Showing posts with label વિનીત નારાયણ. Show all posts
Showing posts with label વિનીત નારાયણ. Show all posts

Monday, 22 August 2011

કંઈક તો ગડબડ છે


વિનીત નારાયણ

શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા અન્ના હજારેને ઘરેથી એરેસ્ટ કરવા અને પછી તેમને રામલીલા મેદાનમાં અનશનની મંજૂરી આપવી અજીબ ઘટના છે. આંદોલનથી પહેલા જ કોઈ કાયદાના ઉલ્લંઘન વગર, માત્ર તેમના ઈરાદાને અંદાજીને કરાયેલી પોલીસની આ કાર્યવાહી આવી સામાન્ય ઘટના નથી, જેવું કે વડાપ્રધાને સંસદમાં પોતાના નિવેદનમાં જણાવવાની કોશિશ કરી હતી. વિપક્ષના નેતાઓ વડાપ્રધાનને આડે હાથ લેતા હુમલો કરી રહ્યાં હતા કે શું વડાપ્રધાન પોલીસ કમિશનરની શખ્સિયત પાછળ છુપાઈને કામ કરી રહ્યાં છે? પરંતુ રોચક વાત એ છે કે અન્નાના સમર્થનમાં ઉભું રહેલું વિપક્ષ, અન્નાના લોકતાંત્રક અધિકારોના હનનથી ઉત્તેજિત છે, પરંતુ અન્નાને એ આશ્વાસન આપી રહ્યું નથી કે તે તેમના જનલોકપાલ બિલને ટેકો આપશે. તેવામાં જ્યારે આ બિલ સંસદની સામે આવશે, તો તમામ વિપક્ષી દળોની અથવા તમામ સાંસદોની માનસિકતા શું હશે? તેને ક્યાં પક્ષો ટેકો આપશે? આ એવા સવાલ છે, જેના પર વિચાર કરવાની જરૂરત છે.

એમાં બેમત નથી કે અન્ના હજારે આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનાક્રોશનું પ્રતીક બની ગયા છે. તેમના અને તેમના સાથીદારોનું કહેવું છે કે જનલોકપાલ બિલ પારિત કરાવીને જ માનશે. તેઓ એમ પણ કહે છે કે સંસદ જે નક્કી કરશે, તે તેમને માન્ય રહેશે. તેમના આ વલણમાં વિરોધાભાસ સ્પષ્ટ છે. અસલમાં શું થાય છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. એ માનનારાઓની કમી નથી કે જનલોકપાલ બિલનું હાલનું સ્વરૂપ અપેક્ષાઓ પર યોગ્ય ઉતરશે નહીં. તેમાં કોઈ શંકા નથી કે ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાને લાગી રહ્યું છે કે અન્ના દેશના ભ્રષ્ટાચારને મુક્ત કરાવવાની દિશામાં સફળતાપૂર્વક આગળ વધશે. જો આવું થાય છે, તો આ રાષ્ટ્ર અને સમાજના હિતમાં રહેશે.

ટીમ અન્નાએ દાવો કર્યો છે કે તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપ્રિય છે અને આરબ દેશોની જેમ જાન-માલની હાનિ કર્યા વગર થઈ રહ્યું છે. જ્યારે ખુદ અન્નાના તેવર ગાંધીના ઓછા અને શિવાજીના વધારે નજરે પડી રહ્યાં છે. આ આંદોલન પર લોકોના અલગ-અલગ વિચાર છે. આમ જનતા માને છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે, તે સ્વયંસ્ફૂરિત છે. લોકો પરેશાન હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત કાર્યવાહી ચાહતા હતા, જે થઈ રહી ન હતી, માટે અન્નામાં તેમને આશાનું કિરણ દેખાયું.

એ કહેનારાઓની કોઈ અછત નથી કે ગત અડધી સદીથી દેશની સત્તા પર કાબિજ કોંગ્રેસનું નેતૃત્વ એટલું મૂર્ખ ન હોઈ શકે કે તે અન્ના હજારેને આ પ્રકારે એરેસ્ટ કરીને હીરો બનાવી દે. આ લોકનું માનવું છે કે દાળમાં કંઈક કાળું છે. પોતાના ટેકામાં તેમના ઘણાં તર્કો છે. ઉદાહરણ તરીકે તેઓ પુછે છેકે યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ભારતમાંથી ક્યારે, ક્યાં અને કેમ ગયા?  તેની મીડિયાને ભનક સુદ્ધાં પડી નહીં. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે પોતાના ઘૂંટણની સારવાર કરાવવા મુંબઈ ગયા હતા, તો પળ-પળના સમાચાર લેવા માટે મીડિયા હોસ્પિટલની બહાર ઉભું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન અને અન્ય મોટા નેતા પણ જો બહાર ઈલાજ માટે જાય છે, તો તે સમાચાર બને છે. ત્યારે સવાલ એ છે કે સોનિયા ગાંધી આ પ્રકારે ચાલ્યા ગયા, છતાં શું કારણ છે કે સમગ્ર મીડિયા ખામોશ છે? આખરે શું કારણ છે કે કેટલીક ટીવી-ચેનલો રાતદિવસ અન્નાના આંદોલનમાં પ્રત્રકારત્વથી હટીને સામાજીક કાર્યકર્તાની જેમ આંદોલનનો સહયોગ કરી રહી છે? લોકોને સડકો પર ઉતરવાની હાકલ કરી રહી છે. માનો કે આખું મીડિયા આ ક્રાંતિમાં કૂદી પડયું હોય. સરકાર પર ટીવી ચેનલ જે હુમલો રાત-દિવસ કરી રહી છે, તેને કોની મીઠી નજર છે?

તેમનો ત્રીજો તર્ક એ છે કે તિહાડ જેલમાં મુક્તિનો આદેશ મળવા છતાં અન્ના હજારે જેલની અંદર કેવી રીતે બેસી રહ્યાં? જ્યારે જેલના ઈતિહાસમાં ભાગ્યે જ આવી કોઈ ઘટના બની હશે, કે જ્યારે મુક્તિનો આદેશ મળવા છતાં કોઈ કેદી બહાર નીકળ્યો ન હોય. ચાહે તે ગાંધી, પટેલ, નેહરુ હોય અથવા ક્રાંતિકારી, બધાંને બહાર નીકળવું પડયું. જેલમાં બેસીને અન્નાએ જે અનશન કર્યું, તેનાથી તેમને તો નૈતિક બળ મળ્યું, પણ આગળ માટે એક ખોટી પરંપરા ઉભી થઈ. હવે કોઈપણ આરોપિત વ્યક્તિ અન્નાની જેમ મુક્તિ બાદ જેલની બહાર આવવાની મનાઈ કરી શકે છે. અન્ના હજારેને જેલના નિયમોની વિરુદ્ધ આ વિશેષાધિકાર શું સરકારની ઈચ્છા વગર સંભવ હતો? તેમને મુક્તિ બાદ જે પ્રકારે એક રાષ્ટ્રીય વિજય સરઘસ સ્વરૂપમાં અને ઢગલાબંધ પોલીસ વાહનો, કર્મચારીઓ અને પોલીસકર્મીઓના સંરક્ષણમાં પૂર્વ ઘોષિત માર્ગથી લઈ જવામાં આવ્યા, તે પણ સવાલ ઉભા કરે છે. આખો પ્રસંગ એવો હતો કે માનો સરકાર અને આંદોલનકારીઓ કોઈ સંયુક્ત સમજ સાથે કામ કરી રહ્યાં છે. જેલની નિયમાવલીમાં સ્પષ્ટ લખ્યું છે કે જેલની અંદર કેદ લોકો અનુમતિ વગર પોતાના ફોટા પડાવી શકે નહીં. જે પ્રકારે અન્નાનો વીડિયો સંદેશ બહાર લાવીને પ્રસારીત કરવામાં આવ્યો, તે જેલ મેન્યૂઅલના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેનાથી લોકોના માનમાં પણ શંકા છે કે આ શું થઈ રહ્યું છે?

બેશક, રામલીલા મેદાનમાં લોકો ભેગા થઈ રહ્યાં છે અને તેમને દેશભરમાંથી ટેકો પણ મળી રહ્યો છે, પરંતુ અન્નાની આ મુહિમને હજી ક્રાંતિ કહેવી ઉતાવળ થશે. હજી તો સમય એ વાતનો છે કે અન્નાની મુહિમ, જેને મીડિયા અને સાધન સંપન્ન લોકોનું ખુલ્લુ સમર્થન પ્રાપ્ત છે, તેના તેવર અને દિશા પર નજર રાખવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ આગ ત્યાં સુધી ઓલવાય નહીં, જ્યાં સુધી સમાજમાં કંઈક નક્કર પરિવર્તન દેખાય નહીં.

સૌજન્ય- અમર ઉજાલા