Monday, 1 August 2011

દેશવિરોધી આચરણ



બલબીર પુંજ

તમે એ લોકો સંદર્ભે શું કહેશો જે જેહાદી એજન્ડાથી સજ્જ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા પોષિત કાર્યક્રમના આધારે ભારતમાં બહુલતાવાદી સમાજ અને માનવાધિકારોની રક્ષા કરવાનો દમ ભરે છે? આ એ નામ છે, જે રાષ્ટ્રવાદી સંગઠનોને કોમવાદી ઠેરવીને તેમના કાર્યક્રમોમાં ભાગ લેવાનો ઈન્કાર કરે છે, પરંતુ જેહાદી સંગઠનોના મંચ પરથી માનવાધિકારોનો ઝંડો લહેરાવામાં તેમને વાર લાગતી નથી. તાજેતરમાં અમેરિકામાં કાશ્મીરી-અમેરિકી પરિષદના કાર્યકારી નિદેશક ગુલામ નબી ફઈની કાશ્મીર પર પાકિસ્તાનના એજન્ડાના પ્રચાર માટે અમેરિકી કોંગ્રેસના સાંસદોને ફંડ આપવા અને કેટલાંક સંમેલનો આયોજિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈના જણાવ્યા પ્રમાણે, ફઈની પ્રવૃતિઓના સંચાલનનો ખર્ચ આઈએસઆઈ વહન કરે છે. તે તેના રાજકીય અભિયાન માટે પ્રતિ વર્ષ 40 લાખ ડોલર એટલે કે 18 કરોડ રૂપિયા આપે છે. કાશ્મીરી-અમેરિકન કાઉન્સિલમાં ફઈ જે ભાષણ આપતો હતો અથવા તેના બેનર તળે જે વક્તવ્ય જારી કરતો હતો, તેનો 80 ટકા મુસદ્દો પણ આઈએસઆઈ તૈયાર કરતી હતી.

ફઈના આંતરરાષ્ટ્રીય આયોજનોમાં ભારતીય માનવાધિકારી, બુદ્ધિજીવી, પત્રકાર અને કાશ્મીરી અલગતાવાદી નેતાઓનું સામેલ થવું આઈએસઆઈની ભારત વિરોધી માનસિકતાને મળી રહેલા સ્થાનિક સમર્થનને જ રેખાંકીત કરે છે. ફઈ દ્વારા આયોજીત સમારંભમાં સામેલ થયેલા બુદ્ધિજીવી જાણીતાં ચહેરા છે, જે મુસ્લિમોના મામલામાં માનવાધિકાર, પંથનિરપેક્ષતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઢાલ ઉભી કરીને કટ્ટરપંથીઓના સમર્થનમાં સડકો પર ઉતરી પડે છે, પરંતુ જ્યારે પીડિત હિંદુ સમુદાયનો હોય તો માનવાધિકાર,અભિવ્યક્તિની સ્વતંત્રતા, પંથનિરેપક્ષતા અને લોકતંત્ર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ક્યાં ગાયબ થઈ જાય છે? ઉલ્લેખ કરાયેલી બેઠકનું એકમાત્ર લક્ષ્ય કાશ્મીર મુદ્દાને ભારતના હાથમાંથી છીનવવાનું હતું. બેઠકમાં ઉપસ્થિત રિપબ્લિકન પાર્ટીના ડેન બર્ટન કાશ્મીર મુદ્દે અમેરિકી સંસદમાં ઉઠાવવાના પ્રબળ ટેકેદાર રહ્યાં છે. શું એવું થઈ શકે કે ભારતના આ બુદ્ધિજીવીઓને ફઈના અસલી એજન્ડાની જાણ ન હતી? બની શકે છે કે તેમને ફઈના નાણાંકીય પોષણ સ્ત્રોતની જાણકારી ન હોય, પરંતુ જે વિચાર ગોષ્ઠિમાં તમે ભાગ લેવા જઈ રહ્યાં છો, તેના વિષય અને તેના આયોજકોની પૃષ્ઠભૂમિથી કોઈ કેવી રીતે અજાણ બનેલું રહી શકે?

આઈએસઆઈની ભારત વિરોધી પ્રવૃતિઓ જગજાહેર છે. ભારતને હજાર ઘા આપવાના એજન્ડા હેઠળ તે આતંકવાદી સંગઠનો સહીત ભારતમાં સક્રીય અલગતાવાદી સમૂહોના નાણાંકીય પોષણ અને તેમને સૈન્ય સહાયતા ઉપલબ્ધ કરાવતી રહી છે. આ આઈએસઆઈનો જમીન પર દેખાનારો ચહેરો છે, પરંતુ ફઈ જેવા બુદ્ધિજીવી તેના ભૂમિગત ચહેરા છે, જે સભ્ય સમાજના શુભચિંતક હોવાનો દંભ ભરે છે.  

ઉપરોક્ત તમામ ભારતીય પ્રતિનિધિ પોત-પોતાના ક્ષેત્રના સિદ્ધહસ્ત છે અને ફઈને આ સારી રીતે ખબર હતી કે પાકિસ્તાની એજન્ડાને અનુરૂપ કાશ્મીર પર તેમના વક્તવ્યનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ પડશે. આ બુદ્ધિજીવીઓના વલણને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દા પર મોઢું સંતાડવું પડતું હતું અને તેટલા માટે તેની કાટ શોધવા માટે સરકારે વિશેષ કરીને કાશ્મીર કેડરના આઈએએસ અધિકારી વજાહત હબીબુલ્લાને વોશિંગ્ટનમાં કમ્યુનિટી અફેયર્સ મિનિસ્ટર તરીકે નિયુક્ત કરવા પડયા છે. વિડંબણા એ છે કે ગઈકાલે જે બુદ્ધિજીવી પાકિસ્તાની એજન્ડાનું અંગ હતા, તેમાંતી કેટલાંક આજે યુપીએ સરકારના અંગ છે. કાશ્મીર સમસ્યાથી નિપટવા માટે સરકાર દ્વારા મોકલવામાં આવેલા મુખ્ય વાર્તાકારે ફઈના સમારંભમાં ભાગ લીધો હતો. તેમની પાસે ભારતીય હિતોને અનુરૂપ સમસ્યાના ઈમાનદાર નિવારણની અપેક્ષા કેવી રીતે કરી શકાય છે?

ગત જાન્યુવારી માસમાં સરકાર તરફથી કાશ્મીર મોકલવામાં આવેલા મુખ્ય વાર્તાકારે ભાજપને જમ્મુ-કાશ્મીર પર રાજકારણ બંધ કરવાની સલાહ આપી હતી. જમ્મુ-કાશ્મીરની સમસ્યા ખીણના અલગતાવાદીઓને કારણે જ બેકાબૂ થઈ છે. બાકીના જમ્મુ-કાશ્મીરના લોકો અમન પસંદ અને ભારતીય સત્તા અધિષ્ઠાન પર વિશ્વાસ રાખનારા છે. ખીણની મસ્જિદોમાંથી ભારત વિરોધી સૂત્રો લગાવવામાં આવે છે, ભારતના મોતની કામના કરવામાં આવે છે અને આખા રાજ્યમાં ઈસ્લામી નિઝામિયત લાવવા માટે આઝાદીની લડાઈ લડવાનું ઝનૂન પેદા કરવામાં આવે છે. ખીણમાં તિરંગાને સળગાવી પાકિસ્તાની ઝંડો લહેરાવામાં આવે છે. કાશ્મીરી પંડિત જમ્મુ-કાશ્મીરની સંસ્કૃતિના મૂળ વાહક હતા. આજે આખી કાશ્મીર ખીણ પંડિતોથી ખાલી છે. તેમના મંદિર બંધ છે અથવા ધ્વસ્ત કરી દેવાયા છે. તેમના રહેણાંક મકાનો પર જેહાદીઓને કબજો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા પાકિસ્તાન પ્રાયોજીત અલગતાવાદીઓની દેણ છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા પર વિચાર કરતાં આ ઘટનાક્રમોથી આંખો કેમ બંધ કરી દેવામાં આવે છે? સરકાર તરફથી નિયુક્ત ઉલ્લેખ કરાયેલા વાર્તાકાર હકીકતમાં જે માનસિકતાથી ગ્રસ્ત છે તે પાકિસ્તાની એજન્ડાનો જ વિસ્તાર છે. 

પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની વાત લાંબા સમયથી ઉઠાવી રહ્યું છે. કેટલાંક સમય પહેલા પાકિસ્તાને કાશ્મીરના કેટલાંક ભાગને સ્વશાસનનો અધિકાર આપવાનો કુટિલ પ્રસ્તાવ મૂક્યો હતો. તેના માટે તેણે સંયુક્ત રાષ્ટ્રને મધ્યસ્થતાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રને આધીન સરકારની રચનાનો અર્થ હશે કે ભારત સંયુક્ત રાષ્ટ્રના જૂનાં પ્રસ્તાવોનો સ્વીકાર કરી રહ્યું છે. રાષ્ટ્ર સંઘે મધ્યસ્થ હોવાના નાતે ઓવન ડિક્સને 1950માં જનમત સંગ્રહની વાત કરી હતી અને સૂચન આપ્યું હતું કે જે કોઈ જે વિસ્તારમાં જીતે, તેને તે ભાગ આપી દેવામાં આવે. ભારત તેના માટે સંમત હતું, પરંતુ પાકિસ્તાનના દબાણ પર બાદમાં સંયુક્ત રાષ્ટ્રની દેખરેખમાં માત્ર ખીણમાં જનમત સંગ્રહ કરાવવા પર જોર આપવાને કારણે ભારતે ડિક્સનના સંશોધિત પ્રસ્તાવને નકારી દીધો હતો. પાકિસ્તાન લાંબા સમયથી પોતાના આ એજન્ડાને સાકાર કરવામાં લાગેલું છે. 

ફઈ દ્વારા આયોજીત વૈચારિક ગોષ્ઠિઓમાં ભારતીય બુદ્ધિજીવીઓની ભાગીદારીથી દેશમાં પ્રચલિત સેક્યુલર પાખંડનો જ ખુલાસો થાય છે. આ વિકૃતિ સમાજના દરેક ક્ષેત્રમાં ફેલાયેલી છે. જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓના સૂરમાં સૂર મિલાવતા કેટલાંક બુદ્ધિજીવીઓ દિલ્હીની ધરતી પર સત્તા અધિષ્ઠાનને પડકારે છે. સરકાર મૌન રહે છે. સંસદ પવર હુમલો કરનારા અફઝલની ફાંસીની સજા માત્ર એટલા માટે લંબિત રાખવામાં આવી છે, કારણ કે તેનાથી મુસ્લિમ સમાજના કટ્ટરપંથીઓ બગડે તેવો ખતરો છે. કટ્ટરપંથીઓના તુષ્ટિકરણ અને ઈસ્લામી જેહાદના કડવા સત્યને ઢાકવા માટે સેક્યુલર ખેમો ભગવા આતંકવાદનો નકલી ભય ઉભો કરે છે. આવા શુભચિંતકોના રહેવાથી પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓમાં કામિયાબ થઈ રહ્યું હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?

સૌજન્ય- દૈનિક જાગરણ

No comments:

Post a Comment