Showing posts with label ભારત. Show all posts
Showing posts with label ભારત. Show all posts

Friday, 9 September 2011

આ ઈતિહાસનો મોટો વળાંક ન હતો


- ટિમોથી ગાર્ટન એશ, બ્રિટિશ ઈતિહાસકાર

કલ્પના કરો કે આજથી 20 વર્ષ બાદ એટલે કે 11 સપ્ટેમ્બર, 2031એ જ્યારે દુનિયાના ઈતિહાસકાર આતંક વિરુદ્ધ જંગને પાછળ વળીને જોશે, તો શીત યુદ્ધના મુકાબલે શું તેને ઈતિહાસનો નિર્ણાયક વળાંક કહેશે? મને લાગે છે કે નહીં. વધારે સંભાવના એ છે કે તેઓ આને એવા તબક્કા તરીકે જોશે, જ્યારે દુનિયાની સત્તા પશ્ચિમથી નીકળીને પૂર્વના હાથમાં ચાલી ગઈ. એક વધારે શક્તિશાળી ચીન અને ઓછું શક્તિશાળી અમેરિકા સામે આવ્યું. એક મજબૂત ભારત અને કમજોર યૂરોપ બન્યું.

જેમ કે સ્ટેનફોર્ડના ઈતિહાસકાર ઈયાન મોરિસે પોતાના પુસ્તક વાયે વેસ્ટ રુલમાં લખ્યું છે કે હવે જે ભૂરાજકીય પરિવર્તન થશે, તે એક તરફ તો તકનીકની અભૂતપૂર્વ તેજીથી થઈ રહેલા આધુનિકીકરણની બૃહદ સીમાઓમાં થશે અને બીજી તરફ અભૂતપૂર્વ વૈશ્વિક પડકારોને કારણે થશે. નિસંદેહ આ વિચાર પણ ઈતિહાસની જાણકારી સાથે લગાવાયેલો એક અંદાજ જ છે. પરંતુ, જો પરિસ્થિતિ આ તરફ ગઈ, તો (અને જો ઈસ્લામી આતંકવાદથી દૂર અન્ય કોઈ રાહ પર પણ ગઈ તો પણ) આ ગત દશક અમેરિકી વિદેશ નીતિના એક પડાવ તરીકે જોવામાં આવશે, ઈતિહાસના કોઈ મુખ્ય માર્ગની જેમ નહીં.

અને જો પાછલા દિવસોમાં અરબ દેશોમાં ચાલેલા જનઆંદોલનોની હવાથી આધુનિકીકરણની આશા બંધાય છે, તો ન્યૂયોર્ક, મેડ્રિડ અને લંડનના આતંકવાદી હુમલા ભૂતકાળમાંથી ઉછળી આવેલા કેટલાંક વિસ્ફોટો લાગશે. ત્યારે આ માત્ર એક અંત દેખાશે, કોઈ શરૂઆત નહીં. અને જો અરબના આંદોલનોની આ હવા પર ઈસ્લામી આતંકવાદ હાવી થઈ ગયો, ત્યારે પણ તેનો અર્થ એ નથી કે ઈસ્લામની હિંસક અને ઉદાર વિચારધારાનો સંઘર્ષ આગામી કેટલાંક દશકોની મુખ્યધારા હશે. ઈસ્લામની હિંસક ધારા એક જોખમ બની રહેશે, પરંતુ તેને તેમ છતાં પણ નિર્ણાયક ક્ષણ કહી શકાશે નહીં.

આ મુદ્દા પર આપણે જો આમ થાત તો-વાળા અંદાજમાં પણ વિચારી શકીએ છીએ. 2001ના ઉનાળામાં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે પોતાનો જે ભૂરાજનીતિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો, તેમા નવા સામરીક પ્રતિસ્પર્ધીઓ તરીકે સમગ્ર ધ્યાન ચીન પર આપવાની વાત કહી હતી. હવે માની લો કે 11 સપ્ટેમ્બરનો આતંકવાદી હુમલો થયો ન હોત, તો અમેરિકા પોતાનું સમગ્ર ધ્યાન ચીનથી સ્પર્ધામાં જ લગાવત. શું થાત, જ્યારે તેને આ અનુભવ થાત કે જે શીત યુદ્ધના ખાત્મા અને મૂડીવાદના વૈશ્વિકરણને પોતાની જીત માની રહ્યું હતું, તેનાથી જ પેદા થયેલી પૂર્વની શક્તિને પશ્ચિમની સામે મોટો પડકાર ઉભો કરી દીધો છે? ત્યારે કદાચ અમેરિકા એવા નિષ્કર્ષ પર પહોંચત કે આ સ્પર્ધા માટે જંગી તાકાતની નહીં, પરંતુ શિક્ષણ, ઊર્જા, પર્યાવરણ અને ઈનોવેશન પર રોકાણ વધારવાની જરૂરત છે. એશિયાના ઉદય સામે તેને એ વિચારવા માટે મજબૂર થવું પડત કે અમેરિકામાં ઉપભોગ, રોકાણ અને બચતના સંબંધોમાં ફરીથી સંતુલન બેસાડવાનો સમય પાકી ગયો છે. અને અમેરિકા જો આ બધાંમાં કમિયાબ પણ થઈ જાત, તો પણ ચીન અને ભારતનો ઉદય ચાલુ જ રહેત. ત્યારે પણ સત્તાનું સંતુલન પશ્ચિમથી પૂર્વ તરફ ઝુકત. ગ્લોબલ વોર્મિંગનું જોખમ ત્યારે પણ રહેત. જળ સંકટ, મહામારીઓ તમામ મુશ્કેલીઓ ત્યારે પણ માથે ચઢીને બોલત. એ જરૂર છે કે ત્યારે પશ્ચિમી દેશ અને ખાસ કરીને અમેરિકા કંઈક સારી સ્થિતિમાં હોત.

હવે જો આ થાત તો-વાળી કલ્પનાને બંધન કરી દઈએ. હુમલો થયો. અમેરિકાએ જવાબ આપવનો જ હતો. એક વહીવટી તંત્ર જે પહેલા એક ગુંચવાડામાં ફસાયેલું હતું, તેને બદલાની એક ભાવના મળી ગઈ. દસ વર્ષ બાદ આપણે કહી શકીએ છીએ કે અલ કાયદાનું જોખણ ઓછું થઈ ચુક્યું છે. તે સંપૂર્ણપણે ખતમ થયું નથી, પણ ઓછું તો થયું છે. પરંતુ કઈ કિંમતે? અમેરિકાએ બે મોટી લડાઈઓ લડી. અફઘાનિસ્તાનની લડાઈ લડવી તેની મજબૂરી હતી, પરંતુ ઈરાકની લડાઈ તેણે પોતે પસંદ કરી. અફઘાનિસ્તાનની લડાઈ જલ્દીથી પૂરી થઈ શકતી હતી. તે ઓછી લાગત પર વધારે પરિણામ આપી શકતી હતી, પરંતુ શરત હતી કે બુશ વહીવટી તંત્રે ઈરાકમાં ઘૂસણખોરી ન કરી હોત. અમેરિકાએ સોફ્ટ પાવરની પોતાની છબીને અબૂ ગરીબ જેવી ભયાનક ચીજોથી ખુદ ધૂળમાં મેળવી છે. અને આ દશકમાં જે થયું, તે વધારે ગડબડ છે. પરમાણુ હથિયારવાળો દેશ પાકિસ્તાન દસ વર્ષ પહેલાના મુકાબલે હવે વધારે ખતરનાક છે. આ દસ વર્ષમાં યૂરોપના મુસ્લિમ સમુદાય સહીત ઈસ્લામિક વિશ્વમાં પરસ્પર વિરોધી પ્રવૃતિઓ જોવા મળી છે. અરબ જનઆંદોલનો અને યૂરોપના મુસ્લિમ સમુદાયોએ ઉદારતા અને આધુનિકીકરણની ઝલક રજૂ કરી છે. જ્યારે પાકિસ્તાન અને યમન જેવા દેશોમાં ઉગ્ર ઈસ્લામ હાવી થયો છે.

આ દસ વર્ષની લડાઈની જે કિંમત ચુકવવી પડી છે, તેના પર બ્રાઉન યૂનિવર્સિટીએ એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ જંગ પર, જેમાં 22 લાખ અમેરિકી ગયા અને 10 લાખ યુદ્ધવીર તરીકે પાછા આવી ચુક્યા છે. આ પરિયોજનામાં અનુમાન લગાવાયું છે કે અફઘાનિસ્તાન, ઈરાક અને પાકિસ્તાનમાં ચાલી રહેલી લડાઈ પર 32થી 40 અબજ ડોલરનો ખર્ચ આવ્યો છે. 2020 સુધી આ ખર્ચ 44 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. આ આંકડાઓ પર વિવાદ થઈ શકે છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ ખર્ચ વધારે ભારે છે. ઉભડક રીતે જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રીય કર્જના એક ચતુર્થાંસ અને આ કર્જ પણ સકલ ઘરેલુ ઉત્પાદની બરાબર થવાનું છે.

અને આ આંકડાઓમાં એ બધી બાબતો જોડવામાં આવી નથી, જેમને અર્થશાસ્ત્રીઓની ભાષામાં અવસરની લાગત કહેવામાં આવે છે. મામલો એ છે કે 40 અબજ ડોલરમાં રોજગારના કેટલાં અવસર પેદા કરી શકાતા હતા અથવા કેટલાં ઈન્ફ્રાસ્ટ્રક્ટર ઉભાં કરી શકાતા હતા. અથવા અડધી કિંમતમાં જ જો આતંકવાદનો મુકાબલો કરી લેવાત, તો શું થઈ શકતું હતું. તેનાથી પણ મોટો મુદ્દો છે કે અમેરિકાએ ઊર્જા, રાષ્ટ્રીય ફોક્સ અને કલ્પનાશક્તિના મામલાઓમાં પોતાના અવસરોમાં કેટલું નુકસાન કરી લીધું છે.

હાલ અમેરિકા પાસે બે પ્રકારના હીરો છે. એક તરફ સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ જેવા લોકો છે, તો બીજી તરફ વર્દી પહેરનારા ફોજના હીરો છે. પરંતુ આપણી મુશ્કેલી એ છે કે નામી યુદ્ધવીર જ્યારે અહીં પાછા ફરશે, તો તેમના માટે નોકરીઓ નહીં હોય. માટે આ સપ્તાહ કોંગ્રેસમાં રોજગાર પેદા કરવા સંદર્ભે બરાક ઓબામાનું જે ભાષણ થશે, તે વધારે મહત્વપૂર્ણ હશે, તેના કરતાં રવિવારે ગ્રાઉન્ડ ઝીરો પર થનારા ભાષણને મુકાબલે. યોદ્ધાઓનું સમ્માન થવું જોઈએ, પરંતુ હાલ અમેરિકાને એવા નાયકોની જરૂરત છે, જે રોજગાર પેદા કરી શકે.

Wednesday, 10 August 2011

ISIનો કાશ્મીર એજન્ડા



જગમોહન

જો ગુલામ નબી ફઈ વિરુદ્ધ એફબીઆઈની ચાર્જશીટ વાંચવામાં આવે તો એ વાતના પુરતા પુરાવા મળી જશે કે કાશ્મીરી-અમેરિકન કાઉન્સિલના કાર્યકારી નિદેશક હકીકતમાં મે-1989થી આઈએસઆઈની અમેરિકી શાખાના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યાં હતા. એફબીઆઈની ફરીયાદ સાથે સંલગન અનેક ઈમેઈલ અને અન્ય દસ્તાવેજોથી ખબર પડે છે કે પરિષદના સંચાલન અને નાણાંકીય પ્રબંધન પર આઈએસઆઈનો કડક અંકુશ હતો. પરિષદનું પ્રત્યેક પગલું આઈએસઆઈના દિશા-નિર્દેશોને અનુરૂપ ઉઠાવવામાં આવતું હતું. ત્યાં સુધી કે સંમેલનોમાં બોલાવાયેલા ભારતીય અને પાકિસ્તાની પત્રકારોની યાદી પણ આઈએસઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવાતી હતી. 

ફઈના સંમેલનોમાં ભાગ લેનારા કેટલાંક પત્રકારો અને બુદ્ધિજીવીઓની મીડિયામાં ટીકા થઈ રહી છે. તેના જવાબમાં તેમણે દલીલ આપી છે કે તેઓ પરિષદ અને આઈએસઆઈના સંબંધો સંદર્ભે અજાણ હતા. આ દલીલ ભારતીયોના ગળે ઉતરતી નથી. તેમનું કહેવું છે કે આ કેવી રીતે સંભવ છે કે જાહેર જીવનના વ્યાપક અનુભવવાળા પત્રકાર અને બુદ્ધિજીવી આ નિમંત્રણોનો મર્મ ન જાણતા હોય? એ કહેવું મુશ્કેલ છે કે બિઝનેસ ક્લાસમાં અમેરિકા આવવા-જવા, ફાઈવસ્ટાર હોટલોમાં રોકાવા અને ફઈની મહેમાનગીરીનો લુત્ફ ઉઠાવનારા ભારતીય પત્રકારો અને બુદ્ધિજીવીઓના મનમાં શું ચાલી રહ્યું હતું, પરંતુ એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાઓ, ખાસ કરીને કાશ્મીર સંદર્ભેના મુદ્દાઓ પર આ બુદ્ધિજીવી અને પત્રકારોનો તે દ્રષ્ટિકોણ હતો કે જે આઈએસઆઈ અને અન્ય પાકિસ્તાની એજન્સીઓનો છે. આ ખરાબ પ્રચાર આઈએસઆઈની એ યોજનાનો એક ભાગ હતો કે જેના હેઠળ તે કાશ્મીરમાં આતંક ફેલાવી તેને હડપવા ચાહતું હતું. એવામાં જરૂરી હતું કે તેનો વિરોધ કરી રહેલા લોકોમાં ભ્રમ ફેલાવીને તેમને ખલનાયક તરીકે રજૂ કરવામાં આવે. 1989-90માં કાશ્મીરી પંડિતોને ખદેડવાના મામલાથી આ વાતની પુષ્ટિ થઈ જાય છે. 

આ સમગ્ર યોજનાનો એક ઉદેશ્ય હતો ખીણમાંથી તમામ કથિત કાફિરો અને ભારતના એજન્ટોને ખદેડવામાં આવે. એક વર્ગ તરીકે કાશ્મીરી પંડિતો પહેલા નિશાન બન્યા. કાશ્મીરી પંડિતો ખીણમાં ભારતીય કિલ્લાના સૌથી મજબૂત સ્તંભ ગણાતા હતા. શેખ અબ્દુલ્લાએ પોતાની આત્મકથા આતિશ-એ-ચિનારમાં તેમને દિલ્હીના પાંચમી કતારિયા અને જાસૂસ કહીને સંબોધિત કર્યા હતા. એક કાશ્મીરી પંડિતને મારવા અને એક હજારને ભયાક્રાંત કરી ત્યાંથી ભગાડવાની રણનીતિ બનાવાઈ હતી. પંડિત સમુદાયના મુખ્ય સભ્યોને વિશેષ રીતે મારી નાખવામાં આવ્યા હતા. 

14 સપ્ટેમ્બર, 1989એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ટિક્કાલાલ ટપલૂને શ્રીનગરમાં તેમના ઘરની સામે ધોળા દિવસે મારી નાખવામાં આવ્યા. ત્યાર બાદ 4 નવેમ્બરે જજ એન. કે. ગંજૂને હરિસિંહ માર્ગ પર મારી નાખવામાં આવ્યા. એન. કે. ગંજૂએ 1966 અને 1975માં આતંકી કાર્યવાહીના આરોપી મકબૂલ બટ્ટના મામલાની સુનાવણી કરી હતી. ત્યાર બાદ 28 ડિસેમ્બર, 1989એ પત્રકાર પી. એન. ભટ્ટની નૃશંસ હત્યા કરવામાં આવી. તેમના અહેવાલો અલગતાવાદીઓ અને આતંકવાદીઓને હજમ થઈ રહ્યાં ન હતા. નાના કસ્બા અને અંતરિયાળ વિસ્તારોમાં પણ અનેક કાશ્મીરી પંડિતોનો આ જ હાલ થયો હતો.
16 જાન્યુઆરી, 1990ના રોજ અખિલ ભારતીય કાશ્મીરી પંડિત સંમેલનના એક પ્રતિનિધિમંડળે તત્કાલિન રાજ્યપાલ કે. વી. કૃષ્ણા રાવને આવેદન આપ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે ખીણમાં સરકારની જગ્યાએ ઉગ્રવાદીઓ શાસન ચલાવી રહ્યાં છે. ખીણનો ઘટનાક્રમ લઘુમતીઓ પર કટ્ટરપંથીઓના સુનિયોજીત હુમલાનો સંકેત હતો. સરકારની નિષ્ક્રિયતા વધતી જઈ રહી છે. લઘુમતી નેતાઓની હત્યા કરનારા એકપણ હત્યારાની ઓળખ સુદ્ધાં થઈ શકી નથી.

સ્પષ્ટ છે કે ફારુક અબ્દુલ્લા સરકારના રાજીનામા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગવા અને 19 જાન્યુઆરીએ રાજ્યપાલ પદ પર મારી નિમણૂકના સમય સુધી આતંકવાદી, અલગતાવાદી અને અન્ય પાકિસ્તાની ટેકેદાર તત્વોએ ખીણને પૂરી રીતે પોતાના જડબામાં દબાવી દીધી હતી. આ પહેલા કે તેઓ પોતાના જડબા બંધ કરીને ખીણને હડપી લે, તબક્કાવાર ઉપાયો દ્વારા તેને તેમના જડબામાંથી બહાર ખેંચી લેવામાં આવી. કાશ્મીરી પંડિતોના ખીણમાંથી પલાયનને રોકવા અને ખીણની બહાર ચાલ્યા ગયેલા પંડિતોને પાછા બોલાવવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા. સરકારે એ પ્રેસનોટ જારી કરીને પંડિતોને પાછા બોલાવવા અપીલ કરી-જગમોહન પંડિત સમુદાયના એ તમામ સભ્યોને ખીણમાં પાછા આવવા માટે અપીલ કરે છે જે અહીંથી અસ્થાયી રીતે જમ્મુ પલાયન કરી ગયા છે. તે ચાર સ્થાનો પર-શ્રીનગર, અનંતનાગ, બારામૂલા અને કુપવાડામાં ચાર અસ્થાયી શિબિરોની સ્થાપનાની પેશકશ કરી રહ્યાં છે, જ્યાં પંડિતોને અસ્થાયી રીતે વસાવામાં આવશે. મારી બહુઆયામી નીતિઓથી આઈએસઆઈ અને આતંકવાદી તથા અલગતાવાદીઓની કુટિલ ચાલો નિષ્ફળ ગઈ. તેના પછી આ તત્વોએ મારી છબીને કલંકીત કરવાનો પુરજોર પ્રયાસ શરૂ કરી દીધો. જ્યારે 1984થી 1989 દરમિયાન મે કાશ્મીર ખીણમાં અનેક વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી હતી. તેમણે મારી વિરુદ્ધ દુષ્પ્રચાર શરૂ કરી દીધો. મારા વિરુદ્ધ અનેક મનઘડંત વાતો ફેલાવવામાં આવી. મારા વિરુદ્ધ ખાસ પ્રકારે એ પ્રચારીત કરવામાં આવ્યું કે કાશ્મીરી પંડિતોના ખીણમાંથી પલાયન માટે હું જ જવાબદાર છું. આ દુષ્પ્રચાર આઈએસઆઈ તંત્ર દ્વારા કરવામાં આવ્યો, પરંતુ તેનાથી પણ વધારે નિંદનીય એ હતું કે કેટલાંક મુખ્ય પત્રકારો પણ આ દુષ્પ્રચારમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં હતા. આ તે મુખ્ય પત્રકારો હતા જે ફઈની પરિષદ દ્વારા પસંદ કરાયેલી યાદીમાં અત્યારે જોઈ શકાય છે. 

તેમણે તમામ દસ્તાવેજો અને અકાટય પુરાવાની અણદેખી કરી અને ચેતવણી જારી કરીને એવી નોટિસ પણ કાશ્મીરના મુખ્ય અખબારોમાં પ્રકાશિત કરાવી, જેમાં કાશ્મીરી પંડિતોને 48 કલાકની અંદર ખીણ છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બધું આઈએસઆઈના આશ્રયથી થયું. આ તથ્યોના આલોકમાં આપણે આ પત્રકારો અને બુદ્ધિજીવીઓની મનસા સંદર્ભે સવાલ કેમ ન ઉઠાવીએ જે ફઈના સંમેલનમાં આઈએસઆઈની ભાષા બોલતા હતા. શું તેમના વિચારો અને આઈએસઆઈના વિચારોમાં સામ્યતાને માત્ર એક સંજોગ કહી શકાય છે? અથવા તેની પાછળ કેટલાંક નિહિત સ્વાર્થ હતા? તેનો કોઈ સીધો જવાબ આપી શકાય નહીં, પરંતુ આ સંદર્ભે આપણને સંકેત જરૂરથી મળી રહ્યાં છે કે આપણે સાવધાન અને સચેત થઈ જઈએ.

(જગમોહન- જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ છે, સૌજન્ય- દૈનિક જાગરણ)

Tuesday, 9 August 2011

કઈ દિશામાં અફઘાનિસ્તાન?


અફઘાનિસ્તાનમાં ગત ત્રણ દિવસોની અંદર નાટોના બે હેલિકોપ્ટર્સનું ધ્વસ્ત થવું માત્ર આશ્ચર્યજનક જ નથી, તેનાથી ત્યાં શાંતિ અને સ્થાયિત્વની આશાઓને પણ ઘેરો આંચકો લાગ્યો છે. જો કે તેનાથી એ કદાપિ ન માની લેવું જોઈએ કે નાટોના સૈનિકો ત્યાં સારું કામ જ કરી રહ્યાં છે. તેમના પર નિર્દોષ નાગરીકો, બાળકો અને મહિલાઓને નિશાન બનાવવાના આરોપ છે અને સ્થાનિક નાગરીક સતત આવી ઘટનાઓની વિરુદ્ધ રોષ પ્રગટ કરે છે. પરંતુ ગત શનિવારે જે યોજનાબદ્ધ રીતે નાટોના હેલિકોપ્ટરને જાળમાં ફસાવીને પાડી નાખવામાં આવ્યું, તેનાથી તાલિબાનની સતત વધતી શક્તિની જ ખબર પડે છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે હેલિકોપ્ટરોને નિશાન બનાવવાની ક્ષમતા તાલિબાનોને આખરે ક્યાંથી પ્રાપ્ત થઈ?

મહત્વપૂર્ણ છે કે શનિવારે થયેલી દુર્ઘટનામાં 30 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં આતંકવાદની વિરુદ્ધ દસ વર્ષીય અભિયાનમાં એક સાથે આટલા અમેરિકી સૈનિકો આનાથી પહેલા ક્યારેય માર્યા ગયા ન હતા. અફઘાનિસ્તાનથી વિદેશી સેનાઓની વિદાઈના તબક્કામાં તાલિબાનનું આમ મજબૂત થવું ચિંતનીય છે. ગત વર્ષે જ સાતસોથી વધારે વિદેશી સૈનિક અફઘાનિસ્તાનમાં માર્યા ગયા હતા, તો આ વર્ષે અથ્યાર સુધીમાં મરનારા સૈનિકોની સંખ્યા 390ની આસપાસ થઈ ગઈ છે, જેમાંથી 50 તો ઓગસ્ટ માસમાં જ માર્યા ગયા છે. જો કે બરાબર આ દિવસોમાં ત્યાં નિર્દોષ નાગરીકોના મોતની વધતી સંખ્યા પણ પરેશાન કરનારી છે. આ વર્ષના શરૂઆતી છ માસમાં માર્યા ગયેલા નિર્દોષોની સંખ્યા 1500ની આસપાસ છે. સ્પષ્ટ છે કે એક તરફ મજબૂત થતાં તાલિબાન જ્યાં નાટો સૈનિકોને નિશાન બનાવી રહ્યાં છે, ત્યાં તેમની જવાબી કાર્યવાહીમાં નિર્દોષ લોકો મરી રહ્યાં છે.

સવાલ એ છે કે આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની શાંત થવાની આશા કેવી રીતે કરી શકાય
? ત્યાં સ્થાયિત્વની ઘણી આશા એટલા માટે પણ નથી કે વિદેશી મદદના જોરે જે લોકોએ ક્ષેત્રીય સ્તર પર પોતાની મજબૂત પકડ બનાવી છે, તેમનું આચરણ શંકાસ્પદ છે. જૂના સમયના ગુનેગાર, અફીણના દાણચોર અને કબીલાઈ સરદાર પ્રાંતોના ગવર્નર બની બેઠા છે. આવા પ્રકારના લોકો મોટાભાગે તાલિબાનો દ્વારા માર્યા પણ જાય છે, તેવામાં સ્થિતિ ખરાબ જ થઈ જાય છે. સ્પષ્ટ છે કે અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થાયિત્વનું જે મોડલ પસંદ કરવામાં આવ્યું છે, તે તે દેશ માટે જોખમ જ પેદા કરી રહ્યું છે. વિદેશી સેનાઓના ચાલ્યા ગયા બાદ તેનો સૌથી વધારે લાભ પાકિસ્તાનને થશે. જો કે ભારત અફઘાનિસ્તાનને વિકાસના મુખ્ય પ્રવાહમાં પાછું લાવવા માટે ઈચ્છુક છે, માટે પ્રવર્તમાન સ્થિતિ તેના માટે વધારે વિચારણીય છે.

સૌજન્ય- અમર ઉજાલા

અમેરિકાનું અભૂતપૂર્વ સંકટ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અમેરિકી સરકારને દેવું કરવા માટે સંસદ પાસેથી મંજૂરી લેવાની હોય છે. સંસદ દ્વારા બાંધવામાં આવેલી વર્તમાન મર્યાદા 14 હજાર અબજ ડોલર હતી. આ મર્યાદા સુધી અમેરિકી સરકાર ભૂતકાળમાં જ બજારમાંથી કર્જ લઈ ચુકી હતી, પરંતુ એ પુરતું ન રહ્યું, કારણ કે અમેરિકી સરકારની આવક ઓછી અને ખર્ચ વધારે છે. આ નુકસાનને વારંવાર કર્જ લઈને લાંઘવામાં આવી રહ્યું છે, જેવી રીતે નુકસાનમાં ચાલી રહેલી કંપની નવું દેવું લઈને જૂનું દેવું ચુકતે કરે છે. પરંતુ વધુ દેવું કરવા માટે સંસદની મંજૂરી લેવી જરૂરી હતી. સંસદ દ્વારા મંજૂરીના અભાવમાં અમેરિકી બજાર વધુ દેવું કરી શકે તેમ ન હતી અને દૈનિક ખર્ચાના વહન કરવા માટે પણ સરકારની પાસે નાણાં ન હતા. અમેરિકી સરકારનું તમામ કામકાજ ઠપ્પ થવાની અણિ પર હતું. સૌભાગ્યથી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અમેરિકી સાંસદો વચ્ચે સંમતિ બની ગઈ છે. પહેલાની 14 હજાર અબજ ડોલરની મર્યાદાને વધારી દેવામાં આવી છે. આ સંમતિ પણ બની છે કે સરકારના ખર્ચામાં કાપ કરવામાં આવશે. આ ઘટાડો વર્ષ 2013 બાદ શરૂ થશે. 

અમેરિકી સરકાર દ્વારા લેવાનારા કરજામાં સતત વધારો થઈ રહ્યો છે. 1997થી 2002 સુધી દેવામાં પ્રતિ વર્ષ 200 અબજ ડોલરની વૃદ્ધિ થઈ હતી. 2002-08માં આ વધારો 500 અબજ ડોલર પ્રતિ વર્ષ થઈ ગયો. 2008-11માં ઝડપ વધી અને 1600 અબજ ડોલર પ્રતિ વર્ષની વૃદ્ધિ થઈ છે. ચાલુ વર્ષથી આગામી દસ વર્ષમાં કરજામાં 16 અબજ ડોલરની વૃદ્ધિ થવાની સંભાવના છે. આ દેવા પર નિયંત્રણ માટે રાષ્ટ્રપતિ ઓબામા અને સાંસદો વચ્ચે સંમતિ બની છે કે આગામી દશ વર્ષમાં સરકારી ખર્ચમાં 2500 અબજ ડોલરનો ઘટાડો કરવામાં આવશે, પરંતુ આ ઘટાડાથી સમસ્યાનો ઉકેલ દેખાતો નથી. આ ઘટાડા બાદ પણ દેવું લગભગ 13500 અબજ ડોલર વધશે. એટલે કે ઘટાડા છતાં દેવું બેગણું થઈ જશે. સ્પષ્ટ છે કે આ સમજૂતીથી અમેરિકી સરકારને તાત્કાલિક રાહત મળશે. સરકાર નવું દેવું લઈને પોતાનું કામકાજ ચાલુ રાખશે, પરંતુ મૌલિક સમસ્યા જેમની તેમ ઉભી રહી છે, કારણ કે કુલ દેવું વધતું જ જશે. આ સમસ્યાનું અસલી સમાધાન ત્યારે જ નીકળશે જ્યારે અમેરિકી સરકારની આવકમાં વધારો થશે.

અમેરિકી સરકારની આવક ઘટવાના ત્રણ મુખ્ય કારણો છે. પહેલું, નવી તકનીકોનો આવિષ્કાર થઈ રહ્યો નથી. ભૂતકાળમાં વિન્ડોઝ સોફ્ટવેર અને પરમાણુ રિએક્ટર જેવી નવી તકનીકોને વેચીને અમેરિકી કંપનીઓ ભારે નફો કમાઈ રહી હતી. બીજું કારણ છે કે અમેરિકી કંપનીઓ માટે માલનું ઉત્પાદન ભારત અને ચીનમાં કરવું લાભકારક થઈ રહ્યું છે. જેવું કે ફોર્ડ મોટર કંપની ભારતમાં કારનું ઉત્પાદન કરી રહી છે. અમેરિકામાં ઉત્પાદન ઓછું હોવાથી અમેરિકી સકરારને ટેક્સ ઓછો મળી રહ્યો છે. ત્રીજું કારણ છે કે અમેરિકા સતત યુદ્ધરત છે, જેના પર સરકારને ભારે ખર્ચ કરવો પડે છે. આ કારણોથી વધતા નુકસાનને પહોંચી વળવા માટે અમેરિકી સરકારને ઉત્તરોત્તર વધારે દેવું કરવું પડે છે. સ્પષ્ટ છે કે સમસ્યાના મૂળ સમાધાન માટે અમેરિકી સરકારે આ સમસ્યાઓનો ઉકેલ શોધવો પડશે, પરંતુ રાષ્ટ્રપતિ ઓબામાના સમજૂતીમાં આવું કશું જ નથી. કુલ 2500 અબજ ડોલરના ઘટાડામાંથી 1000 અબજ ડોલરના ખર્ચનો કાપ સીધો સરકાર દ્વારા કરવામાં આવશે. 1500 અબજ ડોલરની બચત ટેક્સમાંથી મુક્તિને સમાપ્ત કરીને હાસિલ કરવામાં આવશે. આ કાપથી નવી તકનીકોના આવિષ્કાર, ઉત્પાદનનું પલાયન અને યુદ્ધની સમસ્યાઓ હલ થતી નથી. માટે આ સમજૂતી કેન્સરના રોગીને સિરદર્દની દવા આપવા જેવી છે.
દેવું લેવાની સંમતિ બનવામાં સમય લાગવાથી અમેરિકાની વાસ્તવિક સ્થિતિ ઉજાગર થઈ ગઈ છે. 
વિશ્વના રોકાણકારોને ભય લાગવા લાગ્યો છે કે અમેરિકી સરકાર કર્જાની અદાયગી ભાગ્યે જ કરી શકશે. આ અનિશ્ચિતતાના કારમે પશ્ચિમી રેટિંગ કંપની સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે અમેરિકાનું રેટિંગ ટ્રિપલ-એથી ઘટાડીને ડબલ-એ-પ્લસ કરી દીધું છે. તેના સિવાય ચીનની ડાગોંગ રેટિંગ કંપનીએ અમેરિકી સરકારના દેવાનું રેટિંગ એ-પ્લસ-પ્લસ-પ્લસથી ઘટાડીને એ-પ્લસ કરી દીધું છે. રેટિંગ ઘટવાનો અર્થ થાય છે કે રોકાણકારો માટે દેવું આપવામાં ખતરો છે. તેના પ્રમાણે રોકાણકારો ઉંચા વ્યાજ દરોની માગણી કરે છે અને દેવું લેનારા પર વ્યાજના બોજ વધતો જાય છે. તાત્પર્ય એ થયું કે ભવિષ્યમાં અમેરિકાને દેવું લેવા માટે વધારે વ્યાજ આપવું પડશે. તેનાથી અમેરિકી સરકારનું નુકસાન વધુ થશે અને સંકટ વધારે ઘેરું બનશે. 

અમેરિકી સંકટ ઘેરાવાનું વધુ એક કારણ છે. અત્યાર સુધી વિશ્વના અનેક દેશો અમેરિકામાં પોતાની મૂડી રોકવા માટે ઉત્સુક હતા. આ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આરબ દેશોમાં ઘરેલુ આંદોલનોને કારણે જરૂરી થઈ ગયું છે કે તેમની સરકાર ઘરેલુ આર્થિક વિકાસ પર ખર્ચ વધારે. તેના પ્રમાણે, તેલના વેચાણમાંથી મળતી રકમનું રોકાણ આ દેશ અમેરિકામાં ઓછું કરી શકશે. ચીનમાં જનતા જાગ્રત થઈ રહી છે. ચીન પણ નિકાસના સ્થાને ઘરેલુ ખપત વધારશે. તેના કારણે નિકાસમાંથી મળેલી રકમનું અમેરિકામાં રોકાણ ઓછું થશે. યૂરોપમાં પણ અમેરિકા જેવી જ સ્થિતિ છે. માટે અમેરિકા માટે ઋણ લેવું કઠિન થઈ જશે, ભૂતકાળમાં લીધેલા દેવાની અદાયગી માટે દબાણ વધવાની સંભાવના બનેલી છે. પેસિફિક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીએ 236 અબજ ડોલરના અમેરિકી સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડ ખરીદયા હતા. હાલમાં આ કંપનીએ બોન્ડ વેચવાના શરૂ કરી દીધા છે. માટે આવનારા દિવસોમાં અમેરિકા માટે બોન્ડના ખરીદદારો શોધવા કઠિન બની જશે. 

અમેરિકાની સમસ્યાના ઉકેલની ચાવી જીવનસ્તરમાં ઘટાડામાં નિહિત છે. અંતે અમેરિકી નાગરીકોએ પોતાના જીવનસ્તરમાં ઘટાડો કરવો જ પડશે. અમેરિકી ઉત્પાદનો ભારત અને ચીનની સ્પર્ધામાં ત્યારે જ ટકી શકશે કે જ્યારે અમેરિકી શ્રમિકોના વેતનમાં ભારે ઘટાડો થશે. હાલ સમજૂતીથી આ સમાયોજન સ્થગિત થશે. આ સમજૂતી સમસ્યાના હલની તરફ પગલું ભરતી નથી, પરંતુ સમસ્યાને પડદાની પાછળ છુપવાની વધુ વિકટ રૂપમાં સામે લાવવાનો રસ્તો ખોલે છે. 

મારું માનવું છે કે આગામી સમયમાં અમેરિકી અર્થવ્યવસ્થામાં સંકટ વધારે ઘેરાશે, કારણ કે આ ઉંચા જીવનસ્તરની મૌલિક સમસ્યા પર ધ્યાન આપી રહ્યું નથી. અમેરિકી અર્થવ્યવસ્થાનું તૂટવું અને ભારત-ચીનનું ઉઠવું એકસાથે થશે. અમેરિકાના તૂટવાની સાથે વિશ્વના રોકાણકારો ભારતીય શેરબજારની તરફ વળશે, જો કે આ વળાંક ઘણો અચકાઈને થશે. તત્કાલ તો ભારત પર પણ સંકટ આવશે. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Tuesday, 2 August 2011

ચીનની ચિંતા


બી. રામન

એકલા અમેરિકા અને ભારત જ પાકિસ્તાન પર પોતાની જમીનને આતંકવાદી પ્રવૃતિઓ માટે અભ્યારણ્યની જેમ ઉપયોગ કરનારા જેહાદીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા માટે દબાણ બનાવી રહ્યાં નથી. પરંતુ પાકિસ્તાની ક્ષેત્રથી પ્રવૃતિઓ ચલાવનારા ઉઈઘુર અને અન્ય આતંકી સમૂહો પર કાર્યવાહી માટે ચીન પણ તેના પર દબાણ બનાવી રહ્યું છે. આ આતંકી માત્ર પાકિસ્તાનમાં કાર્યરત ચીની નાગરીકોની સુરક્ષા માટે પડકાર બન્યા નથી, પરંતુ ચીનના શિનજિયાંગ પ્રાંતની આંતરીક સુરક્ષાને પણ તેનાથી જોખમ છે.

ચીનની ચિંતાના ત્રણ કારણો છે. પહેલું, ચીની નાગરીકોના જીવન પર ખતરો. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં ચીની નાગરીકો પર પાંચ હુમલા થઈ ચુક્યા છે. તેમાંથી ત્રણ બલુચિસ્તાનમાં અને એક-એક પશ્ચિમોત્તર સીમા પ્રાંત (એનડબલ્યુએફપી) અને સંઘ દ્વારા શાસિત કબાઈલી ક્ષેત્ર ફાટામાં થયા છે. આ હુમલામાં ત્રણ ચીની નાગરીકોના જીવ પણ ગયા છે. તેમાંથી બે હુમલાને જુલાઈ-2007માં ઈસ્લામાબાદ ખાતે લાલ મસ્જિદમાં થયેલી કમાન્ડો કાર્યવાહી બાદ અંજામ આપવામાં આવ્યો હતો. તેના સિવાય ઈસ્લામાબાદના એક મસાજ પાર્લરમાં કામ કરનારી છ ચીની મહિલાઓને લાલ મસ્જિદ મદરેસામાં ભણનારી મહિલાઓને ગુમ કરી દીધી હતી, જેમને બાદમાં છોડી મુકવામાં આવી હતી.

ચીનની ચિંતાનું બીજું કારણ છે, આ ઘટનાઓની તપાસમાં પાકિસ્તાની પોલીસની બેરૂખી. ત્રીજું, ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈસ્ટ તુર્કિસ્તાન (આઈએમઈટી)થી સંબંધ રાખનારા ઉઈઘુર આતંકવાદીઓને શોધી નાખવા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા. જ્યારે ચીન માને છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાની ક્ષેત્રમાં શરણ લઈ રહ્યાં છે.

ઓગસ્ટ, 2007માં લાહોરમાંથી પ્રકાશિત અખબાર ડેલી ટાઈમ્સમાં મોસ્કોમાં તેનાત ચીની રાજદૂત લિઉ ગુચાંગનું એક નિવેદન પ્રકાશિત થયું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે તાજેતરના વર્ષોના આકલનથી ખબર પડે છે કે સૌથી મોટો આતંકી પડકાર પૂર્વી તુર્કિસ્તાનના આતંકી સમૂહોથી છે, જેઓ ચીનની અંદર અને તેની સીમાઓમાં સક્રીય છે.

પાકિસ્તાન પર અમેરિકા અને ચીન, બંનેની તરફથી જેહાદી આતંકીઓ પર કાર્યવાહીનું દબાણ છે. પરંતુ પાકિસ્તાની સરકાર ચીનની ચિંતાઓ પ્રત્યે ઘણી વધારે સજગ છે અને તેના કારણે તેની સાથે રણનીતિક સંબંધો પર પડનારા પ્રભાવને લઈને પણ પરેશાન પણ છે. વાસ્તવમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ લાલ મસ્જિદમાં શરણ લેનારા તાલિબાન સમર્થકો પર કોઈપણ પ્રકારની કાર્યવાહીથી બચતા રહે, પરંતુ જ્યારે છ ચીની મહિલાઓને ગુમ કરીને તેમના પર વેશ્યાવૃતિમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો, તો ચીનની તરફથી પાકિસ્તાન પર દબાણ વધ્યું. ત્યાર બાદ જ મુશર્રફે લાલ મસ્જિદમાં કમાન્ડો કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

ચીનની ચિંતા પર પાકિસ્તાની કાર્યવાહીનો વધુ એક મામલો તાલિબાન સમર્થક કબાઈલી નેતા અબ્દુલ્લા મહસૂદથી જોડાયેલો છે. તે અફઘાનિસ્તાનમાં નવ તાલિબાન જૂથોને મદદ કરી રહ્યો હતો. હામિદ કરજઈ સરકારે વારંવાર ચિંતા વ્યક્ત કરી હોવા છતાં પાકિસ્તાની સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહી. પરંતુ જ્યારે ચીને મહસૂદથી પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોના જીવને જોખમ હોવાનું જણાવ્યું, તો તેને પાકિસ્તાની સુરક્ષા તંત્રે ઠાર કરી નાખ્યો.

પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરીકોની સુરક્ષા વધારવા અને ભૂતકાળમાં થયેલા હુમલાની તપાસ માટે પાકિસ્તાન અને ચીને ઓગસ્ટ, 2007માં એક સંમતિ પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. તેના લગભગ એક વર્ષ બાદ બીજિંગ ગયેલા પાકિસ્તાનના તત્કાલિન ગૃહ મંત્રી રહમાન મલિકે કહ્યું હતું કે ચીનના શત્રુ પાકિસ્તાનના શત્રુ છે. અમે અમારા સૌથી વિશ્વસનીય સહયોગી માટે જોખમ બનેલા તત્વોને છોડીશુ નહીં.

મલિક જૂન, 2009માં પણ બીજિંગ ગયા હતા. તેમની આ યાત્રા બાદ પાકિસ્તાની સરકારે એમનેસ્ટી ઈન્ટરનેશનલના વાંધાઓ છતાં ઉઈઘુર સમુદાયના દશ લોકોને ચીનને સોંપી દીધા હતા. એમનેસ્ટીને અંદેશો હતો કે આ લોકોને કોઈપણ યોગ્ય સુનાવણી વગર ચીન ફાંસીના માંચડે લટકાવી દેશે. ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે લોકો આઈએમઈટી સાથે સંબંધિત હતા, જેમને પાકિસ્તાની સેનાએ ફાટામાં ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં પકડયા હતા.

એબટાબાદમાં ગત 2જી મેએ અમેરિકી અભિયાનમાં ઓસામા બિન લાદેનના માર્યા ગયા બાદ ચીને મજબૂતી સાથે પાકિસ્તાનનો બચાવ કર્યો હતો. પરંતુ હજી જુલાઈમાં શિનજિયાંગ પ્રાંતમાં ભડકેલી હિંસામાં ચીનની આ ચિંતા તાજી થઈ ગઈ કે પાકિસ્તાન આઈએમઈટીના આતંકીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી.

શરૂઆતમાં ચીની આતંકવાદ વિરોધી વિશેષજ્ઞોએ એ ચિંતા વ્યક્ત કરી, પરંતુ હવે પાર્ટીના નિયંત્રણવાળા ગ્લોબલ મીડિયાના સ્તંભોમાં પણ આ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જમીનથી સંચાલિત ભારત વિરોધી આતંકી પ્રવૃતિઓને લઈ ચીને ક્યારેય ભારતની ચિંતાની સાથે સંબંધ રાખ્યો નથી. એટલું જ નહીં, અનેક વર્ષો સુધી તેણે સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી નિરીક્ષણ સમિતિને જમાત-ઉદ-દાવા અને લશ્કરે તોઈબાને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાથી રોકી રાખી હતી. ચીની બેરૂખી છતાં ભારતે પાકિસ્તાનમાં હાજર આતંકી માળખાં સંદર્ભે તેના બેવડા વલણને બેનકાબ કરવું જોઈએ.

(સૌજન્ય-અમર ઉજાલા)

Sunday, 31 July 2011

સંકટમાં દરેક સરકાર



હરિવંશ

ભારત માટે સૌથી જરૂરી વસ્તુ છે શાસન. તે પણ કેન્દ્રનું. શાસન એટલે કેન્દ્રનું શક્તિશાળી હોવું. મધુ લિમયે જે સત્તાના વિકેન્દ્રીકરણ સિદ્ધાંતના પાલનમાં પળીને મોટા થયા, તે પણ માનતા હતા કે મજબૂત ભારત માટે દિલ્હીનું સશક્ત હોવું જરૂરી છે.

કોંગ્રેસની સતત દુર્દશા અને રાજા દ્વારા થનારી રોજની ફજેતીએ કેન્દ્રને સૌથી વધારે કમજોર કરી દીધી છે. ભાજપ, ભારતમાં કોંગ્રેસનો વિકલ્પ બની શક્યું નથી. યેદિયુરપ્પા જેવાના પાપ ભાજપ જેવા પક્ષોને ડુબાડી રહ્યાં છે. માટે ભાજપ સશક્ત, સાર્થક અને સમયને અનુરૂપ વિપક્ષની ભૂમિકામાં નથી, કારણ કે યેદિયુરપ્પાના મેન્ટર (સંરક્ષક) ભાજપમાં મોટા પદો પર છે. યેદિયુરપ્પા મામલા પર ભાજપ લોકલાજ છોડીને સતી થવા ઈચ્છે છે, તો તેનાથી દેશનું મોટું નુકસાન નથી. ભાજપ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરે છે, તો તેના પક્ષમાં યેદિયુરપ્પા જેવા લોકો સભ્ય પણ ન હોવા જોઈએ. પરંતુ સંકેત છે કે તે મુખ્યમંત્રી પદ છોડશે, તો તેમને કર્ણાટક ભાજપનું અધ્યક્ષ પદ જોઈએ. માટે ભાજપ તો ભવિષ્યહીન છે, પરંતુ કોંગ્રેસ? કોંગ્રેસનું, ભારતની મુક્તિના સંઘર્ષ અને જન્મ સાથે જોડાણ રહ્યું છે. અતીતમાં આ પાર્ટી, સંયુક્ત સમાજની અભિવ્યક્તિનો મંચ રહી છે. જો આ પાર્ટી રાજા, અમર સિંહ જેવાના સવાલોથી ઘેરાય જાય, તો ચર્ચિલના કહેલા પ્રસંગનું સ્મરણ થાય છે. આઝાદી મળવાની હતી, ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે આ વૃદ્ધ પેઢીના ગુજર્યા બાદ આ દેશને ચલાવવાની ક્ષમતા અહીંના લોકોમાં નથી. આ દેશ તૂટી અને વિખેરાય જશે.

રાજાએ કોર્ટમાં વડાપ્રધાન અને ચિદમ્બરમ પર જે પલટવાર કર્યો છે, તેણે કેન્દ્ર સરકારની શાખ ખતમ કરી નાખી છે. કોંગ્રેસ બચાવમાં કહી રહી છે કે ભાજપ પહેલા યેદિયુરપ્પાની વાત કરે, તેમને હટાવે. શું વડાપ્રધાન મનમોહન સિંહની સરખામણી યેદિયુરપ્પાથી થશે? આ જવાબ કોંગ્રેસ ભાજપને આપી રહી છે અથવા દેશને? શું ભાજપ અને યેદિયુરપ્પા જ દેશ છે? અથવા યેદિયુરપ્પા અને ભાજપની બહાર પણ ભારત છે? વડાપ્રધાનની એક છબી રહી છે. તેમની વ્યક્તિગત છબી હજી સુધી બેદાગ રહી છે. પરંતુ રાજાના સવાલોએ નાણાં મંત્રી અને વડાપ્રધાન પદની બંધારણીય ભૂમિકા, મંત્રીમંડળના સામૂહિક દાયિત્વ પર ગંભીર સવાલ કર્યા છે, કોઈ તત્કાલિન નાણાં મંત્રીને કોર્ટમાં ખેંચવા ચાહે છે, કોઈ ભૂતપૂર્વ સરકારી સચિવ કહે છે કે હું જેલમાં છું, તો રિજર્વ બેંકના ગવર્નર સાચા કેવી રીતે છે? ભારત સંઘની શક્તિનું પ્રતીક છે, વડાપ્રધાન, નાણાં મંત્રી, ગૃહ મંત્રી, રિજર્વ બેંકના ગવર્નર વગેરે. આ પદ પણ આરોપોના લપેટામાં આવ્યા, તો ભારત સંઘની શક્તિનું શું થશે? આ પદ માત્ર બંધારણીય-કાયદાકીય સત્તાના પ્રતીક નથી. લોક નજરમાં આ સર્વોચ્ચ પદ, વૈદ્યતા ખોવા લાગશે, તો ભારતનું ભવિષ્ય શું હશે?
બીજી તરફ, કોંગ્રેસ સંગઠનની પરિસ્થિતિ વધુ ખરાબ છે. મણિશંકર અય્યર નિવેદન આપે છે કે કોંગ્રેસ સરકસ છે. તે 24 અકબર રોડ પુસ્તકના વિમોચન પ્રસંગે બોલી રહ્યાં હતા. મણિશંકર અય્યર રાજીવ ગાંધીના પારિવારીક મિત્ર રહ્યાં છે. અધિકારીમાંથી તેઓ મંત્રી બન્યા. કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કહ્યું છે કે પર્યાવરણ મંત્રીના રૂપમાં તેઓ પોતાની સરકારમાં શિખંડીની ભૂમિકામાં હતા. દિગ્વિજય સિંહ જેવા નેતા નવા અવતારમાં છે. જો આ પદનો વ્યક્તિ (જેમાં ક્યારેક દેશ ભાવિ વડાપ્રધાનની છબી જોતો હતો) સડક પર ઉતરીને મારામારી કરે, તો તે પાર્ટીના પતનને રાષ્ટ્રીય આપત માની લેવી જોઈએ. એટલું જ નહીં, કોંગ્રેસ એ પણ ભૂલી ગઈ છે કે તે કોઈ મહાન પરંપરાની દેણ છે. (ગાંધીજીની ઈચ્છા પ્રમાણે આઝાદી બાદ ભંગ થઈ લોકસેવક સંઘ બન્યો હોત, તો કદાચ દેશનો ઘણો ઉપકાર હોત.) મોટા કોંગ્રેસી નેતા જ્યારે મારામારી કરે છે, તો નાના કોંગ્રેસી નેતા શું કરશે? રાંચીમાં કપિલ સિબ્બલ આવ્યા હતા. આઈસાના કેટલાંક નવયુવાનો બહાર તેમનો વિરોધ કરી રહ્યાં હતા. તેમને કોંગ્રેસીઓએ ખરાબ રીતે માર્યા. શું સત્તામદમાં કોંગ્રેસના લોકો લઘુત્તમ મર્યાદા પણ ભૂલી રહ્યાં છે? શું તેઓ વિરોધને કચડી નાખવા ચાહે છે? જો આ રસ્તો સાચો છે, તો જે જૂનાં મોટા કોંગ્રેસી નેતાઓએ આઝાદીની લડાઈમાં પ્રતિકાર અથવા વિરોધ પ્રદર્શનને રાજનીતિ તરીકે કારગર હથિયાર તરીકે પસંદ કર્યા હતા, શું તેઓ બધાં અપરાધી હતા? શું કોંગ્રેસ રાજનીતિની ફિલોસોફી બદલવા ચાહે છે?

જે હથિયારોથી કોંગ્રેસ અસ્તિત્વમાં આવી, સત્યાગ્રહ, ધરણાં, સવિનય કાનૂન ભંગ, પ્રદર્શન, વિરોધ, તેને તે ખૂબસૂરતીથી કચડી રહી છે. યાદ કરો જ્યારે પહેલી વાર લોકતંત્રમાં આ નવા વધુ ધારદાર સાત્વિક પ્રતિરોધક હથિયાર સાધન તરીકે અપનાવાયા, ત્યારે દુનિયાએ આશ્ચર્યની સાથે ભારત તરફ જોયું. કોંગ્રેસે બાબા રામદેવના આંદોલનને કચડી નાખવા નવું હથિયાર શોધી લીધું છે. વિરોધને દબાવવા-કચડવા માટે. દિલ્હી પોલીસ પાસે અન્ના હજારેના આંદોલન પર રોક લગાવડાવી દીધી. બીજી તરફ દિગ્વિજય સિંહે નિવેદન આપ્યું કે સરકાર કોઈના અનશનથી ડરતી નથી. બાબા રામદેવના પ્રદર્શન-ધરણાંમાં દિલ્હી પોલીસે જે કર્યું, હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન છુપાયેલા-દબાયેલા તથ્યો અને સંકેત સામે આવી રહ્યાં છે. દિલ્હી પોલીસ, દિલ્હી વહીવટી તંત્રના તાબામાં છે, પરંતુ બાબા રામદેવના ધરણાં દરમિયાન તેને રામલીલા મેદાનમાં કાર્યવાહી કરવા માટે ઉપરથી આદેશ મળ્યા? શું આ સંઘીય માળખા હેઠળ શાસન છે? હવે આ જ રણનીતિ અન્ના હજારે સાથે અપનાવાય રહી છે. 

કોંગ્રેસના આ વલણ પર આરજેડી, સમાજવાદી પાર્ટી અને ડાબેરીની ભૂમિકા અથવા ચુપકીદી ધ્યાન આપવા લાયક છે? મોંઘવારીનો વિરોધ કરતાં ઘૂમી રહ્યાં હતા મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવ. પરંતુ બહાર વિરોધ, લોકસભામાં કોંગ્રેસને મદદ. આ પ્રકારે ભ્રષ્ટાચારના એવા-એવા મામલા સામે આવ્યા છે, જેવા વીતેલા 60 વર્ષોમાં આવ્યા નથી. મુલાયમ સિંહ યાદવ અને લાલુપ્રસાદ, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની જ ઉપજ છે. પરંતુ આજના જેવો ભ્રષ્ટાચાર જાહેર જીવનમાં ક્યારેય રહ્યો નથી, પરંતુ આ જમીની નેતા મૌન છે. લાલુજી રામદેવજીની વિરુદ્ધ બોલે છે. લોકપાલ મુદ્દા પર આ પક્ષોનો મત શું છે? ખબર નથી. સાંસદ લાંચકાંડમાં, પૂર્ણ તપાસ વગર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મુક્ત કરી દેવાઈ. ઓછામાં ઓછી તપાસ પૂરી થવાની લોકલાજ તો દાખવત. જે કટ્ટર વેરી થઈ ગયા હતા, એકબીજાને મિટાવી દેવાનો શંખનાદ કરી રહ્યાં હતા, તે મુલાયમ સિંહ-અમર સિંહમાં નવા પ્રેમનું રહસ્ય શું છે?

અન્ના હજારે અને બાબા રામદેવના પ્રસંગમાં જે પ્રકારે કોંગ્રેસીઓના નિવેદન આવી રહ્યાં છે, તે સંકેત છે કે મહાન વરસાવાળી આ પાર્ટી ક્યાં પહોંચી ગઈ છે? અન્ના હજારે અને રામદેવથી આપણે અસંમત હોઈ શકીએ, આ બંનેની બધી માગણીઓ અને પસ્તાવોથી સંમત પણ ન થઈ શકાય. પરંતુ જાહેર જીવનમાં લોકમર્યાદા જાળવી રાખવાની જવાબદારી કોની છે? શાસક પાર્ટીની અથવા અન્ના હજારે કે રામદેવજીની?

એ પણ દુર્ભાગ્ય છે કે કોંગ્રેસના સતત હ્રાસથી જન્મેલા મહાશૂન્યને ભરવા માટે આજે કોઈ વિકલ્પ નથી. આ વિશ્લેષણનો એ નિષ્કર્ષ પણ છે કે આઝાદી બાદ કોંગ્રેસ સત્તા ચલાવવામાં નિપુણ બની શકી નથી. આઝાદીની આગથી આ પાર્ટી તપાઈને નીકળી. સૌથી વધારે સમય સુધી શાસન આ પક્ષના લોકોએ કર્યું. તેમ છતાં આ પક્ષ દેશને રાજકીય સ્થિરતા આપી શક્યો નથી. ગત 60 વર્ષોના ઈતિહાસ પર આપણે નજર નાખીએ, ખાસ કરીને 1962 બાદ. દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્રની સરકાર ડગમગવા લાગે છે. તે પોતાની વૈદ્યતા, નૈતિક-આભા અને પ્રામાણિકતા ખોતી નજરે પડે છે. શાસન સંચાલન કઠિન લાગે છે. અરાજકતાની પરિસ્થિતિ દેખાવા લાગે છે. જેમને જનતા શક્તિ આપીને મજબૂત બનાવે છે, ગાદી પર બેસાડે છે, તે પક્ષઘાતના શિકાર બની જાય છે. 

શરૂઆતમાં 15 વર્ષ સુધી પંડિત નેહરુએ ભારત પર એકછત્ર રાજ્ય કર્યું. 1962માં કોંગ્રેસને જનતાએ ભારે બહુમતી સાથે ચૂંટી, પરંતુ ચીન યુદ્ધે કોંગ્રેસને અસમયે નિસ્તેજ કરી દીધી. 1957થી 1962 સુધી કોંગ્રેસને વધારે બહુમતી મળી હતી. ચીનના હુમલાની સાથે જ 10 માસમાં તે લોક સમર્થન વિખેરાઈ ગયું. કોંગ્રેસ નિસ્તેજ થઈ ગઈ. કેન્દ્ર સરકારની વિશ્વસનીયતા, વહીવટી કૌશલ પર સવાલ ઉઠવા લાગ્યા. આ પરાજયે દેશના મન અને માન બંને તોડી નાખ્યા. પંડિતજી આંદોલનની દેણ હતા. તેઓ ઓળખી ગયા. લોક નજરમાં પાર્ટી ગુનેગાર બની રહી છે. પંડિતજીનો અધ્યાય ખતમ થઈ ગયો હતો. તેમ છતાં તેમણે પાર્ટીનું તેજ-શૌર્ય પાછું મેળવવાની કોશિશ કરી. કામરાજ પ્લાનથી.

1963માં પંડિત નેહરુએ કામરાજ યોજના લાગુ કરી. મોટા-મોટા કોંગ્રેસી મોરારજી દેસાઈ, લાલબહાદૂર શાસ્ત્રી, જગજીવન રામ, કામરાજ, બીજૂ પટનાયક, ભગવંતરામ મંડલાઈ, વિનોદાનંદ ઝા જેવા નેતાઓને હટાવાયા. પંડિત નેહરુએ સમજી લીધું, જનતા નારાજ છે, માટે કોંગ્રેસની અંદર સફાઈ જરૂરી છે. પંડિત નેહરુ અસ્વસ્થ હતા અને વડાપ્રધાન હોવા છતાં અપ્રભાવી ભૂમિકામાં હતા. પછી પંડિતજી રહ્યાં નહીં. લાલબહાદૂર શાસ્ત્રીએ કમાન સંભાળી, પછી ઈન્દિરા ગાંધીએ. આ તબક્કામાં દુષ્કાળ, કાશ્મીરમાં મુજાહિદ, પાકિસ્તાન સાથે યુદ્ધ, બે વડાપ્રધાનોના મોત, દેશે બધું જોયું અને ભોગવ્યું. તે દિવસોમાં દિલ્હીને કમજોર જાણીને રાજ્યોમાં અરાજકતા પગ ફેલવવા લાગી. 1966માં અલગ પંજાબ માટે સંત ફતેસિંહે આત્મદાહની ધમકી આપી. વિશાખાપટ્ટનમમાં સ્ટીલ કારખાનાના સવાલ પર આંધ્ર પ્રદેશમાં હુલ્લડ ફેલાયા. ગોવધના પ્રશ્ને સંસદનો ઘેરાવ થયો. આ બધી બાબતોના પરિણામે ભારતના નવ રાજ્યોમાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો. પછી 1966થી ઈન્દિરા ગાંધીના યુગની શરૂઆત થઈ.
1967થી 1971 વચ્ચે પક્ષપલટાથી લઈને રાજકારણના દરેક અનૈતિક હથકંડાઓને લોકમાન્યતા આપવાનો તબક્કો શરૂ થયો. ઈન્દિરા ગાંધીએ 1969માં કોંગ્રેસના ભાગલા કરી દીધા. કોંગ્રેસના કાયાકલ્પ માટે. 1967માં લોકસભામાં કોંગ્રેસને બહુમતી જરૂર મળી હતી, પરંતુ સંખ્યા ઘણી ઘટી ગઈ હતી. શ્રીમતી ગાંધીએ રાજકારણને પાયાના સવાલો સાથે જોડવાની પહેલ કરી. કોંગ્રેસને તોડી અને દેશને નવા સપના આપ્યા. તેમને બે તૃતિયાંશ બહુમતી મળી, પરંતુ પરિણામ શું આવ્યું, આ બે તૃતિયાંશ બહુમતીનું?

1971માં દેશે ઈન્દિરા ગાંધીને તે સત્તા આપી, જે પંડિત નેહરુ જેવા કદ્દાવર નેતાને મળી ન હતી. 1971ના અંતમાં બાંગ્લાદેશ યુદ્ધ થયું. શ્રીમતી ગાંધી મહાશક્તિશાળી બન્યા. ત્યારે અટલ બિહારી વાજપેયીએ તેમને દુર્ગા પણ કહ્યાં. 1973માં પેટ્રોલના ભાવ વધ્યા, મોંઘવારી દરવાજો ખખડાવા લાગી, દુષ્કાળ પડયો, ઘઉંના થોક વેપારનું રાષ્ટ્રીયકરણ થયું, તો શ્રીમતી ગાંધીએ પણ માન્યું કે દેશને એક આર્થિક જાદૂગર જોઈએ. તેમણે જર્મનીના લૂડવીકની ચર્ચા કરી, જેમણે પશ્ચિમ જર્મનીનો આર્થિક કાયાપલટ કર્યો હતો. પરંતુ ભારતમાં કોઈ ચમત્કાર થયો નહીં. 

1974માં દેશ ફરીથી રાજકીય સંકટમાં ફસાવવા લાગ્યો. વધતાં ભ્રષ્ટાચાર, અનૈતિક રાજનીતિ, ચૂંટણીમાં સુધારા જેવા ગંભીર મામલા પર કોઈ ઉકેલ નીકળ્યો નહીં. ગવર્નેંસનું કોઈ મોડલ કોંગ્રેસ વિકસિત કરી શકી નહીં. કુશાસન, ભ્રષ્ટાચાર, ચૂંટણીઓમાં ધાંધલી, ગુનેગારોના હાથમાં જતી રાજનીતિ, બ્લેક મનીની વધતી શક્તિ, પાર્ટીઓની અંદર ખતમ થતું લોકતંત્ર, કોંગ્રેસનો વિકલ્પ ન ઉભરવા જેવા અનેક પાયાના સવાલો હતા, જે ગત બે દશકોથી દેશની પીઠ પર બોજ બની ચુક્યા હતા. પરંતુ તેને ઉકેલવાની કોશિશ કોઈ સ્તરે ન હતી. તેને ઉકેલવાના બે જ રસ્તા હતા. પહેલો આદર્શ રાજનીતિ, જે પોતાના વિચારો, સિદ્ધાંતો, કલ્પનાઓ અને સપનાઓથી બુઝેલા મન અને કોમને એક નવો બોધ, ગતિ અને અર્થ આપી શકે, એક નવી રાહ પર લઈ જઈ શકે. પરંતુ લોકસત્તાને જગાડનારી તે રાજનીતિ જ ખતમ થઈ ગઈ. રાજનીતિનો અર્થ થઈ ગયો સત્તા. જયપ્રકાશ નારાયણ અપવાદ હતા, તેઓ લોક રાજનીતિના આગેવન હતા. આ લોક રાજનીતિએ સત્તા રાજનીતિને પડકારી. તેનું પરિણામ સામે હતું. દેશને પાટા પર લાવવાનો બીજો રસ્તો હતો, શ્રેષ્ઠ શાસન. પંડિત નેહરુના જીવનકાળમાં જ પ્રો. ગુન્નાર મિર્ડલે ભારતને ફંક્શનલ એનાર્કી કહ્યું. તેના ચોપટ થઈ રહેલા શાસકીય માપદંડો જોઈને. આ સમસ્યા સતત ગંભીર અને બેકાબૂ થતી ગઈ છે. આજે ભારતનો મોટો ભાગ લગભગ અશાસિત છે. ત્યાં સત્તાનું નહીં, સત્તાના સમાંતર કેન્દ્રોનું રાજ છે. લોકસભામાં પ્રબળ અને પ્રચંડ બહુમત બાદ પણ ઈન્દિરા ગાંધી દેશના રાજકીય અને આર્થિક પડકારોનો હલ શોધી શક્યા નહીં. 

1975માં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ તે સત્તામાં રહેવા છતાં પણ આભા ખોઈ બેઠા. અંતે ઈમરજન્સી લગાવીને તેમણે પોતાની ચમક પાછી મેળવવાની કોશિશ કરી. પરંતુ 21 માસમાં તે પણ ધ્વસ્ત થઈ ગયા. 1977માં જનતા પાર્ટી બે તૃતિયાંશ બહુમતીથી જીતી. પહેલીવાર કોંગ્રેસ કેન્દ્રમાંથી હટી. પરંતુ આ જનતા લહેર પણ 28 માસની અંદર ઉતરી ગઈ. દેશની પાયાગત સમસ્યાઓ પોતાની જગ્યાએ યથાવત રહી. 1980માં ફરીથી ઈન્દિરા ગાંધી સત્તામાં પાછા ફર્યા. 1983 આવતા સુધી તે અસહાય દેખાવા લાગ્યા. તે પોતાનો જાદૂઈ સ્પર્શ ગુમાવી ચુક્યા હતા. પંજાબની સમસ્યા, ભિંડરાવાલેનો પડકાર નવા સંકટ તરીકે સામે આવ્યો હતો. 1984માં તેમનો દુખદ અંત થયો. તેમના મોતની લહેરે રાજીવ ગાંધીને તે શક્તિ અને સમર્થન આપ્યા, જે પંડિત નેહરુ અથવા ઈન્દિરા ગાંધીને મળ્યું ન હતું. એક નવા સપનાની સાથે રાજીવ ગાંધીનો ઉદય થયો. પરંતુ ત્રણ વર્ષ પણ પસાર થયા ન હતા કે બોફોર્સનો મુદ્દો તેમને લઈને ડૂબ્યો. ફરી એક વખત બિનકોંગ્રેસી સરકાર બની. વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત અથવા ચૂંટણી સુધાર જેવા પાયાગત સવાલો પાછળ છૂટી ગયા. દેશમાં મંડળ અને કમંડળનો તબક્કો શરૂ થયો. 

ચંદ્રશેખરને કોંગ્રેસે સત્તામાં બેસાડયા, પછી કેટલાંક માસમાં તેમની સરકાર પાડી નાખી, ચરણ સિંહની જેમ. આ બંને સરકારોને પાડવાનું કામ કોંગ્રેસે કર્યું. પછી નરસિંહ રાવની સરકાર બની. પરંતુ બે વર્ષોમાં જ તે પોતાનું તેજ ગુમાવી બેઠી. પહેલીવાર સાંસદોને લાંચ આપવાનો આરોપ લાગ્યો. સાસંદોને સુખી રાખવા માટે તેમણે સાંસદ ફંડ શરૂ કર્યું. હર્ષદ મેહતા અને લખુભાઈએ સીધી વડાપ્રધાનને લાંચ આપ્યાનો આરોપ લગાવ્યો. હર્ષદ મેહતાએ સીધો વડાપ્રધાન કાર્યાલયમાં લાંચ આપવાનો આરોપ લગાવ્યો. દેવગૌડા, ગુજરાલની સરકારો દેશમાં અસ્થિરતાનો તબક્કો લાવી. 5-6 વર્ષોમાં 2-3 સરકારો આવી અને ગઈ. પછી આવ્યો એનડીએનો તબક્કો, જેમાં ઘણાં મુદ્દા ઉભર્યા. ગુજરાતથી લઈને સંરક્ષણ સોદા સુધીના. ત્યાર બાદ યુપીએની વાપસી થઈ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. સ્વચ્છ છબીવાળી તેમની ઈમેજ છે. પંરતુ તેમના મંત્રીમંડળમાં અનેક ગંભીર આરોપોથી ઘેરાયેલા લોકો હતા. બે-અઢી વર્ષોમાં જ અનેક ગંભીર આરોપોથી તેમની સરકાર ઘેરાઈ ગઈ. અંત આવતા સુધી સંસદમાં પરમાણુ કરારના પ્રસંગ પર સાંસદોને લાંચના પ્રકરણે યુપીએ સરકારનો બચેલો યશ પણ ધોઈ નાખ્યો. હવે તે મામલા પણ પલટીને રંગ લાવવા લાગ્યા છે. વિકિલીક્સથી લઈને ઘણાં અન્ય સ્ત્રોતોથી ખુલાસા થયા. પછી અમર સિંહના બચાવમાં સત્તાની ભૂમિકા, પૂરી તપાસ પહેલા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ક્લીન ચીટ.

યુપીએનો બીજો કાર્યકાળ તો વધુ સંકટપૂર્ણ છે. લોકસભા ચૂંટણીઓના દોઢ વર્ષ બાદ જ આ સરકાર શ્રીહીન થવા લાગી. તેના મંત્રીઓ પર અનેક ગંભીર આરોપો લાગ્યા. રાજા પ્રકરણ, કોમનવેલ્થ ગેમ્સ ગોટાળા જેવા અનેક ગોટાળાથી કેન્દ્ર સરકાર સત્વહીન બની છે, તેનો નૈતિક પ્રતાપ ખતમ થઈ ચુક્યો છે.
આ પ્રકારે તમે ધ્યાન આપો કે દર અઢી-ત્રણ વર્ષ બાદ કેન્દ્ર એક ગંભીર સંકટમાં ઘેરાઈ જાય છે. આ સંકટ શું છે? તેનું મૂળ શું છે? શું આપણે ભારતીય શાસન ચલાવવા-સંભાળવા યોગ્ય નથી? શું ચર્ચિલે આપણી યોગ્યતાની સાચી ભવિષ્યવાણી કરી હતી? ક્યાં કારણોથી આવું વારંવાર થઈ રહ્યું છે? જ્યાં સુધી તે કારણો શોધવામાં નહીં આવે, પરિસ્થિતિ સુધરવાની નથી. દેશ લગભગ અશાસિત થઈ ગયો છે. તેને ઠીક કરવા માટે પહેલી જરૂરત છે- ચૂંટણી સુધાર, ભ્રષ્ટાચારની વિરુદ્ધ કડક કાયદા, ભ્રષ્ટ લોકોને ફાંસી અથવા આજીવન કેદની સજા. વિદેશોમાં રાખેલા ભારતીય ધનની વાપસી. કોર્પોરેટ હાઉસોના દલાલોનો રાજનીતિમાંથી સફાયો. ત્વરીત ન્યાય પ્રક્રીયા અને કેસોનો નિપટારો. કુદરતી સંસાધનોની લૂંટ પર પ્રતિબંધ. જેમને અસીમિત અધિકાર છે, તેમાં કાપ. સંસ્થાઓને મજબૂત બનાવવી. પ્રતિભાને સંરક્ષણ, વોટની રાજનીતિથી દેશને ઉપર માનવો. રાજકીય પક્ષોમાં વિચારોની વાપસી. રાજકીય પક્ષોની અંદર લોકતંત્ર, પરિવારવાદનો ખાતમો. સિસ્ટમને નૈતિક બનાવવી, જેથી એકાઉન્ટિબિલિટી નક્કી થાય. આટલાં મોટાં-મોટાં ગોટાળા થયા, પરંતુ કોઈ એકે તેની જવાબદારી લીધી? બ્રિટેનમાં મડરેક પ્રકરણ થયું છે. ત્યાંના વડાપ્રધાને જવાબદારી લીધી છે. પોતાની ભૂલ માની છે. તેને ઠીક કરવા માટે બંધારણીય પહેલ કરી છે. ભારતમાં 2જીથી લઈને કોમનવેલ્થ ગેમ્સ સુધીના ગોટાળાઓમાં કોઈએ કહ્યું નથી કે અમારાથી ભૂલ થઈ છે. આ મામૂલી લોકલાજ અને શરમ પણ રાષ્ટ્રીય જીવનમાં બચી નથી. શાસન કેવું ઢીલુંઢાલું ચાલી રહ્યું છે? ચિદમ્બરમ હાર્વર્ડથી ભણેલા છે. ખૂબ તેજ-તર્રાર અને સક્ષમ ગણાય છે. તેમણે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓની યાદી સોંપી, તેમાં ઘણાં આતંકવાદીઓ ભારતીય જેલોમાં છે. તેનાથી આખી દુનિયામાં ભારતની જગ હસાઈ થઈ. તેનો કોઈ દોષિત છે કે નહીં? હકીકત એ છે કે આપણી આખી સિસ્ટમ ઈનએફિશિયન્ટ, અક્ષમ અને અકર્મણ્ય લોકોથી ભરાઈ ગઈ છે. જાહિલોની ફોજ તો આવી જ રીતે કામ કરશે ને?

બીજી તરફ, પાકિસ્તાનમાં ઘૂસીને અમેરિકાએ લાદેનને માર્યો, તો ભારતીય સેનાધ્યક્ષનું અમર્યાદિત અને ધ્યાન આપવા લાયક નિવેદન આવ્યું કે આપણી અંદર પણ આમ કરવાની ક્ષમતા છે. શું આ એક ગંભીર રાષ્ટ્ર અને સમાજનું નિવેદન છે? આટલા મોટા પદો પર બેઠેલા લોકો આવી કેવી બિનજવાબદાર વાતો કરી શકે છે? પરાકાષ્ઠા તો ત્યારે થઈ, જ્યારે વડાપ્રધાને આ વિષય પર કહ્યું કે અમેરિકા જેવી કાર્યવાહીની આપણી અંદર ક્ષમતા જ નથી. સેનાધ્યક્ષ કંઈક કહે છે, વડાપ્રધાન કંઈક કહે છે. યાદ રાખો, આ વિરોધી નિવેદનો નથી. સરકારમાં બેઠેલા શિખરના લોકોના નિવેદનો છે. આ દેશ કેવી રીતે ચાલી રહ્યો છે? ઉપરના સ્તરે કેવો તાલમેલ છે? કોના નિયંત્રણમાં છે આ દેશ? એ સ્પષ્ટ નથી. સતત આતંકવાદી હુમલા થઈ રહ્યાં છે, તેને આપણે રોકી શકતા નથી. ન તો આ ટોળકીઓને ધ્વસ્ત કરી શકીએ છીએ, ન તો ખરાં અપરાધીને પકડી શકીએ છીએ. પરંતુ આપણાં એર ચીફ માર્શલ પી.વી.નાયકે 26 જુલાઈએ નિવેદન આપ્યું કે પાકિસ્તાને દુસ્સાહસ કર્યું, તો આપણે તેને મિટાવી દઈશું. આ નિવેદન એવા સમયે આવ્યું, જ્યારે બંને દેશોના વિદેશ સચિવ અને વિદેશ મંત્રી 27 જુલાઈની વાતચીતની તૈયારીમાં લાગેલા હતા. શું આ રાજનીતિ અથવા કૂટનીતિ છે?

શક્તિનો અહેસાસ કેવો હોય છે, આ જોવું હોય, તો ચીન પાસેથી શીખો. તાજેતરમાં ઓબામા, દલાઈ લામાને મળ્યા. આ મુલાકાત પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગંભીર વાંધો ઉઠાવ્યો. બીજા દિવસે વ્હાઈટ હાઉસની માફીના લહેજામાં સ્પષ્ટતા આવી. ચીનના કોઈ મોટા નેતા અથવા મંત્રીએ નિવેદન આપ્યું ન હતું. પરંતુ માત્ર પ્રવક્તાના નિવેદન પર, અમેરિકા જેવા મહાશક્તિશાળી દેશે તુરંત સ્પષ્ટતા આપી. આ છે શક્તિનું રહસ્ય. જૂની કહેવત છે કે કરનારા અથવા વરસનારા ગરજતા નથી.

Monday, 25 July 2011

ચીનને પડકાર


મારુફ રજા

પોતાના બે દિવસના પ્રવાસ બાદ ચેન્નઈથી રવાના થતાં અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે ભારત માટે આ નેતૃત્વ કરવાનો સમય છે. બેશક ભારતની ક્ષમતા અમેરિકાને આશ્વસ્ત કરે છે, પરંતુ નવી દિલ્હીની પણ પોતાની મર્યાદાઓ છે. તેમ છતાં અમેરિકા ચાહે છે કે એશિયામાં ચીનના વર્ચસ્વને ભારત પડકારે. શું ભારત અમેરિકા અને એશિયાની આશાઓ પર ખરું ઉતરશે?

દક્ષિણ એશિયામાં ચીન જો કે એક શક્તિ નથી, પરંતુ આ ક્ષેત્રમાં તે પોતાની મજબૂત ઉપસ્થિતિની તૈયારી કરી રહ્યું છે. મ્યાંમાર અને બાંગ્લાદેશમાં નૌસૈનિક થાણાં બનાવી અને શ્રીલંકાના હંબનટોટા અને પાકિસ્તાનના ગ્વાદરમાં પોર્ટનું નિર્માણ કરી ચીન ભારતને ઘેરવાની નીતિ પર કામ કરી રહ્યું છે. જ્યારે એક મત એ પણ છે કે પોર્ટોના નિર્માણ પાછળ ચીનનો વિચાર પશ્ચિમ એશિયા અને આફ્રિકાથી થનારી ઊર્જાની આપૂર્તિ સુરક્ષિત કરવાનો છે.

પાકિસ્તાન સાથે સંબંધ બીજિંગની પ્રાથમિકતા યાદીમાં હજી પણ માત્ર ઉપર જ નથી, પંરતુ તેની પાછળ એક મજબૂત રણનીતિક સમીકરણ પણ કામ કરી રહ્યું છે. બીજિંગના રણનીતિક આકલન પ્રમાણે, તિબેટમાં મજબૂત સૈન્ય ઉપસ્થિતિ અને પારંપરીક અને પરમાણુ શક્તિથી સંપન્ન એક શક્તિશાળી પાકિસ્તાની સેના દ્વારા જ ભારતની સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિથી બચી શકાય છે. માટે ગત કેટલાંક વર્ષો દરમિયાન બીજિંગે સુનિયોજીત રીતે ભારતીય સીમા પર પોતાની સૈન્ય પ્રવૃતિઓ વધારી દીધી છે. સરહદ પર ઘૂસણખોરી સિવાય ચીને તિબેટના પઠાર પર હિમાલનની ઉત્તરમાં સુખોઈ જેટ વિમાનો અને સૈનિકોની સાથે અભ્યાસ પણ કર્યો છે. ચીન ચાહે છેકે અફઘાનિસ્તાનથી અમેરિકા અને નાટો સૈનિકોની વિદાઈની સાથે જ તે પાકિસ્તાનના સહયોગથી દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં અમેરિકાની જગ્યા લે.

ચીનના સામરીક આકલનમાં પાકિસ્તાન બાદ નેપાળનું સ્થાન આવે છે. ભારત વિરુદ્ધ નેપાળનો ઉપયોગ જ્યાં યુદ્ધ અને શાંતિ, બંને તબક્કામાં કરી શકાય છે, ત્યાં દલાઈ લામા ન રહેવાની સ્થિતિમાં તિબેટમાં અસ્થિરતા પેદા કરવા માટે પણ નેપાળનો ઉપયોગ કારગર થઈ શકે છે. ચીનની નજર બાંગ્લાદેશના તેલ અને ગેસ પર પણ છે, અને ત્યાં ચીની ઉત્પાદનને મ્યાંમારના અરાકાન ક્ષેત્રથી જોડવું માત્ર સમયની વાત છે, જેથી બાંગ્લાદેશના તેલ અથવા ગેસને પાઈપલાઈન દ્વારા સીધા યન્નાનથી જોડી શકાય. અરાકાનથી યન્નાનને જોડનારી પાઈપલાઈન પર કામ ચાલી રહ્યું છે. ચીની મદદથી મ્યાંમારના રસ્તે યન્નાનથી બાંગ્લાદેશ સુધી રેલવે લાઈન બિછાવવાની વાત પણ ચાલી રહી છે. બીજિંગે ચટગાંવમાં પોર્ટ બનાવવા અને પહેલા ઉપગ્રહના નિર્માણમાં મદદની પણ વાત કહી છે.

નેપાળ અને બાંગ્લાદેશ, બંને આજે ચીનના ખેમામાં છે, તો તેના માટે નવી દિલ્હીની નીતિઓ જવાબદાર છે. તેવામાં વર્ચસ્વવાદી ચીનનો મુકાબલો કરવા માટે ભારત શું કરે? રણનીતિક સ્તર પર ભારતને જોઈએ કે તે ચીનની આસપાસના એ દેશો સાથે ધરોબો વધારે, જે બીજિંગના વર્ચસ્વ માટે જોખમરૂપ દેખાય છે. એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે રશિયા અને જાપાનની સાથે ધરોબો ઉપયોગી થશે.

હિલેરી ક્લિન્ટને નવી દિલ્હીને આ સૂચન કર્યું છે. જ્યારે એશિયાઈ દેશો વચ્ચે રણનીતિક સ્તર પર ભારતની સ્થિતિ માત્ર એક પર્યવેક્ષકની છે. દુર્યોગથી આપણા રાજનયિકોની પાસે દ્રષ્ટિકોણનો અભાવ છે. સ્પષ્ટ છે કે આપણા રાજનેતાઓ અને રાજનયિકો માટે આ તે દિશામાં વિચારવાનો સમય છે. આપણી સેનાએ અરુણાચલ અને લડાખમાં ચીની ઘૂસણખોરીને જોરદાર જવાબ આપવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.

(સૌજન્ય- અમર ઉજાલા)

Sunday, 24 July 2011

ભારતીય હિતો સાથે રમત



સ્વપ્ન દાસગુપ્તા

એક ભારતીય અખબારના પત્રકાર તરીકે 90ના દશકના મધ્યમાં મે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં જમ્મુ-કાશ્મીર પર આયોજીત એક વાતચીતમાં ભાગ લીધો હતો. આ બેઠક કોઈ ખાસ મહત્વપૂર્ણ ન હતી અને તેમાં ભાગ લેવાનું એકમાત્ર કારણ એ હતું કે દૂતાવાસના એક ભારતીય અધિકારીએ મારા પર તેમાં સામેલ થવાનું દબાણ કર્યું હતું. તે દિવસોમાં કાશ્મીર ઉકળી રહ્યું હતું અને પશ્ચિમી સરકારોની અલગતાવાદીઓ પ્રત્યે મૂક સંવેદના હતી. બેઠક બિલકુલ ફીકી રહેત જો ત્યાં દશ તથાકથિત કાશ્મીરી કાર્યકર્તા સૂત્રોચ્ચાર ન કરત. મજબૂર થઈને સુરક્ષાકર્મીઓએ હસ્તક્ષેપ કરવો પડયો અને આખો હોલ ખાલી કરાવવો પડયો. સ્પષ્ટ છે કે આ બધાંથી ભારતીય અધિકારી ગુસ્સે ભરાયા હતા, પરંતુ તેઓ અસહાય હતા. માત્ર દશ પ્રતિબદ્ધ નવયુવાનોએ પાકિસ્તાનને એક નાનકડી જીત અપાવી દીધી હતી.
ગત વર્ષ મારા હ્રદયમાં આ ઘટનાની યાદો તાજી થઈ ગઈ, જ્યારે લંડન પ્રવાસ દરમિયાન મે પચાસ તોફાની દેખાવકારોને ભારતીય ઉચ્ચાયુક્ત સામે ધરણા પર બેઠેલા જોયા. બાદમાં મે ભારતીય દૂતાવાસના એક અધિકારીને પુછયું કે દેખાવકારો શેના માટે ગડબડ ફેલાવી રહ્યાં હતા? નિશ્ચિતપણે ભારત-પાકિસ્તાન કૂટનીતિ હવે લંડનમાં સૂત્રોચ્ચારની બેહૂદગીથી ઘણી આગળ નીકળી ચુકી છે. દૂતાવાસના અધિકારીએ જવાબ આપ્યો કે આ મૂર્ખતાપૂર્ણ તમાશો છે. પાકિસ્તાન પોતાના સ્થાનિક ટેકેદારોને કુશ કરવા માટે અવાર-નવાર આવા પ્રદર્શન કરતું રહે છે. બસમાં ભરીને કેટલાંક દેખાવકારોને અહીં લાવવામાં આવે છે, જે કેટલાંક કલાક સુધી સૂત્રોચ્ચાર કરે છે. ત્યાર બાદ અહીંથી દૂર ઉભેલા પાકિસ્તાની એજન્ટો તેમને કેટલાંક પાઉન્ડ અને સિગરેટ આપે છે અને તેઓ ચાલ્યા જાય છે. આ પાકિસ્તાનની નિરર્થક કવાયત છે. 

મને લાગે છે કે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના નિદેશક ગુલામ નબી ફઈ પણ વોશિંગ્ટન ડીસીમાં આવી જ કવાયતનો હિસ્સો હતો. તે હવે યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈના ઉલ્લંઘનના કારણે એફબીઆઈના શિકંજામાં છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે ફઈના સંગઠનને 90ના દશકના મધ્યથી પાકિસ્તાની સરકાર પાસેથી લગભગ 40 લાખ ડોલરની મદદ મળી ચુકી છે. તેના સંગઠનની લંડન અને બ્રુસેલ્સમાં પણ શાખાઓ છે. એ પણ આરોપ છે કે ફઈ ગત 20 વર્ષોથી ઈસ્લામાબાદના નિર્દેશાનુસાર કામ કરી રહ્યો છે અને જૂન-2008થી પાકિસ્તાની ગુપ્તચર વિભાગના લોકો સાથે ચાર હજાર વખત વાત કરી ચુક્યો છે. આરોપોથી સંકેત મળે છે કે ફઈ કુખ્યાત આઈએસઆઈના ખુલ્લા મંચ તરીકે કામ કરી રહ્યો હતો. 

ફઈની પ્રવૃતિઓ લંડનમાં એક સિગરેટ પેકેટ માટે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા નવયુવાનોથી વધારે કુટિલ હતી. તે સંમેલન અને સેમિનારનું આયોજન કરતો હતો અને કાશ્મીર પર અમેરિકી નીતિને પ્રભાવિત કરવા માટે કાયદા ઘડનારાઓ માટે લોબિંગ કરતો હતો. જો તમે તેની નિષ્ઠા પાકિસ્તાન સાથે જોડાયેલી મેળવો છો તો તેની પ્રવૃતિ કાયદાની મર્યાદામાં કહી શકાય છે, પરંતુ પાકિસ્તાનના હિતોના પ્રોત્સાહનના અંગ તરીકે ફઈ મોટા જતનથી ભારતથી આવા ભારતીયોને લોભાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે વોશિંગ્ટનમાં દરેક વર્ષ સંમેલન આયોજીત કરતો હતો અને તેમાં પસંદગીના ભારતીયોને બોલાવીને તેમની ખૂબ આગતા-સ્વાગતા કરતો હતો. તેમને આવવા જવા માટે બિઝનેસ ક્લાસની ટિકિટ પણ મોકલતો હતો. સ્વાભાવિક છે, તેની દિલચસ્પી એવા ભારતીયોમાં હતી, જેમનો ઝુકાવ પાકિસ્તાની હિતો તરફ રહે છે. તેની દિલચસ્પી ખાસ પ્રકારના ભારતીયોમાં હતી. એવા ભારતીયો જે ભારતીય સત્તાના આલોચક હોય સાથેસાથે બૃહત્તર ભારતીય પ્રતિષ્ઠાનોમાં જાણીતી વ્યક્તિ હોય. તથાકથિત માનવાધિકાર કાર્યકર્તા અને સ્વતંત્ર પત્રકાર અથવા સ્તંભકારની પ્રાથમિકતા ફઈની યાદીમાં શીર્ષસ્થ હતી. એ જણાવવાની જરૂરત નથી કે જે ભારતીય કાશ્મીર પર આધિકારીક નીતિથી અસંમતિ દર્શાવતા હતા, તે ઈસ્લામાબાદને ખુશ કરવા માટે તેમ કરતાં હતા.

મુદ્દો એ નથી કે એક ભૂતપૂર્વ ન્યાયાધીશ અથવા પછી એક મોટા સમૂહના સંપાદક એટલા માટે વિરોધી વિચાર રાખે છે, કારણ કે લોકતાંત્રિક ભારત તેમને આવું કરવાનો અધિકાર આપે છે. મુદ્દો એ છે કે શું તેમને એ અહેસાસ નથી કે એક ત્રીજા દેશમાં ફઈ તેમના વિચારોનો પાકિસ્તાનના હિતોને પ્રોત્સાહન આપવામાં દુરુપયોગ કરી શકતો હતો. પુરાવાથી માલૂમ પડે છે કે જે ભારતીય ફઈ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અમેરિકા ગયો હતો, તે કાશ્મીરી અમેરિકન કાઉન્સિલના એજન્ડાથી સારી રીતે પરિચિત હતા. પર્યટનની લાલચ તેમના માથા પર એટલી હદે ચઢીને બોલી રહી હતી કે તેઓ એક શત્રુ રાષ્ટ્રના હિતોની પૂર્તિ માટે પણ તૈયાર થઈ ગયા. આપણને આ સંદર્ભે કોઈ ગલતફેમી ન હોવી જોઈએ કે પાકિસ્તાન એક શત્રુ દેશ છે, જેની સાથે ભારત અઘોષિત યુદ્ધ લડી રહ્યું છે. આગતા-સ્વાગતા અને આઈએસઆઈ પ્રાયોજીત ખાતિરદારીમાં અંતર છે. જે લોકો આ અંતરને સ્વીકારતા નથી, તેમને જાહેર જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. 

ફઈની કેટલાંક ભારતીયો સાથે નિકટતાએ પાકિસ્તાનના ભારતને એક હજાર જખ્મો આપવાના યુદ્ધમાં ભારતને કૂટનીતિક રીતે શર્મિંદા જ નથી કર્યું, પરંતુ તેણે આ ટકરાવને વધારવામાં યોગદાન આપ્યું જેનાથી નિર્દોષ લોકોના જીવ ગયા. ફઈને ભારતીયોના અપરાધોને ખોટો નિર્ણય માનીને માફ કરી દેવા બેહદ વિનમ્ર વલણ હશે. ભારતીયો માટે ન રમવું અપરાધ નથી, પરંતુ પાકિસ્તાન માટે રમવું વિશ્વાસઘાત છે.

(સૌજન્ય- દૈનિક જાગરણ)

Tuesday, 19 July 2011

કોણ ભરશે અફઘાનનું શૂન્ય



વેદપ્રતાપ વૈદિક

અફઘાનિસ્તાને પોતાના પગ પર ઉભા રહેવાનું શરૂ કરી દીધું છે.

આ રવિવારે નાટો સેનાઓએ બામિયાન નામના પ્રાંતની બાગડોર અફઘાન સેનાને સોંપી દીધી છે. આ બામિયાન એ પ્રાંત છે, જ્યાં ભગવાન બુદ્ધની વિશ્વ પ્રસિદ્ધ પ્રતિમા સેંકડો વર્ષોથી ઉભી હતી અને જેને તાલિબાનોએ ધ્વસ્ત કરી દીધી હતી. બામિયાનની જેમ હવે છ અન્ય સ્થાનોનું સૈન્ય સંચાલન પણ ઝડપથી અફઘાનોના હાથમાં આવી જશે. આ છ સ્થાનો છે- કાબુલ, મજારે શરીફ, હેરાત, પંજશેર, મેહતર લાભ અને લશ્કરગાહ!

હાલ લગભગ દોઢ લાખ વિદેશી ફોજી જવાન અફઘાનિસ્તાનમાં તેનાત છે. તેમને 2014 સુધી અફઘાનિસ્તાન ખાલી કરવાનું છે. ગત દસ વર્ષોથી આ વિદેશી જવાન જ આખા અફઘાનિસ્તાનને કાબુમાં રાખેલું છે. આ તમામ જવાનો આમ તો નાટોના કમાન્ડ હેઠળ છે, પરંતુ મેદાની દ્રષ્ટિએ દરેક દેશના જવાનોની પોતપોતાની કમાન્ડ પણ છે. બામિયાનની કમાન્ડ ન્યૂઝીલેન્ડના હાથમાં હતી. નાટોની આ સેનાઓ લગભગ સ્વાયત છે. અફઘાન સરકારનું તેમના પર કોઈ નિયંત્રણ નથી. અફઘાન સેનાઓની સાથે તેમનો ઘણીવાર કોઈ તાલમેલ સુદ્ધાં હોતો નથી. 

હવે પહેલીવાર પોતાની સુરક્ષા સંબંધિત નિર્ણય અફઘાન સેના ખુદ કરશે. અત્યાર સુધી તો સ્થિતિ એ હતી કે નાટો સેનાઓ અનેક ગંભીર અભિયાન પોતાની મેળે શરૂ કરી દેતી હતી અને તેની ખબર અફઘાન રાષ્ટ્રપતિ અને સેનાપતિને અખબારોના માધ્યમથી પડતી હતી. એ તો ઠીક છે કે હવે દરેક મહત્વપૂર્ણ લશ્કરી નિર્ણય આ સૂબાઓમાં તેઓ ખુદ કરશે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અફઘાન સેના આ નિર્ણયો લાગુ કરવામાં સક્ષમ સાબિત થશે? આ વર્ષ અફઘાનિસ્તાનમાં જેટલા વિદેશી સૈનિકો માર્યા ગયા, એટલાં પહેલા ક્યારેય મર્યા નથી. હકીકતમાં અફઘાન સેનાનું મનોબળ હાલના સમયમાં ઘણું નીચે છે, જેના ઘણાં કારણો છે. 

તેમાં પહેલું તો એ છે કે ન તો તેમની પાસે યથેષ્ટ શસ્ત્રો છે અને ન તો તેમને પુરતી તાલીમ આપવામાં આવી છે. વિદેશી સૈનિકોએ અફઘાન સૈનિકો પર ક્યારેય સંપૂર્ણપણે ભરોસો કર્યો નથી. તેઓ હંમેશા એવી શંકાથી આક્રાંત રહે છે કે જો અફઘાન સૈનિકોને કિંમતી હથિયાર આપી દેવામાં આવશે, તો તેઓ તેને વેચી દેશે અથવા તેને લઈને તાલિબાન કબાઈલીયોના પક્ષમાં સામેલ થઈ જશે. જ્યાં સુધી તેમના પ્રશિક્ષણનો સવાલ છે, તો મોટાભાગના અફઘાન જવાન પશ્તો ભાષા બોલે છે અને સમજે છે. અમેરિકી સૈન્ય પ્રશિક્ષક માત્ર અંગ્રેજી બોલી શકે છે. અફઘાન જવાનોને ફારસી અને હિંદી-ઉર્દૂમાં પણ સમજાવી શકાય છે, પરંતુ એ પણ નાટો પ્રશિક્ષકોની મર્યાદાની વાત નથી. આ સિવાય ગામડાંમાં રહેનારા પઠાણોના મનમાં અમેરિકીઓ અને વિદેશીઓ પ્રત્યે સ્વાભાવિકપણે અંતર હોય છે. તેઓ તેમને ઉપનિવેશિક માલિક માને છે. કહેવાનો આશય છે કે દસ વર્ષના લાંબા સમયગાળા છતાં નાટો સેનાઓ કોઈ મજબૂત રાષ્ટ્રીય અફઘાન સેના ઉભી કરી શકી નથી. 

વિદેશી સરકારો એવી ગલતફેમીમાં જીવી રહી છે કે પોતાની સેનાઓ દ્વારા તેઓ તાલિબાનનો મૂલોચ્છેદ કરી દેશે અને અફઘાનિસ્તાન શાંતિનું સામ્રાજ્ય બની જશે. તેમાં તેમણે અબજો ડોલરો જ ગુમાવ્યા નથી, પરંતુ તેમના હજારો જવાનો પણ બેમોત માર્યા ગયા. એટલું જ નહીં, તેમના પોતાના દેશમાં તેમના વિરુદ્ધ રાજકીય માહોલ પણ ગરમ થયું છે. 

જ્યોર્જ બુશની ચૂંટણીમાં હાર અને ઓબામાની જીતમાં અફઘાનિસ્તાનની પણ સુનિશ્ચિત ભૂમિકા રહી છે. પરંતુ પશ્ચિમી રાષ્ટ્રોએ પોતાની પાછલી ભૂલોમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. તેઓ ચાહત તો ગત બે વર્ષોમાં ઓછામાં ઓછા પાંચ લાખ જવાનોની રાષ્ટ્રીય અફઘાન સેના અને પોલીસ ફોર્સ ઉભું કરી શક્યા હોત. હવે જ્યારે તેમણે પોતાની કમાન અફઘાન સેનાને સોંપવાની શરૂ કરી દીધી છે, ઘણું અનિશ્ચયનું વાતાવરણ બની ગયું છે. 

અફઘાનિસ્તાનથી પાનિયું છોડવવાની ઉતાવળમાં જો પશ્ચિમી દેશ આ પ્રકારે કમાન છોડીને ચાલ્યા ગયા તો અફઘાનિસ્તાનમાં અરાજકતા તો ફેલાશે જ, વિદેશી સેનાઓનું ત્યાંથી ભાગી નીકળવું પણ મુશ્કેલ થઈ જશે. જરા યાદ કરો, પહેલા અફઘાન-બ્રિટિશ યુદ્ધની ઘટનાઓને. અંગ્રેજોના 16 હજાર સૈનિકોએ ચાર વર્ષ સુધી કાબુલ પર પોતાનો કબજો જરૂરથી બનાવી રાખ્યો, પરંતુ તેમની વાપસી વખતે પંદર હજાર નવસો નવ્વાણુ સૈનિકોની અફઘાનોએ કતલ કરી દીધી હતી. માત્ર એક અંગ્રેજ લશ્કરી ડોક્ટર જીવ બચાવીને ભાગી શક્યો હતો. 1842માં બ્રિટિશ સામ્રાજ્યની ઈજ્જતો અફઘાનિસ્તાને ધૂળમાં મેળવી દીધી, શું હવે 2014માં અમેરિકા તે દિવસ જ જોવા માંગે છે? જો હવાઈ જહાજોના જમાનામાં પશ્ચિમી જવાન પોતાનો જીવ બચાવવામાં સફળ થઈ જશે તો પણ તેમના દેશ પોતાની ઈજ્જત બચાવવામાં સફળ નહીં થાય.
તો હવે તેમની ઈજ્જત કેવી રીતે બચે? વિદેશી સેના અફઘાનિસ્તાન જરૂર ખાલી કરે. જો તેઓ નહીં કરે તો તેમના રાષ્ટ્રોની પણ તે સ્થિતિ બની શકે છે, જે સોવિયત સંઘની થઈ હતી અફઘાનોથી લડતા-લડતા તેઓ દેવાળિયા બની જશે. જો તેઓ અફઘાનિસ્તાનથી હટી જશે તો તાલિબાનનો સૌથી મોટા આધાર ધ્વસ્ત થઈ જશે. તેમના પ્રભાવનો સૌથી મોટો આધાર એ છે કે તેઓ પોતાની માતૃભૂમિની આઝાદી માટે લડી રહ્યાં છે. તેને તેઓ વિદેશી કબજાથી મુક્ત કરાવશે. આ આધાર ધ્વસ્ત થતા જ તેઓ વાતચીતની મેજ પર પણ આવી જશે. તે જ તેમની સૌથી મોટી અડચણ છે. 

પરંતુ સવાલ એ છે કે વિદેશી સેનાઓ હટતા જ શું કાબુલની સરકાર ધરાશાયી નહીં થાય? બિલકુલ થઈ જશે. તે થોડા કલાકો પણ ટકી શકશે નહીં. તો પછી શું કરવામાં આવે? પાંચ લાખ અફઘાન જવાનોની સેના અને પોલીસ ફોર્સ ઉભી કરવાનું કામ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવે. પશ્ચિમી રાષ્ટ્ર તમામ ખર્ચ ઉઠાવે તો ભારત આ કામ સારી રીતે કરી શકે છે. પાકિસ્તાન તેનો જરૂરથી વિરોધ કરશે. આ મામલામાં પાકિસ્તાનનો સાથ લેવાની ભરચક કોશિશ કરવામાં આવે. જો ભારત-પાકિસ્તાન સંયુક્ત કમાન બની શકે તો શું કહેવું? અને જો આ સંભવ ન હોય તો ભારતે દ્રઢતાપૂર્વક પોતાના મિશનમાં દ્રઢ રહેવું જોઈએ. પાકિસ્તાનની દરેક આડોડાઈને ઉખાડવા માટે કમર કસવી જોઈએ. આ કામ અમેરિકાની ખુલ્લી સંમતિ વગર થઈ શકે નહીં. પાકિસ્તાન જો ભારતનો રસ્તો રોકશે તો ભારતે ઈરાન-અફઘાન સીમાંત પર જરંજ-દિલારામ સડક આખરે કેમ બનાવી છે? તે ક્યારે કામ આવશે? મહાશક્તિઓના વિનમ્ર અનુયાયી બનાવાના સ્થાને ભારતે પોતાના ક્ષેત્રની રાજનીતિ પોતાના દમખમ પર ચલાવવી જોઈએ.
(સૌજન્ય- રાષ્ટ્રીય સહારા)