Showing posts with label તાલિબાન. Show all posts
Showing posts with label તાલિબાન. Show all posts

Tuesday, 9 August 2011

કઈ દિશામાં અફઘાનિસ્તાન?


અફઘાનિસ્તાનમાં ગત ત્રણ દિવસોની અંદર નાટોના બે હેલિકોપ્ટર્સનું ધ્વસ્ત થવું માત્ર આશ્ચર્યજનક જ નથી, તેનાથી ત્યાં શાંતિ અને સ્થાયિત્વની આશાઓને પણ ઘેરો આંચકો લાગ્યો છે. જો કે તેનાથી એ કદાપિ ન માની લેવું જોઈએ કે નાટોના સૈનિકો ત્યાં સારું કામ જ કરી રહ્યાં છે. તેમના પર નિર્દોષ નાગરીકો, બાળકો અને મહિલાઓને નિશાન બનાવવાના આરોપ છે અને સ્થાનિક નાગરીક સતત આવી ઘટનાઓની વિરુદ્ધ રોષ પ્રગટ કરે છે. પરંતુ ગત શનિવારે જે યોજનાબદ્ધ રીતે નાટોના હેલિકોપ્ટરને જાળમાં ફસાવીને પાડી નાખવામાં આવ્યું, તેનાથી તાલિબાનની સતત વધતી શક્તિની જ ખબર પડે છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે હેલિકોપ્ટરોને નિશાન બનાવવાની ક્ષમતા તાલિબાનોને આખરે ક્યાંથી પ્રાપ્ત થઈ?

મહત્વપૂર્ણ છે કે શનિવારે થયેલી દુર્ઘટનામાં 30 અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનમાં આતંકવાદની વિરુદ્ધ દસ વર્ષીય અભિયાનમાં એક સાથે આટલા અમેરિકી સૈનિકો આનાથી પહેલા ક્યારેય માર્યા ગયા ન હતા. અફઘાનિસ્તાનથી વિદેશી સેનાઓની વિદાઈના તબક્કામાં તાલિબાનનું આમ મજબૂત થવું ચિંતનીય છે. ગત વર્ષે જ સાતસોથી વધારે વિદેશી સૈનિક અફઘાનિસ્તાનમાં માર્યા ગયા હતા, તો આ વર્ષે અથ્યાર સુધીમાં મરનારા સૈનિકોની સંખ્યા 390ની આસપાસ થઈ ગઈ છે, જેમાંથી 50 તો ઓગસ્ટ માસમાં જ માર્યા ગયા છે. જો કે બરાબર આ દિવસોમાં ત્યાં નિર્દોષ નાગરીકોના મોતની વધતી સંખ્યા પણ પરેશાન કરનારી છે. આ વર્ષના શરૂઆતી છ માસમાં માર્યા ગયેલા નિર્દોષોની સંખ્યા 1500ની આસપાસ છે. સ્પષ્ટ છે કે એક તરફ મજબૂત થતાં તાલિબાન જ્યાં નાટો સૈનિકોને નિશાન બનાવી રહ્યાં છે, ત્યાં તેમની જવાબી કાર્યવાહીમાં નિર્દોષ લોકો મરી રહ્યાં છે.

સવાલ એ છે કે આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની શાંત થવાની આશા કેવી રીતે કરી શકાય
? ત્યાં સ્થાયિત્વની ઘણી આશા એટલા માટે પણ નથી કે વિદેશી મદદના જોરે જે લોકોએ ક્ષેત્રીય સ્તર પર પોતાની મજબૂત પકડ બનાવી છે, તેમનું આચરણ શંકાસ્પદ છે. જૂના સમયના ગુનેગાર, અફીણના દાણચોર અને કબીલાઈ સરદાર પ્રાંતોના ગવર્નર બની બેઠા છે. આવા પ્રકારના લોકો મોટાભાગે તાલિબાનો દ્વારા માર્યા પણ જાય છે, તેવામાં સ્થિતિ ખરાબ જ થઈ જાય છે. સ્પષ્ટ છે કે અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થાયિત્વનું જે મોડલ પસંદ કરવામાં આવ્યું છે, તે તે દેશ માટે જોખમ જ પેદા કરી રહ્યું છે. વિદેશી સેનાઓના ચાલ્યા ગયા બાદ તેનો સૌથી વધારે લાભ પાકિસ્તાનને થશે. જો કે ભારત અફઘાનિસ્તાનને વિકાસના મુખ્ય પ્રવાહમાં પાછું લાવવા માટે ઈચ્છુક છે, માટે પ્રવર્તમાન સ્થિતિ તેના માટે વધારે વિચારણીય છે.

સૌજન્ય- અમર ઉજાલા