Showing posts with label જનલોકપાલ. Show all posts
Showing posts with label જનલોકપાલ. Show all posts

Tuesday, 6 September 2011

સરકાર પર અંકુશનો સવાલ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અન્ના હજારેના આંદોલનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ અને મતદારો વચ્ચે ઘેરી તિરાડ પડી ચુકી છે. સંસદીય લોકશાહીનો મૌલિક અધિકાર છે કે સાંસદ મતદાતાઓના હિતમાં કાર્ય કરશે, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં સાંસદોનો પ્રયત્ન મતદાતાઓને ફોસલાવી તેમના મત હાસિલ કરવા માત્રનો રહી ગયો છે. 17મી સદીમાં થયેલા વિચારક જીન જૈક્વેસ રોસેના વિચારોના આધારે જ આધુનિક લોકશાહીને સૃજિત કરવામાં આવી છે. તેમણે લખ્યું હતું કે, આ સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે કે ચૂંટાયેલા લોકો જનતા પર શાસન કરે જ્યાં સુધી એ સુનિશ્ચિત કરવામાં આવે કે તેઓ જનહિતમાં શાસન કરશે, પોતાના વ્યક્તિગત હિત માટે નહીં. આજે આપણા સાંસદ વ્યક્તિગત હિતમાં શાસન કરી રહ્યાં છે, માટે આ વ્યવસ્થા વિકૃત અને અમાન્ય થઈ ગઈ છે. સાંસદો દ્વારા બંધારણની દુહાઈ આપીને પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવી વ્યર્થ છે. આ મહાન સંસ્કૃતિના પાછલા પાંચ હજાર વર્ષોમાં ન જાણે કેટલાં બંધારણ આવ્યા અને ગયા. આ બંધારણ પણ ચાલ્યુ જશે. બંધારણની દુહાઈ આપવી એવી રીતે છે જેમ વસિયતનામાના આધારે આજે કોઈ વ્યક્તિ પોતાની પૈતૃક જમીનદારીનો હક માંગે. આ પ્રકારે આપણા સાંસદ એક દસ્તાવેજના આધારે પોતાની સર્વોચ્ચતા સિદ્ધ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. 

બંધારણીય લોકશાહીના સ્વાર્થી થઈ જવાનું મૂળ કારણ પાર્ટીતંત્ર અને વ્હિપનો અધિકાર છે. દલબદલ કાયદા હેઠળ વ્યવસ્થા કરવામાં આવી છે કે પાર્ટીના અધિકારી સાંસદોને કોઈ પ્રસ્તાવ પર વિશેષ પક્ષમાં વોટિંગ કરવા માટે બાધ્ય કરી શકે છે. જેમ કોંગ્રેસ અને ભાજપ પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને આદેશ આપી શકતા હતા કે જનલોકપાલ બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવામાં આવે. મતદારો જનલોકપાલ બિલના પક્ષમાં હોય તો પણ સાંસદને બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવું પડશે, નહીંતર તેને પાર્ટી અથવા સંસદમાંથી બરતરફ કરવામાં આવશે. માટે સાંસદ દ્વારા નાખવામાં આવેલો મત પાર્ટીના અધિકારીઓના આદેશ પર નિર્ભર હોય છે, સાંસદના વિવેકને આધારે હોતો નથી. જનતાની ભૂમિકા માત્ર એટલી છે કે તે નક્કી કરી શકે છે કે તેના હિતોનું હનન કોઈ રામભરોસે કરશે કે મોહમ્મદ ઈશફાક? સાંસદ વોટ ક્યાં પક્ષમાં નાખશે, તેને નિર્ધારીત કરવાનો જનતાનો અધિકાર છીનવી લેવાયો છે. 

વ્હિપ સિવાય પણ મતદારો અપ્રાસંગિક છે. સાંસદો અને ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટીના અધિકારીઓને અનુરૂપ વોટ આપવો પડશે. માટે જનલોકપાલ બિલ પારિત થઈ જાય તો પણ સુશાસનની મૂળ સમસ્યા જેમની તેમ જ રહેવાની છે. જનલોકપાલની નિમણૂક બાદ પણ સાંસદ જનવિરોધી નીતિઓ બનાવતા રહેશે. મોટી કંપનીઓના લાભ માટે ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક અધિગ્રહીત થતી રહેશે. ચિકન અને પિત્ઝાનો કારોબાર કરનારી બહુરાષ્ટ્રીય કંપનીઓને લાભ પહોંચાડવા માટે નાગરીકોના આરોગ્યને દાવ પર લગાવવામાં આવશે. વિદેશી કંપનીઓ દ્વારા બનાવાયેલી નવી દવાઓની તપાસ માટે ભારતીય નાગરીકોની બલિ દેવાતી રહેશે. 

અમીરોના એરકન્ડિશનર ચલાવવા માટે દેશની નદીઓની હત્યા થતી રહેશે. અમેરિકી પરમાણુ ઊર્જા કંપનીઓને લાભ પહોંચાડવા માટે ભારતની સ્વતંત્રતાને સીમિત કરી દેવામાં આવશે, વગેરે. જનલોકપાલ કાયદાથી આ જનવિરોધી કાર્યોને સંપાદીત કરવામાં મંત્રીઓ દ્વારા લેવામાં આવનારી લાંચ પર કંઈક અંકુશ જરૂરથી લાગી શકે છે, પરંતુ જનવિરોધી નીતિઓને બનાવવામાં સહેજ પણ રોક લાગશે નહીં. જો કોઈ વિશેષ નીતિ પર આંદોલન ઉભું થઈ જાય અને સંસદ ઘૂંટણિયા ટેકવી દે તો પણ વાત બનતી હોય તેમ નથી, કારણ કે જનઆંદોલન દરરોજ ઉભું થતું નથી, જેમ સરકાર બળજબરીથી ખેડૂતોની જમીનનું અધિગ્રહણ કરવા માટે કાયદો બનાવવા માટે તૈયાર છે. જન આંદોલનથી આ કાયદો રોકાય ગયો તો પણ ક્લિનિકલ ટ્રાયલ, જંક ફૂડ, નદીઓની હત્યા, દેશની સ્વતંત્રતાને ગિરવી રાખવાનું ચાલુ રહેશે. 

જન આંદોલનને થકવાડીને ઢીલું કરવામાં સરકાર માહિર છે. મારું નિશ્ચિત માનવું છે કે જનલોકપાલ બિલના પક્ષમાં પ્રસ્તાવ પારિત કરવા છતાં સંસદ તેને પારિત કરશે નહીં. જનતા થાકી જશે અને આ આંદોલન સમાપ્ત થઈ જશે. કેટલાંક સમય પહેલા આ પ્રકારના અનશન પર્યાવરણવિદ્દ ડૉ. ગુરુદાસ અગ્રવાલે કર્યા હતા. આપવામાં આવેલા આશ્વાસનથી સરકાર બે વખત પાછી હટી ગઈ. ત્રીજી વખત 37 દિવસના ઉપવાસ બાદ સરકારે ગંગા પર ઉત્તરકાશીની ઉપર લોહારીનાગપાલા બંધને રોકવાની માગણી માની, પરંતુ આજે ફરીથી સરકારે પોતાના વાયદાથી પીછેહઠ કરી છે અને એક મોટી પરિયોજનાના સ્થાન પર મોટી સંખ્યામાં નાની પરિયોજનાઓના માધ્યમથી ગંગાની હત્યા કરવા માટે તૈયાર છે. ઉપવાસ અને જનઆંદોલનને લાંબા સમય સુધી ચાલુ રાખવા કઠિન હોય છે. માટે પાર્ટીઓ અને સાંસદોનો વ્યક્તિગત સ્વાર્થ હાવી થઈ જાય છે અને જનતા થાકીને મૂક સંમતિ આપી જ દે છે. 

આ સમસ્યાના સમાધાન માટે લાંબાગાળાની વ્યવસ્થા બનાવવી પડશે. જેથી સંસદ પર સતત અંકુશ રાખી શકાય. આપણે સમજી લેવું જોઈએ કે સરકારનું મૂળ ચરિત્ર જ જનવિરોધી હોય છે. આ જનવિરોધી સરકાર દ્વારા જનલોકપાલ બિલ પારિત થઈ જાય, તો તે ચોર દ્વારા મંદિરમાં પૂજા કરવા જેવું હશે. તેમ છતાં પણ અન્ના હજારે આંદોલનને અંકુશની એક સફળ કડીના રૂપમાં જોવું જોઈએ. 

આ લાંબાગાળાની વ્યવસ્થા બનાવવામાં આપણે આપણી પરંપરાઓમાંથી બોધપાઠ લઈ શકીએ છીએ. પ્રોફેસર ઈલા ઘોષ જણાવે છે કે કાલિદાસના રઘુવંશમાં અધ્યાપક, પુરોહિત, મંત્રી અને જનતાને ધૂર્ત શાસક પર નિયંત્રણ કરવાનું માધ્યમ બતાવાયા છે. આ નિયંત્રણ વ્યવસ્થાના ઘણાં બિંદુ છે. એક, તેમના દ્વારા શાસક પર આરોપ લગાવી શકાય છે, જેવી રીતે રાજીવ ગાંધી પર બોફોર્સ મામલામાં લગાવાયો હતો. બીજું, તેના દ્વારા શાસકની ટીકા કરી શકાય છે. શાસકના કાર્ય પ્રત્યે લોકો અસંમતિ વ્યક્ત કરી શકે છે. ત્રણ, તેમના દ્વારા ધરણાં, અનશન, ઘેરાવ વગેરે થઈ શકે છે. ચાર, જનતા દ્વારા શાસકને શ્રાપ આપી શકાય છે. શ્રાપથી શાસકની આંતરીક શક્તિનો હ્રાસ થાય છે અને તે ખોટા કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. પાંચ, સંતોની અગ્નિને છોડી શકાય છે, જેમ રાજા સાગરના પુત્ર માર્યા ગયા હતા. છ, જનતા શાસક પર અવિશ્વાસ કરીને તેના કાર્યોમાં અસહયોગ કરી શકે છે, જેવી રીતે સરકાર કહે છે કે દિકરીને દહેજ ન આપો, પરંતુ જનતાએ દિકરીના અધિકારને છીનવી લેવાનો ઈન્કાર કર્યો છે. આ તમામ ઉપાયોથી સરકારના મૂળ જનવિરોધી ચરિત્ર પર અંકુશ લગાવી શકાય છે. એક આંદોલનથી સરકારનું ચરિત્ર કંઈ બદલાશે નહીં. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Sunday, 21 August 2011

થોડી વિનમ્રતા પણ જોઈએ


તવલીન સિંહ

અન્ના હજારે વિરુદ્ધ હાલના સમયમાં કંઈપણ બોલવું ભગવાન વિરુદ્ધ બોલવા સમાન છે. તેમ છતાં પણ બોલવા મજબૂર છું, એક જવાબદાર પત્રકાર હોવાના નાતે. પરંતુ ફરીયાદ કરતાં પહેલા તેમના આંદોલનની સારી વાતોનો ઉલ્લેખ પણ કરવા ચાહું છું. સૌથી સારી વાત તો એ માનું છું કે 20 વર્ષના લાંબા અરસા બાદ જ્યારે ઉત્સાહિત નવયુવાનો, વિદ્યાર્થીઓના સરઘસ દિલ્હીની સડકો પર ઘણાં સારાં લાગ્યા. એ પણ સારું લાગ્યું કે આ વખતે તે શિક્ષણ સંસ્થાઓમાં પછાત જાતિઓ માટે અનામતનો વિરોધ કરવા માટે સડકો પર ઉતર્યા નથી. આ વખતે દેશભક્તિનો અંદાજ દેખાઈ રહ્યો છે, પ્રદર્શનકારીઓમાં. હાથમાં તિરંગો છે અને મુખ્ય સૂત્ર છે, વંદેમાતરમ

અન્નાએ એક એવી પેઢીમાં દેશભક્તિની જ્યોતિ જગાવી છે, જે માત્ર પોતાના ભલા માટે કંઈક કરે છે. પ્રદર્શનકારીઓને ધ્યાનથી જો તમે જોવો, તો તેમાંના મોટાભાગના મધ્યમવર્ગના લોકો છે, જેમણે એ જૂનું ભારત જોયું નહીં હોય, જેમાં ન તો ચમકતો માલ હતો, ન મોબાઈલ ફોન, ન ઈન્ટરનેટ, ન સંપન્નતાના આસાર. સ્પષ્ટ છે, નવા ભારતમાં પેદા થયેલી પેઢીને દેશની ઓછી પરવાહ છે અને પોતાની વધારે, તો તેમનામાં દેશભક્તિ જગાડવી ઘણી મોટી ઉપલબ્ધિ છે. આ કાર્યમાં અન્નાની જીવથી મદદ કરી છે ખાનગી ટીવી ચેનલોએ અને તેમાં કોઈ વાંધો પણ નથી. દૂરદર્શનના જમાનામાં અન્નાનો ચહેરો, તેમના અનશન ક્યારેય ટીવી પર દેખાડવામાં આવત નહીં. અન્નાથી મને ફરીયાદ છે તો એટલી કે તેઓ અજાણતા પોતાના સમર્થકોને ગુમરાહ કરી રહ્યાં છે, ઘણી રીતે. પહેલા તો એ કહેવાથી કે સંસદમાં જે પણ પહોંચે છે, રાજકીય ચોરીથી પહોંચે છે. આવું કહેવું માત્ર ખોટું નથી, ખતરનાક પણ છે. કારણ કે તેમના મોટાભાગના સમર્થક એવા છે જેમને ન તો લોકતંત્રની સમજ છે, ન રાજકારણની. ભારતનું લોકતંત્ર આપણી શાન છે. તેને જીવિત રાખ્યું છે દેશભક્તોએ ઘણાં તોફાનોમાંથી પસાર થયા બાદ. સંસદ આ લોકતંત્રનું ચમકતું પ્રતીક છે, જેનું મુખ્ય દાયિત્વ કાયદો બનાવવું છે. સંસદમાં જો ખોટા પ્રકારના લોકો પહોંચ્યા છે, તો તેમની વિરુદ્ધ નિશંકપણે અવાજ ઉઠાવી શકાય છે, પરંતુ સંસદની મજાક ઉડાડવી ખોટું છે. માટે જ્યારે અન્ના આમરણ અનશન પર બેઠા છે, એ નક્કી કરીને કે તેમનું લોકપાલ વિધેયક સંસદે સ્વીકારવું જ પડશે, તો તે સંસદને નીચું દેખાડી રહ્યાં છે.

તેમના આંદોલન સાથે એવા લોકો જોડાયા છે, જે એમના કહેવા પર માની ગયા છે કે ભ્રષ્ટાચારનો સંપૂર્ણ ઈલાજ છે એક શક્તિશાળી લોકપાલ. પોતાના દિલમાં કદાચ અન્ના પણ જાણે છે કે આવું થવાનું નથી, કારણ કે ભ્રષ્ટાચારના મૂળિયા ઉંડા છે આ દેશમાં અને એટલા ફેલાયેલા છે કે નાનામાં નાના ગામનો નાનામાં નાનો અધિકારી પણ લાંચ લે છે. આમ નાગરીકથી લઈ ધનવાનમાં ધનવાન ઉદ્યોગપતિને લાંચ આપવા માટે મજબૂર કરે છે સરકારી અધિકારી અને રાજનેતા. પરંતુ અન્નાના આંદોલનમાં જોડાયેલા છે એવા લોકો, જે વારંવાર દોહરાવે છે આ જૂઠ્ઠાણું કે ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર જીવિત છે, ભ્રષ્ટાચારને કારણે. ભારતે જો ગત 20 વર્ષોમાં સંપન્નતાના રસ્તા પર પગ મૂક્યો છે, તો તેમાં ભારતીય ઉદ્યોગપતિઓનું યોગદાન વધારે અને સરકારનું ઓછું છે. પરંતુ અન્નાની ટીમમાં એવા લોકો છે, જે ભારતીય ઉદ્યોગપતિઓને દેશના દુશ્મન કહે છે.

અન્નાના આંદોલનની આખરી આલોચના મારી તરફથી એવી છે કે તેમણે પોતાની સાથે એવા સાથીઓ જોડયા છે, જે માત્ર ખુદને જ ઈમાનદાર માને છે. મે હમણાં જાણવાની કોશિશ કરી હતી કે મેઘા પાટકરની સતત હવાઈ યાત્રાનો ખર્ચો ક્યાંથી આવે છે, તો ખબર પડી કે તેમની બિનસરકારી સંસ્થા રજીસ્ટર્ડ ન હોવાથી, તેમના ખર્ચાનો પણ હિસાબ કોઈ રાખતુ નથી. તેમના કાર્યાલયમાં ફોન કર્યો તો તેમના એક સાથીએ જણાવ્યું કે તેમનો ખર્ચ જનતાના નાણાંથી પૂરો થયા છે. આટલી અમીર છે દેશની જનતા, તો પછી તેમની સંસ્થાની શું જરૂરત?

અન્નાની ટીમમાં તમામ લોકો બિનસરકારી સંસ્થાઓ ચલાવે છે, તો એ પુછવાનો અધિકાર છે આપણને કે તેમની આવક-ખર્ચાનો હિસાબ છે કોઈ? મારો વ્યક્તિગત અનુભવ એ છે કે જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત છે, દૂધથી ધોયેલા ઓછાં જ લોકો મળે છે આ દેશમાં, આંગળીઓ ઉઠાવનારા વધારે મળે છે. અન્નાના સાથીદારોની આદત બની ગઈ છે કે બીજા પર આંગળીઓ ઉઠાવે. જરૂરત છે થોડી વિનમ્રતાની, થોડાક અસલી ગાંધીવાદીની, જે હજી સુધી અન્નાના સાથીદારોમાં જોવામાં આવ્યા નથી.

સૌજન્ય- અમર ઉજાલા

Saturday, 20 August 2011

બ્રાન્ડોનો આમનો-સામનો



સુધીશ પચૌરી

મીડિયા દેખાડી રહ્યું છે. અનશન કરતાં અન્ના મંચ પર સુતા છે. પછી તેઓ બેઠેલા નજરે પડે છે. 

રવિવારની બપોર છે. બ્રાન્ડ-સરકાર વિરુદ્ધ બ્રાન્ડ-અન્નાનો મુકાબલો છે. સરકારી લોકપાલ અને સિવિલ સોસાયટીનું જનલોકપાલ મહીનાઓથી આમને-સામને છે. તેના નિર્માતાઓમાં મુકાબલો છે. તમામ મજબૂત લોકપાલ ચાહે છે. મજબૂતીનું બજાર છે. એવા એન્કરોની કોઈ અછત દેખાતી નથી જે અન્નાને આવતા જોઈને ખિલી ઉઠે છે. તે મીડિયાના રામલીલા મેદાનના કવરેજને એક મનચાહેલા અવસર તરીકે દેખાડે છે અને અન્ના તથા જનલોકપાલના પક્ષમાં નજરે પડે છે. તેઓ સરકારને વિપક્ષમાં દેખાડે છે અને સિવિલ સોસાયટીના પક્ષમાં નમેલા નજરે પડે છે. સલામન ખુર્શિદે મીડિયાની જવાબદેહી પર સવાલ ઉઠાવ્યા છે. 

આપણું મીડિયા વિલોમોથી કામ કરે છે. તેમાં કેટલીક વિલોમ બાઈટો સતત બની રહી છે- જેમ કે સંસદ વિરુદ્ધ સડક, નેતા વિરુદ્ધ સિવિલ સોસાયટી, સંસદીયતા વિરુદ્ધ જનતા, સ્થાયી કમિટી વિરુદ્ધ સિવિલ કમિટી, સરકારનું બહેરાપણું વિરુદ્ધ મીડિયા, સીનાનો શોર, અવાક સરકાર વિરુદ્ધ ગોળો ફેંકતા લોકો! આ વિલોમ પણ ઘુળતા-મળતા છે. ઠહેરાવમાં નથી. પકડમાં આવતા નથી. દર્શક પણ તેમાં પોતપોતાના અર્થ શોધી શકે છે. વિલોમ રિમિક્સ થઈ જાય છે. કેટલાંક ભિન્નતા છતાં તે પ્રસ્તુતિ છે જે રામદેવ-લીલા પ્રસારણમાં જોવા મળી હતી. 

ભ્રષ્ટાચારનું મૂળ, મૂડીવાદનો અસલ ચહેરો જોવો મીડિયાના વશમાં નથી. ભ્રષ્ટાચારના મામલામાં તેમના મનમાં ચોર છે. તેઓ પણ તુરંત ફાયદો ચાહનારી કોમનસેન્સથી કામ કરે છે. તે કોઈ ભ્રષ્ટાચારીનને ઉત્તેજક બનાવીને દેખાડે છે. તે તેને દેખાડતા જ તુરંત મહાભ્રષ્ટાચારી અથવા સદીનો સૌથી મોટો ભ્રષ્ટાચારી બનાવીને દેખાડવા માટે આદી છે. તે એક જ કવરેજમાં આરોપ લગાવી, કલમ લગાડી, પોતાનો તાત્કાલિક ચુકાદો આપીને સજા પણ સંભળાવી દે છે. તે સામાજીક ન્યાયનું કિફિક્સ છે. જેનલોકપાલ પણ એક કિફિક્સની જેમ જ લેવા દેવામાં આવી રહ્યું છે. કિફિક્સનું બજાર ઉત્તેજક હોય છે. પરંતુ કિ- હોય છે-સેરિડોન અથવા એસ્પોની ગોળીની જેમ તાત્કાલિક દર્દ નિવારક. હજી ભ્રષ્ટ થયું, હજી ઠીક કરી દીધું. અલગ-અલગ મીડિયામાં ભ્રષ્ટાચારી પણ અલગ-અલગ હોય છે. તે જ ખાતામાં હેરાફેરી કરનારા, કાયદો તોડનારા, લાંચની લેતી-દેતીવાળા અથવા તેને જોવાવાળા ભ્રષ્ટાચારના પરિચિત ચહેરા છે. ભ્રષ્ટ માનસિકતા કેમેરાની પકડની બહાર છે. બનાવટી મેકઅપ અને સૌંદર્યીકરણના બજારમાં ચહેરાની પાછળ ચહેરાની આગળ ચહેરો છે. મ્હોરા છે અને ડાઘ પણ સારા છે. 

ભ્રષ્ટાચારનો કિફિક્સ શોધતું મીડિયા અને સિવિલ સોસાયટી જોર્જ આરવેલની ખ્યાતનામ નવલકથા ઉન્નીસો ચૌરાસીના બિગ બ્રધરની જરૂરત છે જે બધાંને જોશે, સજા આપશે પરંતુ જેને કોઈ જોઈ શકશે નહીં તેને સજા આપી શકાશે નહીં. જે કોઈના પ્રત્યે જવાબદાર નહીં હોય. જનલોકપાલ એવી જ કિફિક્સ બ્રાન્ડનો ભરમ આપે છે. 

ઉદારીકરણના ગત વીસ વર્ષોમાં, ફ્રી ગ્લોબલ માર્કેટ, ઈલેક્ટ્રોનિક ક્રાંતિ અને ફેસબુકી બ્લેકબેરીના એકાંતિક સક્રિય મેસેજ, નવી સાઈબર કમ્યુનિટીઝની આઝાદી અને જનતંત્રનો લાભ ઉઠાવી જાડી અને ખાઉધરી બનેલી મેટ્રો શહેરનો અંગ્રેજી મિડલ ક્લાસ અરસાથી તહરીર ચોક માટે આકળવિકળ છે. અન્નાનું આંદોલન જનક્રાંતિ બનતું ચાલ્યુ છે. ક્રાંતિમાં સામેલ થઈને પોતાના પાપને પ્રક્ષાલિત કરી પવિત્ર થવાય રહ્યું છે. એડ ગુરુ પ્રહલાદ કક્કડ ટીવીમાં કહે છે કે અન્ના પવિત્રતાના પ્રતિનિધિ છે. કબીર બેદી કહે છે કે જનલોકપાલ હોવો જરૂરી છે. શાહરૂખ ખાન પણ ખુદને અન્નાની સાથે ગણાવીને કહે છે કે સારું છે. ગજબની પોપ્યુલર બ્રાંડિગ છે. સાધનની પવિત્રતાથી સાધ્યની પવિત્રતાનો ગાંધીવાદી પરમ વિચાર આ તમાશામાં ખંડિત છે. આ ગાંધીવાદમાં સાધ્ય પ્રમુખ છે, સાધન ગમે તે હોય. પ્રહલાદને પવિત્રતાની બ્રાન્ડ દેખાઈ રહી છે. પાપ ધોવા માટે પવિત્રતાનું નિરમા જોઈએ.

ઉદારીકરણના વાતાવરણમાં ફ્રી માર્કેટમાં નિરપરાધિત, પોતાની જ વધેલી લાલચથી ભરેલા, મંદીની ખબરોથી વારંવાર વિચલિત નવો ઉપભોક્તા મિડલ ક્લાસ કઈ પવિત્રતાને શોધી રહ્યો છે? બ્રાન્ડમાં કઈ પવિત્રતા મળી શકે છે? આ મિડલ ક્લાસ પણ તો એક બ્રાન્ડ છે! આ પ્રકાંડ મલ્ટિ બ્રાન્ડિંગ છે. મીડિયા મસ્ત છે. મોટું દર્શક બજાર એકઠું થયું છે. આ સીનોની ઉન્મદ વિકટતા રોમાંચિત કરે છે. સાથે ડરાવે પણ છે. કેટલીક વાતો કહેવી પ્રતિબંધિત છે. કેટલાંક સવાલ પુછવાની મનાઈ છે. આ સરકારનું નહીં, સિવિલ સોસાયટી અને મીડિયાની સંયુક્ત કટોકટી છે. કેટલીક વાતો કહેતાની સાથે જ વીજળી પડે છે. તમે આ બાજુ નથી તો દુશ્મન છો. મીડિયાના તમામ દ્રશ્ય તરલિત યથાર્થ છે. હાઈપર છે. તમે તેને સ્થિર કરી શકો નહીં. 

ભ્રષ્ટાચાર જો ડાઘનું ચિન્હ છે, તો લોકપાલનો આઈડિયા નિરમા-ટિનોપોલ છે. ભ્રષ્ટાચાર સર્વાધિક હાઈપર તરલ ચિન્હ જે નિર્ગુણ બ્રાહ્મની જેમ દરેક જગ્યા, દરેક વાત અને દરેક વ્યવહારમાં છે. પરંતુ પકડથી પર છે. અવરોધથી પર છે. માયા સિદ્ધ લોકો ભ્રષ્ટાચારના નિર્ગુણ તત્વને પકડવાના મોહને પાળે છે. જનલોકપાલ હશે તો પાસઠ ટકા ભ્રષ્ટાચાર કપાશે. 35 ટકાનું શું થશે?  દ્રશ્યોનું મૂળ આકર્ષક જાદૂઈ તત્વ એ છે કે તમામ ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે. જ્યારે તમામ વિરુદ્ધ છે તો તેને ખતમ થયેલો માની શકાય છે. દ્રશ્ય અંતર્વિરોધી છે. મીડિયાએ અત્યાર સુધી ભ્રષ્ટાચારને ખૂબ વિખંડિત કસરી શકાય નહીં કારણ કે તે સપાટી પર જીત્યા છે. તત્વ ચિંતનની જગ્યાએ તમાશા દર્શન જ તેમનો ધંધો છે. અન્ના એક વ્યક્તિ હતા. પછી એક ગાંધીના પ્રતીક બન્યા. પછી એક પવિત્ર તત્વ બન્યા. હવે તે એક પવિત્ર બ્રાન્ડ છે. બ્રાન્ડની પોઝિશનિંગ કરવામાં આવી ચુકી છે. પોઝિશનિંગ ગજબની છે. મીડિયાને અન્નાની એક્શન વગર મોલે મળ્યું છે. સિવિલ સોસાયટીને મીડિયા મફતમાં મળ્યું છે. બંને પૂરક છે. 

પ્રોડક્ટ ઓફ ધ ઈયરના વિજ્ઞાપન વિશેષજ્ઞ ચારુલતા રવિવકુમાર બ્રાન્ડિંગ અન્ના હજારે નામની ટિપ્પણીમાં આમ લખે છે- બ્રાન્ડ પ્રતીક હોય છે. સપના જગાડે છે. જો તે ડિલીવર કરતાં નથી તો તે ટકાઉ નથી. નિસંદેહ આ વખતે બ્રાન્ડ અન્ના સર્વાધિક નવોન્મેષી, સર્વાધિક મત હાસિલ કરનારા અને સર્વાધિક ચર્ચિત છે. અન્ના આ વર્ષના સૌથી મોટી બ્રાન્ડ છે. તેમ છતાં અન્નાજી, એ તો બતાવો કે તમારી એજન્સીનું નામ શું છે?

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

અન્નાનું આંદોલન: કેટલીક છૂટક ટિપ્પણીઓ

વિમાંશુ દિવ્યાલ

અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

અદભૂત! બેમિસાલ! રાજધાની દિલ્હીમાં આવી વિશાળ ભીડ, આવો જન ઉભાર, લોકાની આવી દિવાનગી, આવો ઝનૂની ઉત્સાહ! રાજઘાટ હોય અથવા છત્રસાલ સ્ટેડિયમ, તિહાડ હોય અથવા રામલીલા મેદાન, જ્યાં અન્ના રહ્યાં ત્યાં જનતાનું ઘોડાપૂર ઉમટી પડયું, ત્યાં આંદોલન ઉભરી ઉઠયું. એકવાર તો એ નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું કે અન્ના તિહાડ જેલમાં કેદ છે અથવા તિહાડ જેલ અન્નાની કેદમાં છે. પોલીસે અન્નાને કસ્ટડીમાં લીધા છે અથવા અન્નાએ પોલીસને. સરકારે અન્નાને પ્રતિબંધિત કર્યા છે અથવા અન્નાએ સરકારને. હવે ચાહે કોઈ કંઈપણ કહે, અપાર જનસમૂહે અન્નાને ભ્રષ્ટાચાર વિરોધના પ્રતીકમાં બદલી નાખ્યા છે. વ્યક્તિ અન્ના વૃદ્ધ હોય અથવા મનીષ તિવારી માથાથી પગ સુધી ભ્રષ્ટ પરંતુ પ્રતીક અન્ના એટલા ભારે-ભરખમ થઈ ગયા છે કે કોઈપણ વ્યક્તિગત નિંદા અથવા આરોપ અથવા ટીકા આ અન્નાને હાલ નાના કરી શકે નહીં. તેનાથી આગળ સરકારનું જે થવાનું હતું તે થયું. અન્નાનું આંદોલન વિજય તરફ અગ્રેસર છે. લક્ષ્યગત સફળતા બીજી વાત છે. 

આહ કોંગ્રેસ આહ!

ખરેખર હેરાની થાય છે કે દેશની સૌથી અનુભવી અને સૌથી શક્તિશાળી રાજકીય પાર્ટી અને કેન્દ્રમાં આસિન તેની સરકાર આટલી બાળકબુદ્ધિ અને ક્ષુદ્ર રીતે એક આવા આંદોલનકારીથી નિપટવાની કોશિશ કરશે જેની જનશક્તિનો સાક્ષાત્કાર તે પહેલા પણ કરી ચુકી હતી. તેના પ્રવક્તા જેટલાં વધારે વ્યક્તિગત મોટા પ્રહાર અન્ના પર કરી રહ્યાં હતા, તેઓ તેટલાં જ નાના અને વેંતિયા નજરે પડી રહ્યાં હતા. પોતાની પાર્ટી અને સરકારની છબી પર એટલી જ કાળાશ નાખી રહ્યા હતા. અન્નાના આંદોલનને નહીં ખુદ પોતાની પાર્ટી અને સરકારને જ આરોપીના પાંજરામાં ઉભા કરી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ સરકારે પોતાની વાત મીડિયાની સામે મૂકી તો લોકોએ તેમના તમામ તર્કો સંદર્ભે આંખ આડા કાન કર્યા. સંસદની સર્વોચ્ચતાનો તેનો તર્ક જનતાએ ધડમૂળથી નકારી દીધો. તે સમજી શકી નહીં કે અન્નાના બહાને લોકો સંસદને નહીં, પરંતુ એ વેંતિયાઓને નકારી રહ્યાં છે કે જેમણે સંસદને પંગુ બનાવી દીધી છે. જે ચાલો-કુચાલોથી તેમણે બાબા રામદેવને આસમાનથી પાતાળમાં પાડી દીધા હતા, તે ચાલો-કુચાલોએ અન્નાના મામલામાં ખુદ તેમને જ એ પ્રકારે જમીન પર ફેંક્યા કે તેઓ ધૂળ પણ ખંખેરી શકે તેમ નથી. 

બહોત ખૂબ મીડિયા!

અન્નાના આંદોલનની ટીઆરપી એટલી મોટી હતી કે તેની નીચે મીડિયાની તટસ્થતાએ દબાઈને દમ તોડી નાખ્યો. અન્ના સમર્થક સરકારની આટલી મારક આલોચના-ટીકા કરી શકતા ન હતા કે જેટલી તેમના પક્ષમાં ઉભા રહીને મીડિયા કરી રહ્યું હતું. મીડિયા અન્નાનું અતિરંજીત યશોગાન કરી રહ્યું હતું, અન્નાની તૂતી બનીને બોલી રહ્યું હતું, અન્નાની જેલમાંથી બહાર આવવાની યાત્રા પર એવી લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યું હતું કે જેમ ગણતંત્ર દિવસની પરેડના પ્રસંગે તેની યશોગાથા ગાનારા ઉદ્ઘોષણા કરે છે. તે અન્ના સમર્થક ભીડનો ભાગ બની ગયું હતું અને ઉત્સાહી ભીડની તર્જ પર જ પ્રશસ્તિવાચન કરી રહ્યું હતું. ચેનલોની પ્રતિસ્પર્ધા એ હતી કે બિરુદાવલિમાં કોણ સૌથી ઉપર રહે. આખા મીડિયા વેપારમાંથી તે ઠહેરાવ ગાયબ હતો જે કોઈ ઈતર વૈચારીક હસ્તક્ષેપનો અવકાશ બનાવે છે. તમામ ચર્ચા અન્ના સમર્થક અને કોંગ્રેસી પ્રવક્તાઓના તર્કો અને પ્રતિતર્કોની ધરી પર ટંગાયેલી રહી, જેમાંથી નેવું ટકા ચર્ચા સંચાલક અન્નાના પક્ષણાં હસ્તક્ષેપ કરતા રહ્યાં અને પોતાની રીતે ચર્ચાનો નિષ્કર્ષ અન્નાના પક્ષમાં પહોંચાડતા રહ્યાં. ભીડની આગળ સારા-સારા લોકોનો વિવેક કામ કરવાનું બંધ કરી દે છે, પછી દેશનું હિંદી ઈલેક્ટ્રોનિક મીડિયા તો વિવેકના મામલામાં આમ પણ શૂન્યથી બે-ચાર ક્રમ ઉપર છે. 

કોંગ્રેસને સલાહ

કોંગ્રેસ પાર્ટી અને તેની સરકારે હવે એ ભ્રમમાં રહેવું જોઈએ નહીં કે તેમની સીમિત સમજદારી અને ઉલટી ચાલોને કારણે તેમનું કોઈ નુકસાન થયું નથી. ભરપાઈ માટે તેમણે એ કરવું જોઈએ જે અન્ના અને તેમના ટેકેદારો કરી રહ્યાં છે. કોંગ્રેસે પોતાના તમામ ધુરંધર પ્રવક્તાઓને દિલ્હીમાં કોઈ સારી જગ્યા જોઈ અને પોલીસ પાસેથી અનુમતિ લઈને અનશન પર બેસાડી દેવા જોઈએ. જે લોકો અન્નાના અનશનમાં સામેલ થવા ચાહતા નથી તે જરૂર તેમના અનશનમાં સામેલ થશે. જો તેમની વાતોમાં દમ હશે તો લોકો સાંભળશે. પરંતુ આ સમયે લોકો સાંસદો-મંત્રીઓ નહીં, અનશનકારીઓનું સાંભળવાના મૂડમાં છે. કોંગ્રેસને લોકોના આ મૂડને જરૂરથી ભાપવો અને માપવો જોઈએ.

અન્ના અને તેમના ટેકેદારોથી નિવેદન

મહાનુભાવો, તમારી સાથે આવેલો અપાર જનસમૂહ એ દર્શાવી રહ્યો છે કે લોકો ભ્રષ્ટાચારથી કેટલી હદે ઉબાઈ ગયા છે અને કેવી રીતે સંસદ પર કબજો જમાવી બેઠેલી જમાતો પ્રત્યે અવિશ્વાસ, ગુસ્સા અને નફરતથી ભરાયેલા છે. તેઓ તમારી તરફ વધુ આશાથી જોઈ રહ્યા છે અને ખુદને ભ્રષ્ટાચારથી લડવા માટે આપસમાં જોડી પણ રહ્યા છે. તેમ છતાં પણ એવા લોકો ઓછાં નથી જે તમારા આંદોલનને યોગ્ય માનવા છતાં પણ તેના દૂરગામી પરિણામને લઈને આશંકિત છે. તેઓ જાણવા ચાહે છે કે સંપૂર્ણ ક્રાંતિ, બીજી આઝાદી અને વ્યવસ્થા પરિવર્તનથી તમારું તાત્પર્ય શું છે? જો તમે ખરેખર લોકતાંત્રિક છો, તો તમારા અનશન મંચથી થોડીવાર માટે એમને નીચે ઉતારી દો જે તમારા નારાથી બંધાયેલી બિરુદાવલિ ગાઈ રહ્યાં છે. તેમને પણ બોલવા દો જે તમારા આંદોલનને લઈને આશંકિત છે અને અન્ય મત ધરાવે છે. કોંગ્રેસ-પ્રવક્તાઓને પણ આમંત્રિત કરી શકો છો. તેનાથી તમારા આંદોલનને શક્તિ મળશે, શિથિલતા નહીં. જોડાયેલા લોકો પણ પોતાનો સ્થિર મત બનાવી શકશે. નહીંતર ભીડનું શું છે, જેમ ભેગી થાય છે, તેમ વિખેરાઈ પણ જાય છે.

સૌજન્ય-રાષ્ટ્રીય સહારા

Thursday, 18 August 2011

બીજી આઝાદી (?)ની લડાઈ


લલિત સુરજન
સુપ્રસિદ્ધ સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના ઉદેશ્યથી લોકપાલ નિયુક્ત કરવા માટે પોતાનું તાજેતરના આંદોલનની શરૂઆત કરી હતી, પરંતુ ધીરેધીરે તેનું સ્વરૂપ બદલાતું ગયું અને હવે તો અન્ના વ્યવસ્થા પરિવર્તન તથા બીજી આઝાદીની લડાઈનું આહ્વવાન કરવા લાગ્યા છે. 15 ઓગસ્ટની સાંજે દિલ્હીમાં તેમણે પ્રેસની સામે વક્તવ્ય આપ્યું તેમાં જળ, જંગલ, જમીનના મુદ્દા પણ તેમણે ઉઠાવ્યા તથા વીસ રૂપિયા રોજી વિરુદ્ધ કરોડોની કમાણી તથા ભૂમિ અધિગ્રહણ કાયદા વગેરેની ચર્ચા કરી. તેમની વાતો સાંભળીને લાગે છે કે અન્ના હજારે સંભ્રમમાં છે અથવા લોકોને તેઓ ભ્રમમાં નાખી રહ્યાં છે. એ સંભાવનાથી પણ ઈન્કાર કરી શકાય નહીં કે તેઓ કોઈ અન્ય શક્તિઓના હાથમાં મ્હોરું બની ગયા છે. 

અન્ના હજારેને, જેમ કે બધાં જાણે છે, પોતાના ગામ રાલેગાંવ સિદ્ધિમાં ગ્રામ સુધારના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક લાગુ કરવાને કારણે સૌથી પહેલા ખ્યાતિ મળી. તેનો ઉપયોગ તેમણે મહારાષ્ટ્રમાં ભ્રષ્ટ રાજનેતાઓ વિરુદ્ધ મુહિમ છેડવામાં કર્યો જેમાં તેમને આંશિક સફળતા પણ મળી. એ હકીકત આપણે તાજેતરના વર્ષોમાં જોઈ છે કે કોઈ એક ક્ષેત્રમાં અનુકરણીય કામ કરનારા લોકોને નાયક બનાવીને તેમની છબીનો ઉપયોગ આવા અન્ય ક્ષેત્રોમાં પણ કરવાની કોશિશ કરવામાં આવી. જેના માટે તેઓ પૂરી રીતે તૈયાર ન હતા. ટી. એન. શેષન અને જી. કે. ખૈરનાર વગેરે તેના ઉદાહરણ છે. 

હું સમજું છું કે અન્નાની પણ સ્થિતિ કંઈક એવી થઈ રહી છે. રાલેગાંવ સિદ્ધિમાં તેમનું કામ આખા દેશમાં એક આદર્શ તરીકે માનવામાં આવે છે. તેમના માર્ગદર્શનમાં તેનું અનુકરણ અન્યત્ર પણ થઈ શકતું હતું, પરંતુ અન્નાએ વચ્ચે જ બીજો રસ્તો પસંદ કરી લીધો. જે પ્રકારે સારા ખેલાડીઓને કંપનીઓ પોતાના મોડલ બનાવી લે છે, તેવી રીતે અન્નાને પણ એક નવી મુહિમમાં મોડલ તરીકે ઉભા કરી દેવામાં આવ્યા. તેઓ હાલ જનલોકપાલ બિલના મસીહા તરીકે આપણી સામે છે, પરંતુ શું અન્નાએ આવા કોઈ બિલની જરૂરત, પ્રાસંગકિતા, ઉપયોગિતા, ઔચિત્ય વગેરે સંદર્ભે કોઈ વિચાર કર્યો હતો? પોતાના રાજ્યોમાં ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ આંદોલન કરનારા અન્ના શું એ જોઈ રહ્યાં ન હતા કે ગત એક વર્ષ દરમિયાન જ લોકપાલ વગર પણ ભ્રષ્ટાચારના મોટામોટા મામલાઓ ઉજાગર થયા છે. ત્યાં સુધી કે મોટા પ્રભાવશાળી લોકોને પણ જેલની હવા ખાવી પડી છે. શું તેનાથી એ નિષ્કર્ષ નથી નીકળ તો કે વર્તમાન વ્યવસ્થામાં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પુરતો અવકાશ છે, તો પછી લોકપાલની જીદ્દ શેના માટે?

જો તર્ક માટે લોકપાલની જરૂરિયાત માની પણ લેવામાં આવે તો તેના માટે કેવા પ્રકારની મુહિમ ચલાવી જોઈતી હતી? અન્ના હજારે અને તેમના સાથી પોતાના તરફથી એક સારો મુસદ્દો તૈયાર કરીને દેશની જનતા સામે રજૂ કરી શકતા હતા કે લોકપાલ આવો હોય. પરંતુ અન્નાએ તેની જગ્યાએ બીજો રસ્તો અપનાવ્યો. તેમણે સરકાર સાથે બેસીને મુસદ્દો તૈયાર કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો. અહીં તે સત્તાના ચરિત્રને સમજવામાં ચૂક કરી ગયા. તેમણે સંયુક્ત સમિતિની આટલી બેઠકોમાં સામેલ થવાની જરૂરત જ ન હતી. જે સૂચન પોતાના તરફથી આપવાનું હતું, તે તેઓ એક બેઠકમાં આપી આવત. એટલે કે કુલ મળીને તેમણે પોતાના પ્રસ્તાવોના પક્ષમાં સીધેસીધે જનમત એકઠો કરવો જોઈતો હતો, પરંતુ તેમણે આવું કર્યું નથી. 

એટલું જ નહીં. અન્ના હજારેએ સંસદની પ્રામાણિકતા પર પણ સવાલ ઉભો કર્યો અને ચૂંટણી પ્રણાલી પર પણ, તેમણે એ કહીને દેશની જનતાનું અપમાન કર્યું કે પૈસા અને શરાબથી વોટરોને ખરીદી શકાય છે. બીજા શબ્દોમાં તેમણે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર જ પ્રશ્ન ચિન્હ લગાવી દીધું. આવું કરતી વખતે શું અન્ના ઐતિહાસિક તથ્ય ભૂલી ગયા કે 1977થી લઈને અત્યાર સુધી દેશના મતદાતાઓએ તમામ લાલચો છતાં સરકારો બદલી છે. ક્યાંક એવું તો નથીને અન્ના લોકપાલ બિલની આડમાં યુપીએ ખાસ કરીને કોંગ્રેસ પર જ આક્રમણ કરવા ચાહતા હતા? કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ જે અપમાનજનક રીતે અન્ના પર આક્રમણ કર્યું, તે મને સ્વીકાર્ય નથી, પરંતુ અન્ના પર જવાબી હુમલો શું એટલા માટે કરવામાં આવ્યો કે કોંગ્રેસ પાર્ટી અન્નાના આંદોલન પાછળ સરકારને સંકટમાં નાખવાની સંધિ જોઈ રહી છે? જો આવું ન પણ હોય તો પણ ખુદ અન્નાના અનશન આચરણ કેટલાંક સવાલો ઉભા કરે છે. અન્ના એક તરફ પોતાને ગાંધીવાદી કહે છે, તેનો અર્થ એ થયો કે તેઓ સત્યાગ્રહ, અહિંસા અને સવિનય કાનૂન ભંગમાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ બીજી તરફ તેઓ ગાંધીના રસ્તાને છોડીને શિવાજીના માર્ગ પર ચાલવાની ઘોષણા પણ કરે છે. તેનો અર્થ એ થયો કે તેમને હિંસાથી કોઈ પરહેજ નથી. તેમનો દિલ્હીમાં જ અનશન કરવાનો આગ્રહ પણ સમજથી પર છે. મહાત્મા ગાંધી તો જ્યાં રહેતા હતા, ત્યાં ઉપવાસ કરી લેતા હતા. તેમણે બ્રિટિશ સરકારના કાયદાનું ઉલ્લંઘન કર્યું તો તેનો બચાવ કરવાની જગ્યાએ જેલમાં જવાનું તેમણે યોગ્ય માન્યું. અન્ના જો ગાંધીના રસ્તા પર ચાલત તો રાલેગાંવ સિદ્ધિમાં આંદોલન કરી શકતા હતા અને ત્યારે કદાચ મજબૂરીથી કોઈ દિવસે સરકારે તેમના દરવાજે આવવું પડત.

અન્ના હજારેએ 15 ઓગસ્ટની રાત્રે દેશવાસીઓને પોતાના ઘરોમાં અંધારું કરવાની જે અપીલ કરી, તે એક સ્વાધીન દેશની અસ્મિતાની બિલકુલ વિપરીત હતી. તેમણે લોકોને ઓફિસમાંથી રજા લેવાની પણ દરખાસ્ત કરી. આ શું વાત થઈ. જો તેમની પાસે ગાંધી જેવું નૈતિક બળ હોત તો લોકો રજા લઈને નહીં, પરંતુ રાજીનામું આપીને તેમના આંદોલનમાં સામેલ થઈ ગયા હોત. અન્નાએ 15 ઓગસ્ટની સાંજે મીડિયાને પોતાના પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે બંને સાથે મળીને લડાઈ લડશે. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે અન્ના હજારેને મીડિયાની ચરિત્રની બિલકુલ જાણ નથી અને તેમને જે ક્ષણિક પ્રસિદ્ધિ મળી રહી છે, તેનાથી તેઓ આત્મમુગ્ધ થતાં જઈ રહ્યાં છે. 

એક તરફ જ્યાં અન્ના હજારેની સરખામણી ગાંધી સાથે કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જયપ્રકાશ નારાયણ સાથે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે ખુલ્લેઆમ અન્નાનું સમર્થન કર્યું છે. ભાજપ વારંવાર કટોકટીની દુહાઈ આપી રહ્યું છે. ભાજપ કદાચ આ જ ચાહે છે કે એક વખત આવી પરિસ્થિતિ ખરેખર પેદા થઈ જાય, જેથી તેના પછી સત્તામાં આવવાનો મોકો તેને મળી શકે. પરંતુ હવે આ દેશમાં કટોકટી લાગવી અશક્ય છે અને તેવી પરિસ્થિતિ પણ આજે નથી. અન્ના હજારેનું વ્યક્તિત્વ જેપીની સરખામણીએ ઘણું નાનું છે અને તેમનું અનુકરણ કરવા માટે આજે કોઈ બીજો શરદ યાદવ અથવા તેમના જોવો કોઈ યુવા નેતા નથી. કુલ મળીને આ આંદોલનના કારણે જનતાનું ધ્યાન બીજી ઘણી બાબતો પરથી હટી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોને કદાચ આ સ્થિતિ અનુકૂળ લાગે છે.
સૌજન્ય- દેશબંધુ