Friday, 1 July 2011

ચીન ક્યારેય ભરોસાપાત્ર રહ્યું નથી



રમેશ દુબે, સૌજન્ય- દૈનિક જાગરણ

વેપારને છોડી દઈએ તો સીમા વિવાદ, અરુણાચલ પ્રદેશ, સ્ટેપલ વીઝા, કાશ્મીર વગેરેને લઈ ભારત અને ચીનના સંબંધો નાજૂક જ રહ્યાં છે. તેનું જ્વલંત ઉદાહરણ છે ચીન દ્વારા સાગ્પો નદી (બ્રહ્મપુત્ર નદીનું તિબેટીયન નામ) પર બનાવાય રહેલી જાગમૂ જળ વિદ્યુત પરિયોજના. 510 મેગાવોટની આ જળ વિદ્યુત પરિયોજનામાં 85-85 મેગાવોટના છ બંધ બનાવવામાં આવ્યા છે. આ પરિયોજના સંદર્ભે ચીનની સરકારે ભારત સાથે કોઈ નક્કર જાણકારી વહેંચી નથી.

ભારત દ્વારા ચિંતા પ્રગટ કરાયા બાદ ચીને પોતાના વલણમાં નરમાશનો સંકેત આપતાં કહ્યું છે કે સીમા પાર નદી સાથે જોડાયેલા મુદ્દા પર તે જવાબદારી સાથે પગલા ઉઠાવશે. તે પોતાના જળ સંસાધનોને વિકસિત કરવાની સાથે જ તેના પડોશી દેશો પર પડનારી અસરનો પણ ખ્યાલ રાખશે.

જાગમૂ પરિયોજનાથી ઉપજેલા તાત્કાલિક વિવાદથી હટીને જોવામાં આવે તો બંને દેશો વચ્ચે નદીઓના પાણીને લઈ વિવાદનો લાંબો ઈતિહાસ છે. વર્ષ 2000માં ભારતે ચીન પર આરોપ લગાવ્યો છે કે તે બ્રહ્મપુત્રના વહેણ સંબંધિત નવા આંકડા ઉપલબ્ધ કરાવી રહ્યું નથી, જેના કારણે ભારતીય ભૂભાગમાં પૂર અને ભારે તબાહી આવી રહી છે. 2002માં બંને દેશો વચ્ચે જળ સ્તર સંબંધિત આંકડાઓને વહેંચવા સંદર્ભે સંમતિ બની.

2003માં ચીની વૈજ્ઞાનિકોએ ચીન થઈને વહેનારી બ્રહ્મપુત્ર નદી પર વિશાળ જળ વિદ્યુત પરિયોજના શરૂ કરવાની સંભાવનાનો અભ્યાસ કર્યો. બ્રહ્મપુત્રના આ ભાગમાં 6.8 કરોડ કિલોવોટ જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા હોવાનું જાણવા મળ્યું, જે ચીનની કુલ ક્ષમતાનો 1/10 ભાગ છે. પરંતુ આ પરિયોજનાઓના અમલીકરણથી બ્રહ્મપુત્રના પ્રવાહમાં 60 ટકાનો ઘટાડો થશે, જેનો ભારત અને બાંગ્લાદેશ પર ગંભીર પ્રભાવ પડશે.

ભારતને ચારે તરફથી ઘેરવાની રણનીતિ હેઠળ ચીને પહેલા ભારતના પડોશી દેશોને આર્થિક-સૈન્ય મદદ કરીને તેમને ભારત વિરોધમાં તૈયાર કરવામાં લાગેલું છે. મ્યાંમારમાં મોટા પાયા પર વિકાસ કાર્યો કરી અને નેપાળમાં આર્થિક તથા સૈન્ય મદદ આપીને તે ભારત વિરુદ્ધ તેને ઉભા કરી રહ્યું છે.

બાંગ્લાદેશમાં ચીનની સામરીક ઘૂસણખોરી ચાલુ છે. પાકિસ્તાન સાથે તેમની નજદીકીઓ જગજાહેર છે. ચીનની પાક અધિકૃત કાશ્મીરમાં ઉપસ્થિતિ ઘણાં સવાલો ઉભા કરી રહી છે. આ ક્ષેત્રના કારાકોરમ હાઈવેનો ઉપયોગ ગુપ્ત રૂપથી પરમાણુ સામગ્રીને બીજિંગથી ઈસ્લામાબાદ મોકલવા માટે કરાઈ રહ્યો છે. ક્ષેત્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ભારતના ઘણાં સમારીક હિતો આ હાઈવે સાથે જોડાયેલા છે. 

નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર દ્વારા જમીન પર ઘેર્યા બાદ ચીન હવે ભારતને સમુદ્રી માર્ગો પર કંટક બિછાવવાનું કામ કરી રહ્યું છે. તેના પ્રમાણે તે શ્રીલંકાના હંબનટોટા પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે, તો માલદીવના સૌથી મોટા પોર્ટ મારાઓ પર એક નૌસૈનિક અડ્ડો સ્થાપિત કરી રહ્યું છે, પરંતુ ભારતના સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે સૌથી મોટું જોખમ ચીનની ભાગીદારીથી બનનારું પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ છે.

મધ્ય-પૂર્વ અને ચીન વચ્ચે મુખ્ય સમુદ્રી રસ્તા સુધી પહોંચને કારણે ગ્વાદરનું ચીન માટે ભારે રણનીતિક મહત્વ છે. દક્ષિણ એશિયાના તટીય વિસ્તારોમાં મુક્ત આવાગમન અને સૈન્ય પડકારોને નિપટવા માટે હિંદ મહાસાગર સુધી ચીનની સીધી પહોંચ બેહદ મહત્વપૂર્ણ છે. આ ચીનને એક એવી સામરીક જગ્યા ઉપલબ્ધ કરાવી દેશે, જે તેને મોટી નૌસૈનિક બઢત અપાવી શકે છે. તે ભારત માટે સીધો પડકાર છે. ગ્વાદર પોર્ટને કારણે ચીનને એનર્જી રુટ પર સ્થાપિત થવાનો મોકો મળી જશે અને તે ચીનને હિંદ મહાસાગરમાં અમેરિકા અને ભારતની નૌસૈનિક ગતિવિધિઓ પર નજર રાખવાની જગ્યા ઉપલબ્ધ કરાવી દેશે. 

ભારત-ઈરાન-પાકિસ્તાન પાઈપ લાઈન પરિયોજના હજી ફાઈલોમાં જ છે, પરંતુ ચીન-તુર્કમેનિસ્તાન ગેસ પાઈપ લાઈનના ઉદઘાટન દ્વારા ચીને ભારતથી માઈલોની સરસાઈ મેળવી લીધી છે. 1833 કિલોમીટર લાંબી આ પાઈપ લાઈનથી 2013 સુધી ચીનને 40 અબજ ઘન મીટર ગેસ મળવા લાગશે, જે તેની ઘરેલુ જરૂરિયાતોનો અડધો હિસ્સો હશે. આ પાઈપલાઈનથી ચીનની મધ્ય એશિયામાં સીધી પહોંચ બનશે. મધ્ય એશિયાની માફક ભારત પોતાના પડોશી દેશ મ્યામાર પાસેથી ગેસ લેવામાં ઉણો ઉતર્યો.

એટલું જ નહીં, આફ્રિકાથી તેલ ગેસ દોહનની સાથેસાથે ચીન જે પ્રકારે પાન એશિયન એનર્જી પર જોર આપી રહ્યું છે, ભવિષ્યમાં ભારત તેની આગળ ક્યાય ટકી શકશે નહીં.

No comments:

Post a Comment