સ્વપ્ન દાસગુપ્તા
85 ટકાથી વધારે ભારતીયો કોઈને કોઈ રીતે મીડિયાના ગ્રાહકો છે. પરિણામ સ્વરૂપ, તેની અપેક્ષા કરી શકાય છે કે લગભગ દરેક ભારતીયનો આ સંદર્ભે એક સુનિશ્ચિત મત છે. પાછલા કેટલાંક દિવસોથી મીડિયા એક નાજૂક વિષય-યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની દુર્ભાગ્યપૂર્ણ બીમારી પર સૂક્ષ્મ તપાસની મર્યાદામાં આવી ગયું છે, જેના સંદર્ભે થોડા દિવસો પહેલા જ લોકોને ખબર પડી. આ ચર્ચાનો પ્રસંગ ખાનગી વાતચીત અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટોમાં છવાયેલો છે. લગભગ વર્ષભરથી મીડિયા ભ્રષ્ટાચારના મામલાને ઉછાળીને સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. એવા લોકો છે કે જે મીડિયાને લોકતંત્રના સજગ પ્રહરીના રૂપમાં જોવે છે- ગોટાળાઓને પ્રસારીત કરવા અને તેનાથી પણ મહત્વપૂર્ણ પક્ષ રાજકીય વર્ગ પાસેથી જવાબ માગવામાં પોતાની ભૂમિકા નિભાવવામાં છે. તીખી ચર્ચા અને દેશનો જવાબ જોઈએ-નું વલણ સૌંદર્યબોધના માપદંડોથી બહાર હોઈ શકે છે, તેમ છતાં પણ એ વિશ્વાસ કરવાનું કારણ જરૂર છે કે જે નાગરીક રોજબરોજની રાજનીતિથી કપાઈ ગયો હતો, તે હવે રાજનેતાઓ પર દબંગ પત્રકારોની ચઢાઈ જોવાનું પસંદ કરવા લાગ્યો છે. જે લોકો ચૂંટણી વગરના માહોલમાં શક્તિશાળી રાજનેતાઓનું કંઈ બગાડી શકવા માટે અસમર્થ છે, હવે એ જોઈને ખુશ થઈ જાય છે કે કોઈ તો આ કામ કરી રહ્યું છે. રાજકીય વર્ગ મીડિયાની વધતી શક્તિથી હતાશ છે. તેમને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે રાજકીય એજન્ડા એ પત્રકારો દ્વારા નિર્ધારીત થવા લાગ્યા છે, જે કોઈની પ્રત્યે જવાબદેહ નથી. વિધાયિકાઓની શાખ પર અચાનક મીડિયાના હુમલા તેજ થઈ રહ્યાં છે.
જો 19મી સદીમાં નેતા ભીડતંત્રથી ડરતા હતા, તો 21મી સદીના તેમના સમકક્ષ મીડિયા પ્રેરીત બબાલથી ભયાક્રાંત છે. એ લાગી શકે છે કે ભય શબ્દનો પ્રયોગ અતિરંજિત છે, પરંતુ જો ભારતીય મીડિયા હવે ખતમ થઈ ચુકેલા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના સંસ્કરણ રૂપે કામ કરશે તો રાજકીય વર્ગ અનિયંત્રિત હસ્તક્ષેપથી ભયભીત થઈ જશે. જો કે જેવું કે સોનિયાની બીમારીવાળા મામલાથી સ્પષ્ટ થઈ રહ્યું છે-મીડિયા શેરની જેમ ગર્જના જરૂર કરે છે, પરંતુ વાસ્તવમાં તે બિલાડી છે. પશ્ચિમી દેશોમાં દેશના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિની સારવારની જાણકારી માટે ત્યાંના પ્રત્યેક મીડિયા સંગઠન એક ખોજી ટીમ રચે છે, જે બિનસૂચિબદ્ધ દર્દીને શોધવા માટે શહેરની તમામ હોસ્પિટલોમાં ખાખાખોળા કરે છે. જ્યારે આપણે ભારતમાં ગાંધી પરિવારના નજીકઓથી સોનિયાની બીમારી અને સારવાર સંદર્ભે અંદાજો લગાવવાનો તમાશો જ કરી રહ્યાં છીએ.
એક હદ સુધી સોનિયા ગાંધીના આરોગ્ય સંદર્ભે ચિંતાઓનો સંબંધ હવે માત્ર ગાંધી પરિવાર સુધી જ સીમિત નથી. એક એવા નેતાની સલામતી પ્રત્યેક લોકતંત્રમાં લોક ચિંતાનો વિષય છે, જે સરકારના સ્વીકૃત નેતા હોય અને જે શાસન કર્યા વગર જ શાસન કરતા હોય. ભારત ન તો સોવિયત સંઘ છે, જ્યાં યૂરી આંદ્રાપોવની આખરી બીમારી એક રાષ્ટ્રીય ગોપનીયતાની શ્રેણીમાં આવી હતી અને ન તો ઉત્તર કોરિયા છે, જ્યાં બધું જ ગુપ્ત છે. જવાબદાર ડોક્ટરો દ્વારા જારી આવા દૈનિક સ્વાસ્થ્ય બુલેટિનની સરકાર અથવા કોંગ્રેસ પાસે માગણી કરવી જોઈતી હતી, જે જનતાની ચિંતાઓને દૂર કરવાની સાથેસાથે પરિવારના ખાનગીપણાના અધિકારની પણ રક્ષા કરી શકે.
ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે જ્યાં પ્રથમ પરિવારનો મામલો આવે છે, તો ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ જાહેરાતના પત્રકારત્વમાં ફેરવાઈ જાય છે. આ તથ્ય છતાં ગાંધી પરિવારના સંબંધમાં દેશ નિયમિત રીતે ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સોનિયા ગાંધી સંસદના પ્રારંભિક સત્રમાં ઉપસ્થિત થઈ શક્યા નહીં, તો અજાણ્યા સ્ત્રોત પાસેથી સમાચાર આવ્યા કે તે વાઈરલ ફીવરથી ગ્રસ્ત છે. ગત વર્ષ જ્યારે સોનિયા ગાંધીએ અચાનક બ્રિટિશ પ્રધાનમંત્રી સાથે પોતાની બેઠક રદ્દ કરી દીધી તો કહેવામાં આવ્યું હતું કે તેમને પોતાની બીમાર માતાને જોવા માટે વિદેશ જવું પડયું. ગાંધી પરિવારના આવાગમન સંદર્ભે આ શંકાસ્પદ વ્યાખ્યાઓની જવાબદારી કોઈ લઈ રહ્યું નથી. દર વર્ષે, જ્યારે ચાપલૂસ દરબારી રાહુલ ગાંધીનો જન્મદિવસ ધામધૂમથી મનાવે છે, તો તેઓ દેશની અંદર ઉપસ્થિત જ હોતા નથી. દિલ્હી અંદાજો લગાવતી રહી જતી હતી કે અસલી જન્મદિવસ ક્યાં માનવાઈ રહ્યો છે. જો કે મીડિયા માટે કોંગ્રેસ મહાસચિવના પ્રવાસો ક્યારેય તપાસનો વિષય રહ્યાં નથી. ત્યાં સુધી કે માહિતી અધિકાર હેઠળ પણ કોઈ માહિતી જારી કરવામાં આવી નથી, કારણ કે આ સુરક્ષાના નિહિતાર્થો સાથે સંકળાયેલી હતી.
ગાંધી પરિવારે ખુદને બિનજરૂરી ગોપનીયતાના આવરણમાં ઢાંકી રાખ્યું છે, જેવું કે તેમની વિરુદ્ધ ભારે ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોય. એવી જ કેટલીક કહાણીઓ ગત કેટલાંક દિવસોથી પ્રચારીત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા આ પ્રકારની બિનજવાબદાર ચર્ચાઓની નિંદા કરે છે, ખાસ કરીને જ્યારે મામલો કોઈના આર્ગોય સાથે સંબંધિત હોય, પરંતુ એના પર પણ ધ્યાન આપવું જોઈએ કે ખોટી માહિતીના મૂળમાં સાચી માહિતીનો અભાવ રહેલો હોય છે. દરેક વ્યક્તિ સોનિયા ગાંધીના આરોગ્યમાં સુધારાની કામના કરી રહ્યો છે. જેથી તેઓ ઝડપથી પોતાના સામાન્ય જીવનને જીવી શકે. જો આ આરોગ્ય લાભ માટે કેટલોક સમય ચાહે છે, તો એ યોગ્ય છે કે તે મીડિયાની ચકાચૌંધથી બચીને રહે. સાથે જ, તેમની બીમારી અને અનુપસ્થિતિનો સરકારના ક્રિયાકલાપોથી સીધો સંબંધ છે. દર્દીની ગોપનીયતા અને સાચી માહિતીના સંબંધમાં સંતુલન કાયમ રાખવાના ભૂતકાળના અનેક ઉદાહરણ ઉપસ્થિત છે.
સૌજન્ય- દૈનિક જાગરણ
No comments:
Post a Comment