મહેન્દ્ર વેદ, સૌજન્ય- અમર ઉજાલા
બાંગ્લાદેશ પ્રવાસના ઠીક પહેલા વડાપ્રધાન મનમોહન સિંહની આ પડોશી દેશ પર ટિપ્પણીના કારણે પેદા થયેલી ગલતફેમી હવે દૂર થઈ ગઈ હોય તેમ લાગે છે. વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા બાંગ્લાદેશ પહોંચી ચુક્યા છે અને તેમણે સ્પષ્ટ કર્યુ છે કે વડાપ્રધાનની ટિપ્પણીથી બંને દેશોના સંબંધો પર અસર પડશે નહીં. બીજી તરફ જમાત-એ-ઈસ્લામીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તે બંને દેશો વચ્ચે સારા સંબંધો ઈચ્છે છે.
વાસ્તવમાં વડાપ્રધાને કેટલાંક પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું હતું કે બાંગ્લાદેશની 25 ટકા વસ્તી એ ભારત વિરોધી જમાત-એ-ઈસ્લામીની કસમો ખાય છે, જેના પર પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની અસર છે. તેમણે એ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશનું રાજકીય પરિદ્રશ્ય કોઈપણ સમયે બદલાઈ શકે છે. અમને ખબર નથી કે જે આતંકવાદી તત્વોની બાંગ્લાદેશની જમાત-એ-ઈસ્લામી પર પકડ છે, તેઓ શું કરવાના છે. વડાપ્રધાન તો આ ક્ષેત્રમાં વધી રહેલી કટ્ટરતા પર ભારતની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. તેમની આ ટિપ્પણીએ સામાન્ય રીતે ભારતની મિત્ર ગણાતી બાંગ્લાદેશની શેખ હસીના સરકારને એવા સમયે બેકફૂટ પર લાવી દીધી, જ્યારે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી લંબિત મુદ્દાઓ પર વાત થવાની છે.
ખરેખર શેખ હસીના સરકારે ઉલ્ફા ઉગ્રવાદીઓને બાંગ્લાદેશમાંથી ખદેડીને અને તેમને ભારતને સોંપીને સાહસિક કામ કર્યુ છે. હવે તે આની અવેજમાં ભારત પાસેથી કેટલીક છૂટ ચાહે છે. શેખ હસીના ભારતના પૂર્વોત્તર ક્ષેત્રના અલગ-થલગ પડેલા ઉપેક્ષિત વિસ્તારોમાં આવાગમન માટે રસ્તો આપવા માટે પણ રાજી છે. જો કે આ બંને મુદ્દાઓને કારણે તેમને રાજકીય પક્ષો, ઈસ્લામી જૂથો, રાજકીય ગઠબંધનનો લાભ ઉઠાવનારા નિહિત સ્વાર્થી તત્વો અને ગેરકાયદેસર વેપાર તથા દાણચારી કરનારા વ્યાવસાયિક લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
એમા કોઈ શંકા નથી કે મનમોહન સિંહે જે કંઈ કહ્યું, તે બાંગ્લાદેશ સંદર્ભે ભારતના આંતરીક મૂલ્યાંકનનું જ પરિણામ છે. તેમણે શ્રીલંકા અને પાકિસ્તાન સંદર્ભે પણ વાત કરી, પરંતુ આ પડોશી દેશોથી ભાગ્યે જ કોઈ પ્રતિક્રિયા આવી હશે.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે જે 25 ટકા બાંગ્લાદેશીઓને ભારત વિરોધી ગણાવાયા છે, તે ઉખાણાની જેમ છે. બાંગ્લાદેશની સૌથી મોટી ઈસ્લામી પાર્ટી જમાત-એ-ઈસ્લામી ક્યારેય પણ વધારે વોટ હાસિલ કરી શકી નથી. ગત બે ચૂંટણીઓમાં, 1991 અને 2001માં તે 300 બેઠકોમાંથી માત્ર 18 બેઠકો જ જીતી શકી છે. મહત્વનું એ છે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની બેગમ ખાલિદા ઝીયા સરકારમાં જમાત સામેલ હતી અને 2001થી 2006 દરમિયાન તેના બે મંત્રી સરકારમાં હતા અને આર્થિક તથા સામાજીક મામલાઓ પર તેમની પકડ હતી.
વાસ્તવમાં કટ્ટરપંતી શક્તિઓ ક્યાંય પણ બહુમતમાં નથી. પરવેઝ મુશર્રફ કહેતા હતા કે માત્ર પાંચથી દશ ટકા પાકિસ્તાની જ કટ્ટરપંથી છે. જો કે તેમની ભૂમિકા પાકિસ્તાની સમાજને સંપૂર્ણપણે કટ્ટર બનાવવામાં છે. વડાપ્રધાનની ટિપ્પણી કદાચ આ ચિંતાઓને જ દર્શાવે છે.
બધાં જાણે છે કે બાંગ્લેદશ અને પાકિસ્તાનનો સંયુક્ત ઈતિહાસ છે. ભારત વિરુદ્ધ કામ કરનારી આઈએસઆઈનો પ્રભાવ પણ જાણીતી વાત છે. તે ભૂતકાળમાં બાંગ્લાદેશની ધરતી પર પૂર્વોત્તરના ઉગ્રવાદીઓને આશ્રય આપતી હતી. પરંતુ ભારતે હસીના સરકારની કોશિશોનો સ્વીકાર કરવો જોઈએ, જેણે પૂરી રીતે તો નહીં, તો કેટલીક હદ સુધી આવી પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો છે. જ્યારે હકીકત એ છે કે ત્યાં પોલીસથી લઈને નોકરશાહી અને ન્યાયતંત્ર સુધીમાં ભારત વિરોધીઓ અને પાકિસ્તાન સમર્થકોની અસર છે.
આ સિવાય એક તથ્ય એ પણ છે કે 15 વર્ષોના સૈનિક શાસન અને દસ વર્ષના બેગમ ખાલિદા ઝીયાના શાસન દરમિયાન બાંગ્લાદેશમાં મધ્યમ વર્ગ વિકસ્યો છે, જે સામાન્ય રીતે હસીના વિરોધી છે. તાજેતરમાં ઢાકામાં થયેલી વિશ્વ કપની ક્રિકેટ મેચો દરમિયાન પાકિસ્તાની ઝંડા લહેરાવા અને પાકિસ્તાન સમર્થક સૂત્રો લગાવવા બાંગ્લાદેશી મધ્યમ વર્ગમાં પ્રચલિત ભાવનાનું જ પ્રમાણ છે. ત્યાં એ ભાવના છે કે તે ત્રણ બાજુથી ભારતથી ઘેરાયેલું છે અને ચોથી બાજું બંગાળની ખાડી છે. તેણે વગર કારણે ભારત પ્રત્યે ભયની એક માનસિકતા બનાવી લીધી છે. હવે તેના સંદર્ભે તો કંઈ થઈ શકે તેમ નથી.
તેમ છતાં પણ તેની પાકિસ્તાન સાથે સરખામણી કરવી ખોટી છે. આ મધ્યમ વર્ગમાં સ્વાધીનતા સંઘર્ષની ભાવના અને ભાષા-સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ પ્રબળ છે. ત્યાંની સંસ્થાઓ, ઉદાહરણ તરીકે બાંગ્લાદેશની સેના પાકિસ્તાની સેનાની વિપરીત લોકમત પ્રત્યે સંવેદનશીલ છે. બાંગ્લાદેશ પાકિસ્તાન કરતા વધારે લોકતાંત્રિક છે.
વડાંપ્રધાન શેખ હસીના પોતાની શક્તિઓ અને મર્યાદાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશમાં ઘેરી પહોંચ ધરાવનારા શક્તિશાળી ઈસ્લામિક જૂથો પ્રત્યે સચેત છે. આ કારણ છે કે સૈન્ય શાસન સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણમાં કરવામાં આવેલા બે સુધારા રદ્દ કરીને તેમણે દેશને ઈસ્લામિક ગણરાજ્ય બનાવાથી બચાવી રાખ્યો. તેઓ ઈસ્લામી રીતિ-રીવાજોને કાયદાના પુસ્તકો સુધી જ સીમિત રહેવા દેવા ઈચ્છે છે.
બાંગ્લાદેશની જનતા કટ્ટરપંથી નથી અને ન તો તેઓ ધર્મના રાજનીતિકરણની મંજૂરી આપે છે. જો કે તે કટ્ટરવાદ વિરુદ્ધ સામૂહિક રીતે ત્યાં સુધી એકજૂથ નહીં થાય, જ્યાં સુધી બાંગ્લાદેશના રાજનેતા તેના માટે તૈયાર નહીં થાય. શું આ કોઈપણ આવા સમાજ (આપણા સમાજ સહીત)નું સત્ય નથી, જ્યાં સામાન્ય લોકો માટે ધર્મનું મહત્વ છે?
No comments:
Post a Comment