Saturday, 25 March 2023

ભારતની લોકશાહી અમેરિકા જેવી નહીં ચીન જેવી બની જશે? -

 

 - આનંદ શુક્લ

અલા ભાઈ ભારતને તો ભારત બનાવવાની વાત હતી, પણ ભારતની વ્યવસ્થા અમેરિકા જેવી પણ નહીં- ચીન જેવી બનવાનો ખતરો છે. મલ્ટી પાર્ટી ડેમોક્રસીને ટુ પાર્ટી ડેમોક્રસીમાં ફેરવવાની વાતો વચ્ચે પરોક્ષ પણે ભારત સિંગલ પાર્ટી સિસ્ટમ તરફ આગળ તો નથી વધી રહ્યું ને?

ભારતને ભારત બનાવવાના સ્થાને અમેરિકા-જાપાન-સિંગાપુર કે કેટલાક અંશે ચીન બનાવવાની કોશિશો થઈ રહી છે. આના માટે માનસિકતાથી માંડીને વ્યવસ્થા સુધીના બદલાવ માટેના અનુકરણો થઈ રહ્યા છે. આવું જ એક મોટું અનુકરણ રાજકીય વ્યવસ્થામાં બહુપક્ષીય લોકશાહીના સ્થાને દ્વિપક્ષીય લોકશાહીની ચર્ચાનું છે. ભાજપની રણનીતિ રહી છે કે પ્રાદેશિક પક્ષોના સ્થાને રાષ્ટ્રીય પક્ષોને વોટર પસંદ કરે અને આના માટેની હાકલો ચૂંટણી વખતે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતા પણ કરી ચુક્યા છે. દેશમાં માત્ર બે પાર્ટીઓ રહેવી જોઈએ તેવી ભાજપની માનસિકતા ઘણી જૂની છે. તેથી પ્રાદેશિક પક્ષોને હરાવવા અથવા તેને ખતમ કરવા કે તોડી નાખવા ભાજપની રણનીતિનો હિસ્સો છે.

ભાજપની રાજનીતિ છે કે કોંગ્રેસ નબળી રહે અને પ્રાદેશિક પક્ષો હારે અથવા તૂટી જાય કે ખતમ થઈ જાય. આનાથી ભાજપને પોતાનું સ્થાયી શાસન સ્થાપિત કરવામાં અનુકૂળતા પણ દેખાય છે. પરંતુ આમ થવાથી તો ભારતમાં પરોક્ષપણે દ્વિપક્ષીય જ નહીં, પણ એકપક્ષીય લોકશાહી સ્થાપિત થઈ જવાનો ખતરો છે. બિલકુલ ચીન જેવી સિંગલ પાર્ટી વ્યવસ્થા. દ્વિપક્ષીય લોકશાહી તો અમેરિકા જેવી વ્યવસ્થાની વાત હતી. પણ હવેની રાજકીય પરિસ્થિતિ તો ભારતની રાજકીય વ્યવસ્થાને પરોક્ષપણે ચીન જેવી સિંગલ પાર્ટી સિસ્ટમ તરફ દોરી રહી છે.

ભારતીય જનસંઘના જમાનાથી એટલે કે લગભગ 72 વર્ષોથી પ્રચારના દમ પર કોંગ્રેસને દેશની તમામ સમસ્યાઓના મૂળમાં હોવાનું ઠાંસીઠાંસીને ભરવામાં આવ્યું છે. ભારત વિભાજનથી લઈને દેશની ગરીબી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, વસ્તી વધારા સહીતની તમામ સમસ્યાઓની જવાબદારી કોંગ્રેસ પર ભારતીય જનસંઘ અને હવે ભાજપ તથા આ સિવાયના વિપક્ષી દળોએ ઢોળી છે. આનું પરિણામ એ આવ્યું છે કે ભાજપ માટે હવે કોંગ્રેસને હરાવવી આસાન છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસનો દ્વિપક્ષીય મુકાબલો હોય છે, ત્યાં ભાજપને મોટી જીત મળે છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં આવો ટ્રેન્ડ છેલ્લી ઘણી ચૂંટણીઓથી સ્થાપિત થઈ ચુક્યો છે. કોંગ્રેસના 52 જેટલા સાંસદો છે. આમાના મોટાભાગના સાંસદો એવી બેઠકો પરથી જીત્યા છે કે જ્યાં સહયોગી દળોની ટેકણ લાકડી કોંગ્રેસને મળી છે અથવા જ્યાં ભાજપ સાથે તેની સીધી લડાઈ ન હતી.

મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાના દમ પર જ વર્ષો બાદ કાઠું કાઢયું. પણ જ્યારે શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન કરીને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવ્યા, તો ભાજપે 288 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં 40 ધારાસભ્યોવાળા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા. શિવસેનાને તોડીને ભાજપે મહારાષ્ટ્રમાં પોતાનો રાજકીય ઉદેશ્ય પ્રાપ્ત કર્યો હોવાના આરોપો થઈ રહ્યા છે. બિહારમાં પણ જેડીયુ સાથે આવો રાજકીય પ્રયોગ કરવાની શક્યતાઓની ઘણી ચર્ચા થઈ હતી. મુલાયમસિંહ યાદવના નિધન બાદ તેમના વખાણ કરવા કે શ્રદ્ધાંજલિ આપવી, એ સમાજવાદી પાર્ટી સાથે પણ આવા પ્રયોગોના મંડાણ તરીકે જોવાય છે. કોંગ્રેસની ભૂલો અને પ્રાદેશિક પક્ષોની મહત્વકાંક્ષાઓ ભાજપને તેના રાજકીય મિશનમાં કામિયાબ પણ બનાવી રહી છે.

No comments:

Post a Comment