Showing posts with label upa. Show all posts
Showing posts with label upa. Show all posts

Sunday, 26 June 2011

દિગ્વિજયની રાજકીય દિશા


સ્વપ્ન દાસગુપ્તા, સૌજન્ય- દૈનિક જાગરણ

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અકબર રોડ ખાતેના કાર્યાલયમાં મોટાભાગે આવનારા આગંતુકો માને છે કે અહીં માત્ર એક જ વ્યક્તિ લાયક છે જેની સાથે વાત કરી શકાય છે. તે છે પાર્ટીના બડબોલા મહામંત્રી દિગ્વિજય સિંહ. ગત બે વર્ષોમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. સર્વપ્રથમ, તેમણે સાથી મહામંત્રી અને નક્કી ઉત્તરાધિકારી રાહુલ ગાંધીના કાન બનવાની પ્રતિષ્ઠા હાસિલ કરી છે. દિગ્વિજય સિંહ જે પણ કહે છે, તેને 41 વર્ષીય રાહુલ ગાંધીનું સમર્થન હાસિલ હોય છે. બીજું, દિગ્વિજય સિંહે કોંગ્રેસના એકમાત્ર અસલ મુસ્લિમ નેતાની છબી બનાવી લીધી છે. આ એવું સમ્માન છે જેનાથી ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલે કટાક્ષ સાથે જવાહરલાલ નેહરુને નવાજ્યા હતા.

જ્યારથી અન્ના હજારેના અનશન અને બાબા રામદેવ સાથે થયેલા છળ-કપટથી સિવિલ સોસાયટીએ ખુદને રાજકીય પરિદ્રશ્ય પર ઉભારી છે, ત્યારથી દિગ્વિજય સિંહે કોંગ્રેસની મનમોહનના નેતૃત્વવાળી યુપીએ સરકારથી અલગ ઉભા રહેવાની તક છોડી નથી. જ્યારે લોકપાલબિલનો મુસદ્દો તૈયાર કરવા માટે કેબિનેટ મંત્રીઓ અને અન્ના હજારેની ટીમની સંયુક્ત સમિતિ રચવામાં આવી હતી, ત્યારે દિગ્વિજય સિંહે સિવિલ સોસાયટી બ્રિગેડની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ચાર મંત્રી અને નોકરશાહ એરપોર્ટ પર બાબા રામદેવ સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા અને બાબાને આશ્વસ્ત કર્યા કે સરકાર તેમની માગણીઓ માનવા માટે રાજી છે, દિગ્વિજય સિંહે યોગગુરુને મહાઠગ ગણાવીને મંત્રીઓથી વિપરીત વલણ અપનાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય શરારત છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનો 41મો જન્મ દિવસ ઉજવ્યો તો દિગ્વિજય સિંહે ઘોષણા કરી કે આ યોગ્ય સમય છે જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવે.

કોઈ ફિલ્મમાં જેમ્સ બોન્ડનો ડાયલોગ હતો- કોઈ ઘટના પહેલીવાર અકસ્માત, બીજી વાર સંયોગ અને ત્રીજી વાર ષડયંત્ર છે. યુપીએ સરકાર અને વડાપ્રધાન મનમોહન સિંહને પરોક્ષપણે નિશાન બનાવવાની દિગ્વિજય સિંહના નિવેદનોની નિરંતરતાને કોઈપણ હિસાબે અકસ્માતની સંજ્ઞા આપી શકાય નહીં. જો દિગ્વિજય સિંહ પાર્ટીથી ઉપર થઈને વાત કરી રહ્યાં હોત તો કોંગ્રેસના માલિક તેમને કડક શબ્દોમાં સમજાવી દેત કે ફૂટ સોલ્જરોનું કામ જોવાનું છે, સાંભળવાનું નહીં. જો કે આ પ્રકારના કોઈ સંદેશ તેમને આપવાના સંકેત નથી, તેવામાં એવું માની લેવાનો મજબૂત આધાર છે કે દિગ્વિજય સિંહની નિવેદનબાજી પર સંમતિની મહોર લાગેલી છે, પરંતુ ઈન્કારની શરતની સાથે. જો કોઈ વાત ભયજનક રીતે ખોટી થઈ જાય છે, જેમ કે રાહુલ ગાંધીના જન્મ દિવસે અતિ ઉત્સાહભર્યો સંદેશ તો તેને તેમનું વ્યક્તિગત મંતવ્ય ગણાવીને છેડો છોડાવાય છે.

દિવસેને દિવસે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિગ્વિજય સિંહ કોંગ્રેસના પ્રથમ પરિવાર માટે લાકડાના ઘોડા નથી. શરૂઆતમાં વિભિન્ન ગાંધીવાદીઓ અને સિવિલ સોસાયટીના સમૂહો તથા કોંગ્રેસની વચ્ચે અંતર બનાવવામાં કંઈક સમજદારી નજરે પડતી હતી, પરંતુ જે યોજનાબદ્ધ રીતે દિગ્વિજય સિંહે અન્નાની ટીમ પર હુમલો કર્યો અને બાબા રામદેવની બેદર્દીની મજાક ઉડાડી તેનાથી સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે સંબંધ વિચ્છેદ અપરિહાર્ય થઈ ગયો.

એ મહત્વપૂર્ણ છે કે દિગ્વિજય સિંહ સિવિલ સોસાયટીને નિશાન બનાવવાથી જ થોભ્યા નથી. પ્રણવ મુખર્જીના સંદર્ભમાં આખી રાજકીય શાખ દાવ પર લગાવવાના નિવેદનથી સીધો હુમલો તેમની ગુસ્તાખીથી ઘણો વધારે અર્થ રાખતો હતો. સરકારની ભીરુતા પર દિગ્વિજયનો હુમલો સમજી-વિચારીને કરાયેલો સંકેત હતો. સ્પષ્ટ છે, તેની પાછળ વરિષ્ઠ નેતૃત્વનો હાથ હતો.

કોંગ્રેસના આંતરીક અસંતોષથી વડાપ્રધાનની અધિસત્તાને ક્ષતિ પહોંચી છે. છ માસ પહેલા કોંગ્રેસમાં મંત્રીમંડળનો ફેરફાર ચર્ચાનો વિષય હતો. આજે આ ચર્ચાનું સ્થાન એ સવાલે લઈ લીધું છે કે શું યુપીએ સરકારમાં વચાગાળાનું નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે? કોંગ્રેસે આખું અઠવાડિયું એ જતાવવાની કોશિશ કરી કે આ માત્ર અટકળ છે, પરંતુ આ મુદ્દો કેટલો ગરમ છે, તે સ્પષ્ટ છે. એક તરફ દિગ્વિજય સિંહની રાહુલને વડાપ્રધાન બનાવવાની વકીલાત અને બીજી તરફ રાજકીય મહત્વકાંક્ષી પર્યાવરણ જયરામ રમેશે ઉદ્યોગો વિરુદ્ધ હરિત શક્તિનો ઉપયોગ કરવાથી શું રાજકીય પર્યવેક્ષકોને એ નિષ્કર્ષ પર પહોંચવા બદલ દોષિત ઠેરવી શકાય કે વડાપ્રધાન લાચાર અને અશક્ત છે?

કમજોર, લાચાર અને લકવાગ્રસ્ત સરકારની છબીને કારણે શાસન પર નકારાત્મક અસર પડે છે. હંમેશા સુરક્ષિત ચાલનારી નોકરશાહીએ નિર્ણયો લેવાના લગભગ બંધ કરી દીધા છે. ન્યાયતંત્ર સુધારની મુદ્રામાં છે અને કેગ જેવી સંસ્થા સરકારી ધનની તપાસથી આગળ વધીને નીતિગત સમીક્ષા કરી રહી છે. આ બધાંનું પરિણામ એ થયું છે કે રાજકીય સંકટની સાથેસાથે ભારત આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે. નવ ટકા મોંઘવારીએ આમ આદમીની કમર તોડી નાખી છે. ઊંચા વ્યાજદરો અને ઘટતી માંગથી ઉદ્યોગ જગત ત્રસ્ત છે. વધતી રાજકોષીય ખાધ અને સુધારા પર અંકુશથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. કોંગ્રેસે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે દિગ્વિજય સિંહ દ્વારા પાર્ટી અને સરકાર વચ્ચે ખેંચવામાં આવેલી વિભાજન રેખા કાલ્પનિક છે. જો કે કોંગ્રેસના સંકટથી રાજકીય લાભ ઉઠાવવાની ભાજપની અક્ષમતાને કારણે પાર્ટી આત્મસંતુષ્ટિના નશામાં નજરે પડી રહી છે. કોઈપણ દેશમાં જ્યારે લોકતંત્રના મૂળિયા ભારત જેટલા ઉંડા નથી, આ સ્થિતિઓમાં સૈન્ય તખ્તાપલટ થઈ શકતો હતો, પરંતુ દિલ્હીમાં મહેલની અંદરથી સત્તાપલટની સ્થિતિઓ ઉભરી રહી છે. જોખમોથી ખેલવાનું જોખમ ભલે સફળ ન થાય, આ કોંગ્રેસને અસ્ત-વ્યસ્ત પરિસ્થિતિમાં જરૂરથી પહોંચાડી શકે છે.

(સ્વપ્ન દાસગુપ્તા- લેખક વરિષ્ઠ કોલમિસ્ટ છે)

દેશની સ્થિતિને અઘોષિત કટોકટી માનું છું: રામદેવ



પોતાના અનશન અને મૌન વ્રત બાદ રાજધાની નવી દિલ્હી આવેલા બાબા રામદેવે રવિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર સામે લડવાની ઈચ્છાશક્તિ નથી અને જે કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે.

યોગગુરુએ સરકારને સવાલ કર્યો કે જો તેમના મુદ્દા ખોટા હતા, તો તેમની સાથે વાતચીત કરવા માટે ચાર મંત્રીઓને એરપોર્ટ પર કેમ મોકલવામાં આવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે રામલીલા મેદાન પર પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલા ટેકેદારો સાથે બળાત્કારની કોશિશ કરવામાં આવી.

પોતાના અને પોતાના ટેકેદારો પર પોલીસ કાર્યવાહીના 21 દિવસ બાદ રાજધાની નવી દિલ્હી આવેલા યોગગુરુએ આજે પોતાનુ વલણ યથાવત રાખતા સરકાર પર ઘણાં નવા આક્ષેપો લગાવ્યા, પરંતુ પોતાની આગળની રણનીતિનો ખુલાસો કર્યો નથી. તેમણે માત્ર એટલું કહ્યું કે તેઓ એક જુલાઈથી હરિદ્વારમાં નિ:શુલ્ક નિવાસી શિબિર લગાવશે અને ચાર ઓગસ્ટથી ગ્રામ સ્વાવલંબન યોજના શરૂ કરશે, જેના અંતર્ગત 624 ગામડાંઓને આદર્શ ગામ બનાવવામાં આવશે.

રામદેવે તેમના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા ભાજપના મ્હોરા હોવાના આરોપોને રદિયો આપ્યો છે, પરંતુ લોકપાલના મુદ્દા પર ગાંધીવાદી અન્ના હજારે દ્વારા 16 ઓગસ્ટથી પ્રસ્તાવિત અનશનથી જોડાવા સંદર્ભેના સવાલોના જવાબ ટાળી દીધા હતા.

તેમણે માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ સાથે ફોન પર ચાર જૂને થયેલી વાતચીતનું વિવરણ જાહેર કરવાની માગણી પણ કરી હતી.

રામદેવે કહ્યુ કે આ સરકાર પહેલા ભ્રષ્ટાચારી હતી, પરંતુ હવે તે અત્યાચારી થઈ ગઈ છે. યોગગુરુએ કહ્યું કે તેમણે જનહિતમાં મુદ્દા ઉઠાવ્યા હતા, જેને હાસિયામાં ધકેલી દેવાયા છે. આ સરકારમાં ભ્રષ્ટાચાર સાથે લડવાની ઈચ્છાશક્તિ નથી. જે કોઈ ભ્રષ્ટાચાર-કાળા ધન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે અને ષડયંત્ર કરે છે. 

રામદેવે પોલીસ કાર્યવાહીમાં ગંભીરપણે ઘવાયેલી પોતાની મહિલા સમર્થક રાજબાલાને જી.બી.પંત હોસ્પિટલમાં મળ્યા હતા. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં તેમણે એક દસ્તાવેજ દેખાડીને દાવો કર્યો હતો કે દેશમાં અત્યાર સુધી જનતાએ કુલ 200 લાખ કરોડનો કર આપ્યો છે. સરકારે જણાવવું જોઈએ કે આ 200 લાખ કરોડ રૂપિયા કઈ જગ્યાએ ખર્ચ્યા છે.

દિલ્હી પાછા ફરવા સંદર્ભે પુછવામાં આવતા તેમણે કહ્યુ કે દિલ્હી આવવા માટે તેમણે આજનો દિવસ એટલા માટે પસંદ કર્યો, કારણ કે આ દિવસોમાં જ કટોકટી લાગુ કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે હવે તેઓ દેશની પરિસ્થિને અઘોષિત કટોકટી માને છે. ચાર જૂનની રાતની ઘટના એ ઈશારો કરે છે કે ક્યાંક સરકાર અને સરકાર દ્વારા પોષિત લોકોનું જ કાળું ધન વિદોશોમાં જમા નથી ને? કદાય એ કારણ છે કે તેમના આંદોલનને ચાર જૂને કચડી નાખવામાં આવ્યું.

રામદેવે કહ્યુ, જો કાળું ધન પાછું લાવવાનો મુદ્દો ખોટો હતો, જો તેમનું આંદોલન અલોકતાંત્રિક હતું અને જો તેઓ કોમવાદી છે, તો તેમની સાથે વાતચીત કેમ કરવામાં આવી. વડાપ્રધાને તેમને પત્ર કેમ લખ્યો. યોગગુરુએ કહ્યુ કે તેમના અને તેમના ટેકેદારો પર થયેલી કાર્યવાહી લોકતંત્રની હત્યા હતી. તેમણે એ આરોપ પણ લગાવ્યો કે ત્યાં અનશન માટે આવેલી તેમની મહિલા ટેકેદારો સાથે પોલીસ કાર્યવાહી દરમિયાન દારૂના નશામાં ધુત લોકોએ ખરાબ વ્યવહાર કર્યો, તેમને પકડી અને તેમની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવી.

રામદેવે કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલને પડકાર ફેંકતા કહ્યુ કે સરકાર તેમના ફોન ટેપ કરી રહી હતી. તેઓ ચાહે છે કે ચાર જૂને તેમની સિબ્બલ સાથે થયેલી વાતચીતની ટેપ જાહેર કરવામાં આવે. તે ટેપમાં સિબ્બલે કાળાધનને બંધારણીય રીતે રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવા સહીતના અન્ય આશ્વાસન આપ્યા હતા. જો કે આ મુદ્દા પર એક અન્ય કાર્યક્રમ બાદ જ્યારે સિબ્બલની પાસે પત્રકારોએ જવાબ માંગ્યો, તો મંત્રી મહાશય પત્રકારોના સવાલોનો કોઈ જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા હતા.

રામદેવે રામલીલા મેદાનથી ભાગી નીકળવાના આરોપ સંદર્ભે કહ્યુ હતુ કે ચાર જૂનની રાત્રે તેઓ ધરપકડ વ્હોરવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસનો ઈરાદો તેમની ધરપકડ કરવાની જગ્યાએ રસ્તામાંથી હટાવવાનો હતો. યોગગુરુએ કહ્યુ, તેમને જાનવરની મોત મરવું ન હતુ. તેમને કેન્દ્રની કઠપૂતળી બનેલી પોલીસના હાથે મરવુ ન હતુ, માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. પોલીસે ત્યાં બંધ પંડાલમાં ટિયર ગેસના સેલ છોડયા અને બર્બર કાર્યવાહી કરી.

તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યુ, શું દેશમાં એક જ પાર્ટીના લોકોને રહેવાનો હક છે. શું દિલ્હીમાં માત્ર એક જ પાર્ટીના લોકો આવી શકે છે. આ કેવું લોકતંત્ર છે. તેમણે રામલીલા મેદના પર આતંકવાદી હુમલો થવાની આશંકા સંદર્ભે કેન્દ્રના દાવાઓને ફગાવ્યા હતા. નવ દિવસ બાદ અનશન તોડવા સંદર્ભેના સવાલો પર તેમણે કહ્યુ, તેમને મોરારી બાપુ અને શ્રી શ્રી રવિશંકર સહીત અખાડાના સંતોએ અનુરોધ કર્યો હતો, માટે તેમણે અનશન તોડયા હતા. તેમણે અનશન એટલા માટે તોડયા ન હતા કે જીવ જોખમમાં હતો.

યોગગુરુએ તેમના પર આરએસએસ અને ભાજપના મ્હોરા હોવાના આરોપો ફગાવતા કહ્યુ, તેઓ કોઈ પાર્ટી અથવા સંગઠનના મ્હોરા નથી. તેઓ દેશના 120 કરોડ લોકોના મ્હોરા છે. લોકપાલ મુદ્દા પર હજારેના પ્રસ્તાવિત અનશન સંદર્ભે રામદેવે કહ્યુ, જે કોઈપણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે, તેઓ તેમની સાથે ઉભા રહેશે. પછી તે ચાહે કોઈપણ પાર્ટી અથવા સંગઠન હોય. 

તેમણે કહ્યુ કે સરકારના મુસદ્દામાં લોકપાલની મર્યાદામાં ટ્રસ્ટો અને બિનસરકારી સંગઠનો સાથે જ વડાપ્રધાન તથા સાંસદોને પણ સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવત તો તેમને ખુશી થાત. રામદેવે તેમની વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનારા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહનું નામ લીધા વગર કહ્યુ, તેમને (બાબા રામદેવને) કેટલાંક લોકો ચોર, ઠગ અને મહાઠગ કહે છે. પરંતુ તેઓ ચુપ રહ્યાં. તેઓ આવા બિનજવાબદાર લોકોની અશ્લિલ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપીને પોતાની જીભ ખરાબ કરવા ઈચ્છતા નથી.

પોતાના નજીકના સાથીદાર આચાર્ય બાલકૃષ્ણનો પાસપોર્ટ નકલી હોવાના આરોપો સંદર્ભે યોગગુરુએ કહ્યુ કે આ પાસપોર્ટ 1998માં બન્યો અને તે ગેરકાયદેસરનો નથી. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક તપાસ અધિકારીએ પાસપોર્ટ બનાવવા દરમિયાન ખોટો રિપોર્ટ આપ્યો હતો. આવું છે તો તે વહીવટી તંત્રની ભૂલ છે. તેમા બાલકૃષ્ણની કોઈ ભૂલ નથી. તેમણે કહ્યુ કે આ સરકારની ભ્રષ્ટાચાર અને કાળા ધનના મુદ્દાઓથી ધ્યાન હટાવવાની કોશિશ છે.

Monday, 20 June 2011

સ્વ-લક્ષ્ય સિદ્ધિ માટે સરકાર તૈયાર


-એન. કે. સિંહ

કોમવાદ અને લક્ષિત હિંસા (ન્યાય તથા ક્ષતિપૂર્તિ) નિરોધક વિધેયક-2011નો મુસદ્દો જો પારિત થઈ જશે તો કોમવાદી હિંસાની પરિભાષા બદલાઈ જશે.

તેના પ્રમાણે, કોમવાદી હિંસા એ છે કે જે ધાર્મિક અને ભાષાયી લઘુમતીઓ વિરુદ્ધ હોય. એટલે કે જો બહુમતી પર હુમલો થાય છે, તો તે આ વિધેયક પ્રમાણે કોમવાદી હિંસા નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કમિટી (એનએસી)ના આ મુસદ્દાના અનુભાગ 3(સી) પ્રમાણે, કોમવાદી અને લક્ષિત હિંસા એ હિંસા છે કે જે કોઈ સમૂહના સભ્ય વિરુદ્ધ જાણીકરીને અને એ જાણતા કે તે આ સમૂહનો સભ્ય છે, તેને નુકસાન પહોંચાડવા માટે, અચાનક અથવા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હોય. આ અનુભાગના ઉપબંધ (ઈ)માં સમૂહની પરિભાષામાં ધાર્મિક અને ભાષાકીય લધુમતી અને અનુસૂચિત જાતિ અથવા જનજાતિના વ્યક્તિને જ લેવામાં આવ્યા છે.

સંપૂર્ણ ખરડો ફક્ત એક જબરદસ્ત સંકીર્ણ માનસિકતાનું પ્રતિબિંબ જ નથી, પરંતુ તેમાં એ વાતની પણ કોશિશ કરવામાં આવી છેકે આ પ્રકારની નવપરિભાષિત હિંસાના મામલામાં કેન્દ્રનું વર્ચસ્વ હોય અને તે જ્યારે પણ ચાહે રાજ્ય સરકારોને આ આધાર પર બરખાસ્ત કરી શકે.

ગત બે દશકના આંકડા જણાવે છે કે ગોધરા અને તેના પછી થયેલી કોમવાદી હિંસને બાકાત કરવામાં આવે, તો દેશમાં આવી ઘટનાઓમાં ઘણો ઘટાડો થયો છે. જેમજેમ શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને જીવનયાપનની શરતો બદલાઈ રહી છે, સમાજનો વિચાર અને સમજ બદલાઈ રહ્યાં છે. પરંતુ આ ખરડાના મુસદ્દાની જોગવાઈઓએ ફરી એકવાર વર્ગો વચ્ચે ધર્મ આધારીત વૈમનસ્યની સ્થિતિ લાવી દીધી છે.

જો રાજકીય રીતે જોઈએ તો યૂપીએ સરકાર લઘુમતીઓને ખુશ કરવાના ચક્કરમાં રાજકીય હારાકિરી કરી છે. બહુમતીઓનું એક ચરિત્ર રહ્યું છે કે તેઓ લઘુમતીઓ માટે દરેક પ્રકારની ઉદારવાદી નીતિઓને, ભલે તે વોટની રાજનીતિ હેઠળ કરવામાં આવી હોય, જો તેને સાચી માનતા નથી તો ઓછામાં ઓછો તેનો વિરોધ પણ કરતા નથી. પરંતુ હિંસાની વ્યાખ્યાને લઈને તેમનો દ્રષ્ટિકોણ બિલકુલ અળગ છે. હિંસા કરનારને કોઈ ધર્મ વિશેષ સાથે જોડવા રાજ્યના મૂળ ધર્મનિરપેક્ષ ચરિત્ર પર શંકા પેદા કરે છે, માટે બહુમતી ફરી એકવાર તીવ્ર પ્રતિક્રિયા આપવા લાગી છે. આ કારણ છે કે ભાજપને તેમા અચાનક એક મોટો મુદ્દો દેખાઈ રહ્યો છે અને હવે ધાર્મિક આધારે તે બહુમતીઓને ફરી એકવાર આંદોલિત કરવાની કોશિશ કરશે.

એનએસી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ મુસદ્દો સમાજને જોડવાના સ્થાને તોડવાનો એક અયોગ્ય ઉપક્રમ લાગે છે. તેનાથી એ પણ ખબર પડે છે કે ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલી સરકાર અને તેનો મુખ્ય ઘટક પક્ષ કોંગ્રેસ હતાશાની સ્થિતિમાં હવે લઘુમતીઓને પોતાની સાથે જોડવા માટે કંઈપણ કરવા માટે તૈયાર છે. ઉદારણ તરીકે આ અનુભાગના અનુબંધ (જે)માં પીડિતની પરિભાષા કંઈક આ પ્રકારે કરવામાં આવી છે-
તે વ્યક્તિ કે જે કાયદામાં વર્ણિત સમૂહનો સભ્ય (એટલે કે લઘુમતી) હોય અને જેને આ પ્રકારની કોઈપણ હિંસાના કારણે ભૌતિક, માનસિક અથવા આર્થિક નુકસાન અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય- આનો અર્થ એ થયો કે જો બહુમતીનું કોઈ સરઘસ, એ જાણતા પણ, કે જે વિસ્તારમાંથી સરઘસ જઈ રહ્યું છે, તે લઘુમતીઓનો વિસ્તાર છે, કાઢે છે અને જો એવું કરવાથી સમૂહના કોઈ લઘુમતી એમ કહે છે કે તેને મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને વળતર આપવામાં આવશે.

આ પ્રસ્તાવિત કાયદાની પકડમાં માત્ર બહુમતી જ આવશે અને સાથે જ તેને ત્યાં સુધી દોષિત માનવામાં આવતો રહેશે કે જ્યાં સુધી તે પોતાને નિર્દોષ સિદ્ધ કરી ન લે. આ ખરડાની જોગવાઈઓ એટલી કડક છે કે ઉપબંધ 73 અને 74 પ્રમાણે આ જવાબદારી આરોપિત બહુમતી પર હશે કે તેઓ પોતાને નિર્દોષ સાબિત કરે. સમાન્ય રીતે અપરાધ ન્યાય શાસ્ત્રમાં આ જવાબદારી આરોપ લગાવનાર એટલે કે ફરીયાદીની હોય છે.  

આ ખરડાના મુસદ્દા પ્રમાણે એક સાત સભ્યોનું રાષ્ટ્રીય પ્રાધિકરણ બનશે તેની પાસે નિર્બાધ શક્તિઓ હશે. તે કોઈપણ રાજ્યની પોલીસ અથવા વહીવટી અધિકારીને નિર્દેશ આપી શકશે, કોઈપણ મામલાની તપાસ સીધી કરાવી શકશે, જિલ્લાધિકારીની જવાબદારી હશે કે આ પ્રકારની ઘટનાઓની માહિતી તાત્કાલિક તેમને ઉપલબ્ધ કરાવે. ખૂબ ચાલાકીથી આ ખરડાના મુસદ્દામાં આ પ્રકારની તથાકથિત હિંસાને આંતરીક ઉપદ્રવની પરિભાષામાં સામેલ કરી લેવામાં આવી છે.

એ જણાવી દેવું જરૂરી છે કે બંધારણના  અનુચ્છેદ-355 હેઠળ આ કેન્દ્રની જવાબદારી હોય છે કે તે આંતરીક ઉપદ્રવની સ્થિતિમાં દરેક રાજ્યની સુરક્ષા કરે અને એ પણ સુનિશ્ચિત કરે કે તે રાજ્યમાં સરકાર બંધારણની જોગવાઈને અનુરૂપ કામ કરી રહી છે. કહેવાનું તાત્પર્ય છે કે ખરડાના મુસદ્દાના અનુભાગ-20માં વર્ણિત અધિકારો હેઠળ જો ક્યાંય ઉપરોક્ત પ્રકારની કોમવાદી હિંસા થાય છે, તો કેન્દ્ર રાજ્ય સરકારને બરખાસ્ત કરી શકે છે.

મુસદ્દામાં એ પણ જોગવાઈ છે કે આ પ્રકારના પંચો રાજ્યોમાં પણ બનશે, પરંતુ તેની શક્તિ કોમવાદી હિંસાના તમામ મુખ્ય મુદ્દાઓ પર સીમિત અથવા માત્ર સલાહકારી રહેશે. રાષ્ટ્રીય પંચને વડાપ્રધાન, ગૃહમંત્રી, લોકસભાના વિપક્ષના નેતા તથા તમામ રાષ્ટ્રીય પાર્ટીઓના નેતા પસંદ કરશે. મુસદ્દામાં લઘુમતી વર્ચસ્વને એટલું મજબૂત કરવામાં આવ્યું છે કે આ સાત સભ્યોના પંચમાં ઓછામાં ઓછા ચાર સભ્યો ધાર્મિક અને ભાષાકીય લઘુમતી વર્ગમાંથી રહેશે અને તેમાંથી એક અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય હશે.


ઉપબંધ-82 પ્રમાણે તેમાં આરોપિત બહુમતી જ હશે અને આવા આરોપિત વ્યક્તિની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત કરાયેલી રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી છૂટી ન જાય.

લાગે છે કે આખે આખો મુસદ્દો ગુજરાતમાં ગોધરા બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. મુસદ્દો તૈયાર કરનારી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ એટલે કે એનએસીના સભ્યોના દિલમાં ગોધરાનો ટ્રેન કાંડ અથવા આઝમગઢની ઘટનાઓ રહી નથી.

અહીં અમારો આશય એ નથી કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ કોઈ ખાસ સમુદાયને લઈને પક્ષપાતપૂર્ણ વલણ રાખે છે. એનએસી ગરીબોને લઈને પોતાની સજાગતા દેખાડી ચુકી છે. ખાસ કરીને ખાદ્ય સુરક્ષા બિલને લઈને જે પ્રકારે તેણે ગરીબીની રેખાથી ઉપરના પણ એક વર્ગને સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે, તે વખાણવાલાયક કોશિશ હતી. ખુદ પરિષદના અધ્યક્ષે ગરીબોને લઈને ઘણાં મામલાઓને લઈને પરિષદના અભિપ્રાયને સર્વોપરી માન્યો અને સરકારે નમવું પડયું. માટે રાજકીય બેલેન્સશીટની દ્રષ્ટિએ પણ કોમવાદી હિંસા નિરોધક બિલ પોતાનામાં જ પૂર્ણ વિધેયક હોવું જોઈએ કે જેથી કોમવાદી શક્તિઓને, કોંગ્રેસ અને સોનિયા ગાંધીને ઘેરવાનો મોકો મળે નહીં.

દેશમાં હાલ કોમી સૌહાર્દનો માહોલ સ્પષ્ટપણે નજરે પડે છે અને એવી કોઈ નીતિ જે સરકારની નિયત પર શંકા પેદા કરે તે ન તો રાજકીય રીતે યોગ્ય હશે, ન તો સામાજીક રીતે.

(લેખક વરિષ્ઠ પત્રકાર છે. સૌજન્ય-સહારાલાઈવ વેબસાઈટ)