Wednesday, 3 August 2011

ઉઈગર મુસ્લિમોના આતંકથી ત્રસ્ત ચીન



ડૉ. વેદપ્રતાપ વૈદિક

આપણે ત્યાં કહેવત છે કે- જાકે પૈર ન ફટે બિવાઈ, વો ક્યાં જાને પીર પરાઈ!

ચીન અત્યાર સુધી ભારતની ફરીયાદો પર આંખો બંધ કરીને બેસી રહેતું હતું. તેને પાકિસ્તાનની આતંકવાદી ભૂમિકા ક્યારેય વાંધાજનક દેખાતી ન હતી. તે જાણીજોઈને માખી ગળી રહ્યું હતું, પરંતુ હવે કાશગરમાં થયેલા ભયંકર રક્તપાતે તેને હલબલાવી નાખ્યું છે. ચીનની સરકારના પ્રવક્તાએ હવે સ્પષ્ટ શબ્દોમાં આરોપ લગાવ્યો છે કે ચીને શિંચ્યાંગ પ્રાંતના ઉઈગર મુસલમાનોને પાકિસ્તાન ભડકાવી રહ્યું છે. પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં તેમને આતંકવાદી તાલીમ આપવામાં આવી રહી છે. કાશગરમાં પકડાયેલા ઉઈગર આતંકવાદીઓએ, જે ચીની નાગરીક છે, આ સત્ય જણાવ્યું છે કે તેઓ બોમ્બ વગેરે બનાવવાનું પાકિસ્તાન પાસેથી જ શીખ્યા છે. 

સૌથી પહેલા તો એ જાણવામાં આવે કે શિંચ્યાંગ ક્ષેત્ર ક્યાં છે, આ ઉઈગર લોકો કોણ છે અને ચીન તથા પાકિસ્તાન સાથે તેમનો શું સંબંધ છે. શિંચ્યાંગ ચીનનું પશ્ચિમી રાજ્ય છે, જેની સીમા ભારત, પાકિસ્તાન, કિરગિજિસ્તાન, ઉજબેકિસ્તાન અને મંગોલિયા વગેરે દેશોને સ્પર્શ કરે છે. પાકિસ્તાને ચીનને ગેરકાયદેસર રીતે આઝાદ કાશ્મીરની કેટલીક જમીન આપી રાખી છે. જો તે આપવામાં આવી ન હતો, તો ચીનના આ પ્રાંતની સરહદ ભારતથી ઘણી દૂર સુધી જોડાત. લગભગ 16 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું આ રાજ્ય આખા ચીનનો એક છઠ્ઠમાંશ ભૂભાગ છે અને તેમાં લગભગ બે કરોડ લોકો રહે છે. તેમાં 47 અલગ-અલગ જાતિઓના લોકોની વસ્તી છે, તેમાંથી ઉઈગર લોકોની ટકાવારી 45 ટકા એટલે કે સૌથી વધારે છે. પરંતુ ગત સાઠ વર્ષોમાં ચીનની સામ્યવાદી સરકારે કેટલીક એવી ચાલ ચાલી છે કે ઉઈગર લોકો પોતાના જ ઘરમાં લઘુમતી થઈ ગયા છે. ત્યાં બિનઉઈગરની સંખ્યા 55 ટકા થઈ ગઈ છે. ચીનની મુખ્ય જાતિ-હાન લોકોને ત્યાં મોટી સંખ્યામાં વસાવવામાં આવ્યા છે કે તેઓ જ હવે શિંચ્યાંગના અસલી માલિક બની ગયા છે. 

આજે સ્થાનિક સરકાર અને પ્રશાસનમાં ઉઈગરોનું પ્રતિનિધિત્વ નામમાત્રનું છે. તમામ મુખ્ય સ્થાનો પર હાન લોકો જામી ગયા છે. તેઓ ચીની ભાષા બોલે છે, જ્યારે ઉઈગરની ભાષા તુર્કી છે. તેમનો ચહેરો-મહોરો, ખાન-પાન, રહેણી-કરણી, સભ્યતા-સંસ્કૃતિ ઉઈગરોથી બિલકુલ અલગ છે. ઉરુમચી, કાશગર, ખોતાન જેવા મોટા-મોટા શહેરોમાં ચીનીઓની બોલબાલા સ્પષ્ટ દેખાય છે. મોટામોટા મકાન, મોટીમોટી કારો, મોટીમોટી દુકાનો બધું ચીનાઓ પાસે છે અને ગંદી વસ્તીઓ, નાની-મોટી નોકરીઓ અને વંચનાપૂર્ણ જીવન ઉઈગરોના ખાતામાં છે. શિંચ્યાંગને દરેક દ્રષ્ટિએ આગળ વધારવા માટે બીજિંગની સરકારે ઘણાં પગલાં ઉઠાવ્યા છે, પરંતુ સંપૂર્ણ પ્રગતિનો લાભ લોકોમાં બરાબર વહેંચી શકાયો નથી. માખણ તો ચીની હાન લોકો લૂંટી ગયા અને ઉઈગરોને છાશ પણ મળી નથી. ઘનઘોર અસંતોષનું મુખ્ય કારણ આ છે. 

ઉઈગરના અસંતોષને ભડકાવવા માટે આર્થિક વિષમતાની મુખ્ય ભૂમિકા તો છે જ, તે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ છે, જેના કારણે શિંચ્યાંગને સ્વતંત્ર તુર્કિસ્તાન બનાવવાની માગણી વખતોવખત ઉઠતી રહે છે. શિંચ્યાંગ, તિબેટ, મંગોલિયા અને મંચૂરિયા-આ કેટલાંક એવા દેશ છે, જે ચીનની ઉત્તરી અને પશ્ચિમી સીમા પર આવેલા છે. આ રાષ્ટ્રો અથવા રાજ્યો પર ચીને ઘણીવાર કબજો કરી લીધો અને ઘણીવાર તેઓ તેમના હાથમાંથી લસરી ગયા. 1933 અને 1944માં શિંચ્યાંગ ચીનના હાથમાંથી નીકળીને પૂર્વી તુર્કિસ્તાનનું ઈસ્લામી ગણરાજ્ય બની ગયું હતું. તેને સોવિયત સંઘનું સમર્થન પણ હતું. પરંતુ માઓની લાલ સેનાએ ડંડાના જોર પર તેને ફરીથી પોતાની સાથે મેળવી લીધું. હવે અનેક ઉઈગર લોકો ત્યાં પૂર્વી તુર્કિસ્તાન ઈસ્લામી આંદોલન ચલાવી રહ્યાં છે. આઝાદીના આ આંદોલનને અમેરિકા અને પાકિસ્તાનમાં વસેલા અનેક પ્રબુદ્ધ અને માલદાર ઉઈગર દ્રઢતાપૂર્વક ટેકો આપી રહ્યાં છે. 

પહેલા ચ્યાંગ કાઈ શેક અને પછી સામ્યવાદી સરકારોએ શિંચ્યાંગમાં એટલું ભયંકર દમનચક્ર ચલાવ્યું હતું કે ઉઈગર ઉગ્રવાદી વધારે માથું ઉંચકી શક્યા ન હતા. પરંતુ જ્યારે તેઓ પાકિસ્તાન ઈસ્લામી આતંકવાદનો ગઢ બન્યું છે, ઉઈગર આતંકવાદ પણ શક્તિશાળી બની ગયો છે. ઉઈગર આતંકવાદીઓને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ વધારવામાં ત્રણ કારણોથી લાભ થાય છે. એક તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી શિંચ્યાંગ એકદમ સાથે લાગેલો વિસ્તાર છે. બંનેની વચ્ચે સારી એવી સડક છે, જેના પર મોટર અને ટ્રક દોડે છે. સારા મોસમમાં લોકો પગપાળા અથવા ઘોડા-ખચ્ચર પર આરપાર આવાગમન કરે છે. 

ઈસ્લામાબાદ અને ઉરુમચી (શિંચ્યાંગની રાજધાની)ની વચ્ચે સીધી હવાઈ સેવા પણ ઘણાં જ રાહત દરે દરરોજ ઉપલબ્ધ છે. શિંચ્યાંગના શહેરોમાં બનેલી મેડિકલ કોલેજોમાં તમે સેંકડો પાકિસ્તાની વિદ્યાર્થીઓને જોઈ શકો છો. બીજું કારણ છે કે ઉઈગર લોકો મુસ્લિમ છે. પાકિસ્તાનના લોકો તેમના પ્રત્યે ભાઈચારો અનુભવે છે. ત્રીજું કારણ, ઉઈગર લોકો દેખાવમાં ચીનાઓથી એકદમ અલગ લાગે છે. તેઓ પાકિસ્તાનના ઉત્તરી ભાગોના લોકો જેવાં લાગે છે. લગભગ ત્રણ હજાર ઉઈગર શિંચ્યાંગથી ભાગીને પાકિસ્તાનમાં વસી ગયા છે. ચીની સરકાર આ ઉઈગરો પર કડક નજર રાખવા માટે પાકિસ્તાન સરકાર પર હંમેશા દબાણ બનાવી રાખે છે. પાકિસ્તાનથી પકડાયેલા કેટલાંક ઉઈગરોને અમેરિકાએ ગ્વાંટેનામોબે પણ બંધ કરી દીધા હતા.


આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન સરકાર ચીનાઓને એ જ તર્ક આપે છે, જે ભારત સરકારને આપે છે એટલે કે આતંકવાદીઓ નોન સ્ટેટ એક્ટર્સ છે. તેમને રાજ્યની કોઈ મદદ મળતી નથી. આ તર્કને ભારત સરકાર તો માની લે છે. તેના પર અમેરિકી દબાણ પણ બનેલું રહે છે, પરંતુ ચીનનું વલણ ઘણું આક્રમક છે. આ મામલામાં થોડા દિવસો પહેલા આસિફ અલી ઝરદારીએ ફોન કરીને ચીની નેતાઓને પોતાની સ્પષ્ટતા આપવી પડી હતી અને આજકાલ આઈએસઆઈના પ્રમુખ શુજા પાશા બીજિંગમાં છે. ઉઈગર આતંકવાદીઓ અને આમ જનતાએ બે વર્ષ પહેલા શિંચ્યાંગમાં એટલા હુલ્લડો મચાવ્યા હતા કે બસ્સોથી વધારે લોકો માર્યા ગયા હતા. ત્યાર બાદ નાના-મોટા ઘણાં હુલ્લડો થયા છે. ચીનના અન્ય ભાગમાં વસેલા ઉઈગરોએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. 

જો આ લોકોએ ચીનના મોટા શહેરોમાં બોમ્બ મુકવાના શરૂ કરી દીધા અને તેમની સાથે તિબેટી અને મંગોલ જાતિઓ પણ મળી ગઈ તો ચીનને ખબર પડશે કે ભારતના દર્દનો અર્થ શું છે. ચીનને હવે શંઘાઈ સહયોગ પરિષદમાં આતંકવાદ વિરુદ્ધ પોતાનો અવાજ પહેલાથી ઘણો વધારે બુલંદ કરવો પડશે.
પાકિસ્તાની સરકારને પાટા પર લાવવામાં ભારત આજ સુધી સફળ થઈ શક્યું નથી, પરંતુ ચીને જો કડક વલણ અપનાવ્યું તો પાકિસ્તાન સરકાર મજબૂર થઈ જશે. કારણ કે પાકિસ્તાન ચીનનું સૌથી ઘનિષ્ઠ મિત્ર છે અને હવે તે ચીન પર જ સંપૂર્ણપણે નિર્ભર થવાનું છે. ઓસામા કાંડે અમેરિકીઓની આંખો ખોલી નાખી છે. ખબર નહીં, ઉઈગર આતંકવાદ ચીનની આંખો ક્યારે ખોલશે?

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

No comments:

Post a Comment