Showing posts with label rajeev sachan. Show all posts
Showing posts with label rajeev sachan. Show all posts

Monday, 4 July 2011

રાજકારણના તળાવની બે માછલીઓ



રાજીવ સચાન, સૌજન્ય- દૈનિક જાગરણ

એ ગુજરાત સરકાર જ બતાવી શકે છે કે તેમણે ગોધારાની ઘટના બાદ ભડકેલા હુલ્લડોના રેકોર્ડ સુરક્ષિત રાખ્યા છે કે નહીં, પરંતુ એ બધાં જાણે છે કે જ્યારે તેને નષ્ટ કરવાના સમાચાર આવ્યા તો કોંગ્રેસે ભાજપ પર હલ્લો બોલાવી દીધો. તેનાથી ભાજપને કોઈ ફરક પડયો નહીં. તેણે કોંગ્રેસને 1984ના શીખ વિરોધી રમખાણોની યાદ અપાવી દીધી. એવું હંમેશા થાય છે. કોંગ્રેસ જ્યારે પણ ગુજરાતના હુલ્લડોની ચર્ચા કરે છે, તેને ભાજપ તરફથી આ સાંભળવાનું મળે છે કે તે 1984માં ભડકેલા શીખ વિરોધી હુલ્લડો દરમિયાન પોતાની ભૂમિકા યાદ કરે. જો કે આ બંને ઘટનાઓ આ બંને રાષ્ટ્રીય પક્ષોને શરમમાં નાખવા અને એ યાદ દેવડાવનારી છે કે કેવી રીતે 1984માં કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને 2000માં ગુજરાતની ભાજપ સરકારે પોતાના રાજધર્મનું પાલન કર્યું નહીં, પરંતુ તેઓ બંને ઘટનાઓની ચર્ચા કરીને ખુદને એકબીજા કરતા શ્રેષ્ઠ જવાબદાર હોવાનો દમ ભરતા રહ્યાં છે. આ આવું એકમાત્ર ઉદાહરણ નથી. ભાજપ જ્યારે પણ એ. રાજા, સુરેશ કલમાડી અને અશોક ચવ્હાણનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને ઘેરે છે, તો તે તેને યેદિયુરપ્પાની યાદ અપાવે છે અને ક્યારેક-ક્યારેક તો બિચારા એ બંગારુ લક્ષ્મણની યાદ અપાવે છે કે જેમણે માત્ર એક લાખ રૂપિયા લેવાની લાલચ કરી હતી અને તેના ચક્કરમાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. એ. રાજા, સુરેશ કલમાડી, અશોક ચવ્હાણ, યેદિયુરપ્પા અને બંગારુ લક્ષ્મણ ભારતીય રાજકારણમાં ખલનાયક જેવા બની ચુક્યા છે, પરંતુ કોંગ્રેસ-ભાજપ એકબીજાને મ્હાત આપવા માટે આ નેતાઓને યાદ કરે છે.

આ બંને ઉદાહરણ અપવાદ માત્ર નથી. સાચું તો એ છે કે આ બંને રાષ્ટ્રીય પક્ષો કોઈપણ રીતે એકબીજાની ખામીઓ-નબળાઈઓ અથવા જાણ્યે-અજાણ્યે થયેલા ખોટા કાર્યોમાંથી ઊર્જા પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. આ કોશિશમાં આ બંને પક્ષો દટાયેલા મડદા ઉખાડવામાં પણ સંકોચ કરતા નથી. કાશ્મીરની સમસ્યાની ચર્ચા છેડાવા પર ભાજપ નેહરુની ભૂલોને યાદ કરવા માટે 1947-48માં પહોંચી જાય છે, તો કોંગ્રેસ પણ ભાજપને ઘેરવા માટે દશકો જૂની ઘટનાઓનો ઉલ્લેખ કરવા માટે તૈયાર રહે છે. તે દેશને જણાવે છે કે કેવી રીતે ભાજપના નેતાઓએ દેશની આઝાદીના સંઘર્ષમાં યોગદાન આપ્યું નથી અને મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે કેવી રીતે ક્યારેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો.

જો ટીવી ચેનલોમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ-ભાજપના નેતાઓ આમને-સામને હોય તો તેમના દ્વારા જમીનમાં દટાયેલા મડદા ઉખેડવાની આશંકા વધી જાય છે. જ્યારે પણ કોઈ નેતા તર્કોથી ખાલી થઈ જાય છે, તો તે એ જ કહે છે કે તે પક્ષને આ મુદ્દા પર બોલવાનો કોઈ અધિકાર નથી, જેણે અમુક-અમુક મામલામાં આવુ કર્યુ હતુ. શું આનાથી મોટી અન્ય કોઈ ત્રાસદી હોઈ શકે કે આપણા રાષ્ટ્રીય પક્ષો પોતાના બચાવમાં એકબીજાના ખોટા કામોને ઢાલ બનાવે? હજી તાજેતરમાં જ્યારે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારો થયો અને ભાજપના નેતાઓએ કોંગ્રેસને ઘેરી તો કોંગ્રેસના પ્રવક્તાએ એ આંકડા લઈને સામે આવી ગયા કે એનડીએના શાસન સમયે કેવી રીતે કેટલી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા? જ્યારે તમામ કોંગ્રેસી નેતા રામલીલા મેદનમાં બાબા રામદેવના ટેકેદારોને ખદેડવાની ઘટનાને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેમાના કેટલાક આ કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે ન જાણે ક્યારે દિલ્હીમાં થયેલા વકીલો પરના લાઠીચાર્જને યાદ કરી રહ્યા હતા. સ્પષ્ટ છે કે એક પ્રકૃતિની અથવા સમાન પ્રભાવવાળી ઘટનાઓને ઢાલ બનાવવી જરૂરી નથી અને તેને બંગારુ લક્ષ્મણ દ્વારા લેવામાં આવેલી એક લાખની લાંચ અને સુરેશ કલમાડી દ્વારા સેંકડો કરોડો રૂપિયા અને એ. રાજા દ્વારા હજારો કરોડ રૂપિયાની ગોલમાલથી સમજી શકાય છે. સુરેશ કલમાડી અને એ. રાજાએ જે કંઈ કર્યું તેની સામે બંગારુ લક્ષ્મણનું કામ તો પાવલીની ચોરી જેવું હતું, પરંતુ કોંગ્રેસ કોઈપણ પ્રકારના સંકોચ વગર કલમાડી અથવા રાજના મુકાબલે બંગારુ લક્ષ્મણને ઉભા કરે છે. નેપાળથી અપહ્રત કરી કંધાર લઈ જવાયેલા ભારતીય વિમાનના બંધકોને બચાવવા માટે આતંકવાદીઓને મુક્ત કરવા અને સંસદ હુમલાના દોષિત ઠેરવાયેલા આતંકવાદી અફઝલને ફાંસી ન આપવા માટે દરેક સંભવ જતન કરવામાં ક્યાંય પણ કોઈ સામ્ય નથી. પરંતુ ભાજપ કોંગ્રેસ પર જ્યારે જ્યારે એ તહોમત લાગાવે છે કે તે આતંકવાદીઓ સાથે નિપટવામાં નરમાશ દેખાડે છે, ત્યારે ત્યારે કોંગ્રેસી એ ચાર આતંકવાદીઓને તેમની સામે ઉભા કરી દે છે, જેમને બંધકોના બદલમાં છોડવા પડયા હતા. 

ભાજપ અને કોંગ્રેસ એકબીજાની કમજોરીઓને ઉજાગર કરતી વખતે માત્ર કુતર્ક જ નથી કરતાં, પરંતુ ખુદને શ્રેષ્ઠ પણ બતાવતા હોય છે. આ સિવાય તેઓ એ છૂટ હાસિલ કરવાની કોશિશ પણ કરી રહ્યાં હોય છે કે તમારા ખોટા કામના આધારે અમને પણ ખોટું કામ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. આ કંઈક એવું છે કે જેમ કોઈ મહિલા માત્ર એટલા માટે પોતાના પતિને મારવા લાગે, કારણ કે તેની પડોસણ આમ કરે છે. આ બંને પક્ષોએ ઘમાં એવા કામ કર્યા છે કે જે ખોટા હતા, પરંતુ ભૂતકાળમાં ઉપલબ્ધ ઉદાહરણો તેમની આડ બન્યા છે. બંને પક્ષોના રંગ-ઢંગ જે કંઈ બતાવી રહ્યાં છે, તે એ છે કે તેઓ એકબીજાની આડ લઈને ખાડામાં જઈ રહ્યાં છે અને રાજકીય પરિદ્રશ્યને દૂષિત પણ કરી રહ્યાં છે. સત્તામાં રહેતી વખતે પોતાના અધિકારોનો દુરુપયોગ કરવો અને ભ્રષ્ટાચારને સંરક્ષણ આપવામાં બંને પક્ષો એક જેવા જ દાગદાર છે. પરંતુ બંને એવું પ્રગટ કરે છે કે તેમના જેવા નેક અને નૈતિકતાવાદી અન્ય કોઈ નથી. નિશંક કોંગ્રેસ અને ભાજપ એક જેવા નતી અને તેને કારણે બંને પક્ષોના સંચાલનનો ઢાંચો અલગ છે, પરંતુ એકબીજાના ખોટા કામોને પોતાના માટે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં તેમના બંનેનો કોઈ હરીફ નથી. શું એ વાતમાં હવે કોઈ સંકોચ છે કે તળાવ રૂપી ભારતીય રાજકારણને હવે બે માછલીઓ ગંદું કરી રહી છે?

(રાજીવ સચાન દૈનિક જાગરણના એસોસિએટ એડીટર છે)