Showing posts with label kapil sibbal. Show all posts
Showing posts with label kapil sibbal. Show all posts

Sunday, 26 June 2011

દેશની સ્થિતિને અઘોષિત કટોકટી માનું છું: રામદેવ



પોતાના અનશન અને મૌન વ્રત બાદ રાજધાની નવી દિલ્હી આવેલા બાબા રામદેવે રવિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર સામે લડવાની ઈચ્છાશક્તિ નથી અને જે કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે.

યોગગુરુએ સરકારને સવાલ કર્યો કે જો તેમના મુદ્દા ખોટા હતા, તો તેમની સાથે વાતચીત કરવા માટે ચાર મંત્રીઓને એરપોર્ટ પર કેમ મોકલવામાં આવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે રામલીલા મેદાન પર પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલા ટેકેદારો સાથે બળાત્કારની કોશિશ કરવામાં આવી.

પોતાના અને પોતાના ટેકેદારો પર પોલીસ કાર્યવાહીના 21 દિવસ બાદ રાજધાની નવી દિલ્હી આવેલા યોગગુરુએ આજે પોતાનુ વલણ યથાવત રાખતા સરકાર પર ઘણાં નવા આક્ષેપો લગાવ્યા, પરંતુ પોતાની આગળની રણનીતિનો ખુલાસો કર્યો નથી. તેમણે માત્ર એટલું કહ્યું કે તેઓ એક જુલાઈથી હરિદ્વારમાં નિ:શુલ્ક નિવાસી શિબિર લગાવશે અને ચાર ઓગસ્ટથી ગ્રામ સ્વાવલંબન યોજના શરૂ કરશે, જેના અંતર્ગત 624 ગામડાંઓને આદર્શ ગામ બનાવવામાં આવશે.

રામદેવે તેમના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા ભાજપના મ્હોરા હોવાના આરોપોને રદિયો આપ્યો છે, પરંતુ લોકપાલના મુદ્દા પર ગાંધીવાદી અન્ના હજારે દ્વારા 16 ઓગસ્ટથી પ્રસ્તાવિત અનશનથી જોડાવા સંદર્ભેના સવાલોના જવાબ ટાળી દીધા હતા.

તેમણે માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ સાથે ફોન પર ચાર જૂને થયેલી વાતચીતનું વિવરણ જાહેર કરવાની માગણી પણ કરી હતી.

રામદેવે કહ્યુ કે આ સરકાર પહેલા ભ્રષ્ટાચારી હતી, પરંતુ હવે તે અત્યાચારી થઈ ગઈ છે. યોગગુરુએ કહ્યું કે તેમણે જનહિતમાં મુદ્દા ઉઠાવ્યા હતા, જેને હાસિયામાં ધકેલી દેવાયા છે. આ સરકારમાં ભ્રષ્ટાચાર સાથે લડવાની ઈચ્છાશક્તિ નથી. જે કોઈ ભ્રષ્ટાચાર-કાળા ધન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે અને ષડયંત્ર કરે છે. 

રામદેવે પોલીસ કાર્યવાહીમાં ગંભીરપણે ઘવાયેલી પોતાની મહિલા સમર્થક રાજબાલાને જી.બી.પંત હોસ્પિટલમાં મળ્યા હતા. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં તેમણે એક દસ્તાવેજ દેખાડીને દાવો કર્યો હતો કે દેશમાં અત્યાર સુધી જનતાએ કુલ 200 લાખ કરોડનો કર આપ્યો છે. સરકારે જણાવવું જોઈએ કે આ 200 લાખ કરોડ રૂપિયા કઈ જગ્યાએ ખર્ચ્યા છે.

દિલ્હી પાછા ફરવા સંદર્ભે પુછવામાં આવતા તેમણે કહ્યુ કે દિલ્હી આવવા માટે તેમણે આજનો દિવસ એટલા માટે પસંદ કર્યો, કારણ કે આ દિવસોમાં જ કટોકટી લાગુ કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે હવે તેઓ દેશની પરિસ્થિને અઘોષિત કટોકટી માને છે. ચાર જૂનની રાતની ઘટના એ ઈશારો કરે છે કે ક્યાંક સરકાર અને સરકાર દ્વારા પોષિત લોકોનું જ કાળું ધન વિદોશોમાં જમા નથી ને? કદાય એ કારણ છે કે તેમના આંદોલનને ચાર જૂને કચડી નાખવામાં આવ્યું.

રામદેવે કહ્યુ, જો કાળું ધન પાછું લાવવાનો મુદ્દો ખોટો હતો, જો તેમનું આંદોલન અલોકતાંત્રિક હતું અને જો તેઓ કોમવાદી છે, તો તેમની સાથે વાતચીત કેમ કરવામાં આવી. વડાપ્રધાને તેમને પત્ર કેમ લખ્યો. યોગગુરુએ કહ્યુ કે તેમના અને તેમના ટેકેદારો પર થયેલી કાર્યવાહી લોકતંત્રની હત્યા હતી. તેમણે એ આરોપ પણ લગાવ્યો કે ત્યાં અનશન માટે આવેલી તેમની મહિલા ટેકેદારો સાથે પોલીસ કાર્યવાહી દરમિયાન દારૂના નશામાં ધુત લોકોએ ખરાબ વ્યવહાર કર્યો, તેમને પકડી અને તેમની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવી.

રામદેવે કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલને પડકાર ફેંકતા કહ્યુ કે સરકાર તેમના ફોન ટેપ કરી રહી હતી. તેઓ ચાહે છે કે ચાર જૂને તેમની સિબ્બલ સાથે થયેલી વાતચીતની ટેપ જાહેર કરવામાં આવે. તે ટેપમાં સિબ્બલે કાળાધનને બંધારણીય રીતે રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવા સહીતના અન્ય આશ્વાસન આપ્યા હતા. જો કે આ મુદ્દા પર એક અન્ય કાર્યક્રમ બાદ જ્યારે સિબ્બલની પાસે પત્રકારોએ જવાબ માંગ્યો, તો મંત્રી મહાશય પત્રકારોના સવાલોનો કોઈ જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા હતા.

રામદેવે રામલીલા મેદાનથી ભાગી નીકળવાના આરોપ સંદર્ભે કહ્યુ હતુ કે ચાર જૂનની રાત્રે તેઓ ધરપકડ વ્હોરવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસનો ઈરાદો તેમની ધરપકડ કરવાની જગ્યાએ રસ્તામાંથી હટાવવાનો હતો. યોગગુરુએ કહ્યુ, તેમને જાનવરની મોત મરવું ન હતુ. તેમને કેન્દ્રની કઠપૂતળી બનેલી પોલીસના હાથે મરવુ ન હતુ, માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. પોલીસે ત્યાં બંધ પંડાલમાં ટિયર ગેસના સેલ છોડયા અને બર્બર કાર્યવાહી કરી.

તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યુ, શું દેશમાં એક જ પાર્ટીના લોકોને રહેવાનો હક છે. શું દિલ્હીમાં માત્ર એક જ પાર્ટીના લોકો આવી શકે છે. આ કેવું લોકતંત્ર છે. તેમણે રામલીલા મેદના પર આતંકવાદી હુમલો થવાની આશંકા સંદર્ભે કેન્દ્રના દાવાઓને ફગાવ્યા હતા. નવ દિવસ બાદ અનશન તોડવા સંદર્ભેના સવાલો પર તેમણે કહ્યુ, તેમને મોરારી બાપુ અને શ્રી શ્રી રવિશંકર સહીત અખાડાના સંતોએ અનુરોધ કર્યો હતો, માટે તેમણે અનશન તોડયા હતા. તેમણે અનશન એટલા માટે તોડયા ન હતા કે જીવ જોખમમાં હતો.

યોગગુરુએ તેમના પર આરએસએસ અને ભાજપના મ્હોરા હોવાના આરોપો ફગાવતા કહ્યુ, તેઓ કોઈ પાર્ટી અથવા સંગઠનના મ્હોરા નથી. તેઓ દેશના 120 કરોડ લોકોના મ્હોરા છે. લોકપાલ મુદ્દા પર હજારેના પ્રસ્તાવિત અનશન સંદર્ભે રામદેવે કહ્યુ, જે કોઈપણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે, તેઓ તેમની સાથે ઉભા રહેશે. પછી તે ચાહે કોઈપણ પાર્ટી અથવા સંગઠન હોય. 

તેમણે કહ્યુ કે સરકારના મુસદ્દામાં લોકપાલની મર્યાદામાં ટ્રસ્ટો અને બિનસરકારી સંગઠનો સાથે જ વડાપ્રધાન તથા સાંસદોને પણ સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવત તો તેમને ખુશી થાત. રામદેવે તેમની વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનારા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહનું નામ લીધા વગર કહ્યુ, તેમને (બાબા રામદેવને) કેટલાંક લોકો ચોર, ઠગ અને મહાઠગ કહે છે. પરંતુ તેઓ ચુપ રહ્યાં. તેઓ આવા બિનજવાબદાર લોકોની અશ્લિલ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપીને પોતાની જીભ ખરાબ કરવા ઈચ્છતા નથી.

પોતાના નજીકના સાથીદાર આચાર્ય બાલકૃષ્ણનો પાસપોર્ટ નકલી હોવાના આરોપો સંદર્ભે યોગગુરુએ કહ્યુ કે આ પાસપોર્ટ 1998માં બન્યો અને તે ગેરકાયદેસરનો નથી. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક તપાસ અધિકારીએ પાસપોર્ટ બનાવવા દરમિયાન ખોટો રિપોર્ટ આપ્યો હતો. આવું છે તો તે વહીવટી તંત્રની ભૂલ છે. તેમા બાલકૃષ્ણની કોઈ ભૂલ નથી. તેમણે કહ્યુ કે આ સરકારની ભ્રષ્ટાચાર અને કાળા ધનના મુદ્દાઓથી ધ્યાન હટાવવાની કોશિશ છે.

Friday, 24 June 2011

અન્નાની સમાંતર સરકાર બનાવવાની ચાહત: સિબ્બલ


કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે શુક્રવારે કહ્યું કે ગાંધીવાદી નેતા અન્ના હજારે જન લોકપાલ બિલ દ્વારા બંધારણના પાયાગત માળખાનું ઉલ્લંઘન કરીને જવાબદેહી વગરની સમાંતર સરકાર બનાવવા ચાહતા હતા.

રાંચીમાં એક પત્રકાર પરિષદમાં સિબ્બલે કહ્યું કે અન્ના લોકપાલ માટે જવાબદેહી વગર કામ ચલાવવાની શક્તિ આપવાની માગણી કરી રહ્યાં છે. તેનો અર્થ છે કે તે એક સમાંતર સરકાર ચાહે છે. શું આપણા બંધારણના ઘડવૈયાઓએ અત્યારે પેદા થયેલી પરિસ્થિતિ સંદર્ભે ક્યારેય વિચાર્યું હશે?

સિબ્બલે કહ્યુ કે અન્ના લોકપાલ માટે એવી શક્તિ ચાહતા હતા કે જેનાથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગમે તેના પર નજર રાખી શકાય. તેમણે કહ્યુ કે આ ભારતીય ટેલિગ્રાફ એક્ટનું ઉલ્લંઘન છે. શું આ એક સૈન્ય શાસન છે? શું આપણે એક પોલીસ રાજ્ય બનવા ચાહીએ છીએ?

વડાપ્રધાન કાર્યાલય અને ન્યાયતંત્રને લોકપાલ હેઠળ લાવવાની માગણી પર સિબ્બલે કહ્યું કે સરકાર સંસદ પ્રત્યે જવાબદેહ છે અને કોઈપણ સંસદ જન લોકપાલ બિલ પર સ્પષ્ટીકરણની માગણી કરી શકે છે. કોઈપણ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. આ બધાં બંધારણીય મુદ્દા છે.

સિબ્બલે ભાજપ અને આરએસએસ પર આ બિલની આડમાં આખા દેશમાં અરાજક માહોલ પેદા કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે આ લોકો લોકતંત્રને સુચારુપણે ચલાવવામાં બંધારણીય માળખાના મહત્વ સંદર્ભે કંઈ બોલતા નથી.

સિબ્બલે દાવો કર્યો છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ એ જાણી ગયું છે કે તે આગામી દશ વર્ષ સુધી સત્તામાં આવવાનું નથી, માટે તે આવું કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે માટે આ લોકોએ યોગગુરુ  રામદેવને સામે કરીને આવી પરિસ્થિતિ પેદા કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસે 824 બેઠકોમાંથી 356 બેઠકો પર ચૂંટણી લડીને 172 પર જીત હાસિલ કરી છે, જ્યારે ભાજપે 400 બેઠકો પર ચૂંટણી લડીને માત્ર પાંચ બેઠકો પર જીત નોંધાવી છે.

ભાજપ દ્વારા સંસદને બાધિત કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યુ કે ભાજપના નેતા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા માટે આગળ આવવાની જગ્યાએ હરિદ્વાર જઈને રામદેવના ચરણ સ્પર્શ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર દેશની સામે એક પડકાર છે અને તેનો એક સ્વરમાં વિરોધ કરવાની જરૂરત છે.

સિબ્બલે કહ્યુ કે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારનો વિરોધ કરવાના પુરાવો એ. રાજાનું જેલમાં હોવું છે. તેમણે કહ્યુ કે બીજી તરફ નાયબ વડાપ્રધાન કાળ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ તત્કાલિન ભાજપ અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણ અને જ્યોર્જ ફર્નાંડિઝના મામલામાં કંઈ કર્યું ન હતું.

અડવાણી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યુ કે બંગારુ લક્ષ્મણને કેમેરામાં લાંચ લેતા દેખાયા અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાંડિઝની સંરક્ષણ સમજૂતીઓમાં ભ્રષ્ટાચારના મામલા પર અડવાણીએ શું કર્યું? તેમણે અડવાણી પાસેથી જાણવા ઈચ્છયુ છે કે તેમના કાર્યકાળમાં તેઓ લોકપાલ બિલ કેમ લાવી શક્યા નહીં?

માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે જાણવાની ઈચ્છા કરી છે કે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સામાજીક કાર્યકર્તા અન્ના હજારેના ગુજરાતમાં ભ્રષ્ટાચારના આરોપોને કેમ સ્વીકારતા નથી?

સિબ્બલે પત્રકારોને કહ્યુ કે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી કહે છે કે તેઓ અન્ના હજારેની સાથે છે. અને અન્ના હજારે કહે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે. માટે ગડકરીએ સ્વીકાર કરવુ જોઈએ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશન પર જવું જોઈએ.

સિબ્બલે કહ્યુ કે ભાજપે એ પણ જોવું જોઈએ કે યોગગુરુ રામદેવે કઈ રીતે સરકારી જમીન અધિગ્રહીત કરી. તેમણે કહ્યુ કે જમીન કોણે આપી? શું મધ્ય પ્રદેશ, ઝારખંડ અથવા ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આવું કર્યુ છે? આરએસએસે સ્વીકારવું જોઈએ કે તે તેમને ટેકો આપી રહ્યું છે.

ભાજપને લોકતાંત્રિક મૂલ્યો અને વિકાસ કાર્યોની જરૂરત પર ધ્યાન આપવાની સલાહ આપતા સિબ્બલે કહ્યુ કે આરએસએસ અને ભાજપ એવો માહોલ ન બનાવે કે જેનાથી વિકાસનો માર્ગ અવરોધાય.

તેમણે કહ્યુ કે કોંગ્રેસ અને યુપીએ માટે આરોગ્ય, શિક્ષણનો અધિકાર, મનરેગા, જાહેર વિતરણ પ્રણાલી, ખાદ્ય સુરક્ષા મહત્વપૂર્ણ વિષયો છે. માટે વિપક્ષે આવો માહોલ ન બનાવવો જોઈએ કે જેનાથી આર્થિક વિકાસ અવરોધાય.