પુપ્ષરંજન
પ્રવર્તમાન સમયમાં દુનિયાના 60થી વધારે દેશોની જનતાને જનમત સંગ્રહનો અધિકાર મળી ચુક્યો છે. શું આને દેશની જનતાનું દુર્ભાગ્ય કહીએ કે આપણાં બંધારણમાં અત્યાર સુધી આવી જોગવાઈ નથી?
આ વાતને ઈટાલીથી જ કેમ ન શરૂ કરવામાં આવે, જ્યાં 67 દિવસ પહેલા જનમત સંગ્રહ થયો હતો. 13 જૂન, 2011ના રોજ થયેલા જનમત સંગ્રહમાં ઈટાલીની 90 ટકા જનતાએ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીની પરમાણુ નીતિઓને નકારી દીધી હતી. તેના કારણે બર્લુસ્કોની ઈટાલીમાં પરમાણુ પ્લાંટ બનાવવા અને પાણી સપ્લાઈ માટે પ્રાઈવેટ પાર્ટનરશિપ જેવા પ્રસ્તાવોને સંસદમાં મૂકી શક્યા ન હતા. ઈટાલીમાં કોઈ પહેલીવાર જનતાને એ દર્શાવવાની જરૂરત પડી નથી કે તે સંસદથી મોટી છે. આવો જનમત સંગ્રહ ત્યાં ડઝનબંધ વખત થઈ ચુક્યો છે. 2 જૂન, 1946ના રોજ થયેલા ઐતિહાસિક જનમત સંગ્રહમાં ત્યાંની જનતાએ રાજાશાહી સમાપ્ત કરીને લોકશાહીનો પાયો નાખ્યો હતો. આ ઈટાલીમાં ફાસીવાદની કબર પર અંતિમ ખીલ્લો હતો.
ભારતના મુકાબલે ઉત્તરી આફ્રિકી દેશ મોરક્કોને ઘણો પછાત જ માનવામાં આવશે. ત્યાં 32 દિવસ પહેલા, 9 જુલાઈએ જનમત સંગ્રહ થયો હતો. આ જનમત સંગ્રહના માધ્યમથી છઠ્ઠા કિંગ મોહમ્મદના અધિકાર જનતાએ ઓછા કરી દીધા. આ વર્ષે રેફરેન્ડમથી જ દક્ષિણી સુદાનને આઝાદી મળી. પશ્ચિમી આફ્રિકી દેશ લાઈબેરિયાને દુનિયાના ગરીબ દેશોમાં ગણવામાં આવે છે. ત્યાં 23 ઓગસ્ટ, 2011ના રોજ જનમત સંગ્રહ થયો હતો. તો શું આપણે એ માની લઈએ કે ભારતની જનતાને લાઈબેરિયાના નાગરીકોથી પણ ગયેલી-ગુજરેલી બનાવી દેવાઈ છે?
આને રેફરેન્ડમ કહીએ, પ્લેબિસાઈટ અથવા જનમત સંગ્રહ, આમ આદમી એ જ અર્થ કાઢે છે કે બહુમતી જનતાની હા અથવા ના- પ્રમાણે જ સરકાર કાયદો અને વ્યવસ્થા બનાવી શકે છે. ડાયરેક્ટ વોટના માધ્યમથી જનતા બંધારણમાં સંશોધન કરાવી શકે છે, જનપ્રતિનિધિઓને પાછા બોલાવવાનું કામ કરી શકે છે અને કાયદો બનાવી શકે છે. હાલના સમયમાં દુનિયાના 60થી વધારે દેશોની જનતાને જનમત સંગ્રહનો અધિકાર આપવામાં આવ્યો છે. યૂરોપીય સંઘનું સભ્ય પદ લેતા પહેલા તમામ 27 દેશોએ પોતાને ત્યાં જનમત સંગ્રહ કરાવ્યો હતો. યૂરોપીય સંઘનું ચલણ યૂરો છે. પરંતુ બ્રિટનની જનતાએ જનમત સંગ્રહમાં યૂરોનો સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો હતો, તો સરકારે જનતાની વાત માનવી પડી. ભારત સાર્કનું સંસ્થાપક સભ્ય છે. પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં ભારત એકલો એવો દેશ છે, જેની જનતાને આ અધિકાર મળ્યો નથી.
જે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાંમાર સંદર્ભે આપણે આકરી ટીકાઓ કરીએ છીએ કે આ દેશોની જનતાને કંઈ કહેવાનો અધિકાર નથી, ત્યાં પણ સરકારોએ જનમત સંગ્રહ કરાવ્યા છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ રહેશે અથવા વડાપ્રધાનનું, તેના પર 15 સપ્ટેમ્બર, 1991ના રોજ જનમત સંગ્રહ કરાવામાં આવ્યો હતો. રાજતંત્રથી લોકતંત્રની રાહ પર ચાલતા પહેલા ભૂટાનમાં પણ જનમત સંગ્રહ કરાવાયો હતો. 18 ઓગસ્ટ, 2007ના રોજ માલદીવમાં રાષ્ટ્રપતિ અથવા પછી સંસદીય શાસન વ્યવસ્થા, એ નક્કી કરવા માટે જનમત સંગ્રહ થયો હતો.
થાઈલેન્ડમાં નવા બંધારણ માટે 2007માં જનમત સંગ્રહ થયો હતો. નેપાળમાં 2 મે, 1980ના રોજ રેફરેન્ડમ થયું હતું, તેના દ્વારા જનતાએ રાજાની પંચાયતી વ્યવસ્થાને નકારી દીધી હતી. શ્રીલંકામાં સંસદની ટર્મ છ વર્ષ કરવાના સવાલ પર 22 ડિસેમ્બર, 1982ના રોજ જનમત સંગ્રહ કરાવાયો હતો. પરંતુ તમિલ બહુલ વિસ્તારોની સ્વાયત્તતાની માગણી પર શ્રીલંકામાં ક્યારેય જનમત સંગ્રહ થયો નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સુદાનની જેમ જનમત સંગ્રહની માગણી કેટલાંક તમિલ સંગઠનોએ કરી, તો શ્રીલંકાની સરકારે તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
શું આને દેશની જનતાનું દુર્ભાગ્ય કહીએ કે ભારતના બંધારણમાં હજી સુધી જનમત સંગ્રહની કોઈ જોગવાઈ નથી? તેની પાછળ તર્ક આપવામાં આવે છે કે આ જોગવાઈનો દુરુપયોગ કાશ્મીરી અલગતાવાદીઓ કરી શકે છે.રાષ્ટ્રવાદીઓ આ પ્રશ્ને પંડિત નેહરુને કોસવાનો કોઈ મોકો છોડતા નથી કે તેમણે કાશ્મીર પર જનમત સંગ્રહ કરાવવાની વાત કેમ કહી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે કાશ્મીર પર મતસંગ્રહ માત્ર કાશ્મીરમાં રહેનારાઓનો જ કરીશું? આખા દેશનો નહીં? અને શું આપણે શ્રીલંકાથી પણ કંઈ શીખી શકીએ નહીં? કાશ્મીરી અલગતાવાદીઓથી કેન્દ્રની કેમેસ્ટ્રી ન બેસવાને કારમે દેશ જનમત સંગ્રહના અધિકારથી વંચિત છે. આ ક્યાંનો ન્યાય છે?
બધાંને ખબર છે કે લોકપાલ પર અન્નાની ટીમે દેશના અલગ-અલગ ભાગોમાં કેટલાંક લાખ લોકોનો મત લીધો હતો. જો આ જનમત સંગ્રહ હતો, તો તેની વૈદ્યતા પર પ્રશ્ન ઉભો થાય છે. કારણ કે બંધારણમાં તેની જોગવાઈ નથી. જનમત સંગ્રહના અધિકારવાળા દુનિયાના જે દેશ ભારતમાં ચાલી રહેલા અન્નાના આંદોલનને જોઈ રહ્યાં છે, તેમને હજી પણ અહીં લોકોની પૂર્ણ ભાગીદારી પર શંકા છે. અન્નાના ટીકાકારો તેને મીડિયા શો ઓપેરા કહે છે.
અમેરિકી બંધારણમાંથી વી ધ પીપલ-જેવા પવિત્ર શબ્દ આપણે લીધા. સ્વીસ અને બ્રિટિશ બંધારણના મહત્વપૂર્ણ ભાગ લઈને આપણે બંધારણ નિર્માતા ગર્વ કરતાં રહ્યાં. પરંતુ ખબર નહીં, જનમત સંગ્રહ દ્વારા જનતાની પ્રત્યક્ષ ભાગીદારી ઉમેરવાનું તેઓ કેવી રીતે ભૂલી ગયા. લોકપાલ પર આજે નહીં તો કાલે કોઈને કોઈ હલ નીકળી આવશે. પરંતુ આ પ્રશ્ન અધૂરો રહી જશે કે દેશની કેટલી વસ્તી આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર હા અથવા ના કહે છે. સંસદમાં આગળ પણ ઘણાં કાયદા બનશે અને બંધારણ સંશોધન થશે. તો શું દરેક સવાલ પર દેશને એક અન્ના હજારે જોઈએ?
કેનેડામાં એક એનજીઓ છે- વોટ વર્લ્ડ ગવર્નમેન્ટ. 13 મે, 2009ની વાત છે, આ એનજીઓના માધ્યમથી 45 દિગ્ગજ લેખકોએ દુનિયાના તમામ દેશોમાં જનમત સંગ્રહના અધિકારની માગણી કરી હતી. આ લેખકોએ દુનિયાના વિશાળતમ લોકતંત્રનો દાવો કરનારા ભારતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રશંસાના સૂરમાં નહીં, પણ ટીકા કરી હતી કે આ કેવું લોકતંત્ર છે?
સૌજન્ય- પ્રભાત ખબર
No comments:
Post a Comment