-આનંદ શુક્લ
2024ની લોકસભાની
ચૂંટણી વિશ્વના સૌથી મોટા લોકતંત્ર માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ પણ હશે. કદાચ
કોંગ્રેસ મુક્ત ભારતનું અભિયાન વિપક્ષ મુક્ત બનવા તરફ ફંટાય તેવી પુરી સંભાવનાઓ
આકાર લેશે.
2024ની લોકસભાની
ચૂંટણી વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હશે. આ ચૂંટણી કદાચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લી ચૂંટણી હશે, કારણ કે તેઓ 75 વર્ષની
વયને વટાવી જશે. કોંગ્રેસની હાલત 2014, 2019ની લોકસભાની
ચૂંટણીઓ બાદ સૌ કોઈ જાણે છે અને 2024માં પરિણામોના પુનરાવર્તનથી ભારતની સૌથી જૂની
રાજકીય પાર્ટીની સ્થિતિ વધુ કથળશે. આવી જ સ્થિતિ 2014 અને 2019ના ચૂંટણી પરિણામોના
2024માં પુનરાવર્તનથી અખિલેશ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, નીતિશ કુમાર, તેજસ્વી યાદવ સહીતના
વિપક્ષી નેતાઓની થવાની છે. મે-2024 બાદ સમાજવાદી પાર્ટી, ટીએમસી, આમ આદમી પાર્ટી, જેડીયુ જેવા વિપક્ષી દળો
જીવતા તો રહેશે, પણ ડાબેરી મોરચા, રિપબ્લિકન પાર્ટી અને
બીએસપી જેવી સ્થિતિમાં હશે. પાર્ટીઓના બોર્ડ હશે, બાકી તેમના ભવનો ખાલી
રહેવાની શક્યતા છે.
2024માં 2019ની
જેમ સરકાર રિપીટ થવાની સ્થિતિમાં હિંદુ,ત્વની રાજનીતિનું
ફોક્સ અમિત શાહ અને યોગી આદિત્યનાથ માટે જમીન બનાવવા પર હશે. આમ કરીને કોંગ્રેસે
જેવી રીતે 55થી વધુ વર્ષ સત્તા ભોગવી તેવી રીતે ભાજપ પણ દાયકાઓ સુધી કેન્દ્રની
સત્તામાં રહેવા પર ફોકસ કરશે. તેના માટે નરેન્દ્ર મોદીની તર્જ પર અમિત શાહ, યોગી આદિત્યનાથ જેવા
નેતાઓને આગળ વધારવા માટે રાજકીય જમીન વધુ ફળદ્રુપ કરવાના તમામ પ્રયાસો કરાશે.
વિપક્ષી એકતાની
વાતો વચ્ચે કોઈપણ ભાજપ વિરોધી પક્ષ સીટ શેરિંગના મામલે હાલ નમતું જોખવા માટે તૈયાર
દેખાય રહ્યો નથી અને તેની સાથે વિપક્ષી મોરચાનું નેતૃત્વ કરવાની હોડ તેમને એક
થવામાં મોટી અડચણ બની છે. જો વિપક્ષી એકતા સંધાશે નહીં તો તેનો સીધો ફાયદો ભાજપને
થવાનો છે અને આ ફાયદો 2019ની લોકસભાની ચૂંટણી કરતા પણ વધારે હોવાની શક્યતા છે.
ભાજપ પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત સિવાય પૂર્વ-પૂર્વોત્તર ભારત અને દક્ષિણ ભારતમાં
પણ પોતાના દેખાવને સુધારે તેવી રણનીતિ પર કામ કરી રહ્યું છે.
ગુજરાત અને
ગોવાના પરિણામો જોવામાં આવે, તો માત્ર આમ આદમી
પાર્ટીના ચૂંટણીમાં ઉતરવાથી જ મત સમીકરણો હલબલી ગયા હતા અને ગુજરાતમાં તો ભાજપને
સૌથી મોટી 156 બેઠકોવાળી જીત પણ મળી. જેમાં કોંગ્રેસના જૂના જનાધારનું ધોવાણ પણ
થયું હતું. 2024માં વિપક્ષી એકતા નહીં થવાની સ્થિતિમાં કોંગ્રેસના જૂના જનાધારના
ધોવાણની પણ મોટી શક્યતાઓ છે.
આ સિવાય
ભ્રષ્ટાચાર સહીતના અન્ય કેસોના મામલે તપાસ એજન્સીઓની સક્રિયતા દર્શાવે છે કે
વિપક્ષી નેતાઓની આસપાસ આવા મામલામાં સકંજો કસવામાં કોઈ કોર-કસર બાકી નહીં રાખવામાં
આવે. આ આશંકાને કારણે જ 14 રાજકીય પક્ષો ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે
સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ચુક્યા છે. જો કે ભ્રષ્ટાચાર અને અન્ય મામલામાં થતી
તપાસ સામે સુપ્રીમ કોર્ટ કોઈ ઢાલનું કામ કરવાની નથી. હા દુરુપયોગની આશંકાઓને દૂર
કરવાની કોઈ કોશિશ જરૂર કરશે. પણ તપાસ એજન્સીઓ તપાસની કામગીરી તો ચાલુ જ રાખશે. આવા
સંજોગોમાં લાલુ યાદવ, સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને રાહુલ
ગાંધી જેવા હાલ ઘણાં વિપક્ષી નેતાઓના થવાની શક્યતાઓ છે.
No comments:
Post a Comment