Showing posts with label indira gandhi. Show all posts
Showing posts with label indira gandhi. Show all posts

Friday, 24 June 2011

ઈતિહાસનું કાળું પાનુ


 (એ. સૂર્યપ્રકાશ, સૌજન્ય- દૈનિક જાગરણ)
દેશની અંદર અને બહાર દરેક એ સારી રીતે જાણે છે કે કેન્દ્ર સરકારની અંદર જે પણ કંઈ ચાલે છે, તેને એક બંધારણેત્તર શક્તિ કેન્દ્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એ પણ કોઈ રહસ્ય નથી કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 2004ની લોકસભા ચૂંટણીમાં યુપીએની જીત બાદ સીધે-સીધા મનમોહન સિંહને વડાપ્રધાન બનાવીને સુપર બંધારણીય સત્તા બની ગયા હતા. સરકાર પર પકડ જાળવી રાખવા તે નિયમિત રીતે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. જો કે કોંગ્રેસમાં આ પ્રકારની બંધારણેત્તર શક્તિઓની પરંપરા રહી છે, માટે કોંગ્રેસને તેમા કોઈ સિદ્ધાંત, બંધારણના ઉલ્લંઘન જેવી વાત નજરે આવતી નથી. નેહરુ-ગાંધી પરિવાર કોંગ્રેસના કામકાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પાર્ટી એ ધારણા પર ચાલી રહી છે કે આ પરિવારના સભ્યને સરકારી કામકાજમાં દખલ આપવા માટે કોઈ ઔપચારીક પદની જરૂરત નથી.

સામાન્ય ધારણાથી વિપરીત, આ પ્રક્રિયા નેહરુના દિવસોમાં જ શરૂ થઈ ગઈ હતી. તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ રાજકારણમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું અને 1950ના દશકના આખરી વર્ષોમાં નેહરુએ તેમને કોંગ્રેસ અધ્યક્ષ પણ બનાવી દીધા હતા. આ પરિવારના સભ્યોની આક્રમક રીતે બંધારણેત્તર પ્રવૃતિઓમાં દખલ 1970ના દશકના મધ્યમાં જોવા મળી. ત્યારે યુવક કોંગ્રેસના અધ્યક્ષ સંજય ગાંધીએ કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આદેશ આપવાનું શરૂ કરી દીધું હતું. શાસનની આ પદ્ધતિ કટોકટી દરમિયાન તમામ હદો પાર કરી ગઈ. પોતાની માતા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા પ્રેરીત સંજય ગાંધીએ સંઘીય સ્તર પર અને રાજ્યોમાં સમાંતર સત્તા કેન્દ્ર સ્થાપિત કરી લીધા હતા. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પાંખો કાપી નાખવામાં આવી હતી અને આખા ભારતમાં ભયનું શાસન કાયમ કરી દેવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધી સંજય ગાંધીના કારનામાઓથી એટલા બધાં અભિભૂત હતા કે તેમણે પોતાની પ્રચંડ બહુમતીના જોરે 1971-76ની લોકસભાના કાર્યકાળને એક વર્ષ માટે વધારી દીધો હતો. આ ભયજનક તબક્કો ત્યારે ખતમ થયો કે જ્યારે લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસને ઉખાડી ફેંકી. ઈન્દિરા ગાંધીએ આ ચૂંટણી એ ગુપ્ત રિપોર્ટો બાદ કરાવી કે જનતા તેમનું સમર્થન કરશે.

આ કોંગ્રેસના શાસનનો ઈતિહાસ છે, પરંતુ ઘણાં કોંગ્રેસીઓ દેખાડો કરે છે કે આવું કંઈ થયું જ નથી અથવા આ લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગયું છે. પરંતુ તે લોકો જેમનો લોકતંત્રમાં અટલ વિશ્વાસ છે, તેઓ ફરીથી આવું થવા દેવા ઈચ્છતા નથી. આતંકના દિવસોને ભૂલવા મુસીબતોને ફરીથી નોતરું આપવા સમાન છે. માટે લોકતંત્રને ખાતર કટોકટીની વર્ષગાંઠ 25 જૂન પર તેના કાળા દિવસોને યાદ કરવા જરૂરી છે. આ સંદર્ભે કેટલાંક સંગઠનો અને વ્યક્તિઓ પર સમાંતર સત્તા ઉભી કરવા સંબંધિત કેન્દ્રીય મંત્રીઓના આરોપોની ભર્ત્સના કરવી જરૂરી થઈ જાય છે. ઉદાહરણ માટે, ભ્રષ્ટાચારની સમસ્યાનું સમાધાન કરવાની ઈચ્છા ન ધરાવતી સરકાર વડાપ્રધાન અને સાંસદોને લોકપાલની મર્યાદામાં લાવવાથી પગ પાછા ખેંચી રહી છે. આ એવો મામલો છે જે નાગરીકોને મોટા વર્ગને પરેશાન કરી રહ્યો છે. નેહરુના સમયથી જ કોંગ્રેસ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના પગલા લેતા ખચકાતી રહી છે. ઉદાહરણ માટે આઝાદી બાદથી જ કોંગ્રેસ પાર્ટીના વફાદાર સભ્યોને જ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરતી રહી છે. આ પ્રકારે તેણે હંમેશા પ્રયાસ કર્યો છે કે ચૂંટણી કમિશનર એવો વ્યક્તિ ન બની જાય જે સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકતો હોય. કટોકટી દરમિયાન કોંગ્રેસ ખુલ્લેઆમ સ્વતંત્ર મીડિયા અને ન્યાયતંત્ર વિરુદ્ધ અભિયાન ચલાવતી રહી છે. બંધારણમાં 42મા સંશોધન પર સંસદમાં થયેલી ચર્ચાથી જ સ્પષ્ટ થઈ જાય છે કે કોંગ્રેસ ન્યાયતંત્ર, મીડિયા અને સ્વતંત્ર વિચારવાળા નોકરશાહોથી કેટલી હદે વિરુદ્ધ છે. સી. એમ. સ્ટીફેન જેવા લોકોએ ખુલ્લેઆમ સમર્પિત ન્યાયતંત્રની તરફેણ કરી હતી. આ સમર્પણ બંધારણ પ્રત્યે નહીં, પરંતુ કોંગ્રેસ પ્રત્યે અભિષ્ટ હતું. ત્યાર બાદ પણ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. હંમેશા એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાર્ટીના ટેકેદાર અથવા પછી દાગદાર છબીવાળા વ્યક્તિ બંધારણીય પદો પર તેનાત કરી દેવામાં આવે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ચૂંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની તેનાતી, જેમને શાહ તપાસ પંચ કોઈપણ જાહેર પદ માટે અયોગ્ય ઠેરવી ચુક્યું છે. તેનું બીજું ઉદાહણ છે, કોંગ્રેસ દ્વારા માપદંડોનો છેદ ઉડાડીને ભ્રષ્ટાચારના એક આરોપીને કેન્દ્રીય વિજિલન્સ કમિશનર તરીકે તેનાત કરવો.
                                                                         
આ પરિપેક્ષ્યમાં કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બર જેવા કેટલાંક કેન્દ્રીય મંત્રીઓના પ્રવચન સાંભળવા ઘણાં અજીબ લાગે છે, જે 1980ના દશકમાં મીડિયા વિરોધી બિલ લાવવાના કર્ણધાર હતા. કેટલાંક દિવસો પહેલા તેમણે સંયુક્ત રીતે મીડિયાને સંબોધિત કરતા મજબૂત લોકપાલ બિલ લાવવાની પક્ષધર સિવિલ સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો કે બહારના લોકો દ્વારા કરવામાં આવેલા નિર્ણયોના આધારે સરકાર ચલાવવી યોગ્ય નથી. મજબૂત લોકપાલની વિરુદ્ધ તેમની અન્ય એક દલીલ હતી કે સરકારની સમાંતર વધુ એક માળખું ઉભું કરી શકાય નહીં. આ મંત્રીઓએ આશ્ચર્ય દર્શાવતા કહ્યું કે સરકાર પોતાની શક્તિઓને ઘટાડવાનું કામ કેવી રીતે કરી શકે છે? પરંતુ શું મનમોહન સિંહ સરકાર ગત સાત વર્ષોથી આ જ નથી કરી રહી? શું તેણે પોતાની શક્તિઓ બંધારણેત્તર સત્તા સોનિયા ગાંધીના હાથમાં સોંપી દીધી નથી? પી. ચિદમ્બરમની દલીલ તો તેનાથી પણ વધારે હાસ્યાસ્પદ હતી કે દેશમાં બંધારણ છે, તેના મૂળ ઢાંચામાં બદલાવ કરી શકાય નહીં. કોંગ્રેસના ડઝનબંધ સાંસદો અને નેતાઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિપાદિત બંધારણના મૂળભૂત ઢાંચાના વિચારની સંસદની અંદર અને બહાર અનેકવાર ફજેતી કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યુ કે તેમની પાસે સુપ્રીમ કોર્ટના જજોને પાઠ ભણાવવાની પોતાની રીતો છે.

કટોકટીની વર્ષગાંઠ પર આપણે આ ભયાનક બંધારણીય સંશોધનો પર પણ નજર નાખવી જોઈએ કે જે કોંગ્રેસે કટોકટી દરમિયાન કર્યા હતા. તેમાં વડાપ્રધાનને બંધારણથી ઉપર સ્થાપિત કરવા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની શક્તિઓને ઓછી કરવી અને રાષ્ટ્રપતિને કાર્યકારી આદેશના માધ્યમથી બંધારણ સંશોધનની શક્તિ પ્રદાન કરવાની બાબત સામેલ હતી. આ સંશોધનોએ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જ ધ્વસ્ત કરી દીધા હતા. કોંગ્રેસના વલણમાં હજી પણ કોઈ પરિવર્તન આવ્યું નથી, માટે વધારે સાવધાન રહેવાની જરૂરત છે. આપણે 25 જૂનનો ખુદને એ યાદ દેવડાવવા માટે ઉપયોગ કરવો જોઈએ કે કોંગ્રેસ અથવા તેના નેતૃત્વવાળી સરકાર કઈ કઈ શરારતો કરવામાં સમર્થ છે? આપણે વિરોધથી ધૃણા કરનારી કોંગ્રેસ દ્વારા કટોકટી દરમિયાન મારવામાં આવેલા, સતાવાયેલા અને જેલમાં પૂરી દેવાયેલા લાખો લોકોનું સ્મરણ કરવું જોઈએ.