સ્વપ્ન દાસગુપ્તા, સૌજન્ય- દૈનિક જાગરણ
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અકબર રોડ ખાતેના કાર્યાલયમાં મોટાભાગે આવનારા આગંતુકો માને છે કે અહીં માત્ર એક જ વ્યક્તિ લાયક છે જેની સાથે વાત કરી શકાય છે. તે છે પાર્ટીના બડબોલા મહામંત્રી દિગ્વિજય સિંહ. ગત બે વર્ષોમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. સર્વપ્રથમ, તેમણે સાથી મહામંત્રી અને નક્કી ઉત્તરાધિકારી રાહુલ ગાંધીના કાન બનવાની પ્રતિષ્ઠા હાસિલ કરી છે. દિગ્વિજય સિંહ જે પણ કહે છે, તેને 41 વર્ષીય રાહુલ ગાંધીનું સમર્થન હાસિલ હોય છે. બીજું, દિગ્વિજય સિંહે કોંગ્રેસના એકમાત્ર અસલ મુસ્લિમ નેતાની છબી બનાવી લીધી છે. આ એવું સમ્માન છે જેનાથી ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલે કટાક્ષ સાથે જવાહરલાલ નેહરુને નવાજ્યા હતા.
જ્યારથી અન્ના હજારેના અનશન અને બાબા રામદેવ સાથે થયેલા છળ-કપટથી સિવિલ સોસાયટીએ ખુદને રાજકીય પરિદ્રશ્ય પર ઉભારી છે, ત્યારથી દિગ્વિજય સિંહે કોંગ્રેસની મનમોહનના નેતૃત્વવાળી યુપીએ સરકારથી અલગ ઉભા રહેવાની તક છોડી નથી. જ્યારે લોકપાલબિલનો મુસદ્દો તૈયાર કરવા માટે કેબિનેટ મંત્રીઓ અને અન્ના હજારેની ટીમની સંયુક્ત સમિતિ રચવામાં આવી હતી, ત્યારે દિગ્વિજય સિંહે સિવિલ સોસાયટી બ્રિગેડની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ચાર મંત્રી અને નોકરશાહ એરપોર્ટ પર બાબા રામદેવ સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા અને બાબાને આશ્વસ્ત કર્યા કે સરકાર તેમની માગણીઓ માનવા માટે રાજી છે, દિગ્વિજય સિંહે યોગગુરુને મહાઠગ ગણાવીને મંત્રીઓથી વિપરીત વલણ અપનાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય શરારત છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનો 41મો જન્મ દિવસ ઉજવ્યો તો દિગ્વિજય સિંહે ઘોષણા કરી કે આ યોગ્ય સમય છે જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવે.
કોઈ ફિલ્મમાં જેમ્સ બોન્ડનો ડાયલોગ હતો- કોઈ ઘટના પહેલીવાર અકસ્માત, બીજી વાર સંયોગ અને ત્રીજી વાર ષડયંત્ર છે. યુપીએ સરકાર અને વડાપ્રધાન મનમોહન સિંહને પરોક્ષપણે નિશાન બનાવવાની દિગ્વિજય સિંહના નિવેદનોની નિરંતરતાને કોઈપણ હિસાબે અકસ્માતની સંજ્ઞા આપી શકાય નહીં. જો દિગ્વિજય સિંહ પાર્ટીથી ઉપર થઈને વાત કરી રહ્યાં હોત તો કોંગ્રેસના માલિક તેમને કડક શબ્દોમાં સમજાવી દેત કે ફૂટ સોલ્જરોનું કામ જોવાનું છે, સાંભળવાનું નહીં. જો કે આ પ્રકારના કોઈ સંદેશ તેમને આપવાના સંકેત નથી, તેવામાં એવું માની લેવાનો મજબૂત આધાર છે કે દિગ્વિજય સિંહની નિવેદનબાજી પર સંમતિની મહોર લાગેલી છે, પરંતુ ઈન્કારની શરતની સાથે. જો કોઈ વાત ભયજનક રીતે ખોટી થઈ જાય છે, જેમ કે રાહુલ ગાંધીના જન્મ દિવસે અતિ ઉત્સાહભર્યો સંદેશ તો તેને તેમનું વ્યક્તિગત મંતવ્ય ગણાવીને છેડો છોડાવાય છે.
દિવસેને દિવસે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિગ્વિજય સિંહ કોંગ્રેસના પ્રથમ પરિવાર માટે લાકડાના ઘોડા નથી. શરૂઆતમાં વિભિન્ન ગાંધીવાદીઓ અને સિવિલ સોસાયટીના સમૂહો તથા કોંગ્રેસની વચ્ચે અંતર બનાવવામાં કંઈક સમજદારી નજરે પડતી હતી, પરંતુ જે યોજનાબદ્ધ રીતે દિગ્વિજય સિંહે અન્નાની ટીમ પર હુમલો કર્યો અને બાબા રામદેવની બેદર્દીની મજાક ઉડાડી તેનાથી સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે સંબંધ વિચ્છેદ અપરિહાર્ય થઈ ગયો.
એ મહત્વપૂર્ણ છે કે દિગ્વિજય સિંહ સિવિલ સોસાયટીને નિશાન બનાવવાથી જ થોભ્યા નથી. પ્રણવ મુખર્જીના સંદર્ભમાં આખી રાજકીય શાખ દાવ પર લગાવવાના નિવેદનથી સીધો હુમલો તેમની ગુસ્તાખીથી ઘણો વધારે અર્થ રાખતો હતો. સરકારની ભીરુતા પર દિગ્વિજયનો હુમલો સમજી-વિચારીને કરાયેલો સંકેત હતો. સ્પષ્ટ છે, તેની પાછળ વરિષ્ઠ નેતૃત્વનો હાથ હતો.
કોંગ્રેસના આંતરીક અસંતોષથી વડાપ્રધાનની અધિસત્તાને ક્ષતિ પહોંચી છે. છ માસ પહેલા કોંગ્રેસમાં મંત્રીમંડળનો ફેરફાર ચર્ચાનો વિષય હતો. આજે આ ચર્ચાનું સ્થાન એ સવાલે લઈ લીધું છે કે શું યુપીએ સરકારમાં વચાગાળાનું નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે? કોંગ્રેસે આખું અઠવાડિયું એ જતાવવાની કોશિશ કરી કે આ માત્ર અટકળ છે, પરંતુ આ મુદ્દો કેટલો ગરમ છે, તે સ્પષ્ટ છે. એક તરફ દિગ્વિજય સિંહની રાહુલને વડાપ્રધાન બનાવવાની વકીલાત અને બીજી તરફ રાજકીય મહત્વકાંક્ષી પર્યાવરણ જયરામ રમેશે ઉદ્યોગો વિરુદ્ધ હરિત શક્તિનો ઉપયોગ કરવાથી શું રાજકીય પર્યવેક્ષકોને એ નિષ્કર્ષ પર પહોંચવા બદલ દોષિત ઠેરવી શકાય કે વડાપ્રધાન લાચાર અને અશક્ત છે?
કમજોર, લાચાર અને લકવાગ્રસ્ત સરકારની છબીને કારણે શાસન પર નકારાત્મક અસર પડે છે. હંમેશા સુરક્ષિત ચાલનારી નોકરશાહીએ નિર્ણયો લેવાના લગભગ બંધ કરી દીધા છે. ન્યાયતંત્ર સુધારની મુદ્રામાં છે અને કેગ જેવી સંસ્થા સરકારી ધનની તપાસથી આગળ વધીને નીતિગત સમીક્ષા કરી રહી છે. આ બધાંનું પરિણામ એ થયું છે કે રાજકીય સંકટની સાથેસાથે ભારત આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે. નવ ટકા મોંઘવારીએ આમ આદમીની કમર તોડી નાખી છે. ઊંચા વ્યાજદરો અને ઘટતી માંગથી ઉદ્યોગ જગત ત્રસ્ત છે. વધતી રાજકોષીય ખાધ અને સુધારા પર અંકુશથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. કોંગ્રેસે સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે દિગ્વિજય સિંહ દ્વારા પાર્ટી અને સરકાર વચ્ચે ખેંચવામાં આવેલી વિભાજન રેખા કાલ્પનિક છે. જો કે કોંગ્રેસના સંકટથી રાજકીય લાભ ઉઠાવવાની ભાજપની અક્ષમતાને કારણે પાર્ટી આત્મસંતુષ્ટિના નશામાં નજરે પડી રહી છે. કોઈપણ દેશમાં જ્યારે લોકતંત્રના મૂળિયા ભારત જેટલા ઉંડા નથી, આ સ્થિતિઓમાં સૈન્ય તખ્તાપલટ થઈ શકતો હતો, પરંતુ દિલ્હીમાં મહેલની અંદરથી સત્તાપલટની સ્થિતિઓ ઉભરી રહી છે. જોખમોથી ખેલવાનું જોખમ ભલે સફળ ન થાય, આ કોંગ્રેસને અસ્ત-વ્યસ્ત પરિસ્થિતિમાં જરૂરથી પહોંચાડી શકે છે.
(સ્વપ્ન દાસગુપ્તા- લેખક વરિષ્ઠ કોલમિસ્ટ છે)
No comments:
Post a Comment