Saturday, 25 June 2011

એક સાધ્વીની રાજકીય પરિક્રમા



શોરબકોર વચ્ચે ઉમા ભારતીની ભાજપમાંથી વિદાય અને ત્યાર બાદ સાદગીભર્યા આયોજનમાં પાર્ટીમાં તેમના પુનરાગમનની યાત્રા સંદર્ભે જણાવી રહ્યાં છે, બૃજેશ સિંહ, સૌજન્ય- તહેલકા હિંદી

ઉમાનું આખું જીવન માનવીય સંસારના વિભિન્ન રંગોથી તરબતર છે. આઠ વર્ષની ઉંમરમાં ભાજપ સાથે જોડાનાર ઉમા ધર્મ અને રાજનીતિની ઘાલમેલ તથા ધર્મની શક્તિ તથા તેની મર્યાદાઓનું સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ છે. ટીકમગઢના એક લોધ પરિવારમાં જન્મેલી ઉમા રાગિની ભારતીએ જ્યારે ખૂબ નાની ઉંમરમાં જ ધાર્મિક પ્રવચન આપવાની શરૂઆત કરી તો અપેક્ષકૃત સ્ત્રી વિરોધી ગણાનાર બુંદેલખંડી સમાજ નતમસ્તક થઈ ગયો. જે ઉંમરમાં બાળકો ભણવા-ગણવાની શરૂઆત કરે છે, તે સમયે તેઓ રામાયણ અને ગીતા સહીત અન્ય ઘર્મગ્રંથોને કંઠસ્થ કરીને જનતા સામે તેનો મર્મ સમજાવી રહ્યાં હતા. આ બાળકીની ચારેતરફ એવી ખ્યાતિ થઈ કે તે જ્યાં પણ જતી તેને જોવા અને સાંભળવા માટે લાખોની સંખ્યામાં ભીડ આવતી હતી. તે સમયે આ બાળકી પર ગ્વાલિયર ઘરાનાની રાજમાતા વિજયરાજે સિંધિયાની નજર પડી. અહીં ધર્મસત્તાનો રાજનીતિ અને રાજસત્તા સાથે મેળ થયો. આ વિલક્ષણ બાળકી હવે પોતાના રાજકીય ગુરુના સંરક્ષણમાં હતી. સમયનું પૈંડુ ઘૂમતું ગયું અને પ્રવચન આપનારી છોકરી ધીરેધીરે રાજકીય ભાષણ આપવા લાગી. 25 વર્ની ઉંમરમાં મધ્ય પ્રદેશની ખજૂરાહો લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને ઉમાએ પહેલીવાર ઔપચારીક રીતે ચૂંટણીની રાજનીતિમાં ડગ માંડયા. જો કે તે સમય ઈન્દિરા ગાંધીની હત્યા બાદનો હતો. માટે કોંગ્રેસ પ્રત્યે ઉપજેલી સહાનુભૂતિની લહેરમાં ઉમાની નવીસવી રાજકીય નાવ ડૂબી ગઈ. બાદમાં તે જ ખજૂરાહોની જનતાએ તેમને સતત ચાર વખત સંસદમાં મોકલ્યા. ત્યાર બાદ ઉમાએ રાજધાની ભોપાલની દિશા લીધી. અહીંથી ચૂંટણી લડયા અને જીત્યા.

ધર્મ અને રાજનીતિના ઘાલમેલનું વ્યક્તિ તરીકેનું સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ ઉમા છે, તો પાર્ટી તરીકે ભાજપ

ધર્મ અને રાજનીતિની ઘાલમેલનું વ્યક્તિ તરીકે સૌથી વધારે બંધબેસતુ ઉદાહરણ ઉમા છે, તો પાર્ટી તરીકે ભાજપ. જો કે 90ના દશકમાં પાર્ટીનો એકમાત્ર એજન્ડા રામ અને અયોધ્યા હતો, માટે ત્યાં ઉમાની એક મોટી ભૂમિકા હોવી નક્કી હતી. અડવાણી અને બાકીના નેતાઓની આશાઓ પર પાંચ વર્ષની ઉંમરથી રામ નામ જપનારી ઉમા બિલકુલ ખરી ઉતરી હતી. ભગવા વસ્ત્રોવાળી ઉમાએ જ્યારે અન્ય નેતાઓ સાથે મળીને અયોધ્યામાં એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો-નું સૂત્ર આપ્યું તો ઉન્માદી ભીડે તેનું અક્ષરશ પાલન કર્યું. એક તરફ મસ્જિદનો ઢાંચો જમીનદોસ્ત થયો, બીજી તરફ ઉમા અને ભાજપનું રાજકીય કદ ઉપર જઈ રહ્યું હતું. ઉમાના જીવનનો આ ટર્નિંગ પોઈન્ટ હતો. હવે ઉમા માત્ર ઉમા ન હતા, પરંતુ અયોધ્યા આંદોલન ફિલ્મના મુખ્ય પાત્ર પણ હતા. સ્પષ્ટ હતું કે જ્યાં જ્યાં પણ આ ફિલ્મ ના પોસ્ટર લાગ્યા હતા, તેમાં અડવાણી સાથે ઉમા પણ હતા. ફિલ્મ હિટ થઈ ગઈ. ફિલ્મના પ્રોડયુસર અને ડાયરેક્ટર તેમને વધુ મોટો રોલ આપવા ઈચ્છતા હતા. બીજી તરફ ઉમાને અહેસાસ થઈ ગયો હતો કે તે કોઈ નાની-મોટી અદાકાર નથી. આત્મવિશ્વાસમાં વધારે જોડાવાની શરૂઆત થઈ ચુકી હતી. ત્યાર બાદ બનનારી એનડીએ સરકારમાં ઉમાએ માનવ સંસાધન, પર્યટન, યુવા અને ખેલ તથા કોલસા મંત્રાલય સંભાળ્યું હતું. પોતાની રાજનીતિની શરૂઆત ઉમાએ કેન્દ્રમાંથી કરી.

બીજી તરફ મધ્ય પ્રદેશમાં દિગ્વિજય સિંહ દસ વર્ષથી મુખ્યમંત્રી બનેલા હતા. જનતામાં સડક, વીજળી, પાણી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં નકારાત્મક વિકાસને કારણે રોષ હતો, તેના કારણે તેમની વિરુદ્ધ એક મજબૂત સત્તા વિરોધી લહેર હતી. પરંતુ ભાજપમાં એવો કોઈ નેતા ન હતો, જે દિગ્ગી રાજાની આ કમીને પોતાની તાકાત બનાવી શકે. મધ્ય પ્રદેશમાં પાર્ટીએ દિગ્ગીને હરાવવા માટેની જવાબદારી પોતાના એવા નેતાને આપી કે જેમને ક્યારેક દિગ્ગી પણ પગે લાગતા હતા. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એન. ડી. શર્મા કહે છે કે જ્યારે ઉમા ભારતીને હાઈકમાન્ડે રાજ્યમાં મોકલ્યા તો ધીમા અવાજે કેટલાંક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં હંમેશા એક વર્ગ એવો હતો જે ઉમાનો વિરોધી રહ્યો. પરંતુ જો કે ઉમાને દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા, માટે આ નેતાઓએ આ નિર્ણયને સ્વીકાર્યો હતો.

માનવ સંસાધન મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહેલા ઉમાએ રાજ્યના માનવ સંસાધનને એવી રીતે મેનેજ કર્યું કે દિગ્ગી રાજાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. ધર્મનિરપેક્ષતાની દુહાઈ આપનારા રાજા એક ભગવા મહિલાના હાથે પરાજીત થઈ ચુક્યા હતા. આટલી મોટી જીત બાદ ઉમાએ મુખ્યમંત્રી તો બનવાનું જ હતું. સાધ્વીના સ્વર્ણિમ યુગનો પ્રારંભ થઈ ચુક્યો હતો, પરંતુ તેમની ઉંમર ગર્ભમાં પાળનારા બાળક જેટલી જ હતી. માત્ર નવ માસમાં આ યુગને અનિશ્ચિતકાળ માટે ગ્રહણ લાગવાનું હતું. ઉમા એક તરફ જીતના જશ્નમાં મગન હતી, ત્યારે બીજી બાજુ સપાટી નીચે કંઈક બીજું જ ઘટી રહ્યું હતું. તેની ખબર ઉમાને પહેલેથી હતી, પરંતુ તેમણે તેની અસર ઓછી આંકી હતી. ઉમાએ ખુદ એ વાતનો સ્વીકાર કર્યો છે કે વર્ષ 1996 ભાજપના જીવનમાં એક નિર્ણાયક વળાંકનું હતું. 13 દિવસની સરકારમાં રાજકીય મેનેજરો તથા પાર્ટી માટે નાણાંની ઉઘરાણી કરનારાઓ માત્ર મજબૂત જ ન હતા થયા, પરંતુ તેઓ પાર્ટી અને વરિષ્ઠ નેતાઓને દિશાનિર્દેશ પણ આપવા લાગ્યા હતા.

મુખ્યમંત્રી બનતા પહેલા ઉમા જ્યારે કેન્દ્રની રાજનીતિમાં હતા, તો તેમણે આવા લોકો વિરુદ્ધ મોરચો પણ ખોલ્યો હતો. જેવું ઉમા જણાવ છે કે આ સંદર્ભે તેમણે અડવાણીને પણ કહ્યું હતું કે દાદા તમે આજે એવા લોકોની સંગતમાં છો કે જે તમારા સ્વભાવની બિલકુલ વિપરીત છે. પોલીટિકલ અને ફ્રંટ મેનેજરોને આની જાણ થઈ ગઈ હતી. સ્પષ્ટ છે કે તેઓ આનાથી નારાજ થયા. પરંતુ અયોધ્યા આંદોલનથી નીકળેલી ઉમાને પાઠ ભણાવવો તેમના વશની વાત ન હતી. ક્યારેક કોલસા મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહેલા ઉમા ભારતીએ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યમાં કાળા કારનામા કરનારાઓ પર ગાળિયો કસવાનું શરૂ કર્યું. આ ગાળિયાની પકડમાં માત્ર કોંગ્રેસી જ નહીં, પરંતુ ભાજપના લોકો પણ આવ્યા.

મધ્ય પ્રદેશમાં પક્ષ અન વિપક્ષ વચ્ચે અદભૂત જુગલબંધી ચાલી રહી હતી, પરંતુ ઉમા ભારતીના મુખ્યમંત્રી બન્યા બાદ ખેલ બગડવા લાગ્યો.

ઉમાએ મુખ્યમંત્રી બનતા પહેલા મધ્ય પ્રદેશની રાજનીતિમાં કમાલનું મેનેજમેન્ટ હતું. શર્મા કહે છે કે ઉમાના આવતા પહેલા બંને મુખ્ય પક્ષો અર્થાત કોંગ્રેસ અને ભાજપે એક એવી સિસ્ટમ વિકસિત કરી હતી કે જેના આધારે બંને મળીને રાજ્યને લૂંટતા હતા. વિપક્ષ જેવી કોઈ વસ્તુ ન હતી. વિપક્ષ સત્તાપક્ષને છેડતો ન હતો અને ન તો તેમના કાળા કરતૂતો સામે એટલું બોલતો હતો કે કોઈ સાંભળી લે. તેના બદલામાં સત્તાપક્ષ વિપક્ષને એ સુવિધાઓ આપતો હતો કે જે તેને ખુદને હાસિલ હતી. આ અદભૂત સમાજવાદમાં બધાં મજાથી ખાઈ-કમાઈ રહ્યાં હતા. કોઈને કોઈનાથી ભય ન હતો. પક્ષ અને વિપક્ષ વચ્ચે આ પ્રકારની આપરાધિક સંમતિની પરંપરા 90ના દશકમાં અર્જુન સિંહના કાર્યકાળમાં શરૂ થઈ હતી. તેમના સુંદરલાલ પટવા સાથે હંમેશા સારા સંબંધ રહ્યાં હતા. જ્યારે પટવા મુખ્યમંત્રી બન્યા તે દરમિયાન શ્યામા ચરણ શુક્લ વિરોધ પક્ષના નેતા હતા. પરંતુ વિધાનસભામાં કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો અર્જુન સિંહ કેમ્પમાંથી હતા. પટવાની સરકાર બાબરી મસ્જિદના ધ્વંસ બાદ ભલે બરખાસ્ત થઈ ગઈ, પરંતુ જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યાં અર્જુન સિંહે તેમને ગૃહમાં કોઈપણ અસુવિધા થવા દીધી નહીં. દિગ્વિજય સિંહના બીજા કાર્યકાળમાં બાબૂલાલ ગૌર વિરોધ પક્ષના નેતા હતા. ગૌરના દિગ્ગી સાથે સારા સંબંધ હતા, અર્જુન સિંહ, કમલનાથ સહીત કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે પણ તેમને સારું બનતું હતું. બાદમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા તો તેમના આ વ્યવહારને કારણે ભાજપના નેતાઓ કહેવા લાગ્યા હતા કે તેઓ ભાજપની સરકારના કોંગ્રેસી મુખ્યમંત્રી છે.

પક્ષ અને વિપક્ષ વચ્ચેની આ અદભૂત જુગલબંધી ઠીક-ઠાક ચાલી રહી હતી કે ઉમા ભારતી વચ્ચે આવી ગયા. તેમણે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી. સૌથી પહેલા તેમણે સહકારિતાના ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યુ, જે લાંબા સમયથી કોંગ્રેસીઓના કબ્જામાં હતા. ઉમાના કાર્યકાળમાં સહકારિતા મંત્રી હતા ગોપાલ ભાર્ગવ. ભાર્ગવે તપાસમાં ઝડપ દેખાડી અને ઝડપથી અર્જુન સિંહના એક નજીકના નેતાને જેલમાં જવાનો વખત આવી ગયો. ભાર્ગવ પર કેટલાંક નેતાઓએ મામલો કોલ્ડ બોક્સમાં નાખવા માટે દબાણ બનાવવાનું શરૂ કરી દીધું, પરંતુ ઉમા પાસેથી આ મામલે ગ્રીન સિગ્નલ મેળવી ચુકેલા ભાર્ગવ તેના માટે તૈયાર ન હતા. ત્યારે 1994ના હુબલી હુલ્લડ મામલામાં એક ધરપકડ વોરંટ ઉમા વિરુદ્ધ જારી થાય છે. કેન્દ્રથી લઈને રાજ્ય સુધી ઉમાથી ખાર ખાનારા નેતાઓ માટે ઉમાથી નિપટવાનો આ એક મોટો મોકો હતો. દિલ્હીથી લઈને ભોપાલ સુધી ઉમાની રાજકીય હત્યાની સાજિશ રચાવા લાગી. ઉમાને સમજાવવામાં આવ્યું કે તેઓ કેટલાંક સમય માટે પોતાનું પદ છોડી દે અને જેવા તેઓ મામલામાંથી બરી થશે, તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે. ક્યારેક કેન્દ્રમાં ખેલ રાજ્ય મંત્રી રહેલા ઉમા ભારતી પોતાની જ પાર્ટીના નેતાઓનો ખેલ સમજી શક્યા નહીં. તેમણે રાજીનામું આપી દીધું.

ઓગસ્ટ, 2004નો તે દિવસ ઉમાના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ દિવસે તેઓને અનિશ્ચિતકાળ માટે સત્તામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. મામલામાંથી મુક્ત થઈને જ્યારે તેમણે મુખ્યમંત્રી પદની માગણી કરી તો તેમને નિરાશા હાથ લાગી. તેમના વિરોધીઓએ પોતાની ચાલ ચાલી નાખી હતી. તેમણે પહેલા બાબૂલાલ ગૌરને મુખ્યમંત્રી બનાવ્યા પછી શિવરાજને સ્થાપિત કરી દીધા. ભાવુક અને લાગણીશીલ ઉમા માટે આ બધું સહન કરી શકવું અસંભવ થઈ ગયું. પીડા જ્યારે હદથી વધી ગઈ તો તેમણે વ્યવહારને હિંસક અને અશોભનીય બનાવી દીધો. ઉમાએ એક-એક કરીને કેન્દ્ર અને રાજ્યના તમામ મોટા નેતાઓને ઘઘલાવાનું શરૂ કરી દીધું. ગૌર જ્યારે મુખ્યમંત્રી હતા તો તેમણે એક જાહેરસભામાં ગૌર પર દુરાચારી અને વ્યભિચારી હોવાનો આરોપ લગાવી દીધો હતો.

ઉમાને એ ખબર હતી કે આ ષડયંત્રની રચના દિલ્હીમાં થઈ હતી. તેમને માટે પીડાની સૌથી વધારે વાત એ હતી કે આખરે અટલ અને અડવાણી તેમની વિરુદ્ધ થયેલા ષડયંત્રમાં કેવી રીતે ભાગીદાર બની ગયા. આ અસહ્ય પીડા તે દિવસે ખુલીને તેમની જીભ પર આવી ગઈ જ્યારે અડવાણી ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં હતા. આ બેઠકમાં તેઓ અડવાણી સાથે ઝગડી પડયા અને નારાજ થઈને મીટિંગની બહાર નીકળી ગયા. જતા-જતા કહી ગયા કે અડવાણીજી મારા આ વ્યવહાર માટે તમે મારી સામે કાર્યવાહી કરો. સમગ્ર મીડિયા સામે થયેલી આ ઘટના બાદ ઉમા પાર્ટીમાંથી સસ્પેન્ડ થઈ ગયા. મે-2005માં સંઘના દબાણમાં ઉમાનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું. પરંતુ ફરી એકવાર ભોપાલમાં થયેલા વિધાયક દળની મીટિંગમાં શિવરાજને મુખ્યમંત્રી બનાવવાના પ્રસ્તાવનો વિરોધ કરીને તેઓ મીટિંગની બહાર ચાલ્યા ગયા. આ વખતે તેમના વિરોધીઓ તેમને પાર્ટીમાંથી કાઢવામાં સફળ રહ્યાં.
ત્યાર બાદ ઉમા ભોપાલથી અયોધ્યા સુધી રામરોટી યાત્રા પર નીકળી પડયા. શર્મા તે દિવસોને યાદ કરતાં કહે છે કે તેઓ જ્યાં જતા ત્યાં દરેક જગ્યાએ લોકોની ભીડ ઉમડી પડતી હતી. દરેક જગ્યાએ બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ તેમને પગે લાગતા અને તેમને જોવા માટે દોડી આવતા હતા.

જાણકારો પ્રમાણે, લોકોના આ જનસેલાબે ઉમાની અંદર એવો ભાવ ભરી દીધો કે ભાજપે તેમને તેમની શરતો પર પાછા લેવા પડશે. પરંતુ જ્યારે લાંબા ઈન્તજાર બાદ પણ આવું થયું નહીં, તો તેમણે ભારતીય જનશક્તિ પાર્ટી બનાવી લીધી. ઉમાને સંપૂર્ણ વિશ્વાસ હતો કે વિશાળ ભીડ રામરોટી યાત્રામાં તેમની એક ઝલક મેળવવાલ માટે બેતાબ છે તે તેમને જરૂરથી વોટ આપશે. ઉમાને એ વિશ્વાસ હતો કે યા તો તેઓ ભાજપને લોઢાના ચણા ખવડાવશે જેના કારણે તેમને પાર્ટીમાં ફરીથી સ્વીકારવા પડે અથવા તેઓ રાજ્યમાં ભાજપના વિકલ્પ બનીને ઉભરશે. પરંતુ અહીં જ તેઓ ચૂંટણીના રાજકારણને સમજવામાં ભૂલ કરી ગયા. દર્શન કરવા આવેલી જનતાએ સાધ્વી પાસેથી આશિર્વાદ તો લીધો, પરંતુ બદલામાં પોતાના વોટની શ્રદ્ધા તેમને અર્પિત કરી નહીં. ઉમા ચૂંટણીઓમાં હારતા રહ્યાં. એક વખત એવો આવ્યો કે આ કરિશ્માઈ નેતા પોતાની બેઠક સુદ્ધા જીતી શક્યા નહીં. ભાજપને છોડીને જે નેતાઓ તેમની સાથે ગયા હતા, તેઓ પણ એક પછી એક ભાજપમાં પાછા જતાં રહ્યાં. ત્યાર બાદ ભાજપમાં પાછા ફરવાનો એકમાત્ર વિકલ્પ તેમની પાસે બાકી રહ્યો હતો. 

વિશ્લેષકો એ વાત પર એકમત છે કે ઉમાએ પોતાની ક્ષમતાને વધુ આંકી લીધી હતી. ઉમા ક્યારેક કહેતા હતા કે તેઓ ભાજપ પાસે નહીં જાય, પરંતુ ભાજપ તેમની પાસે આવશે. હવે આ તો તેઓ જ બતાવી શકશે કે આ વખતે કોણ કોની પાસે ગયું હતું. એ જગજાહેર છે કે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી કોઈપણ મોટા નેતા ઉમાની વાપસીના પક્ષમાં નથી, પરંતુ સંઘના દબાણ અને ગડકરીના ઉમા પ્રત્યેના શ્રદ્ધાભાવને કારણે તેઓ પાછા આવ્યા છે. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ગિરિજાશંકર કહે છે કે ઉમાના મામલામાં નિર્ણય હંમેશા યા તો સંઘે કર્યો છે અથવા તો હાઈકમાન્ડે. ઉમાના આખા રાજકીય કેરિયરમાં સ્ટેટ લીડરશીપનો કોઈ રોલ રહ્યો નથી. 2003માં પણ ઉમાને મધ્ય પ્રદેશ મોકલતા પહેલા હાઈકમાન્ડે સ્થાનિક નેતાઓનો મત જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો. આ વખતે પણ લગભગ તે જ થયું છે. આ વખતે ખાસ વાત એ છે કે આ નિર્ણય ભાજપે નહીં, પરંતુ સંઘે ભાજપના રાજ્યથી લઈને કેન્દ્ર સુધીના તમામ નેતાઓને સંભળાવ્યો અને સ્વીકારવા મજબૂર કર્યા છે.

No comments:

Post a Comment