Saturday, 25 March 2023

ભ્રષ્ટાચાર સામેની ઈડી-સીબીઆઈની કામગીરી સામે 14 વિપક્ષી દળોની સુપ્રીમ કોર્ટમાં એજન્સીઓના દુરુપયોગની અરજી -

 

  - આનંદ શુક્લ

14 વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર સામે નવો મોરચો ખોલ્યો છે. ઈડી-સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવીને આ 14 વિપક્ષી દલોએ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી છે. આ મામલે પાંચમી એપ્રિલે સુનાવણી થવાની છે.

2024ની લોકસભાની ચૂંટણીને હવે અંદાજે 1 વર્ષનો સમય બાકી છે. તેના પહેલા ઈડી-સીબીઆઈની ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી પણ તેજ થઈ ચુકી છે. હવે 14 વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યુ છે કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. રાજકીય વિરોદીઓને એરેસ્ટ કરાય રહ્યા છે. માટે તપાસ એજન્સીઓ અને કોર્ટો માટે ધરપકડ તથા રિમાન્ડ પર ગાઈડલાઈન બનાવવામાં આવે.   સુપ્રીમ કોર્ટે આ મામલે 5 એપ્રિલે સુનાવણી કરશે. આ 14 રાજકીય પાર્ટીઓમાં કોંગ્રેસ પણ સામેલ છે.

એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશ ડી. વાઈ. ચંદ્રચૂડને જણાવ્યું છે કે રાજકીય વિરોધીઓની ધરપકડ માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો લાગુ કરનારી એજન્સીઓના દુરુપયોગ વિરુદ્ધ 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અમે ભવિષ્ય માટે દિશાનિર્દેશની માગણી કરી રહ્યા છીએ. 2014 પછી મામલા નોંધવામાં મોટો ઉછાળો આવ્યો છે. સજાનો દર માત્ર 4થી 5 ટકા જ છે.મહત્વપૂર્ણ છે કે 14 રાજકીય પક્ષોને એક મંચ પર લાવવાનું કામ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું છે. આ પાર્ટીઓમાં કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, ટીએમસી, બીઆરએસ સામેલ છે.

ઈડીએ 31 જાન્યુઆરી, 2023ના રોજ આંકડા જાહેર કર્યા હતા. ઈડીએ અત્યાર સુધીમાં પીએમએલએ હેઠળ 5906 ઈસીઆઈઆર દાખલ કરી છે. આ કેસોમાં 513 લોકો એરેસ્ટ થયા છે. તેમાંથી 531 કેસોમાં દરોડા પડયા છે. 531 કેસોમાં 4954 સર્ચ વોરંટ જાહેર થયા છે. આ તમામ મામલામાંથી નેતાઓની વિરુદ્ધ 176 ઈસીઆઈઆર દાખલ થઈ છે. ઘણાં મોટા નેતાઓ પર કેસ નોંધાયા છે. ઈડીએ કુલ કેસના 2.98 ટકામાં અત્યાર સુધીમાં 1142 ચાર્જશીટ રજૂ કરી છે. પીએમએલએ હેઠળ અત્યાર સુધીમાં 25 કેસોમાં ટ્રાયલ પુરી થઈ છે અને તેમાથી 24 કેસોમાં આરોપી, દોષિત ઠેરવાયા છે. અત્યાર સુધીમાં 45 આરોપીઓ દોષિત ઠેરવાયા છે.

No comments:

Post a Comment