Sunday, 21 August 2011

જેપી વિરુદ્ધ અન્નાનું આંદોલન



નિરજા ચૌધરી

જે રામલીલા મેદાનમાં જેપીએ ઈન્દિરા સરકારને દિનકરની કવિતા- સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ, થી પડકારી હતી, તે રામલીલા મેદાનમાં અન્ના હજારેનું અનશન સત્તાની દીવાલોમાં હલચલ મચાવી રહ્યું છે. જેપીએ જ્યાં સંપૂર્ણ ક્રાંતિનું સૂત્ર આપ્યું હતું, ત્યાં અન્નાએ બીજી આઝાદીનો નારો બુલંદ કર્યો છે. યુગના બે અંતિમ પર ઉભેલા આ બંને આંદોલનોના સંયુક્ત સૂત્રોની શોધ કરવાનો આજે સમય છે.

અલગ છે, બંને આંદોલન અને પરિસ્થિતિઓ
-નિરજા ચૌધરી

જેપીએ પણ લગભગ આ ઉંમરમાં આખા દેશને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠો કરી દીધો હતો. પરંતુ જ્યાં જેપીને રાજકીય અનુભવ હતો, ત્યાં અન્ના બિનરાજકીય છે. 

જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન અને અન્ના હજારેનું હાલનું આંદોલન કેટલીક બાબતોમાં સમાન, તો ઘણાં સ્તરે અલગ દેખાય છે. જેપીનું આંદોલન રાજકીય આંદોલન હતું, જ્યારે અન્નાનું આંદોલન બિનરાજકીય છે. કટોકટીના તબક્કામાં અને વર્તમાન હાલતમાં ઘણું અંતર છે, પરંતુ એક મુદ્દો સમાન છે. આ મુદ્દો છે ભ્રષ્ટાચારનો. ભ્રષ્ટાચારના મુદ્દા પર જ જેપીએ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો અને આજે અન્ના હજારે પણ તેને રોકવા માટે સખત લોકપાલ કાયદાને લાગુ કરવાની વાત કરી રહ્યાં છે. 

70ના દશક અને આજની રાજકીય પરિસ્થિતિમાં જમીન-આસમાનનું અંતર છે. તે સમયે કેન્દ્રથી લઈ રાજ્યમાં મોટાભાગની જગ્યા કોંગ્રેસના શાસનમાં હતી. જેપીએ બિનકોંગ્રેસી દળોને એક મંચ પર લાવીને સરકાર વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરી હતી. તે સમયે સંચાર માધ્યમો પણ એટલા શક્તિશાળી ન હતા. તેમ છતાં પણ જેપીનું આંદોલન આખા દેશમાં ફેલાય ગયું. પ્રવર્તમાન સમયમાં દેશની સ્થિતિ ઘણી અલગ છે, પરંતુ ભ્રષ્ટાચારનું સ્તર ઘણું વધી ગયું છે. ઓછાવત્તા પ્રમાણમાં કોઈપણ રાજકીય પક્ષ તેનાથી અછૂતો નથી. રાજનેતાઓ અને સામાન્ય જનતા વચ્ચે સંવાદહીનતાની સ્થિતિ પેદા થઈ ગઈ છે. 

આ સંવાદહીનતાની વચ્ચે અન્નાએ લોકોની ભાવનાઓને સમજીને આ ઉંમરે પણ આંદોલનનું એલાન કર્યું. અન્નાની છબી એક ઈમાનદાર અને સમાજસેવીની રહી છે. આ છબી યુવાનોને પણ ગમી ગઈ અને જોતજોતામાં જ જનસમૂહ તેમના આંદોલનમાં જોડાતો ગયો. આ એ વાતનો સકારાત્મક સંકેત છે કે હજી પણ દેશનો સમાજ ઈમાનદાર વ્યક્તિ પાછળ ઉભો થઈ શકે છે. જેપીએ પણ લગભગ આ ઉંમરમાં આખા દેશને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકઠો કરી દીધો હતો. પરંતુ જ્યાં જેપીને રાજકીય અનુભવ હતો, ત્યાં અન્ના બિનરાજકીય વ્યક્તિ છે. બિનરાજકીય વ્યક્તિ હોવા છતાં પણ અન્નાની વ્યવસ્થા વિરુદ્ધ સંઘર્ષ કરવાની કહાણી ઘણી લાંબી છે. આ અનુભવ તેમના આંદોલનને અહિંસક રાખવામાં મદદ કરી રહ્યો છે. 

કારણ કે અન્ના જાણે છે કે હિંસક થતાં જ તેમનું આંદોલન પોતાના મકસદમાંથી ભટકી જશે. દેશમાં દરરોજ ભ્રષ્ટાચારના મામલા સામે આવવા અને રાજકીય મજબૂરીમાં સખત પગલાં ઉઠાવવામાં સરકારની નાકામીથી આમ જનતામાં સરકારની શાખ કમજોર થઈ છે. દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહોલ બની રહ્યો છે અને અન્નાની ઈમાનદાર છબી લોકો અને યુવાનોને તેમના આંદોલનથી જોડી રહી છે. સમાજ ઘણાં સમયથી એક એવા નાયકની તલાશમાં હતો, જે તેમની ભાવનાઓને સંઘર્ષ દ્વારા અંજામ સુધી પહોંચાડી શકે. અન્નામાં સમાજ આવો જ નાયક એવો નાયક શોધવાની કોશિશ કરી રહ્યો છે. એ કારણ છે કે સમાજના તમામ વર્ગોનું સમર્થન અન્નાના આંદોલનને મળી રહ્યું છે. ઘણાં સમય બાદ દેશમાં જનભાવનાનો આવો ઉભરો જોવા મળી રહ્યો છે. આશા કરવી જોઈએ કે લોકતંત્ર અને ભારતીય રાજકીય વ્યવસ્થા માટે અન્નાનું આંદોલન પરિવર્તનનો રસ્તો તૈયાર કરવા મદદરૂપ થશે.

સૌજન્ય- પ્રભાત ખબર

No comments:

Post a Comment