Saturday, 25 March 2023

ગાંધીજી પાસે કોઈ ડિગ્રી નહીં હોવાનો જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલનો દાવો -

 

-  આનંદ શુક્લ

ભારતીયોના દિલોમાં રાષ્ટ્રપિતાનો દરજ્જો ધરાવતા મહાત્મા ગાંધી પાસે કોઈ ડિગ્રી નહીં હોવાનો દાવો થયો છે. આ દાવો બીજા કોઈએ નહીં, પણ કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કર્યો છે.

મહાત્મા ગાંધી તેમના બેરિસ્ટર હતા અને લંડન તેમજ દક્ષિણ આફ્રિકામાં તેમણે વકીલાત કરી હતી. પરંતુ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાનો દાવો છે કે ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ડિગ્રી પર પણ સવાલો ઉઠયા હતા. હવે ગાંધીજીની ડિગ્રી પર બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિએ મોટો દાવો કર્યો છે.

મનોજ સિંહાએ ગ્વાલિયરની આઈટીએમ યુનિવર્સિટીમાં 23 માર્ચે પોતાના સંબોધનમાં શહીદ દિવસ પર આ દાવો કર્યો હતો. મનોજ સિંહાએ ગાંધીજી માટે સારી વાતો કહેતા કહ્યુ હતુ કે જેટલા પડકારો આવ્યા, જેટલી પરીક્ષાઓ આવી, તેમણે સત્ય ક્યારેય છોડયું નહીં અને મહાત્મા ગાંધીએ અંતરનાદને ઓળખી લીધો. પરિણામ થયું કે રાષ્ટ્રપિતા બની ગયા. એક અન્ય બાબત તમને કહેવા માંગુ છું. કદાચ ઓછા લોકોને ખબર હોય. દેશના ઘણાં ભણેલા-ગણેલાઓને પણ ભ્રાંતિ છે કે ગાંધીજી પાસે લૉ ડિગ્રી હતી. ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી. મંચ પર બેઠેલા કેટલાક લોકો પણ આ વાતનો પ્રતિકાર કરશે, પરંતુ હું તથ્યો સાથે વાત કરીશ.

મનોજ સિંહાએ કહ્યુ હતુ કે  કોણ કહેશે કે ગાંધીજી શિક્ષિત-પ્રશિક્ષિત ન હતા? પરંતુ શું તમને ખબર છે કે તેમની પાસે કોઈ યુનિવર્સિટી ડિગ્રી અથવા ક્વાલિફિકેશન ન હતું. તેમની પાસે બસ એક હાઈસ્કૂલ ડિપ્લોમા હતો. લૉ પ્રેક્ટિસ કરવા માટે તેમણે ક્વાલિફાઈ કર્યું હતું, પરંતુ તેમની પાસે કોઈ લૉ ડિગ્રી ન હતી.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ આ વાત કહીને શિક્ષણ માટે ડિગ્રી જરૂરી નહીં હોવાની વાતો કરવા લાગ્યા હતા. જો કે એમકેગાંધી ડોટ ઓઆરજી પ્રમાણે, ગાંધીજીએ યુનિવર્સિટી કોલેજ લંડનથી ત્રણ વર્ષોમાં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી તેવો ઉલ્લેખ છે.

 

No comments:

Post a Comment