Monday, 4 July 2011

મૂળ પર પ્રહાર

જોગિન્દર સિંહ, સૌજન્ય- અમર ઉજાલા

લોકપાલ બિલ પર ચર્ચા માટે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ભલે કોઈ જ પરિણામ ન નીકળ્યું હોય, પરંતુ તેનાથી કાયદો બનાવવાની સ્થાપિત પ્રક્રિયા અને સંસદની ભૂમિકાનું મહત્વ રેખાંકીત થયું છે. આ બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટ કર્યુ કે સરકાર કેવું લોકપાલ બિલ ચાહે છે. તેમનુ એ કહેવું ધ્યાન આપવા લાયક છે કે લોકપાલ અન્ય સંસ્થાઓ અને કાયદાઓ સાથે સામંજસ્ય બેસાડી અને બંધારણના મૂળ માળખા હેઠળ જ કામ કરશે. તેનાથી આપણી લોકતાંત્રિક વ્યવસ્થાની અન્ય સંસ્થાઓના અધિકાર અને કાયદેસરની ભૂમિકાનો ઈન્કાર થશે નહીં. આપણું બંધારણ સંતુલન અને નિયંત્રણની એક જટિલ પ્રણાલી પ્રદાન કરે છે અને લોકપાલનું નવું સંસ્થાન તેમાં પોતાના માટે યોગ્ય સ્થાન બનાવશે. વાસ્તવમાં રાજકીય પક્ષોને એ વાત પર ખાસો વાંધો હતો કે સકરાર લોકપાલ બિલના મુસદ્દા પર સંસદની ઉપેક્ષા કરી નાગરીક સમાજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહી હતી.

લોકતંત્રનો એક મોટો લાભ છે કે તેમા દરેક ખુદને તમામ વિષયોના ઉસ્તાદ સમજે છે અને માને છે કે તે જે સૂચવે છે, તે તમામ બુરાઈઓની રામબાણ દવા છે. જીવનના વિભિન્ન ક્ષેત્રોના બે સામાજીક કાર્યકર્તા દેશમાંથી ભ્રષ્ટાચાર કેવી રીતે ખતમ કરવામાં આવે અને કેવી રીતે વિદેશોમાંથી કાળું ધન પાછું લાવવામાં આવે, તેને લઈને લોકોનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. હકીકતમાં ભ્રષ્ટાચારના પ્રારંભિક સ્તરથી તો આમ આદમીનો જ વાસ્તો પડે છે અને તેની તકલીફને ઓછી કરનારું નાનકડું પગલું પણ આવકાર યોગ્ય છે. વડાપ્રધાનને લોકપાલની મર્યાદામાં લાવવા જોઈએ કે નહીં, તે ચર્ચા માત્ર ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈથી ધ્યાન હટાવવાનું કામ કરી રહી છે.

કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે એ જરૂરી છે કે તમને ખબર હોવી જોઈએ કે સમસ્યાની જડ ક્યાં છે, તેને હલ કરવાના માર્ગમાં કેવી અડચણો છે અને આખરે શું કરવામાં આવે. જન્મ પ્રમાણ પત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશનિંગ કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ઘરની ખરીદી-વેચાણ અથવા ભાડા સંબંધી કરારનામા અને આ પ્રકારના અન્ય દસ્તાવેજો તો એવા થઈ ગયા છે, જેની જરૂરત પ્રવેશથી માંડીને નોકરી સુધી દરેક જગ્યાએ પડે છે. અને આ દસ્તાવેજોને સરકારી કર્મચારીઓને લાંચ આપ્યા વગર હાસિલ કરી શકાતા નથી.

સ્પષ્ટ છે કે વ્યાપક ભ્રષ્ટાચારને સાબિત કરવા માટે જો કોઈ પ્રમાણની જરૂરત છે, તો કોઈએ પણ પોતાના ઘરથી વધારે દૂર જવાની જરૂરત નથી. ચાહે કોઈપણ પાર્ટીની સરકાર હોય, સત્તામાં આવ્યા બાદ તે ઈન્સ્પેક્ટર રાજ ખતમ કરવાની વાત કરે છે, પરંતુ પારિત થનારો દરેક કાયદો વધુ એક ઈન્સ્પેક્ટરને વધારનાર છે. ભ્રષ્ટાચારે ઈન્સ્પેક્ટર રાજની સમસ્યાને બદતર બનાવી દીધી છે. સારું કોર્પોરેટ વહીવટી તંત્ર સુનિશ્ચિત કરવાની જગ્યાએ એવા ઈન્સ્પેક્ટર મોટેભાગે સત્તામાં બેઠેલા રાજનેતાઓ અને અધિકારીઓ માટે નાણાં ઉઘરાવે છે. કેટલાંક અપવાદો સાથે આ બધું માત્ર એ દર્શાવે છે કે ભારતીય નોકરશાહીમાં દરેક સ્તરે લાંચની સંસ્કૃતિ અસ્તિત્વમાં છે.

સરકાર વ્યાપકપણે ભ્રષ્ટાચાર ઉન્મૂલન પ્રત્યે ઉદાસીન છે. હકીકતમાં સરકાર જ્યારે વિશેષ રૂપથી ભ્રષ્ટાચાર સામે લડવા માટે કોઈ કાયદો બનાવે છે, તો ન કેવળ તેમાં પૂરતી કમીઓ છોડી દે છે, પરંતુ ભ્રષ્ટ અને બેઈમાન લોકોને સંરક્ષણ પણ આપે છે. ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા કોઈપણ સરકારી અધિકારી વિરુદ્ધ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની મંજૂરીથી જ કેસ ચલાવી શકાય છે. પરંતુ સરકાર આરોપ લગાવનારી એજન્સીના પ્રસ્તાવને ટાળીને કોઈપણ આરોપીને આસાનીથી બચાવી શકે છે. વાસ્તવમાં આ કાયદા અંગ્રેજોએ લાગુ કર્યા હતા અને તેના દ્વારા તેઓ પોતાના વફાદારોને બચાવતા હતા.

2010ના અંતમાં 236 કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા આરોપમાં કેસ કરવાની અપીલ કેન્દ્ર સરકાર સામે પેન્ડિંગ હતી. 2005થી 2009ની વચ્ચે સીબીઆઈ અને સીવીસીએ ભ્રષ્ટાચારના જે મામલાઓને કામ ચલાવવા માટે યોગ્ય ગણ્યા, તેમાંથી માત્ર 6 ટકા મામલાઓ પર સરકાર પાસેથી કેસ ચલાવવાની મંજૂરી મળી છે. બાકીના 94 ટકા મામલાઓને વિભાગીય દંડ અથવા તેનાથી પણ ઓછાએ છોડી દેવામાં આવ્યા છે.

હાલપૂરતી એ વાત પર ચર્ચા છેડાયેલી છે કે વડાપ્રધાન અને ઉચ્ચ અદાલતને લોકપાલની મર્યાદામાં લાવવાથી ભ્રષ્ટાચાર ખતમ થવાનો નથી. વડાપ્રધાન ખુદ કહી ચુક્યા છે કે તેઓ તેની વિરુદ્ધ નથી. પરંતુ સવાલ છે કે લોકતંત્રમાં કેવી રીતે કોઈ સર્વોચ્ચ થઈ શકે છે. તેને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તમે કેવી રીતે એક વ્યક્તિને તમામ અધિકાર આપી દઈ શકો છો, કે જે અન્ય લોકોની જેમ ભૂલો કરી શકે છે. હકીકતમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કાયદાને સરળ બનાવવાની સાથે, ભ્રષ્ટ લોકોની સાથે સખ્તાઈથી વર્તવાની જરૂરત છે, જેને સરકારે ક્યારેય કર્યું નથી.

જનપ્રતિનિધિઓના ભ્રષ્ટાચારના કોઈપણ મામલાને કોર્ટમાં સાબિત કરવા માટે અસંભવ પ્રકારના પ્રમાણોનું હોવું જરૂરી ગણાવાયું છે. આખરે પુરાવા એકઠા કરવાની જવાબદારી તપાસ એજન્સી પર જ કેમ હોવી જોઈએ? કેમ એવી કોઈ જોગવાઈ ન કરવામાં આવે કે જેમાં આરોપી અથવા તેનો પરિવાર ખુદને ઈમાનદાર સાબિત કરી શકે. એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 34,735 કાયદા છે, જેના પાલનની આશા સામાન્ય લોકો પાસે કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે આરોપી અને અપરાધી સમર્થક પ્રવર્તમાન કાયદાના સહારે લોકપાલ ભ્રષ્ટાચારને ક્યારેય ખતમ કરી શકે નહીં. શંકાનો લાભ આરોપીને આપવાની જગ્યાએ સમાજને કેમ આપવામાં આવતો નથી?

No comments:

Post a Comment