસ રૂપિયા રોજી વિરુદ્ધ કરોડોની કમાણી તથા ભૂમિ અધિગ્રહણ કાયદા વગેરેની ચર્ચા કરી. તેમની વાતો સાંભળીને લાગે છે કે અન્ના હજારે સંભ્રમમાં છે અથવા લોકોને તેઓ ભ્રમમાં નાખી રહ્યાં છે. એ સંભાવનાથી પણ ઈન્કાર કરી શકાય નહીં કે તેઓ કોઈ અન્ય શક્તિઓના હાથમાં મ્હોરું બની ગયા છે. 

અન્ના હજારેને, જેમ કે બધાં જાણે છે, પોતાના ગામ રાલેગાંવ સિદ્ધિમાં ગ્રામ સુધારના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક લાગુ કરવાને કારણે સૌથી પહેલા ખ્યાતિ મળી. તેનો ઉપયોગ તેમણે મહારાષ્ટ્રમાં ભ્રષ્ટ રાજનેતાઓ વિરુદ્ધ મુહિમ છેડવામાં કર્યો જેમાં તેમને આંશિક સફળતા પણ મળી. એ હકીકત આપણે તાજેતરના વર્ષોમાં જોઈ છે કે કોઈ એક ક્ષેત્રમાં અનુકરણીય કામ કરનારા લોકોને નાયક બનાવીને તેમની છબીનો ઉપયોગ આવા અન્ય ક્ષેત્રોમાં પણ કરવાની કોશિશ કરવામાં આવી. જેના માટે તેઓ પૂરી રીતે તૈયાર ન હતા. ટી. એન. શેષન અને જી. કે. ખૈરનાર વગેરે તેના ઉદાહરણ છે. 

હું સમજું છું કે અન્નાની પણ સ્થિતિ કંઈક એવી થઈ રહી છે. રાલેગાંવ સિદ્ધિમાં તેમનું કામ આખા દેશમાં એક આદર્શ તરીકે માનવામાં આવે છે. તેમના માર્ગદર્શનમાં તેનું અનુકરણ અન્યત્ર પણ થઈ શકતું હતું, પરંતુ અન્નાએ વચ્ચે જ બીજો રસ્તો પસંદ કરી લીધો. જે પ્રકારે સારા ખેલાડીઓને કંપનીઓ પોતાના મોડલ બનાવી લે છે, તેવી રીતે અન્નાને પણ એક નવી મુહિમમાં મોડલ તરીકે ઉભા કરી દેવામાં આવ્યા. તેઓ હાલ જનલોકપાલ બિલના મસીહા તરીકે આપણી સામે છે, પરંતુ શું અન્નાએ આવા કોઈ બિલની જરૂરત, પ્રાસંગકિતા, ઉપયોગિતા, ઔચિત્ય વગેરે સંદર્ભે કોઈ વિચાર કર્યો હતો? પોતાના રાજ્યોમાં ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ આંદોલન કરનારા અન્ના શું એ જોઈ રહ્યાં ન હતા કે ગત એક વર્ષ દરમિયાન જ લોકપાલ વગર પણ ભ્રષ્ટાચારના મોટામોટા મામલાઓ ઉજાગર થયા છે. ત્યાં સુધી કે મોટા પ્રભાવશાળી લોકોને પણ જેલની હવા ખાવી પડી છે. શું તેનાથી એ નિષ્કર્ષ નથી નીકળ તો કે વર્તમાન વ્યવસ્થામાં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પુરતો અવકાશ છે, તો પછી લોકપાલની જીદ્દ શેના માટે?

જો તર્ક માટે લોકપાલની જરૂરિયાત માની પણ લેવામાં આવે તો તેના માટે કેવા પ્રકારની મુહિમ ચલાવી જોઈતી હતી? અન્ના હજારે અને તેમના સાથી પોતાના તરફથી એક સારો મુસદ્દો તૈયાર કરીને દેશની જનતા સામે રજૂ કરી શકતા હતા કે લોકપાલ આવો હોય. પરંતુ અન્નાએ તેની જગ્યાએ બીજો રસ્તો અપનાવ્યો. તેમણે સરકાર સાથે બેસીને મુસદ્દો તૈયાર કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો. અહીં તે સત્તાના ચરિત્રને સમજવામાં ચૂક કરી ગયા. તેમણે સંયુક્ત સમિતિની આટલી બેઠકોમાં સામેલ થવાની જરૂરત જ ન હતી. જે સૂચન પોતાના તરફથી આપવાનું હતું, તે તેઓ એક બેઠકમાં આપી આવત. એટલે કે કુલ મળીને તેમણે પોતાના પ્રસ્તાવોના પક્ષમાં સીધેસીધે જનમત એકઠો કરવો જોઈતો હતો, પરંતુ તેમણે આવું કર્યું નથી. 

એટલું જ નહીં. અન્ના હજારેએ સંસદની પ્રામાણિકતા પર પણ સવાલ ઉભો કર્યો અને ચૂંટણી પ્રણાલી પર પણ, તેમણે એ કહીને દેશની જનતાનું અપમાન કર્યું કે પૈસા અને શરાબથી વોટરોને ખરીદી શકાય છે. બીજા શબ્દોમાં તેમણે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર જ પ્રશ્ન ચિન્હ લગાવી દીધું. આવું કરતી વખતે શું અન્ના ઐતિહાસિક તથ્ય ભૂલી ગયા કે 1977થી લઈને અત્યાર સુધી દેશના મતદાતાઓએ તમામ લાલચો છતાં સરકારો બદલી છે. ક્યાંક એવું તો નથીને અન્ના લોકપાલ બિલની આડમાં યુપીએ ખાસ કરીને કોંગ્રેસ પર જ આક્રમણ કરવા ચાહતા હતા? કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ જે અપમાનજનક રીતે અન્ના પર આક્રમણ કર્યું, તે મને સ્વીકાર્ય નથી, પરંતુ અન્ના પર જવાબી હુમલો શું એટલા માટે કરવામાં આવ્યો કે કોંગ્રેસ પાર્ટી અન્નાના આંદોલન પાછળ સરકારને સંકટમાં નાખવાની સંધિ જોઈ રહી છે? જો આવું ન પણ હોય તો પણ ખુદ અન્નાના અનશન આચરણ કેટલાંક સવાલો ઉભા કરે છે. અન્ના એક તરફ પોતાને ગાંધીવાદી કહે છે, તેનો અર્થ એ થયો કે તેઓ સત્યાગ્રહ, અહિંસા અને સવિનય કાનૂન ભંગમાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ બીજી તરફ તેઓ ગાંધીના રસ્તાને છોડીને શિવાજીના માર્ગ પર ચાલવાની ઘોષણા પણ કરે છે. તેનો અર્થ એ થયો કે તેમને હિંસાથી કોઈ પરહેજ નથી. તેમનો દિલ્હીમાં જ અનશન કરવાનો આગ્રહ પણ સમજથી પર છે. મહાત્મા ગાંધી તો જ્યાં રહેતા હતા, ત્યાં ઉપવાસ કરી લેતા હતા. તેમણે બ્રિટિશ સરકારના કાયદાનું ઉલ્લંઘન કર્યું તો તેનો બચાવ કરવાની જગ્યાએ જેલમાં જવાનું તેમણે યોગ્ય માન્યું. અન્ના જો ગાંધીના રસ્તા પર ચાલત તો રાલેગાંવ સિદ્ધિમાં આંદોલન કરી શકતા હતા અને ત્યારે કદાચ મજબૂરીથી કોઈ દિવસે સરકારે તેમના દરવાજે આવવું પડત.

અન્ના હજારેએ 15 ઓગસ્ટની રાત્રે દેશવાસીઓને પોતાના ઘરોમાં અંધારું કરવાની જે અપીલ કરી, તે એક સ્વાધીન દેશની અસ્મિતાની બિલકુલ વિપરીત હતી. તેમણે લોકોને ઓફિસમાંથી રજા લેવાની પણ દરખાસ્ત કરી. આ શું વાત થઈ. જો તેમની પાસે ગાંધી જેવું નૈતિક બળ હોત તો લોકો રજા લઈને નહીં, પરંતુ રાજીનામું આપીને તેમના આંદોલનમાં સામેલ થઈ ગયા હોત. અન્નાએ 15 ઓગસ્ટની સાંજે મીડિયાને પોતાના પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે બંને સાથે મળીને લડાઈ લડશે. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે અન્ના હજારેને મીડિયાની ચરિત્રની બિલકુલ જાણ નથી અને તેમને જે ક્ષણિક પ્રસિદ્ધિ મળી રહી છે, તેનાથી તેઓ આત્મમુગ્ધ થતાં જઈ રહ્યાં છે. 

એક તરફ જ્યાં અન્ના હજારેની સરખામણી ગાંધી સાથે કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જયપ્રકાશ નારાયણ સાથે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે ખુલ્લેઆમ અન્નાનું સમર્થન કર્યું છે. ભાજપ વારંવાર કટોકટીની દુહાઈ આપી રહ્યું છે. ભાજપ કદાચ આ જ ચાહે છે કે એક વખત આવી પરિસ્થિતિ ખરેખર પેદા થઈ જાય, જેથી તેના પછી સત્તામાં આવવાનો મોકો તેને મળી શકે. પરંતુ હવે આ દેશમાં કટોકટી લાગવી અશક્ય છે અને તેવી પરિસ્થિતિ પણ આજે નથી. અન્ના હજારેનું વ્યક્તિત્વ જેપીની સરખામણીએ ઘણું નાનું છે અને તેમનું અનુકરણ કરવા માટે આજે કોઈ બીજો શરદ યાદવ અથવા તેમના જોવો કોઈ યુવા નેતા નથી. કુલ મળીને આ આંદોલનના કારણે જનતાનું ધ્યાન બીજી ઘણી બાબતો પરથી હટી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોને કદાચ આ સ્થિતિ અનુકૂળ લાગે છે.
સૌજન્ય- દેશબંધુ

Sunday, 14 August 2011

બીમારી નહીં, લક્ષણ છે ભ્રષ્ટાચાર


માર્ક ટુલી

કોઈપણ દેશ માટે ચોસઠ વર્ષની સફર ઓછી હોતી નથી. જે તબક્કામાં ભારતે આઝાદી હાસિલ કરી હતી, તે સંક્રમણનો તબક્કો હતો. દેશમાં ગરીબી હતી, બેરોજગારી હતી, નિરક્ષરતા હતી, આરોગ્ય ક્ષેત્રમાં ખરાબ પરિસ્થિતિ હતી, ચારે તરફ અનિશ્ચિતતાનો માહોલ હતો. આ તમામ મોરચા પર ગત છ દશકોમાં ઘણી પ્રગતિ થઈ છે, રોજગારના નવા અવસરો પેદા થયા છે, સાક્ષરતાનો દર વધ્યો છે, સરેરાશ ઉંમર 65 વર્ષથી વધારે થઈ ચુકી છે. પરંતુ જેવી પ્રગતિ થવી જોઈતી હતી, તેવી થઈ નથી. ખાસ કરીને ગરીબી ઓછી થઈ શકી નથી. હું વારંવાર એ વાતને રેખાંકીત કરુ છુ કે સરકારી પ્રણાલી આજે પણ અંગ્રેજી રાજની છાયામાંથી પુરી રીતે મુક્ત થઈ શકી નથી. આ દેશના લોકતંત્રની આ સૌથી મોટી ખામી છે.

વાસ્તવમાં સ્વતંત્રતા મળ્યા બાદ ભારતે લોકતાંત્રિક વ્યવસ્થાને અપનાવી તો લીધી, પરંતુ તેનો લાભ આમ આદમી સુધી યોગ્ય રીતે પહોંચ્યો નથી. તેનું સૌથી મોટું કારણ છે કે ઉપનિવેશિક પ્રણાલીમાં જે ખામીઓ હતી, તેને દૂર કરવામાં આવી નથી. જે સંશોધન અને સુધાર થવા જોઈતા હતા, તે થયા નથી. ઉદાહરણ તરીકે ભારતમાં આજે પણ અંગ્રેજોના જમાનાના અનેક કાયદા લાગુ છે. દેશની પ્રગતિ અને ભવિષ્ય માટે સૌથી વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે તમામ લોકતાંત્રિક સંસ્થાઓએ એકબીજાનું સમ્માન કરવું જોઈએ, કારણ કે જ્યાં સુધી લોકતંત્રના પાયા મજબૂત નહીં થાય, દેશ મજબૂત થઈ શકે નહીં. સંસદ, નોકરશાહી અને ન્યાયપાલિકા લોકતંત્રના મુખ્ય સ્તંભ છે. તેમણે એકબીજાના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. ભારતમાં મુશ્કેલી એ છે કે રાજકીય વર્ગ પોતાને સર્વોચ્ચ સમજવા લાગ્યો છે. રાજનેતાને લાગે છે કે સંસદ સર્વોચ્ચ છે, માટે તે લોકતંત્રની બીજી સંસ્થાઓના કામકાજમાં પણ હસ્તક્ષેપ કરી શકે છે. જ્યારે સંસદની સર્વોચ્ચતાનો ક્યારેય આ અર્થ નથી. બીજી વાત, આજે પણ દેશમાં બાબુ રાજ ચાલી રહ્યું છે. પરિણામે કોઈપણ સરકારી કામ કરાવવામાં ઘણો સમય લાગે છે, ફાઈલો અટકેલી રહે છે. કોમ્પ્યુટર પણ આ સુસ્તી અને અક્ષમતાને દૂર કરી શક્યા નથી.

સ્પષ્ટ છે કે ભારતની સામે પ્રશાસનિક સુધાર અને સુશાસન બે મોટા પડકારો છે. આજે ભ્રષ્ટાચારનો મુદ્દો ગરમ છે, તે આનાથી પણ સંલગ્ન છે. ભ્રષ્ટાચારને લઈને અન્ના હજારેનું આંદોલન થઈ હોય અથવા બાબા રામદેવનું તેનાથી ઈન્કાર કરી શકાય નહીં કે ભ્રષ્ટાચાર આજે એક મોટો મુદ્દો છે, કારણ કે દેશની મોટાભાગની વસ્તી તેનો રોજ સામનો કરે છે. સવાલ એ છે કે તેનાથી કેવી રીતે નિપટવામાં આવે. 1974માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણું મોટું આંદોલન થયું હતું, તે આંદોલનને ઘણી સફળતા પણ મળી હતી. પરંતુ અંતમાં કંઈ થયું નહીં અને દેશ ફરીથી તે રસ્તા પર આવી ગયો. ભ્રષ્ટાચાર કોઈ બીમારી નથી, તે બીમારીનું લક્ષણ છે, માટે એ વિચારવું પડશે કે આગળ શું કરવામાં આવે.

માટે ઘણી વાર ભ્રષ્ટાચાર અને પ્રશાસનિક સુધારના મુદ્દાની ચર્ચા કરતા રાજકીય વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવાય છે. પરંતુ આપણે તેને લોકતંત્રની ખામી કહી શકીએ નહીં. ભારતના લોકતંત્રે તો એક ઉદાહરણ કાયમ કર્યું છે. ભારતની સાથે જ બનેલા પાકિસ્તાન અને ત્યાર બાદ તેનાથી અલગ થઈ નવું રાષ્ટ્ર બનેલા બાંગ્લાદેશ જેવા પડોશીઓની તરફ આપણે જોઈએ, તો ખબર પડે છે કે ભારતનું લોકતંત્ર કેટલું મજબૂત છે. બાંગ્લાદેશે જ્યારે લોકતંત્ર છોડીને લશ્કરી શાસનની રાહ પકડી તો તેની દુર્દશા થઈ ગઈ. પરંતુ હવે ફરીથી લોકતંત્રની રાહ પર છે અને પ્રગતિ કરી રહ્યું છે.

લોકો આજે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાની વાત કરવા લાગ્યા છે, જ્યારે દેશની મોટી વસ્તી 20 રૂપિયાથી ઓછી આવક પર જીવવા મજબૂર છે. આપણી સૌથી મોટી ચિંતા આ હોવી જોઈએ. વર્તમાનનો યોગ્ય રીતે સામનો કરવો જોઈએ, ત્યારે જ ભવિષ્ય સારું થઈ શકે છે. નહીં તો આવનારા આવતીકાલમાં મુશ્કેલી વધારે મોટી હોઈ શકે છે.

સૌજન્ય- અમર ઉજાલા

હવે કેટલાંક ભારતીયોથી આઝાદી જોઈએ



એમ. જે. અકબર

1920માં ગાંધીજી ઘણાં વધારે સુકૂનમાં હતા. તેઓ જાણતા હતા કે એક વખત લોકોમાં જાગૃતિ આવી જશે, તો આઝાદી માટે કોઈ રોકી શકશે નહીં. તે સમયથી 25 વર્ષ આગળનું જોઈ શકતા હતા. કદાચ 1947માં ગાંધીજી પચાસ વર્ષ આગળના ભારતને વાંચી શકતા હતા. ગાંધીજી આધુનિક ભારતની ઉપલબ્ધિઓથી જરૂર ખુશ હોત, પરંતુ જ્યાં સુધી માતૃભૂમિ પર ભૂખ અને ભ્રષ્ટાચાર ઉપસ્થિત રહેત, તેઓ આપણને શાંતિથી એક પળ માટે પણ ઉંઘવા દેત નહીં. 

આપણે 15 ઓગસ્ટ, 1947ના મૂળ કથાનકની કેન્દ્રીય ધુરી જ ગુમાવી બેઠા છીએ. આપણે વિચાર્યું કે એડવિના અને લોર્ડ માઉન્ટબેટનના મહેલ પર તિરંગો લહેરાવા માત્રથી જ આઝાદીની તે જંગ આપણે ફતેહ કરી લીધી છે, જેનો 1919માં મહાત્મા ગાંધીએ આગાજ કર્યો હતો. વાસ્તવમાં આ તો માત્ર આઝાદીની બીજી લડાઈની શરૂઆત હતી. 

અંગ્રેજોની વિરુદ્ધ લડવામાં આવેલી પહેલી લડાઈથી ઘણી વધારે મુશ્કેલ. આઝાદીની આ બીજી લડાઈ પોતાના જ સાથીદારો વિરુદ્ધ લડવાની હતી. આજે જ્યારે હું મારી આસપાસ વિખરાયેલી સમસ્યાઓને જોવું છું, જેનાથી આપણને હજી પણ મુક્તિ જોઈએ, તો અતીત અને વર્તમાન એકસાથે પોતાના મહત્વનો દાવો કરીને આમને-સામે આવી ઉભા હોય છે. આ પ્રાથમિકતામાં સૌથી ઉપર છે- ભૂખ. આ ભૂખ સુધી પહોંચવા માટે આપણે માઓવાદીઓના ગઢમાં ફેરવાઈ ગયેલા ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં જવાની જરૂરત નથી. આ વિસ્તારોમાં માઓવાદીઓએ કોઈ આદર્શવાદના સહારે લોકોને એકજૂટ કર્યા નથી. તેમણે તેમને માનવાધિકારના નામ પર જોડયા છે. એક દુર્બલ શરીર અને પીડિત આત્મા માટે પેટ ભરીને ભોજનનો અધિકાર વધારે મોટી વસ્તુ બીજી કઈ હોઈ શકે છે. માઓવાદીઓની બંદૂકમાંથી નીકળી ગોળીનો અવાજ હજી પણ માત્ર ગુર્રાહટ સુધી જ સમેટાયો છે. આ ભૂખ હજી ક્રોધમાં ફેરવાઈ નથી. 

ગરીબ અથવા ગરીબી કોઈ એવી અસલિયત નથી જેનાથી આપણો પનારો પડયો ન હોય. તે ભારતના સૌથી વધારે બગડેલા અને આત્મસંતુષ્ટિથી ભરેલા શહેર દિલ્હીની સડકો પર ઉંઘતા મળી શકે છે. એક નાના-મોટા શહેરની કિંમતને બરાબરના ગગનચુંબી એપાર્ટમેન્ટની બરાબર સામે ખુલ્લા મેદાનમાં મળી શકે છે. ગલીઓ આજે પણ તે અસાધારણ બાળકોની એક આખી પેઢી માટે એકમાત્ર આશરો છે, જે તે વખતે પણ પોતાના હોઠો પર મુસ્કુરાહટ માટે હોય છે. જ્યારે ભીખ માટે તેમનો હાથ આગળ વધતો નથી. એક બેઘર બાળકનું ભવિષ્ય શું હોય છે? શું જેલ જ તેનું રહેઠાણ છે? તિહાડ સુધી પહોંચનારા 90 ટકા કિશોરો પાસે સંપત્તિના નામ પર એક બીજું ખમીસ સુદ્ધાં હોતું નથી. આઝાદીના સાડા છ દશક બાદ પણ ભારત તેમને રહેઠાણના નામે માત્ર જેલની ચાર દિવાલો ઉપલબ્ધ કરાવી શક્યું છે. હું બિનજરૂરી રીતે કઠોર અથવા કર્કશ હોવાનો આભાસ આપવા માંગતો નથી. 

1947માં આપણને એક એવું ભારત મળ્યું, જ્યાં તેના પૂર્વ ભાગમાં આવેલા દુષ્કાળમાં માત્ર ત્રણ વર્ષમાં 40 લાખ લોકો માર્યા ગયા હતા. આ દુષ્કાળનું કેન્દ્ર બંગાળ હતું. અંગ્રેજોની ખોટી નીતિઓના કારણે આ દુષ્કાળની યાદો આપણે પાછળ છોડી દીધી છે. પંરતુ આ દેશની તે અડધો અબજ વસ્તીને દિલાસો આપી શકે નહીં જે આજે પણ કોઈપણ પ્રકારે પોતાની જિંદગીની ગાડીને ખેંચવા માટે દિવસ-રાત એક કરી દે છે. જિંદગીમાં 20 વર્ષની ઉંમર સુધી પહોંચતા-પહોંચતા જેમની આશા દમ તોડી નાખે છે. આખા ભારતને આગામી એક દશક સુધી આ ભૂખ અને બદહાલીની વિરુદ્ધ આઝાદીનો જંગ લડવાનો રહેશે. 

1947માં અંગ્રેજોના ગયા બાદ પેદા થયેલી ભાગ્યશાળી પેઢી પાસે આ આખરી મોકો છે. આ તેનું આખરી કર્તવ્ય છે. ઈતિહાસમાં રોકાયેલી આ અડધી રાતની પેઢી આજે પોતાની જિંદગીના શિખર પર છે. તેનો વિચાર કાચની જેમ સ્પષ્ટ છે. તે ભ્રષ્ટ ભારતીયોથી આઝાદી ચાહે છે. એ માનવું મૂર્ખતાપૂર્ણ હશે કે માત્ર બીજો માણસ ભ્રષ્ટ છે. જો ભ્રષ્ટાચાર માત્ર શક્તિશાળી મંત્રીઓ સુધી સીમિત છે, તો જેલમાં દોષિત લોકો માટે પુરતી જગ્યા છે. ભ્રષ્ટાચાર ઘાતક છે, કારણ કે તેનું મૂળ સિસ્ટમમાં સૌથી નીચે સુધી જાય છે. 
પાસપોર્ટ કાર્યાલયમાં ઉપસ્થિત ક્લાર્કથી લઈને જિલ્લા અધિકારીના કાર્યાલયમાં ઉપસ્થિત બાબુ અને કોન્સ્ટેબલ સુધી, દરેક પોતાના ખિસ્સામાં કંઈકને કંઈક નાખી રહ્યો છે. મુક્તિ મેળવવાની પ્રાથમિકતા યાદી ઘણી લાંબી છે. ભારતીયોને પક્ષપાત, પાખંડ, ચાપલુસી, મૂર્ખતાથી મુક્તિ જોઈએ. તેમાં ચાપલુસી સૌથી ખતરનાક છે. તે પોતાના નેતાના અહમને તુષ્ટ કરવા માટે સત્યને તોડમરોડ સાથે રજૂ કરે છે. દરેક પાર્ટી આ બીમારીથી દોષિત છે. 

15 ઓગસ્ટે જ્યારે યૂનિયન જેકની જગ્યાએ તિરંગો લહારાયો, ત્યારે આ ખ્વાબને સાકાર કરનારા મહાત્મા ગાંધી આઝાદીનો ઉત્સવ મનાવવાનું નૈતિક સાહસ એકઠું કરી શક્યા ન હતા. તે દિલ્હીમાં ચાલી રહેલા ઉત્સવનો ભાગ ન હતા. તેઓ કોલકત્તામાં ભારતીયોને ભારતીયોથી બચાવવાની કોશિશમાં લાગેલા હતા. બેલગછિયામાં જ્યારે બીબીસીએ તેમનો ઈન્ટરવ્યૂ કર્યો, તો તેઓ આ આઝાદીની પ્રશંસામાં કોઈ શબ્દ શોધી શક્યા ન હતા. માનવતાના વિધ્વંસ વિરુદ્ધ તેઓ એક એકલવાયી લડાઈ લડી રહ્યાં હતા. 1947ની સરખામણી 1919 અને 1920માં ગાંધીજી કંઈક વધારે સુકૂનમાં હતા. તેઓ જાણતા હતા કે એક વખત લોકોમાં જાગૃતિ આવી જશે, તો પછી આઝાદી માટે કોઈ રોકી શકશે નહીં. તેઓ સમયથી 25 વર્ષ આગળનું જોઈ શકતા હતા. 

કદાચ 1947માં ગાંધીજી પચાસ વર્ષ આગળના ભારતને વાંચી શકતા હતા. ગાંધીજી આધુનિક ભારતની ઉપલબ્ધિઓ પર જરૂર ખુશ હોત, પરંતુ જ્યાં સુધી માતૃભૂમિ પર ભૂખ અને ભ્રષ્ટાચાર હાજર રહેત, તેઓ આપણને શાંતિથી સુવા દેત નહીં.


સૌજન્ય- પ્રભાત ખબર

Monday, 8 August 2011

સમાજને ખોખલો કરી રહેલો ભ્રષ્ટાચાર



સોમનાથ ચેટર્જી

ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે લોકો આંગળી ઉઠાવી રહ્યાં છે, તેમણે પણ પોતાના અંતરમાં જોવું જોઈએ. તેમને પણ એ અહેસાસ થવો જોઈએ કે તેઓ કેટલા પાણીમાં છે. એ જોવું પણ જરૂરી છે કે કરપ્શન કેવી રીતે થઈ રહ્યું છે. કેવી રીતે આ સમાજમાં દરેક જગ્યાએ પગ પહોળા કરી રહ્યું છે. કરપ્શનને સમાજની ચિંતામાં ડૂબેલા કેટલાંક લોકો જ પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેને વધુ મજબૂત કરી રહ્યાં છે. મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલા રહેવા માટે ઘણાં લોકો ભ્રષ્ટાચારના મુદ્દા પર હો-હલ્લો મચાવી રહ્યાં છે.
આજે કંઈક દુ:ખનો વિષય બની ગયો છે, ભ્રષ્ટાચાર. ભારતની આઝાદીને 60થી વધારે વર્ષો થઈ ચુક્યા છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના ઈતિહાસમાં ભ્રષ્ટાચાર સૌથી મોટી સમસ્યા બની ગઈ તે દુર્ભાગ્યજનક છે. આ આપણા માટે શરમજનક ઘટના છે. ભ્રષ્ટાચાર મોટામોટા લોકો કરે છે. આ તે લોકો છે, જેમની પાસે પૈસા છે, પાવર છે. જેમને કોઈ બાબતની પરવાહ નથી. પરંતુ ભ્રષ્ટાચારની વિરુદ્ધ જે લોકો આંગળી ઉઠાવી રહ્યાં છે, તેમણે પણ પોતાની અંદર જોવું જોઈએ. તેમને પણ એ અહેસાસ હોવો જોઈએ કે તે કેટલાં પાણીમાં છે. એ જોવું પણ જરૂરી છે કે કરપ્શન કેવી રીતે થઈ રહ્યું છે. કેવી રીતે આ સમાજમાં તે દરેક સ્થાને પગ ફેલાવી રહ્યું છે. 

કરપ્શનને સમાજની ચિંતામાં ડૂબેલા કેટલાંક લોકો જ પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેને વધુ મજબૂત કરી રહ્યાં છે. મીડિયાની હેડલાઈન્સમાં છવાયેલા રહેવા માટે પણ ઘણાં લોકો ભ્રષ્ટાચારના મુદ્દા પર હો-હલ્લા કરી રહ્યાં છે. એટલે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારતી નિપટવું આસાન નથી. તેના વિરુદ્ધ આપણે વ્યાપક તૈયારી સાથે ઉતરવું પડશે. નાની ઉંમરથી જ બાળકોને કરપ્શન વિરુદ્ધ શિક્ષિત કરવાની જરૂરત છે. જ્યાં સુધી આવું નહીં થાય, આપણે કરપ્શનને રોકી શકીશું નહીં. કરપ્શન આપણા દેશને ખાઈ રહ્યું છે. તેના કારણે સમાજનો વિકાસ પણ રોકાય ગયો છે. હાલમાં જે પ્રકારે કરપ્શન વધી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે. તેનો પાયો ઘણો મજબૂત છે અને તેની મર્યાદામાં યુવા વર્ગ ઘણી ઝડપથી આવી રહ્યો છે. 

મહાનગરોથી લઈને નાના શહેરો સુધીમાં મોટામોટા શોપિંગ મોલ ઉભાં થઈ ગયા છે. આવા શોપિંગ મોલ, જેમાં પ્રવેશ કરવા બાબતે આમ આદમી વિચારી પણ શકતો નથી. આ શોપિંગ મોલમાં ખરીદી કરવા માટે યુવાવર્ગ લલચાયેલો છે. તેના માટે યુવક-યુવતીઓ ખોટા રસ્તે જઈ રહ્યાં છે. શોપિંગ કરવું છે, તો તેમને પૈસા જોઈએ. તેમને મોટા ઘરના બાળકોને બતાવવું છે કે તેમની પાસે પણ પૈસા છે. આ જોવાનું છે, જેના કારણે તેઓ કોઈપણ ખોટું કામ કરવાથી ચુકતા નથી. એટલે કે કરપ્શન આપણા યુવાવર્ગને ઝડપથી નિશાન બનાવી રહ્યું છે. તે સમાજને ખોખલો બનાવી રહ્યું છે. ભ્રષ્ટાચારનું નેટવર્ક ઘણું મજબૂત છે. 

ચારે તરફ તેની જાળ ફેલાયેલી છે. તેને પ્રોત્સાહન આપવા માટે ચારે તરફથી નાણાંનો વરસાદ થઈ રહ્યો છે. મે જોયું કે લોકપાલ બિલ વિરુદ્ધ કેટલાંક લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. એવું લાગે છે કે જેમકે તે લોકો જ બધું જાણે છે. અન્ય લોકો તો માત્ર તમાશો જોઈ રહ્યાં છે. પરંતુ હકીકત કંઈક બીજી જ છે. અસલમાં તેઓ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરપ્શન વિરુદ્ધ હો-હલ્લામાં સામેલ થઈ ગયા છે. તેના માટે મીડિયા દોષિત છે. મીડિયામાં એક વર્ગ એક વિશેષ ક્લાસ માટે કામ કરી રહ્યો છે. 

મીડિયાનું વલણ પક્ષપાતપૂર્ણ છે. તે કોઈ એક પક્ષના કરપ્શનને છુપાવી, વિરોધ પક્ષના ખોટા કામને ઉભારી રહ્યું છે. આવું ક્યારેય ન થવું જોઈએ. અખબારોમાં કોર્પોરેટ હાઉસ તરફથી મોટીમોટી જાહેરાતો આપવામાં આવી રહી છે, તેના માટે નાણાં ક્યાંથી આવે છે. હકીકતમાં પોતાના પ્રચાર માટે તેઓ ભ્રષ્ટાચારનો સહારો લઈ રહ્યાં છે. આ ઘણું દુખદ છે. કરપ્શનને રોકવા માટે દ્રઢ માનસિકતાની જરૂર છે. હું કરપ્શનમાં સામેલ થઈશ નહીં- આપણે આ માનસિકતા સાથે આગળ વધવું પડશે, ત્યારે આપણે કરપ્શનને જડબાતોડ જવાબ આપી શકીશું.

-(સોમનાથ ચેટર્જી- લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ સાથે સુદીપ સરકારની વાતચીત પર આધારીત, સૌજન્ય-પ્રભાત ખબર)

Monday, 1 August 2011

વ્યવસ્થા પરિવર્તનની દરકાર



સુભાષ કશ્યપ

સંસદનું મોનસૂન સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષની તૈયારીઓને જોઈને એ શંકા પ્રબળ થઈ રહી છે કે આ સત્ર હંગામાની ભેંટ ચઢી શકે છે. શું હોઈ શકે તેનાથી બચવાના રસ્તા, આ મુદ્દા પર પેશ છે, એક બંધારણવિદ્દનો દ્રષ્ટિકોણ.

સંસદનું મોનસૂન સત્ર સોમવારથી શરૂ થયું છે. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી યુપીએ સરકાર આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની ઘોષણા કરી ચુકી છે. બીજી તરફ વિપક્ષ ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દા પર સરકારને ઘેરવા માટે કમર કસી ચુક્યો છે. તેવામાં આમ લોકો એ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે આ સત્ર પણ હંગામાની ભેંટ ચઢી શકે છે. સંસદ સત્રને હંગામાથી બચાવવાનો શું છે રસ્તો, આ એક રાજકીય પ્રશ્ન છે અને તેનો હલ પણ રાજકીય પક્ષોને જ મળી-બેસીને કાઢવો પડશે.

કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો ગૃહમાં અવ્યવસ્થા ન થાય, કાર્યવાહી સુચારુરૂપથી ચાલી શકે અને સંસદની ગરિમા બનેલી રહે, તેના માટે અનેક જોગવાઈ છે. અધ્યક્ષ મહોદય કડક પગલાં ઉઠાવી શકે છે. અડચણ પેદા કરનારા સાંસદોને કાઢી શકાય છે. આ સંદર્ભે ભૂતકાળના ઉદાહરણો પણ છે, જ્યારે એક દિવસમાં 60થી વધારે સાંસદો ગૃહમાંતી કાઢી મૂકાયા હતા. પરંતુ ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને સરકારને બે તૃતિયાંશ બહુમતી હાસિલ હતી. આજે સરકારની બહુમતી અત્યંત ઓછી અને સંદિગ્ધ છે. ટેકો આપનારા ક્યારે તેમની વિરુદ્ધ થઈ જાય, કહી શકાય તેમ નથી. આવા વાતાવરણમાં સત્તાપક્ષ માટે એ સંભવ નથી કે વિપક્ષના હંગામા કરી રહેલા તમામ સાંસદોને બહાર નીકાળી દેવાય.

રાજકીય દ્રષ્ટિથી પણ જોઈએ, તો વિપક્ષી સાંસદોને નીકાળીને સંસદને શાંતિપૂર્વક ચલાવવી કેટલી યોગ્ય-અયોગ્ય હશે, તેના પર પણ ઘણી ચર્ચા થઈ શકે છે. તેવામાં હાલ એ રસ્તો જ બચે છે કે બંને પક્ષ સાથે મળી ઈમાનદારીથી રસ્તો કાઢે, જેનાથી સંસદની ગરિમા પર કોઈ આઘાત ન થાય. બંને પક્ષ એક એવી સમજૂતી કરે, જેના તત્વાધાનમાં ગૃહ સુચારુ રીતે ચાલી શકે. પરંતુ એવી કોઈ સમજૂતી સુધી પહોંચવા માટે બંને પક્ષોએ ઈમાનદારીથી પહેલ કરવી પડશે. બંને પક્ષોએ એક હાથે આપવાની અને બીજા હાથે લેવાની નીતિ અપનાવવી પડશે. સત્તાપક્ષે વિપક્ષની કેટલીક માગણીઓ માનવી પડશે, જ્યારે વિપક્ષે પણ પોતાની કેટલીક માગણીઓ પર હઠનો ત્યાગ કરવો પડશે. 

સત્ર શરૂ થતાં પહેલા સર્વપક્ષીય બેઠકની જોગવાઈનો આ હેતુ છે. પરંતુ સામાન્ય રીતે બંને પક્ષો સત્ર શરૂ થતાં પહેલા આવી કોઈ સમજૂતી સુધી પહોંચવાની ઈમાનદાર કોશિશ કરતાં નથી. બાદમાં હંગામો થવાથી સત્તા પક્ષ આરોપ લગાવે છે કે વિપક્ષ ગૃહની ગરિમાનું હનન કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ આરોપ લગાવે છે કે સરકાર તેમની માગણીઓ પર ધ્યાન ન આપીને ગૃહનો અનાદર કરી રહી છે, તેઓ તો યોગ્ય કોશિશ કરી રહ્યાં છે કે સરકાર જનતાનો અવાજ સાંભળે, જેથી લોકતંત્ર મજબૂત બની રહે. સંભાવના એ છે કે આ સત્રમાં પણ અમે અને તમે સત્તાપક્ષ તથા વિપક્ષ વચ્ચે આવી જ રસ્સાકશી થતા જોશો.

આ સમસ્યાની જડ આપણી રાજકીય વ્યવસ્થામાં છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે જ્યારે પણ કોઈ પક્ષની તરફથી ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે છે, તો બીજો પક્ષ પોતાનો બચાવ કરવાની જગ્યાએ એ કહે છે કે તમે પણ ભ્રષ્ટ છો. સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર બંને પક્ષોમાં ઘર કરી ચુક્યો છે. કોઈપણ દૂધનો ધોયેલો કહી શકાય તેમ નથી. 

હકીકતમાં આપણી રાજકીય વ્યવસ્થા જ એવી છે કે જેમાં તમામ પક્ષોને ભ્રષ્ટ બનવા માટે મજબૂર થવું પડે છે. કોઈપણ પક્ષને પોતાનો રાજકીય કાર્યક્રમ ચલાવવા અને ચૂંટણીમાં ભાગ લેવા માટે કરોડો-અબજો રૂપિયા જોઈએ. હવે કોઈ વ્યક્તિ નિ:સ્વાર્થ ભાવથી ઘોષિત ધન તો આ પક્ષોને દાનમાં આપશે નહીં, માટે આ પક્ષો માટે આવકનું સાધન બને છે અમીરોનું કાળું ધન અને ભ્રષ્ટાચાર. તેવામાં માત્ર એ કહેવાથી કે ભ્રષ્ટાચાર માટે રાજનેતા અને રાજકીય પક્ષ દોષી છે, અથવા પછી તેમના ઉપર જનલોકપાલ અથવા કોઈ અન્ય નામથી કોઈ પહેરો બેસાડી દેવાતી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય. આ ભ્રષ્ટાચારથી લડવાનો એક જ રસ્તો છે વ્યવસ્થાગત પરિવર્તન. આ પરિવર્તનની શરૂઆત જો કોઈ એક પગલાંથી કરવાની છે, તો આ પગલું લોકપાલ બિલન ન હોઈ શકે. તેના માટે પહેલું પગલું હશે ચૂંટણી સુધારનું. એક એવો સુધારો, જેનાથી રાજકીય પક્ષો માટે ભ્રષ્ટાચાર મજબૂરી ન રહી જાય અને જનતાના સાચા પ્રતિનિધિ ચૂંટાઈને સંસદમાં પહોંચે. જ્યારે સંસદમાં સારા લોકો ચૂંટાઈને આવશે, તો ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા અને યોગ્ય નીતિઓ બનાવવા માટે આટલી માથાકૂટની જરૂર પડશે નહીં. 

અત્યારે લોકસભાના 150થી વધારે સાંસદો પર આપરાધિક મામલા ચાલી રહ્યાં છે. ત્રણસોથી વધારે સાંસદો કરોડપતિ છે, તેવું તેમણે ખુદ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે. બીજી તરફ 78ટકા સાંસદો એવા છે કે જેમના પક્ષમાં ઓછા, વિરોધમાં વધારે મત પડયા છે. ચૂંટણીની આવી વ્યવસ્થાથી ચૂંટાઈને આવેલા લોકોને જનતાના સાચા પ્રતિનિધિ કહેવા પર પણ સવાલ ઉઠે છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત સાંસદોની સંખ્યા પણ નિરાશાજનક છે. જ્યારે ગૃહમાં આવા સાંસદો બેઠા હોય તો તેમની પાસે જનહિતના મુદ્દા પર ચર્ચાની આશા કેવી રીતે કરી શકાય છે? આ ચર્ચાથી બચવા માટે તેઓ હંગામો કરશે જ.
કેટલાંક સમય પહેલા મીડિયાએ દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ માહોલ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેનાથી સરકારને જ્યારે વ્યવસ્થા પરિવર્તનનું જોખમ મહેસૂસ થવા લાગ્યું, તો તેમણે જનાતનું ધ્યાન ભ્રષ્ટાચારથી હટાવીને લોકપાલ બિલ પર લગાવી દીધું. હવે લોકપાલ બિલનો મુસદ્દો કરીને ચર્ચાને એ તરફ વાળી દીધી છે કે વડાપ્રધાન લોકપાલ હેઠળ લાવવામાં આવવા જોઈે કે નહીં. આ આખી કવાયત ભ્રષ્ટાચારથી આમ જનતાનું ધ્યાન હટાવવાની સમજી-વિચારીને કરાયેલી સાજિશ છે. 

આપણે કોઈ એવી રાજકીય અને ચૂંટણી વ્યવસ્થા પર ચર્ચા કેમ કરતાં નથી, જેમાં એક સાચા અને ઈમાનદાર વ્યક્તિ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચે. એવો ભ્રષ્ટ વ્યક્તિ વડાપ્રધાન તરીકે ચૂંટાય જ નહીં કે જેના પર પહેરો બેસાડવો પડે. અને પછી તમે કેટલાં પર પહેરા બેસાડી લેશો? વડાપ્રધાન પર પહેરો કરનાર જ ભ્રષ્ટ થઈ જાય તો શું તેની ઉપર, પછી તેનાથી પણ ઉપર વધુ એક પહેરો બેસાડતા જઈશું?
સમય આવી ગયો છે કે હવે ભ્રષ્ટાચાર ખતમ કરવાના અને સંસદની ગરિમાને બચાવવાના છીછરા પ્રયાસો બંધ કરી આ સમસ્યાના મૂળ પર પ્રહાર કરવામાં આવે. રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં એવો ફેરફાર કરવામાં આવે, જેનાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે અને જનતાના સાચા હમદર્દ જ ચૂંટાઈને સંસદ સુધી પહોંચે.
(સૌજન્ય- પ્રભાત ખબર)