Showing posts with label આતંકવાદ. Show all posts
Showing posts with label આતંકવાદ. Show all posts

Thursday, 28 July 2011

કટ્ટરપંથી હિંસાનો નવો ચહેરો



અશ્વિની કુમાર, ટાઆઈએસએસમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર

આતંકવાદને કોઈપણ રીતે રાજકીય લક્ષ્યોને હાસિલ કરવાનો પ્રયત્ન કહી શકાય નહીં. આ માત્ર બળજબરીની વાત કરે છે, એ વ્યક્તિની વાત કરતો નથી કે જેની ઓળખ જ તેના સામાજીક સંબંધો અને ખાનગી અધિકારોથી થાય છે. 

મુંબઈમાં બોમ્બ વિસ્ફોટો અને ઓસ્લોમાં ફાયરિંગની ઘટનાએ કટ્ટરપંથી આતંકવાદના ક્રૂર અને બદસૂરત ચહેરાની ફરીથી યાદ અપાવી દીધી છે. જો કે ઓસ્લોનું ફાયરિંગ પશ્ચિમના બહુસંસ્કૃતિવાદ વિરુદ્ધ ધૃણાની પરિણતિના રૂપમાં સામે આવ્યું છે, પરંતુ કટ્ટરપંથીઓના વૈશ્વિક આતંકવાદથી તેના તાર ઉંડાણથી જોડાય છે. દુખદ એ છે કે મુંબઈ અને નોર્વે, બંને સ્થાનોની હિંસામાં સમજી-વિચારીને રણનીતિ હેઠળ માનવ સ્વતંત્રતાની અવધારણાને નિશાન બનાવવામાં આવી છે. ઉટોયા દ્વીપમાં એક કેમ્પમાં સામેલ નિર્દોષ કિશોરો અને દાદરમાં મહેનતકશ મધ્યમવર્ગ, મુંબઈના ઝવેરી બજાર અને ઓપેરા હાઉસમાં કારોબીઓ તથા ગુજરાતના વ્યવસાયિકોની હત્યાઓએ કટ્ટરપંથી હિંસાનો નવો ચહેરો ઉજાગર કર્યો છે. આ હત્યાઓને ન તો દુશ્મન દેશ દ્વારા અંજામ આપવામાં આવી છે અને ન આ કોઈ ગૃહ યુદ્ધની પરિણતિ છે.
26/11ની દુખદ હિંસા પર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ડિસેમ્બર-2008માં આપવામાં આવેલા મારા ભાષણમાં મે આ વાત પર ચર્ચા કરી હતી કે શું કટ્ટરપંથીઓની આવી હિંસાને નવા પ્રકારની હિંસા કહી શકાય છે, જે માત્ર સંપૂર્ણપણે અત્યાધુનિક જ નથી, પરંતુ નિશ્ચિતરૂપે રાજનીતિ વિરોધી પણ છે. સાથે જ આ કોઈ હિતની જગ્યાએ વિશ્વાસની શક્તિથી પ્રેરીત છે. ધ્યાન આપો, નોર્વેની ઘટનાને અંજામ આપનારા 32 વર્ષીય હત્યારા બ્રેવિલે હાલમાં ટ્વિટર પર એ સંદેશ પ્રસારીત કર્યો હતો કે વિશ્વાસથી ભરેલો એક વ્યક્તિ માત્ર પોતાના હિતોની ચિંતા કરનારા એક લાખ લોકોની સેના બરાબર છે.

પારંપરીક યુદ્ધોની ક્રૂરતા અને 20મી સદીના અધિનાયકવાદી શાસનથી વિપરીત મુંબઈ અને અન્ય સ્થાનોની આતંકવાદી હિંસા માત્ર અપ્રત્યાશિત અને બિનરાજકીય નથી, પરંતુ ક્રૂરતાનો ચરમ ઉત્સવ જેવી છે. ઈન્ટરનેટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા બ્રેકિંગ ન્યૂઝ તરીકે તેના મિનિટે મિનિટના કવરેજથી તેને અંજામ આપનારાઓને માનસિક ઊર્જા મળે છે. આ કવરેજથી આતંકવાદને આસાનીથી દર્શક અને શ્રોતાઓ મળી જાય છે. તેવામાં એ માનવું એક મોટી ભૂલ હશે કે આધુનિક આતંકવાદી ઘટના હિંસાનું તે જૂનું સ્વરૂપ છે, જેને અલ્જીરિયાઈ ક્રાંતિકારી ફ્રેંજ ફેનને ધરતી પરનું કલંક કહ્યું હતું. હિંસાનું આ નવું સ્વરૂપ પોતાના પગમાં ધાનના ખેતરોનું કીચડ લગાવવા અથવા દુનિયાના કોઈ ગરીબ વિસ્તારની ગંદી ફેક્ટરી સુધી પહોંચવા ઈચ્છુક નથી. વાસ્તવમાં વૈશ્વિક આતંકવાદનો સાર સ્વચ્છતા અને અરાજનીતિકરણમાં નિહિત છે, જ્યાં તેને પ્રસિદ્ધિ માટે પુરતો પ્રચાર મળી જાય છે. 

આ કારણ છે કે આપણને એ જાણીને આશ્ચર્ય નથી થતું કે મુંબઈવાસીઓ એકસાથે મોતના શોકમાં પણ ડૂબેલા છે અને હેરી પોટર સીરીઝની નવી ફિલ્મનો જશ્ન પણ મનાવી રહ્યાં છે. આ નવી હિંસા મોતનો શોક મનાવવા અને જીવનનો જશ્ન માનાવવા સંબંધિત પરંપરાગત ગ્રંથિઓને મિટાવી દે છે. વિડંબણા એ છે કે કટ્ટરપંથી આતંકવાદને સમૂહવાદી ક્રાંતિ (જેમાં ધાર્મિક અને શૈક્ષણિક સમૂહોને સામેલ કરી શકાય છે) અને માહિતીની ક્રાંતિની જોડિયા પ્રક્રિયાથી ઊર્જા મળી રહી છે. 

રાષ્ટ્ર રાજ્ય કાયદાકીય રૂપથી વૈદ્ય અને ધર્મનિરપેક્ષ પ્રકારની હિંસાનનો સહારો લે છે. તેનાથી વિપરીત નવ આતંકની પ્રણાલી યુદ્ધનો ઉભાર લઈ રહેલી વૈશ્વિક નૈતિક આર્થિકીમાં નિહિત છે. વિડંબણા એ છે કે આતંક આજે આંદોલનોના આંદોલનના રૂપમાં વિકસિત થઈ ગયો છે. તેણે પોતાનામાં જૈવિક, વિકેન્દ્રીત અને પરસ્પર જોડાયેલા ઈન્ટરનેટના માર્ગોની પેટર્ન પર વિકસિત કરી લીધો છે. તેવામાં એ કોઈ આશ્ચર્યની રીતે આવતું નથી કે આતંકી ઘટનાની જવાબદારી આજકાલ ઈમેઈલ દ્વારા જ લેવાય છે. આતંકની આ સ્વયં ગતિશીલ હોવાની પ્રકૃતિ એ વાતની વ્યાખ્યા કરે છે કે આતંકવાદી એક એક કેન્દ્રીકૃત અને સંગઠિત સંગઠનના સ્થાને અસ્થિર, સતત રૂપ બદલીને અદ્રશ્ય સત્તા સંરચનાને પોતાના અસ્તિત્વને બચાવી રાખવા અને હુમલાઓને અંજામ આપવા માટે વધારે યોગ્ય સમજે છે. 

રાષ્ટ્ર રાજ્યોના યુદ્ધોની જૂની હિંસા મોટીમોટી નિયમિત સેનાઓ દ્વારા અંજામ આપવામાં આવતી હતી. તેનો ખર્ચ સાર્વજનિક મહેસૂલના સહારે ઉઠાવવામાં આવતો હતો. જૂની હિંસાના ઘણાં સ્વરૂપ સાર્વજનિક પ્રકારના પણ હતા. તેમાં સડકો પર થનારી હિંસા, જાતીય હિંસા વગેરે સામેલ હતા. તેનાથી વિપરીત નવી હિંસાનો જન્મ ગુપ્ત રૂપે થાય છે. એ કારણ છે કે જો આપણે આતંકવાદી હુમલાખોરોને ઓળખી પણ લઈએ છીએ, તો તેના નેટવર્ક સુધી પહોંચવાનું મોટાભાગે સંભવ હોતું નથી. નવી હિંસાના સોદાગર બિલકુલ ગુમનામ સ્વરૂપે રહે છે. કારણ સ્પષ્ટ છે કે કોઈને ફિદાયીન બનાવાની ટ્રેનિંગ સાર્વજનિક રીતે આપી શકાય નહીં. તેવામાં સતત એકલાપણું અને ગુપ્ત રૂપે રહેવાની સ્થિતિ આતંકવાદીઓમાં એક પ્રકારે સાર્વજનિક સ્થાનોથી પ્રતિશોધની ભાવના ભરે છે. 

ધ્યાન આપવા યોગ્ય છે કે ઓસ્લોનો આતંકવાદી એક ઈમિગ્રેશન વિરોધી પાર્ટીનો સભ્ય હતો. તે બહુસંસ્કૃતિવાદ અને ઈસ્લામના વિરોધમાં બ્લોગ લખતો હતો. તેના સંદર્ભે એ કહી શકાય કે ભારતના તથાકથિત ભગવા આતંકવાદમાં પણ કટ્ટરપંથી વૈશ્વિક આતંકવાદના સહયોગી બનાવાની ક્ષમતા છે. આતંકવાદને કોઈપણ પ્રકારથી પોતાની રીતે રાજકીય લક્ષ્યોને હાસિલ કરવાનો પ્રયાસ કહી શકાય નહીં. આ મૂળ સ્વરૂપે રાજકારણ વિરોધી અને નિશ્ચિત રૂપે શૂન્યવાદી (નિહિલિસ્ટિક) છે. કારણ કે આ માત્ર બળજબરીઓ અને ઓળખની વાત કરે છે, એ વ્યક્તિની કોઈ વાત કરતું નથી કે જેની ઓળખ જ તેના સામાજીક સંબંધો અને ખાનગી અધિકારોથી થાય છે. 

એક પ્રકારથી મુંબઈ અને ઓસ્લોની આતંકવાદી ઘટનાઓને એ ચરમ વિશિષ્ટતાવાદી હિંસક આધુનિક પરિયોજનાને આગળ વધારવા સ્વરૂપે જોવી જોઈએ, જે માણસ અને તેની સ્વતંત્રતાને નિરર્થક માને છે. ભારત જેવું વિશાળ લોકતાંત્રિક રાષ્ટ્ર પોતાને એક ડરમાણા સિક્યોરિટી સ્ટેટમાં બદલી શકે નહીં. આવું કરવાથી પોતાની મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવાની તેની ક્ષમતા સમાપ્ત થઈ જશે.
(સૌજન્ય- પ્રભાત ખબર)

Monday, 18 July 2011

આતંકવાદ પર ક્ષુદ્ર રાજકારણ



બલબીર પુંજ
(કોંગ્રેસ પર રાજકીય લાભ માટે આતંકવાદ વિરુદ્ધ નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યાં છે, બલબીર પુંજ)

શું ભારત અમેરિકાની તર્જ પર આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ જીતી શકે છે? જો વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રતીક્ષારત વડાપ્રધાન કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના નિવેદનોને જોઈએ તો નિરાશા હાથ લાગે છે. વડાપ્રધાન કહે છે કે આતંકી હુમલાની ભનક ગુપ્તચર વિભાગને ન લાગવાને કારણે આતંકવાદી હુમલો કરવામાં કામિયાબ રહ્યાં. બીજી તરફ રાહુલ ગાંધી આતંકવાદી હુમલો રોકી શકવો બેહદ મુશ્કેલ ગણાવી રહ્યાં છે. તેમના અવિવેકી નિવેદનના બચાવમાં ઉતરેલા દિગ્વિજય સિંહ માને છે કે ભારત ઓછામાં ઓછું પાકિસ્તાનથી તો સારું છે, જ્યાં રોજ બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યાં છે. આ કેવી માનસિકતા છે?

અમેરિકામાં 9/11એ થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની જે કડક વ્યવસ્થા કરવામાં આવી તેને કારણે ફરીથી એકપણ આતંકવાદી ઘટના ત્યાં થઈ નથી. તેનાથી વિપરીત ભારતમાં આતંકવાદી કોઈપણ જગ્યાએ હુમલો કરવા માટે સક્ષમ થઈ રહ્યાં છે. કારણ? આ પહેલા 26/11એ મુંબઈ પર મોટો હુમલો થયો હતો. વડાપ્રધાન-ગૃહમંત્રીએ ત્યારે ભ્રમરો ચઢાવીને આગળ હુમલો થવાની સ્થિતિમાં ભારત જવાબી કાર્યવાહી કરશેની ધમકી આપી હતી. વાસ્તવમાં ભારતમાં આતંકવાદની ઉપજાઉ જમીન કોંગ્રેસની મુસ્લિમ વોટબેંકની નીતિ અને ડાબેરીઓના વિકૃત સેક્યુલરવાદને કારણે જ મળી રહી છે. 
એનડીએ સરકારના કાર્યકાળમાં આતંકવાદ વિરુદ્ધ સખત કાયદો બનાવાયો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે સત્તામાં આવતાની સાથે જ પોટાને રદ્દ કરીને આતંકવાદીઓનું માનવર્ધન કર્યું. 26/11ના હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીની રચના કરીને સરકારે આતંકવાદ વિરુદ્ધ શૂન્ય સહનશીલતા દર્શાવવાનો દાવો કર્યો, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સીની ગત ત્રણ વર્ષની ઉપલબ્ધિ શું છે? એજન્સીએ પોતાની તમામ શક્તિ ભગવા આતંકવાદનો આભાસ ઉભો કરવામાં બરબાદ કરી છે. ભગવા આતંકવાદ કોંગ્રેસનો રાજકીય એજન્ડા હોઈ શકે છે, પરંતુ શું આ કુનીતિથી જેહાદનું ઝેર ઓછું થઈ જશે? પ્રતિબંધિત મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન-સીમી પોતાના નવા અવતાર ઈન્ડિયન મુજાહિદ્દીનના રૂપમાં ભારતની સનાતન સંસ્કૃતિને નિરંતર લોહીલુહાણ કરવામાં લાગી છે. ત્યારે ભારતનું સત્તા અધિષ્ઠાન આતંકવાદનો સામનો હિંદુ આતંકવાદનો દેકારો ઉભો કરવામાં વ્યસ્ત છે. 

આજે ચારે તરફ અરાજકતાનો માહોલ છે. દેશનો ચાલીસ ટકા ભાગ નક્સલી હિંસાનો શિકાર છે. જેહાદી ઈસ્લામનું ઝેર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાઈ ચુક્યું છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને કારણે કેટલાંક રાજ્યોની વસ્તીના સ્વરૂપમાં પરિવર્તનની સાથે આંતરીક સુરક્ષા પર પણ ગંભીર જોખમ ઝળુંબી રહ્યું છે, પરંતુ સેક્યુલર સત્તા અધિષ્ઠાન હિંદુ આતંકનો પ્રલાપ કરી રહ્યું છે. પોટા જેવા આતંકવાદ નિરોધક કાયદાને સેક્યુલરિસ્ટ મુસ્લિમોની હેરાનગતિનું યંત્ર ગણાવે છે. કેટલીક બિનકોંગ્રેસી રાજ્ય સરકારોએ જ્યારે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદો લાવવા ઈચ્છયો છે, તો કેન્દ્ર સરકાર તેમના માર્ગમાં અડચણ ઉભી કરે છે. ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢના આતંકવાદ નિરોધક કાયદા કેન્દ્ર સરકાર પાસે છેલ્લા ચાર વર્ષોથી મંજૂરી માટે વિલંબિત છે. 2005થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 20 મોટી આતંકવાદી ઘટનાઓ દેશના જુદાંજુદાં ભાગોમાં થઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈપણ દોષિતોને સજા થઈ શકી નથી. સંસદ પર હુમલો કરવાનું ષડયંત્ર રચનારા અફઝલ ગુરુની ફાંસીની સજા પણ વિલંબિત છે. બીજી તરફ મુંબઈ હુમલામાં એકમાત્ર જીવિત પકડયાલા આતંકવાદી અજમલ કસાબને સુરક્ષિત રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શું તેના પણ હાલ અફઝલ ગુરુ જેવા જ થશે? કોયમ્બટૂર બોમ્બ વિસ્ફોટના આરોપી અબ્દુલ નાસેર મદનીને પેરોલ પર મુક્ત કરવા માટે કેરળ વિધાનસભાનું વિશેષ સત્ર હોળીની રજાવાળા દિવસે આયોજીત કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ-માર્ક્સવાદીઓએ સર્વસંમતિથી તેની મુક્તિ માટેનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. શું આવી માનસિકતા રહેવાથી આતંકવાદનો ખાત્મો સંભવ છે?

આતંકવાદને લઈ કોંગ્રેસનું બેવડું સ્વરૂપ કોઈનાથી છુપાયેલુ નથી. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓના પણ મોત થયા હતા, પરંતુ પોતાના જવાનોની શહાદતને અપમાનિત કરીને કોંગ્રેસના કેટલાંક નેતા અથડામણ બાદ બટલા હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મુસ્લિમ વોટબેંકની ખાતિરદારીમાં મુલાયમ સિંહ યાદવ જેવા નેતાઓ પહેલેથી જ બેઠેલા હતા. સત્તાસીન કોંગ્રેસે પોતાના નેતાઓને આતંકવાદીઓનો સાથ આપનારા કટ્ટરપંથી તત્વોથી અંતર બનાવવાનો નિર્દેશ આપવાની જગ્યાએ સુરક્ષાકર્મીઓની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા. બટલા હાઉસ એન્કાઉન્ટર અને ઘણાં અન્ય રાજ્યોની તપાસમાં આતંકવાદ અને ઉત્તર પ્રદેશના આઝમગઢ વચ્ચે ઘેરો સંબંધ સામે આવ્યો, પરંતુ વોટબેંકની રાજનીતિને કારણે આજમગઢ સેક્યુલારિસ્ટોનું નવું તીર્થ બની ગયું. બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ અને અન્યત્ર આતંકી પ્રવૃતિમાં સામેલ હોવાને કારણે આજમગઢના જે યુવાનોની ધરપકડકરવામાં આવી, તેમના ઘરો પર માતમ મનાવવા માટે સેક્યુલરિસ્ટોની ભીડ લાગી ગઈ. સુરક્ષા જવાનોનું મનોબળ તોડનારા સેક્યુલરિસ્ટ શું ક્યારેય આતંકવાદ વિરુદ્ધ ઉભા થઈ શકશે?

ઘણાં વર્ષોથી આખા દેશમાં કોમી સૌહાર્દ છે. પરંતુ યુપીએ સરકાર કોમી હિંસા રોકથામ બિલ-2011નો મુસદ્દો તૈયાર કરીને બેઠી છે. આ બિલને લાવવાનો ઉદેશ્ય પણ મુસ્લિમ સમાજને કટ્ટરપંથી વર્ગને ખુશ કરી પોતાની વોટબેંક વધારવાનો છે. આ મુસદ્દામાં પહેલેથી જ એમ માની લેવાયું છે કે કોમવાદી તણાવ માટે માત્ર બહુસંખ્યક જવાબદાર છે અને લઘુમતીઓનો તેમા કોઈ દોષ નથી. કોમવાદી તણાવ અને સંઘર્ષની સ્થિતિમાં માત્ર બહુમતી સમાજને જ દંડિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. વોટબેંકની રાજનીતિને કારણે શું આ કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયત્ન નથી? વસ્તુત્ સામાજીક ટકરાવથી જ કોંગ્રેસ પોતાના રાજકીય હિત સાધતી આવી છે. કોઈપણ પ્રકારનો આતંકવાદ ભારતીય સાર્વભૌમત્વ અને અખંડતાને પ્રત્યક્ષ પડકાર છે. ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘુસીને મારી નાખવો પાકિસ્તાનની સાર્વભૌમતાનું ઉલ્લંઘન ભલે હોય, પરંતુ તેનાથી અમેરિકાની દ્રઢ ઈચ્છાશક્તિ પણ રેખાંકીત થઈ છે. આખો અમેરિકી સમાજ આ મામલામાં બરાક ઓબામા સાથે ઉભો હતો. વોટબેંકની વૈચારીક ગુલામીમાં બંધાયેલા ભારતીય સત્તા અધિષ્ઠાન પાસેથી આવી અપેક્ષા વ્યર્થ છે.
(લેખક ભાજપના રાજ્યસભા સાંસદ છે) સૌજન્ય- દૈનિક જાગરણ

Saturday, 16 July 2011

હથોડો બનવું પડશે


જોગિન્દર સિંહ
સામાન્ય રીતે ભારત અને ખાસ કરીને મુંબઈ આતંકવાદના નિશાન પર છે, જેની શરૂઆત 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી થઈ હતી. મુંબઈમાં થયેલા તાજેતરના વિસ્ફોટો સંદર્ભે સરકાર ચાહે જે તર્ક આપે અથવા કોઈને પણ જવાબદાર ઠેરવે, પરંતુ હકીકત એ છે કે આ ગુપ્તચર ખામીની વધુ એક કડી છે, જેની જવાબદારીમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારો બચી શકે નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ આતંકવાદીઓથી નિપટવા માટે રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કેન્દ્રની સ્થાપના માટે એલાન કર્યુ હતુ, પરંતુ જો આ સંગઠન ક્યાંય અસ્તિત્વમાં છે, તો તે માત્ર કાગળો પર છે. દેશની તામ ગુપ્તચર સંસ્થા ઉદાહરણ તરીકે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ), એવિએશન રિસર્ચ સેન્ટર (એઆરસી), ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી), નેશનલ ટેક્નીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (એનટીઆરઓ) અને ડિફેન્સ ઈન્ટેલિજેન્સ એજન્સી (ડીઆઈએ) વગેરે પૃથક અને સ્વતંત્ર રીતે કામ કરી રહી છે. તેમા કોઈ પ્રકારનો સમન્વય અને સહયોગ નથી, સંકટના સમયે આ ઘાતક સાબિત થાય છે.

પરિણામ તરીકે જોવો, મુંબઈમાં 13 જુલાઈએ શું થયું. આપણી ગુપ્તચર અને તપાસ એજન્સીઓ કોઈપણ હુમલા બાદ તેનું વિશ્લેષણ કરવામાં માહેર છે કે આતંકવાદીઓએ હુમલાને કેવી રીતે પાર પાડયો. તે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ કરાવવામાં મોટાભાગે નિષ્ફળ રહે છે. તેમની પાસેથી માત્ર એ ચેતવણી મળે છે કે રાષ્ટ્રીય રાજધાની અથવા કોઈ અન્ય મહાનગરમાં કંઈક થઈ શકે છે.
તેમા બેમત નથી કે ખાસ પ્રકારની ગુપ્તચર માહિતી ભેગી કરવી બેહદ મુશ્કેલ કામ છે. પરંતુ એક મહત્વનો સવાલ છે કે શું આપણા સુરક્ષા દળો આતંકવાદી હુમલાથી નિપટવા માટે પુરતા પ્રશિક્ષિત છે? શું તેમની પાસે સંસાધન છે અને શું બદલાતી પરિસ્થિતિઓમાં આપણા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે? આ સવાલોનો જવાબ ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઓક્ટોબર 2009માં આપ્યો હતો.


તેમનુ કહેવુ હતુ, સાધાર પોલીસ કોન્સ્ટેબલ પોલીસ ફોર્સનો સૌથી વધારે પ્રતાડિત વર્ગ છે અને સર્વાધિક નિંદા સહન કરનારા સરકારી કર્મચારી છે. પોલીસ વ્યવસ્થા જૂની થઈ ચુકી છે. પોલીસમાં પ્રશિક્ષણની કમી છે, વેતન પુરતું નથી અને દરેક એ માને છે કે કોન્સ્ટેબલને લાંચ આપવાથી કામ કાઢી શકાય છે. સરેરાશ પોલીસ કર્મચારીઓમાં હોશલાની કમી છે અને આંતરિક સુરક્ષાના મોરચે તેઓ જ સૌથી આગળ હોય છે. પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના કુલ ત્રણ લાખ પદો ખાલી પડયા છે. લચ્ચર હથિયાર અને બદહાલ તાલીમનું પરિણામ પોલીસ ભોગવી રહી છે.

આતંકવાદથી મુકાબલો કરવા માટે સમુદાયને પણ પ્રોત્સાહિત કરવો જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે ઉલેમાએ આતંકવાદ વિરુદ્ધ ફતવો જારી કર્યો છે. તેનો લાભ ઉઠાવીને સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે સુરક્ષા અને ગુપ્તચર સેવાઓમાં મુસ્લિમ સમુદાયને પુરતી ભાગીદારી મળે, જેથી આતંકવાદને જડથી મિટાવવામાં તેઓ પણ યોગદાન કરી શકે. એ વિચાર ભ્રામક છે કે મુસ્લિમ આતંકવાદી હોય છે. તેની વિપરીત સચ્ચાઈ એ છે કે ભારતના 99 ટકાથી પણ વધારે મુસ્લિમો આ મુલ્ક પ્રત્યે વફાદાર અને નિષ્ઠાવાન છે. એક ટકાથી પણ ઓછા લોકો છે, જે કોઈને કોઈ કારણે આતંકવાદના ખોટા રસ્તા પર ચાલી રહ્યાં છે. એ પણ આપણી ખોટી ધારણા છે કે મુસ્લિમ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાથી દેશનો મુસલમાન સમુદાય નારાજ થઈ જશે.

આપણે ત્યાં આતંકવાદના પગ ફેલાવાનું એક કારણ એ પણ છે કે તેની વિરુદ્ધ કોઈ મજબૂત કાયદો નથી. જો રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણે આપણા જૂના કાયદાઓ હટાવી દઈએ, તો કોઈ પહાડ તૂટી પડવાનો નથી. સરકારે વિચારવું જોઈએ કે આતંકવાદીઓને માનવાધિકારની રત્તી ભર પરવાહ નથી, અને પોતાના લક્ષ્યમાં તેઓ હત્યાઓથી સહેજ પણ અચકાતા નથી. આજ દુનિયાભરના લોકો માનવાધિકાર-માનવાધિકારની બૂમો પાડે છે. જ્યારે માનવાધિકાર સૌથી પહેલા માનવીય હોવો જોઈએ. એ ન થઈ શકે કે જે વ્યક્તિ સેંકડોની હત્યાઓ માટે જવાબદાર છે, તેને ફાંસીની સજા આપવામાં એટલા માટે ખચકાટ કરવામાં આવે કે દુનિયાભરના માનવાધિકારવાદીઓ તેની વિરુદ્ધ છે.

આતંકવાદની વિભીષિકાને જોતાં કોર્ટ અને અપરાધ દંડ સંહિતાને તેની અનુરૂપ મજબૂત કરવાની જરૂરત છે. એ સમયનો તકાજો છે કે આતંકવાદ વિરુદ્ધ શક્તિશાળી કાયદો બને. તે પ્રકારે દેશના રાજનેતાઓએ પોતાના કામકાજથી દર્શાવવું પડશે કે તેઓ આતંકવાદને નિર્મૂળ કરવા માટે ખરેખર કેટલાં સક્રિય છે. તેની વિપરીત આજે તો આપણા રાજનેતા આતંકવાદ વિરુદ્ધ માત્ર નિવેદન આપવામાં જ વિશ્વાસ રાખે છે કે તેઓ તેને ખતમ કરીને રહેશે. એ કેટલી મોટી વિડંબણા છે કે આતંકવાદીઓ જે ચાહે છે, તે કરીને જ માને છે. આ દુનિયામાં વ્યક્તિ અથવા તો એરણ હોય છે અથવા હથોડો. આપણા નેતાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે હથોડો બનીએ, એરણ નહીં.
(સૌજન્ય-અમર ઉજાલા)