Showing posts with label અનશન. Show all posts
Showing posts with label અનશન. Show all posts

Tuesday, 6 September 2011

સરકાર પર અંકુશનો સવાલ



ડૉ. ભરત ઝુનઝુનવાલા

અન્ના હજારેના આંદોલનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદ અને મતદારો વચ્ચે ઘેરી તિરાડ પડી ચુકી છે. સંસદીય લોકશાહીનો મૌલિક અધિકાર છે કે સાંસદ મતદાતાઓના હિતમાં કાર્ય કરશે, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં સાંસદોનો પ્રયત્ન મતદાતાઓને ફોસલાવી તેમના મત હાસિલ કરવા માત્રનો રહી ગયો છે. 17મી સદીમાં થયેલા વિચારક જીન જૈક્વેસ રોસેના વિચારોના આધારે જ આધુનિક લોકશાહીને સૃજિત કરવામાં આવી છે. તેમણે લખ્યું હતું કે, આ સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે કે ચૂંટાયેલા લોકો જનતા પર શાસન કરે જ્યાં સુધી એ સુનિશ્ચિત કરવામાં આવે કે તેઓ જનહિતમાં શાસન કરશે, પોતાના વ્યક્તિગત હિત માટે નહીં. આજે આપણા સાંસદ વ્યક્તિગત હિતમાં શાસન કરી રહ્યાં છે, માટે આ વ્યવસ્થા વિકૃત અને અમાન્ય થઈ ગઈ છે. સાંસદો દ્વારા બંધારણની દુહાઈ આપીને પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવી વ્યર્થ છે. આ મહાન સંસ્કૃતિના પાછલા પાંચ હજાર વર્ષોમાં ન જાણે કેટલાં બંધારણ આવ્યા અને ગયા. આ બંધારણ પણ ચાલ્યુ જશે. બંધારણની દુહાઈ આપવી એવી રીતે છે જેમ વસિયતનામાના આધારે આજે કોઈ વ્યક્તિ પોતાની પૈતૃક જમીનદારીનો હક માંગે. આ પ્રકારે આપણા સાંસદ એક દસ્તાવેજના આધારે પોતાની સર્વોચ્ચતા સિદ્ધ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. 

બંધારણીય લોકશાહીના સ્વાર્થી થઈ જવાનું મૂળ કારણ પાર્ટીતંત્ર અને વ્હિપનો અધિકાર છે. દલબદલ કાયદા હેઠળ વ્યવસ્થા કરવામાં આવી છે કે પાર્ટીના અધિકારી સાંસદોને કોઈ પ્રસ્તાવ પર વિશેષ પક્ષમાં વોટિંગ કરવા માટે બાધ્ય કરી શકે છે. જેમ કોંગ્રેસ અને ભાજપ પોતાના સાંસદોને વ્હિપ જારી કરીને આદેશ આપી શકતા હતા કે જનલોકપાલ બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવામાં આવે. મતદારો જનલોકપાલ બિલના પક્ષમાં હોય તો પણ સાંસદને બિલની વિરુદ્ધ જ વોટિંગ કરવું પડશે, નહીંતર તેને પાર્ટી અથવા સંસદમાંથી બરતરફ કરવામાં આવશે. માટે સાંસદ દ્વારા નાખવામાં આવેલો મત પાર્ટીના અધિકારીઓના આદેશ પર નિર્ભર હોય છે, સાંસદના વિવેકને આધારે હોતો નથી. જનતાની ભૂમિકા માત્ર એટલી છે કે તે નક્કી કરી શકે છે કે તેના હિતોનું હનન કોઈ રામભરોસે કરશે કે મોહમ્મદ ઈશફાક? સાંસદ વોટ ક્યાં પક્ષમાં નાખશે, તેને નિર્ધારીત કરવાનો જનતાનો અધિકાર છીનવી લેવાયો છે. 

વ્હિપ સિવાય પણ મતદારો અપ્રાસંગિક છે. સાંસદો અને ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પાર્ટીના અધિકારીઓને અનુરૂપ વોટ આપવો પડશે. માટે જનલોકપાલ બિલ પારિત થઈ જાય તો પણ સુશાસનની મૂળ સમસ્યા જેમની તેમ જ રહેવાની છે. જનલોકપાલની નિમણૂક બાદ પણ સાંસદ જનવિરોધી નીતિઓ બનાવતા રહેશે. મોટી કંપનીઓના લાભ માટે ગરીબ ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક અધિગ્રહીત થતી રહેશે. ચિકન અને પિત્ઝાનો કારોબાર કરનારી બહુરાષ્ટ્રીય કંપનીઓને લાભ પહોંચાડવા માટે નાગરીકોના આરોગ્યને દાવ પર લગાવવામાં આવશે. વિદેશી કંપનીઓ દ્વારા બનાવાયેલી નવી દવાઓની તપાસ માટે ભારતીય નાગરીકોની બલિ દેવાતી રહેશે. 

અમીરોના એરકન્ડિશનર ચલાવવા માટે દેશની નદીઓની હત્યા થતી રહેશે. અમેરિકી પરમાણુ ઊર્જા કંપનીઓને લાભ પહોંચાડવા માટે ભારતની સ્વતંત્રતાને સીમિત કરી દેવામાં આવશે, વગેરે. જનલોકપાલ કાયદાથી આ જનવિરોધી કાર્યોને સંપાદીત કરવામાં મંત્રીઓ દ્વારા લેવામાં આવનારી લાંચ પર કંઈક અંકુશ જરૂરથી લાગી શકે છે, પરંતુ જનવિરોધી નીતિઓને બનાવવામાં સહેજ પણ રોક લાગશે નહીં. જો કોઈ વિશેષ નીતિ પર આંદોલન ઉભું થઈ જાય અને સંસદ ઘૂંટણિયા ટેકવી દે તો પણ વાત બનતી હોય તેમ નથી, કારણ કે જનઆંદોલન દરરોજ ઉભું થતું નથી, જેમ સરકાર બળજબરીથી ખેડૂતોની જમીનનું અધિગ્રહણ કરવા માટે કાયદો બનાવવા માટે તૈયાર છે. જન આંદોલનથી આ કાયદો રોકાય ગયો તો પણ ક્લિનિકલ ટ્રાયલ, જંક ફૂડ, નદીઓની હત્યા, દેશની સ્વતંત્રતાને ગિરવી રાખવાનું ચાલુ રહેશે. 

જન આંદોલનને થકવાડીને ઢીલું કરવામાં સરકાર માહિર છે. મારું નિશ્ચિત માનવું છે કે જનલોકપાલ બિલના પક્ષમાં પ્રસ્તાવ પારિત કરવા છતાં સંસદ તેને પારિત કરશે નહીં. જનતા થાકી જશે અને આ આંદોલન સમાપ્ત થઈ જશે. કેટલાંક સમય પહેલા આ પ્રકારના અનશન પર્યાવરણવિદ્દ ડૉ. ગુરુદાસ અગ્રવાલે કર્યા હતા. આપવામાં આવેલા આશ્વાસનથી સરકાર બે વખત પાછી હટી ગઈ. ત્રીજી વખત 37 દિવસના ઉપવાસ બાદ સરકારે ગંગા પર ઉત્તરકાશીની ઉપર લોહારીનાગપાલા બંધને રોકવાની માગણી માની, પરંતુ આજે ફરીથી સરકારે પોતાના વાયદાથી પીછેહઠ કરી છે અને એક મોટી પરિયોજનાના સ્થાન પર મોટી સંખ્યામાં નાની પરિયોજનાઓના માધ્યમથી ગંગાની હત્યા કરવા માટે તૈયાર છે. ઉપવાસ અને જનઆંદોલનને લાંબા સમય સુધી ચાલુ રાખવા કઠિન હોય છે. માટે પાર્ટીઓ અને સાંસદોનો વ્યક્તિગત સ્વાર્થ હાવી થઈ જાય છે અને જનતા થાકીને મૂક સંમતિ આપી જ દે છે. 

આ સમસ્યાના સમાધાન માટે લાંબાગાળાની વ્યવસ્થા બનાવવી પડશે. જેથી સંસદ પર સતત અંકુશ રાખી શકાય. આપણે સમજી લેવું જોઈએ કે સરકારનું મૂળ ચરિત્ર જ જનવિરોધી હોય છે. આ જનવિરોધી સરકાર દ્વારા જનલોકપાલ બિલ પારિત થઈ જાય, તો તે ચોર દ્વારા મંદિરમાં પૂજા કરવા જેવું હશે. તેમ છતાં પણ અન્ના હજારે આંદોલનને અંકુશની એક સફળ કડીના રૂપમાં જોવું જોઈએ. 

આ લાંબાગાળાની વ્યવસ્થા બનાવવામાં આપણે આપણી પરંપરાઓમાંથી બોધપાઠ લઈ શકીએ છીએ. પ્રોફેસર ઈલા ઘોષ જણાવે છે કે કાલિદાસના રઘુવંશમાં અધ્યાપક, પુરોહિત, મંત્રી અને જનતાને ધૂર્ત શાસક પર નિયંત્રણ કરવાનું માધ્યમ બતાવાયા છે. આ નિયંત્રણ વ્યવસ્થાના ઘણાં બિંદુ છે. એક, તેમના દ્વારા શાસક પર આરોપ લગાવી શકાય છે, જેવી રીતે રાજીવ ગાંધી પર બોફોર્સ મામલામાં લગાવાયો હતો. બીજું, તેના દ્વારા શાસકની ટીકા કરી શકાય છે. શાસકના કાર્ય પ્રત્યે લોકો અસંમતિ વ્યક્ત કરી શકે છે. ત્રણ, તેમના દ્વારા ધરણાં, અનશન, ઘેરાવ વગેરે થઈ શકે છે. ચાર, જનતા દ્વારા શાસકને શ્રાપ આપી શકાય છે. શ્રાપથી શાસકની આંતરીક શક્તિનો હ્રાસ થાય છે અને તે ખોટા કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. પાંચ, સંતોની અગ્નિને છોડી શકાય છે, જેમ રાજા સાગરના પુત્ર માર્યા ગયા હતા. છ, જનતા શાસક પર અવિશ્વાસ કરીને તેના કાર્યોમાં અસહયોગ કરી શકે છે, જેવી રીતે સરકાર કહે છે કે દિકરીને દહેજ ન આપો, પરંતુ જનતાએ દિકરીના અધિકારને છીનવી લેવાનો ઈન્કાર કર્યો છે. આ તમામ ઉપાયોથી સરકારના મૂળ જનવિરોધી ચરિત્ર પર અંકુશ લગાવી શકાય છે. એક આંદોલનથી સરકારનું ચરિત્ર કંઈ બદલાશે નહીં. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Saturday, 20 August 2011

બ્રાન્ડોનો આમનો-સામનો



સુધીશ પચૌરી

મીડિયા દેખાડી રહ્યું છે. અનશન કરતાં અન્ના મંચ પર સુતા છે. પછી તેઓ બેઠેલા નજરે પડે છે. 

રવિવારની બપોર છે. બ્રાન્ડ-સરકાર વિરુદ્ધ બ્રાન્ડ-અન્નાનો મુકાબલો છે. સરકારી લોકપાલ અને સિવિલ સોસાયટીનું જનલોકપાલ મહીનાઓથી આમને-સામને છે. તેના નિર્માતાઓમાં મુકાબલો છે. તમામ મજબૂત લોકપાલ ચાહે છે. મજબૂતીનું બજાર છે. એવા એન્કરોની કોઈ અછત દેખાતી નથી જે અન્નાને આવતા જોઈને ખિલી ઉઠે છે. તે મીડિયાના રામલીલા મેદાનના કવરેજને એક મનચાહેલા અવસર તરીકે દેખાડે છે અને અન્ના તથા જનલોકપાલના પક્ષમાં નજરે પડે છે. તેઓ સરકારને વિપક્ષમાં દેખાડે છે અને સિવિલ સોસાયટીના પક્ષમાં નમેલા નજરે પડે છે. સલામન ખુર્શિદે મીડિયાની જવાબદેહી પર સવાલ ઉઠાવ્યા છે. 

આપણું મીડિયા વિલોમોથી કામ કરે છે. તેમાં કેટલીક વિલોમ બાઈટો સતત બની રહી છે- જેમ કે સંસદ વિરુદ્ધ સડક, નેતા વિરુદ્ધ સિવિલ સોસાયટી, સંસદીયતા વિરુદ્ધ જનતા, સ્થાયી કમિટી વિરુદ્ધ સિવિલ કમિટી, સરકારનું બહેરાપણું વિરુદ્ધ મીડિયા, સીનાનો શોર, અવાક સરકાર વિરુદ્ધ ગોળો ફેંકતા લોકો! આ વિલોમ પણ ઘુળતા-મળતા છે. ઠહેરાવમાં નથી. પકડમાં આવતા નથી. દર્શક પણ તેમાં પોતપોતાના અર્થ શોધી શકે છે. વિલોમ રિમિક્સ થઈ જાય છે. કેટલાંક ભિન્નતા છતાં તે પ્રસ્તુતિ છે જે રામદેવ-લીલા પ્રસારણમાં જોવા મળી હતી. 

ભ્રષ્ટાચારનું મૂળ, મૂડીવાદનો અસલ ચહેરો જોવો મીડિયાના વશમાં નથી. ભ્રષ્ટાચારના મામલામાં તેમના મનમાં ચોર છે. તેઓ પણ તુરંત ફાયદો ચાહનારી કોમનસેન્સથી કામ કરે છે. તે કોઈ ભ્રષ્ટાચારીનને ઉત્તેજક બનાવીને દેખાડે છે. તે તેને દેખાડતા જ તુરંત મહાભ્રષ્ટાચારી અથવા સદીનો સૌથી મોટો ભ્રષ્ટાચારી બનાવીને દેખાડવા માટે આદી છે. તે એક જ કવરેજમાં આરોપ લગાવી, કલમ લગાડી, પોતાનો તાત્કાલિક ચુકાદો આપીને સજા પણ સંભળાવી દે છે. તે સામાજીક ન્યાયનું કિફિક્સ છે. જેનલોકપાલ પણ એક કિફિક્સની જેમ જ લેવા દેવામાં આવી રહ્યું છે. કિફિક્સનું બજાર ઉત્તેજક હોય છે. પરંતુ કિ- હોય છે-સેરિડોન અથવા એસ્પોની ગોળીની જેમ તાત્કાલિક દર્દ નિવારક. હજી ભ્રષ્ટ થયું, હજી ઠીક કરી દીધું. અલગ-અલગ મીડિયામાં ભ્રષ્ટાચારી પણ અલગ-અલગ હોય છે. તે જ ખાતામાં હેરાફેરી કરનારા, કાયદો તોડનારા, લાંચની લેતી-દેતીવાળા અથવા તેને જોવાવાળા ભ્રષ્ટાચારના પરિચિત ચહેરા છે. ભ્રષ્ટ માનસિકતા કેમેરાની પકડની બહાર છે. બનાવટી મેકઅપ અને સૌંદર્યીકરણના બજારમાં ચહેરાની પાછળ ચહેરાની આગળ ચહેરો છે. મ્હોરા છે અને ડાઘ પણ સારા છે. 

ભ્રષ્ટાચારનો કિફિક્સ શોધતું મીડિયા અને સિવિલ સોસાયટી જોર્જ આરવેલની ખ્યાતનામ નવલકથા ઉન્નીસો ચૌરાસીના બિગ બ્રધરની જરૂરત છે જે બધાંને જોશે, સજા આપશે પરંતુ જેને કોઈ જોઈ શકશે નહીં તેને સજા આપી શકાશે નહીં. જે કોઈના પ્રત્યે જવાબદાર નહીં હોય. જનલોકપાલ એવી જ કિફિક્સ બ્રાન્ડનો ભરમ આપે છે. 

ઉદારીકરણના ગત વીસ વર્ષોમાં, ફ્રી ગ્લોબલ માર્કેટ, ઈલેક્ટ્રોનિક ક્રાંતિ અને ફેસબુકી બ્લેકબેરીના એકાંતિક સક્રિય મેસેજ, નવી સાઈબર કમ્યુનિટીઝની આઝાદી અને જનતંત્રનો લાભ ઉઠાવી જાડી અને ખાઉધરી બનેલી મેટ્રો શહેરનો અંગ્રેજી મિડલ ક્લાસ અરસાથી તહરીર ચોક માટે આકળવિકળ છે. અન્નાનું આંદોલન જનક્રાંતિ બનતું ચાલ્યુ છે. ક્રાંતિમાં સામેલ થઈને પોતાના પાપને પ્રક્ષાલિત કરી પવિત્ર થવાય રહ્યું છે. એડ ગુરુ પ્રહલાદ કક્કડ ટીવીમાં કહે છે કે અન્ના પવિત્રતાના પ્રતિનિધિ છે. કબીર બેદી કહે છે કે જનલોકપાલ હોવો જરૂરી છે. શાહરૂખ ખાન પણ ખુદને અન્નાની સાથે ગણાવીને કહે છે કે સારું છે. ગજબની પોપ્યુલર બ્રાંડિગ છે. સાધનની પવિત્રતાથી સાધ્યની પવિત્રતાનો ગાંધીવાદી પરમ વિચાર આ તમાશામાં ખંડિત છે. આ ગાંધીવાદમાં સાધ્ય પ્રમુખ છે, સાધન ગમે તે હોય. પ્રહલાદને પવિત્રતાની બ્રાન્ડ દેખાઈ રહી છે. પાપ ધોવા માટે પવિત્રતાનું નિરમા જોઈએ.

ઉદારીકરણના વાતાવરણમાં ફ્રી માર્કેટમાં નિરપરાધિત, પોતાની જ વધેલી લાલચથી ભરેલા, મંદીની ખબરોથી વારંવાર વિચલિત નવો ઉપભોક્તા મિડલ ક્લાસ કઈ પવિત્રતાને શોધી રહ્યો છે? બ્રાન્ડમાં કઈ પવિત્રતા મળી શકે છે? આ મિડલ ક્લાસ પણ તો એક બ્રાન્ડ છે! આ પ્રકાંડ મલ્ટિ બ્રાન્ડિંગ છે. મીડિયા મસ્ત છે. મોટું દર્શક બજાર એકઠું થયું છે. આ સીનોની ઉન્મદ વિકટતા રોમાંચિત કરે છે. સાથે ડરાવે પણ છે. કેટલીક વાતો કહેવી પ્રતિબંધિત છે. કેટલાંક સવાલ પુછવાની મનાઈ છે. આ સરકારનું નહીં, સિવિલ સોસાયટી અને મીડિયાની સંયુક્ત કટોકટી છે. કેટલીક વાતો કહેતાની સાથે જ વીજળી પડે છે. તમે આ બાજુ નથી તો દુશ્મન છો. મીડિયાના તમામ દ્રશ્ય તરલિત યથાર્થ છે. હાઈપર છે. તમે તેને સ્થિર કરી શકો નહીં. 

ભ્રષ્ટાચાર જો ડાઘનું ચિન્હ છે, તો લોકપાલનો આઈડિયા નિરમા-ટિનોપોલ છે. ભ્રષ્ટાચાર સર્વાધિક હાઈપર તરલ ચિન્હ જે નિર્ગુણ બ્રાહ્મની જેમ દરેક જગ્યા, દરેક વાત અને દરેક વ્યવહારમાં છે. પરંતુ પકડથી પર છે. અવરોધથી પર છે. માયા સિદ્ધ લોકો ભ્રષ્ટાચારના નિર્ગુણ તત્વને પકડવાના મોહને પાળે છે. જનલોકપાલ હશે તો પાસઠ ટકા ભ્રષ્ટાચાર કપાશે. 35 ટકાનું શું થશે?  દ્રશ્યોનું મૂળ આકર્ષક જાદૂઈ તત્વ એ છે કે તમામ ભ્રષ્ટાચારની વિરુદ્ધ છે. જ્યારે તમામ વિરુદ્ધ છે તો તેને ખતમ થયેલો માની શકાય છે. દ્રશ્ય અંતર્વિરોધી છે. મીડિયાએ અત્યાર સુધી ભ્રષ્ટાચારને ખૂબ વિખંડિત કસરી શકાય નહીં કારણ કે તે સપાટી પર જીત્યા છે. તત્વ ચિંતનની જગ્યાએ તમાશા દર્શન જ તેમનો ધંધો છે. અન્ના એક વ્યક્તિ હતા. પછી એક ગાંધીના પ્રતીક બન્યા. પછી એક પવિત્ર તત્વ બન્યા. હવે તે એક પવિત્ર બ્રાન્ડ છે. બ્રાન્ડની પોઝિશનિંગ કરવામાં આવી ચુકી છે. પોઝિશનિંગ ગજબની છે. મીડિયાને અન્નાની એક્શન વગર મોલે મળ્યું છે. સિવિલ સોસાયટીને મીડિયા મફતમાં મળ્યું છે. બંને પૂરક છે. 

પ્રોડક્ટ ઓફ ધ ઈયરના વિજ્ઞાપન વિશેષજ્ઞ ચારુલતા રવિવકુમાર બ્રાન્ડિંગ અન્ના હજારે નામની ટિપ્પણીમાં આમ લખે છે- બ્રાન્ડ પ્રતીક હોય છે. સપના જગાડે છે. જો તે ડિલીવર કરતાં નથી તો તે ટકાઉ નથી. નિસંદેહ આ વખતે બ્રાન્ડ અન્ના સર્વાધિક નવોન્મેષી, સર્વાધિક મત હાસિલ કરનારા અને સર્વાધિક ચર્ચિત છે. અન્ના આ વર્ષના સૌથી મોટી બ્રાન્ડ છે. તેમ છતાં અન્નાજી, એ તો બતાવો કે તમારી એજન્સીનું નામ શું છે?

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

ભ્રષ્ટાચારથી મુક્તિનો માર્ગ


સુભાષ કશ્યપ

ભ્રષ્ટાચારને લઈ મધ્યમવર્ગ અને યુવાનોમાં ભારે આક્રોશ છે. તેનાથી આજે દેશનું એક મોટું જનમાનસ પ્રભાવિત અને પરેશાન છે. માટે ભ્રષ્ટાચારને લઈને લડાઈ રહેલી સિવિલ સોસાયટીની માગણી પ્રત્યે સરકારનું ટકરાવપૂર્ણ વલણ કોઈપણ દ્રષ્ટિએ યોગ્ય કહી શકાય નહીં, પરંતુ તે સરકારની હઠધર્મિતાનું પરિચાયક છે. આ સંસદીય લોક પ્રક્રિયાની દ્રષ્ટિથી પણ હટીને છે. દેશના પ્રત્યેક નાગરીકને બંધારણે આ અધિકાર આપ્યો છે કે તે કેવળ પોતાની માગણી જ ન કરી શકે, પરંતુ તેનાથી સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ સરકાર પાસે વિચારાર્થ પ્રસ્તુત કરી શકે છે. આ પ્રસ્તાવ અથવા બિલને માનવું અથવા ન માનવું સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તે ચાહે તો સંસદમાં મૂકે અથવા ન મૂકે? અન્ના હજારેની ટીમ દ્વારા બનાવાયેલું જનલોકપાલ બિલ પણ આ શ્રેણીમાં આવે છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અન્ના હજારેની ટીમ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે લાંબો વિચાર-વિમર્શ અને મેળ-મિલાપ થવા છતાં સંસદની સ્થાયી સમિતિ પાસે જે પ્રસ્તાવ મોકવામાં આવ્યો તે સશક્ત લોકપાલની સંભાવનાઓ કમજોર કરનારો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર ભ્રષ્ટાચાર સામે લડાઈ પ્રત્યે ઘણી પ્રતિબદ્ધ નથી અને તેની પાસે એ અપેક્ષા પણ કરી શકાય નહીં, કારણ કે વર્તમાન રાજકીય પક્ષ વ્યવસ્થા અને ચૂંટણી વ્યવસ્થા દોષપૂર્ણ હોવાથી ભ્રષ્ટ લોકોની સંખ્યા સંસદમાં વધારે છે અને ભ્રષ્ટ લોકો ક્યારેય ઈચ્છશે નહીં કે આવો કોઈ પ્રસ્તાવ પારિત થાય અથવા કાયદો બને જેનાથી તેમના હાથ આસાનીથી મરડી શકાય.

ભ્રષ્ટાચાર સામે લડાઈ માટે અન્નાની ટીમને અને દેશના બીજા વર્ગોને કેટલીક વધારે વ્યવહારીક વાતો પર ભાર મૂકવાની જરૂરત છે. સૌથી પહેલા આપણે એ વાતને સમજવી પડશે કે ભ્રષ્ટાચાર છે શું અને તેનું કારણ તથા સ્ત્રોત શું છે? ભ્રષ્ટાચારના મૂળમાં વ્યવસ્થા સર્વોપરી છે અને વ્યવસ્થાને બદલ્યા વગર આપણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી શકીએ નહીં. આ વ્યવસ્થામાં ફેરફાર માટે સૌથી પહેલું પગલું છે તે દોષપૂર્ણ રાજકીય પક્ષ વ્યવસ્થા અને ચૂંટણી પ્રક્રિયામાં તાત્કાલિક સુધારો લાવવો. આ સિવાય આપણે સંસદીય, વહીવટી અને ન્યાયિક વ્યવસ્થામાં પણ મોટા સ્તરે ફેરફાર કરવા પડશે, જેના માટે વધુ મોટા પ્રયાસની જરૂરત છે. અન્ના હજારેએ સમજવું જોઈએ કે તેમની લડાઈ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે છે, ન કે જનલોકપાલ માટે. એક સશક્ત લોકપાલની તેમની લડાઈ યોગ્ય છે, પરંતુ એ માની લેવું પણ ઠીક નહી થાય કે માત્ર લોકપાલ બનાવી દેવાથી ભ્રષ્ટાચારનો રાવણ મરી જશે.

લોકપાલની મર્યાદામાં ન્યાયતંત્ર અને વડાપ્રધાનને અનિવાર્યપણે સામેલ કરવાની તેમની માગણી પણ યોગ્ય નથી, કારણ કે કોઈ એક સંસ્થા પાસે આટલી વધારે શક્તિઓ હોવી કોઈપણ દ્રષ્ટિથી યોગ્ય નથી. એક જ લોકપાલને આટલી વધારે શક્તિ આપવાથી તો સારું એ છે કે આપણે સંસદીય લોકપાલ અલગ બનાવીએ અને ન્યાયિક લોકપાલ અલગ કરીએ. તેનાથી સંસ્થાઓની વચ્ચે પરસ્પર ટકરાવને પણ રોકી શકાશે અને તેમના અધિકાર ક્ષેત્રોની વિશિષ્ટતા પણ કાયમ રહેશે, પરંતુ તેના માટે બંને પક્ષોએ ફરીથી મળી-બેસી એક રાજકીય સમાધાન શોધવાની દિશામાં કામ કરવાની જરૂરત છે. જ્યાં સુધી અન્નાના આમરણ અનશનની વાત છે, તો એ પણ યોગ્ય નથી, કારણ કે સમાધાનનો રસ્તો વાતચીતથી જ નીકળી શકે છે, ન કે પોતાની વાતો પર અક્કડ રહેવાથી. સરકારે શરૂઆતમાં જ અન્નાની ધરપકડ કરી તેમને અને તેમના ટેકેદારોને વધુ આક્રોશિત થવાનો મોકો આપી દીધો જેના માટે નિશ્ચિતપણે સરકાર દોષિત છે, પરંતુ હવે જ્યારે સરકારે પણ વાતચીતની પેશકશ કરી છે તો અન્નાની ટીમએ ફરીથી પોતાની વાત મૂકવી જોઈએ. એક રસ્તો એ પણ હોઈ શકે છે કે અન્નાની ટીમ સંસદની સ્થાયી સમિતિની સામે પોતાની વાતો અને પ્રસ્તાવ રજૂ કરે. તેના સિવાય કોઈ સાંસદ વ્યક્તિગત રીતે પણ સિવિલ સોસાયટીના બિલને સંસદમાં રજૂ કરી શકે છે. 

સંસદની સ્થાયી સમિતિની પાસે સરકાર દ્વારા રાખવામાં આવેલા લોકપાલ બિલનું સ્વરૂપ હજી અંતિમ નથી અને તેમાં ફેરફાર કરી શકાય છે. સ્થાયી સમિતિ જ્યારે તેને અંતિમ સ્વરૂપ આપી દેશે તો તેને સંસદીય પટલ પર રજૂ કરવામાં આવશે, જેના પર સાંસદો ચર્ચા કરશે અને જો જરૂરત પડશે તો તેની જોગવાઈમાં અંતિમ અનુમતિ મળ્યા પહેલા ફેરફાર કરી શકશે. માટે હજી પણ સમય છે કે ટકરાવનો રસ્તાને છોડીને આમ સંમતિનો રસ્તો શોધવો જોઈએ. બીજું એ પણ સમજવું પડશે કે સરકાર અને સંસદ એક નથી. જો સરકાર અન્નાની વાતોને માને નહીં, તો સંસદમાં જઈ શકાય છે. જેના માટે બાકી રાજકીય પક્ષોએ પહેલ કરવાની જરૂરત છે. અન્ના હજારેને જોઈએ કે તેઓ પોતાના આમરણ અનશન ખતમ કરે અને બંધારણીય પ્રક્રિયામાં કોઈ પ્રકારની અડચણ ઉભી થવા ન દે. સિવિલ સોસાયટી આખા દેશની પ્રતિનિધિ થઈ શકે નહીં અને સંસદ તેનાથી ઘણી વધારે સર્વોચ્ચ અને સાર્વભૌમ છે. માટે પોતાની વાત અનિવાર્યપણે મનાવવા માટે સંસદ પર કોઈ પ્રકારનું દબાણ અથવા શરત થોપવાની વાત ઠીક નથી. તેમાં કોઈ બેમત નથી કે વર્તમાન વ્યવસ્થામાં તમામ ખામીઓ, વ્યાપક ભ્રષ્ટાચાર અને અસંવેદનશીલતાના કારણે જ સ્થિતિઓ આટલી ગુંચવાઈ છે. 

સરકારનું એ કહેવું યોગ્ય નથી કે સિવિલ સોસાયટીનો મુસદ્દો સંસદમાં રજૂ કરી શકાય નહીં. જો સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદા પ્રસ્તાવો કેબિનેટની મંજૂરીથી સંસદમાં મૂકવામાં આવે છે, તો સિવિલ સોસાયટીના પ્રસ્તાવોને સરકાર પોતાના પ્રસ્તાવમાં સામેલ કેમ કરી શકે નહીં? આ સંદર્ભમાં આપણે ભૂલવું જોઈએ નહીં કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેવી સુપર કેબિનેટ સંસ્થાઓની કોઈ વૈધાનિકતા નથી, માટે સિવિલ સોસાયટીને પણ સંસદનો પર્યાય માની શકાય નહીં, પરંતુ અહીં સવાલ ભ્રષ્ટાચારના મુદ્દાનો છે. લોકતાંત્રિક સંસ્થાઓની મર્યાદા અને અધિકાર ક્ષેત્રની વ્યાખ્યામાં પડવાથી વધારે જરૂરી ભ્રષ્ટાચારના પગ પર કુહાડી મારવાનું છે, જે અન્નાનો પણ ઉદેશ્ય છે. આજે જે સૌથી મોટી જરૂરત છે આખી વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની, કારણ કે સખત કાયદા બનાવી દેવા માત્રથી પરિવર્તન આવી જવાની અપેક્ષા કરવી યોગ્ય નથી. તાત્કાલિક પણે ચૂંટણી અને રાજકીય પક્ષ વ્યવસ્થામાં એવું પરિવર્તન લાવવામાં આવે જેથી ભ્રષ્ટ લોકો ચૂંટાઈને જ ન આવી શકે અને જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી ભ્રષ્ટાચારનું કેન્સર ખતમ થવાનું નથી. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Thursday, 18 August 2011

અન્નાના અનશનથી ફાયદો કોને?


લલિત સુરજન

આમ જનતાને લાગી રહ્યું છે કે અન્ના હજારે દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ કાયદો બની જવાથી દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળી જશે.

જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને અન્ના હજારેના અભિયાનમાં આશાનું કિરણ જોઈ કમ સે કમ મધ્યમ વર્ગ તો તેમની સાથે જોડાય જ ગયો છે, પરંતુ એ વાત જનતાએ સમજી લેવી જોઈએ કે અન્ના પાસે કોઈ જાદૂઈ લાકડી નથી. જો કાલે સંસદ અન્નાના મુસદ્દા પર વિચાર કરવાનું મન બનાવી લે ત્યારે પણ તેને કાયદાનો આકાર મળી શકશે કે કેમ, તેમાં શંકા છે. આજે વિરોધી દળ તાત્કાલિક હિત માટે ભલે અન્નાનું સમર્થન કરી રહ્યાં હોય, એ નક્કી છે કે જનલોકપાલનો મુસદ્દો કોઈને પણ સ્વીકાર્ય નથી. 

બુધવારે લોકસભામાં જેટલી ચર્ચા થઈ તેમાં રાજકીય પક્ષોએ એ કહ્યું કે તેઓ અન્ના હજારે દ્વારા પ્રસ્તાવિત સૂચનો સાથે સંપૂર્ણપણે સંમત નથી. સુષ્મા સ્વરાજ, શરદ પવાર, ગુરુદાસ દાસગુપ્તા વગેરેએ અન્નાને અનશન ન કરવા દેવા અને તેમની ધરપકડ પર સરકારની ખૂબ ટીકા કરી, પરંતુ તેમાંથી કોઈએ પણ એ કહેવાથી પણ ચુક્યું નથી કે તેઓ અન્નાના પ્રસ્તાવોનું સંપૂર્ણ સમર્થન કરતાં નથી. સુષ્મા સ્વરાજે તો એક પગલું આગળ વધીને ત્યાં સુધી કહ્યું કે અન્નાએ વડાપ્રધાનને 14 ઓગસ્ટે જે પત્ર લખ્યો, તેની કેટલીક વાતો ખોટી હતી. આ વાસ્તવિકતાને જાણ્યા બાદ એ સવાલ ઉભો થાય છે કે જનતાનો એક વર્ગ તો પછી આંખો બંધ કરીને અન્ના અને તેમના સાથીદારોની વાતનો ભરોસો શા માટે કરી રહ્યાં છે? તેની સાથે બીજો એક સવાલ ઉભો થાય છે કે અન્નાનું આ આભામંડળ કેવી રીતે બન્યુ?

ગુરુવાર બપોરે ઈન્ડિયા ટુડે ગ્રુપની ચેનલ હેડલાઈન્સ ટુડેમાં જે પરિચર્ચા આવી, તેમાં આ બીજા સવાલનો જવાબ મળે છે. ચર્ચાનું શીર્ષક હતું કે શું અન્નાને મીડિયાએ સ્થાપિત કર્યા છે? આ ચર્ચામાં જે ચાર જાણીતાં લોકો ભાગ લઈ રહ્યાં હતા, તેમાના બધાંએ આ સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે, પરંતુ તેના બહાને અન્નાને હીરો બનાવવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. તેમાંથી એક વાર્તાકાર દિલીપ ચેરિયને ત્યાં સુધી કહ્યું કે આજના સમયગાળામાં મીડિયાના માધ્યમથી જ કોઈ આંદોલન થઈ શકે છે. આ ચર્ચામાં એ વાત સ્થાપિત થઈ કે જો મીડિયા ખાસ કીને ટીવીએ આટલું આગળ પડતું કવરેજ ન કર્યું હોત તો આંદોલનને જે વ્યાપકતા મળી, તે મળી શકી ન હોત.

આજકાલ જે સંચાર માધ્યમો છે તેની ઉપયોગિતાથી કોણ ઈન્કાર કરી શકે, પરંતુ આ રવિવારે ધ હિંદુમાં સેવંતી નાઈનને એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે નવું સામાજિક મીડિયા આવ્યું છે, શું તે હંમેશા સમાજ હિતૈષી જ રહેશે અથવા તેની કોઈ નુકસાનકારક ભૂમિકા પણ હોઈ શકે છે? તેમણે ઈંગ્લેન્ડના તાજેતરના ઉપદ્રવોનું ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવી રીતે ફેસબુક, ટ્વિટર વગેરેનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ વાતને ભારતના સંદર્ભમાં મૂકીને જોવો. આ માધ્યમ બાળકોના રમકડાં નથી, તેનો શોખ રાખવો એક વાત છે, પરંતુ તેના સારા અને નરસા પ્રભાવો સંદર્ભે વિચારવાનું પણ જરૂરી છે. 

એ સમજી શકાય છે કે આરબ જગતમાં ખાસ કરીને ટ્યૂનિશિયા અને ઈજીપ્તમાં સત્તા પરિવર્તનમાં આ માધ્યમોએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. એવું લાગે છે કે ભારતનું મીડિયા તે સમયથી જ ઉતાવળુ હતું કે અહીં પણ આવું કંઈક કરી નાખવામાં આવે. હું ફરી એક વાર માર્શલ મેકલુહાનની ઉક્તિ યાદ કરું છું કે માધ્યમ જ સંદેશ છે. જેવું કે બધાં જાણે છે કે મીડિયા હવે પત્રકારોના હાથમાં નથી, પરંતુ કોર્પોરેટ હાઉસના હાથમાં છે. વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજકારણ પર નિયંત્રણ માટે આ મહામૂડીવાદીઓ પાસે મીડિયાના રૂપમાં એક સશક્ત શસ્ત્ર આવી ગયું છે. અન્નાને મહાનાયક બનાવવામાં આ શસ્ત્રોનો ઉપયોગ કરવો તેમની રણનીતિનો જ એક ભાગ માની શકાય છે, પરંતુ અહીં તેમની એક વિસંગતિ તરફ પણ ધ્યાન આપો. ગુરુવાર સવાર સુધી મીડિયા અન્નાનું અઢળક કવરેજ આપી રહ્યું હતું, પરંતુ બપોર બાદ તે કંઈક ઠંડુ પડી ગયું. શું એટલા માટે કે સરકાર દ્વારા સ્થિતિ સંભાળી લીધા બાદ સનસનાટી ફેલાવવામાં હાલ કોઈ અન્ય બિંદુ ન હતું, અથવા એટલા માટે કે એક અબજ વીસ કરોડની જનતાને ઘણાં લાંબા સમય સુધી બેવકૂફ બનાવી શકાય નહીં, આ વાત મીડિયાને સમજમાં આવી ગઈ?

એ નક્કી છે કે મીડિયા આગળ પણ આવા અવસરોની શોધમાં રહેશે, જ્યાં તે આમ જનતાને પોતાના બનાવેલા એજન્ડા પર લઈ જઈ શકે. હાલ થોડું ધ્યાન એ વાત પર પણ આપો કે અન્નાના અનશનથી મીડિયા સિવાય અન્ય ક્યાં લોકોને લાભ થઈ શકે છે. જો સરકાર પર કોઈ આંચ આવે છે તો તેનો લાભ કદાચ ભાજપને જ મળશે, જેમકે મે ગઈકાલે પણ લખ્યું હતું. આ સિવાય કોંગ્રેસમાં જે અસંતુષ્ટ છે તેમના માટે પણ કદાચ એક અનુકૂળ અવસર થઈ શકે છે. સ્મરણીય છે કે સરકાર તરફથી પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ અને અંબિકા સોની જ કમાન સંભાળી રહ્યાં છે, એ. કે. એન્ટોની, વીરપ્પા મોઈલી, સલમાન ખુર્શિદ વગેરે આ બધાંની વચ્ચે ભાગ્યે જ ક્યાંક દેખાયા છે. બીજું અન્નાના આંદોલનને સાધન ઉપલબ્ધ કરાવવામાં દેશના વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને અપ્રવાસી ભારતીયોનું ઘણું યોગદાન રહ્યું છે. તેમના મનસૂબા શું છે, તે સમજવું પડશે. ત્રીજું ઘણાં બધાં જનઆંદોલનો અને સ્વૈચ્છિક સંગઠનોને પણ સરકારને હેરાન કરવાનો એક સારો અવસર મળ્યો હોવાનું પ્રતીત થયું. ધ્યાન રહે તેમની વચ્ચે પણ નીતિગત અને રાજનીતિગત ઘણાં મતભેદો છે. કુલ મળીને અન્નાને સમર્થન આપવા પાછળ બધાંએ પોતપોતાનો લાભ જોયો, પરંતુ અંતમાં જેને છેતરવામાં આવનારા છે તે આમ જનતા જ છે.

સૌજન્ય- દેશબંધુ