Showing posts with label આતંકવાદી. Show all posts
Showing posts with label આતંકવાદી. Show all posts

Tuesday, 2 August 2011

ચીનની ચિંતા


બી. રામન

એકલા અમેરિકા અને ભારત જ પાકિસ્તાન પર પોતાની જમીનને આતંકવાદી પ્રવૃતિઓ માટે અભ્યારણ્યની જેમ ઉપયોગ કરનારા જેહાદીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા માટે દબાણ બનાવી રહ્યાં નથી. પરંતુ પાકિસ્તાની ક્ષેત્રથી પ્રવૃતિઓ ચલાવનારા ઉઈઘુર અને અન્ય આતંકી સમૂહો પર કાર્યવાહી માટે ચીન પણ તેના પર દબાણ બનાવી રહ્યું છે. આ આતંકી માત્ર પાકિસ્તાનમાં કાર્યરત ચીની નાગરીકોની સુરક્ષા માટે પડકાર બન્યા નથી, પરંતુ ચીનના શિનજિયાંગ પ્રાંતની આંતરીક સુરક્ષાને પણ તેનાથી જોખમ છે.

ચીનની ચિંતાના ત્રણ કારણો છે. પહેલું, ચીની નાગરીકોના જીવન પર ખતરો. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં ચીની નાગરીકો પર પાંચ હુમલા થઈ ચુક્યા છે. તેમાંથી ત્રણ બલુચિસ્તાનમાં અને એક-એક પશ્ચિમોત્તર સીમા પ્રાંત (એનડબલ્યુએફપી) અને સંઘ દ્વારા શાસિત કબાઈલી ક્ષેત્ર ફાટામાં થયા છે. આ હુમલામાં ત્રણ ચીની નાગરીકોના જીવ પણ ગયા છે. તેમાંથી બે હુમલાને જુલાઈ-2007માં ઈસ્લામાબાદ ખાતે લાલ મસ્જિદમાં થયેલી કમાન્ડો કાર્યવાહી બાદ અંજામ આપવામાં આવ્યો હતો. તેના સિવાય ઈસ્લામાબાદના એક મસાજ પાર્લરમાં કામ કરનારી છ ચીની મહિલાઓને લાલ મસ્જિદ મદરેસામાં ભણનારી મહિલાઓને ગુમ કરી દીધી હતી, જેમને બાદમાં છોડી મુકવામાં આવી હતી.

ચીનની ચિંતાનું બીજું કારણ છે, આ ઘટનાઓની તપાસમાં પાકિસ્તાની પોલીસની બેરૂખી. ત્રીજું, ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈસ્ટ તુર્કિસ્તાન (આઈએમઈટી)થી સંબંધ રાખનારા ઉઈઘુર આતંકવાદીઓને શોધી નાખવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા. જ્યારે ચીન માને છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાની ક્ષેત્રમાં શરણ લઈ રહ્યાં છે.

ઓગસ્ટ, 2007માં લાહોરમાંથી પ્રકાશિત અખબાર ડેલી ટાઈમ્સમાં મોસ્કોમાં તેનાત ચીની રાજદૂત લિઉ ગુચાંગનું એક નિવેદન પ્રકાશિત થયું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે તાજેતરના વર્ષોના આકલનથી ખબર પડે છે કે સૌથી મોટો આતંકી પડકાર પૂર્વી તુર્કિસ્તાનના આતંકી સમૂહોથી છે, જેઓ ચીનની અંદર અને તેની સીમાઓમાં સક્રીય છે.

પાકિસ્તાન પર અમેરિકા અને ચીન, બંનેની તરફથી જેહાદી આતંકીઓ પર કાર્યવાહીનું દબાણ છે. પરંતુ પાકિસ્તાની સરકાર ચીનની ચિંતાઓ પ્રત્યે ઘણી વધારે સજગ છે અને તેના કારણે તેની સાથે રણનીતિક સંબંધો પર પડનારા પ્રભાવને લઈને પણ પરેશાન પણ છે. વાસ્તવમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ લાલ મસ્જિદમાં શરણ લેનારા તાલિબાન સમર્થકો પર કોઈપણ પ્રકારની કાર્યવાહીથી બચતા રહે, પરંતુ જ્યારે છ ચીની મહિલાઓને ગુમ કરીને તેમના પર વેશ્યાવૃતિમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, તો ચીનની તરફથી પાકિસ્તાન પર દબાણ વધ્યું. ત્યાર બાદ જ મુશર્રફે લાલ મસ્જિદમાં કમાન્ડો કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

ચીનની ચિંતા પર પાકિસ્તાની કાર્યવાહીનો વધુ એક મામલો તાલિબાન સમર્થક કબાઈલી નેતા અબ્દુલ્લા મહસૂદથી જોડાયેલો છે. તે અફઘાનિસ્તાનમાં નવ તાલિબાન જૂથોને મદદ કરી રહ્યો હતો. હામિદ કરજઈ સરકારે વારંવાર ચિંતા વ્યક્ત કરી હોવા છતાં પાકિસ્તાની સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહી. પરંતુ જ્યારે ચીને મહસૂદથી પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોના જીવને જોખમ હોવાનું જણાવ્યું, તો તેને પાકિસ્તાની સુરક્ષા તંત્રે ઠાર કરી નાખ્યો.

પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોની સુરક્ષા વધારવા અને ભૂતકાળમાં થયેલા હુમલાની તપાસ માટે પાકિસ્તાન અને ચીને ઓગસ્ટ, 2007માં એક સંમતિ પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. તેના લગભગ એક વર્ષ બાદ બીજિંગ ગયેલા પાકિસ્તાનના તત્કાલિન ગૃહ મંત્રી રહમાન મલિકે કહ્યું હતું કે ચીનના શત્રુ પાકિસ્તાનના શત્રુ છે. અમે અમારા સૌથી વિશ્વસનીય સહયોગી માટે જોખમ બનેલા તત્વોને છોડીશુ નહીં.

મલિક જૂન, 2009માં પણ બીજિંગ ગયા હતા. તેમની આ યાત્રા બાદ પાકિસ્તાની સરકારે એમનેસ્ટી ઈન્ટરનેશનલના વાંધાઓ છતાં ઉઈઘુર સમુદાયના દશ લોકોને ચીનને સોંપી દીધા હતા. એમનેસ્ટીને અંદેશો હતો કે આ લોકોને કોઈપણ યોગ્ય સુનાવણી વગર ચીન ફાંસીના માંચડે લટકાવી દેશે. ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે લોકો આઈએમઈટી સાથે સંબંધિત હતા, જેમને પાકિસ્તાની સેનાએ ફાટામાં ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં પકડયા હતા.

એબટાબાદમાં ગત 2જી મેએ અમેરિકી અભિયાનમાં ઓસામા બિન લાદેનના માર્યા ગયા બાદ ચીને મજબૂતી સાથે પાકિસ્તાનનો બચાવ કર્યો હતો. પરંતુ હજી જુલાઈમાં શિનજિયાંગ પ્રાંતમાં ભડકેલી હિંસામાં ચીનની આ ચિંતા તાજી થઈ ગઈ કે પાકિસ્તાન આઈએમઈટીના આતંકીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી.

શરૂઆતમાં ચીની આતંકવાદ વિરોધી વિશેષજ્ઞોએ એ ચિંતા વ્યક્ત કરી, પરંતુ હવે પાર્ટીના નિયંત્રણવાળા ગ્લોબલ મીડિયાના સ્તંભોમાં પણ આ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જમીનથી સંચાલિત ભારત વિરોધી આતંકી પ્રવૃતિઓને લઈ ચીને ક્યારેય ભારતની ચિંતાની સાથે સંબંધ રાખ્યો નથી. એટલું જ નહીં, અનેક વર્ષો સુધી તેણે સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી નિરીક્ષણ સમિતિને જમાત-ઉદ-દાવા અને લશ્કરે તોઈબાને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાથી રોકી રાખી હતી. ચીની બેરૂખી છતાં ભારતે પાકિસ્તાનમાં હાજર આતંકી માળખાં સંદર્ભે તેના બેવડા વલણને બેનકાબ કરવું જોઈએ.

(સૌજન્ય-અમર ઉજાલા)