Saturday, 25 March 2023

લાલુના લાલે હવે ડીમ થતા કરિયરને બચાવવા ડ્રીમનો લીધો સહારો, કહ્યુ શ્રીકૃષ્ણ દેખાયા -

 

  - આનંદ શુક્લ

બિહારના પ્રસ્થાપિત માસ લીડર લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર ગ્રેટ પોલિટિકલ કોમેડી માટે કુખ્યાત થઈ રહ્યા છે. પોતાના ડીમ થઈ રહેલા પોલિટિકલ કેરિયરને તેજોમય બનાવવા તેજપ્રતાપ યાદવે હવે ભગવાન શ્રીકૃષ્ણને સપનામાં ભવ્ય રૂપમાં જોયાનો દાવો કર્યો છે.

 

લાલુપ્રસાદ યાદવ ભારતીય રાજકારણના એવા ટીખળખોર રાજનેતા છે કે જેમની સાથે લોકો જોડાયેલા રહ્યા છે. પોલિટિકલ કોમેડી લાલુપ્રસાદ યાદવની યુએસપી રહી છે. પરંતુ આજે ચર્ચા લાલુ યાદવના મોટા પુત્ર અને બિહારના પર્યાવરણ મંત્રી તેજપ્રતાપ યાદવની વાત કરવી છે. તેજપ્રતાપે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે તેમને સપનામાં વિશ્વરૂપ દર્શન યોગમાં અસ્ત્રોથી સુસજ્જિત ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા છે. વીડિયોમાં પહેલા તેઓ સુતેલા દેખાય રહ્યા છે અને પછી સપનું જોયા બાદ અચાનક ઉઠી જાય છે.

 

તેજપ્રતાપ યાદવે ટ્વિટ કર્યું છે કે વિશ્વરૂપ દર્શન યોગ હું મુગટથી સુશોભિત ચક્ર અને ગદાથી સુસજ્જિત શસ્ત્રો સાથે સર્વત્ર દીપ્તિમાન લોકના રૂપમાં તમારા રૂપને જોઈ રહ્યો છું. આ ચમચમાતી અગ્નિમાં તમારા તેજને જોઈ શકવું ખટિન છે, જે તમામ દિશાઓને પ્રસ્ફુટિત થનારા સૂર્યના પ્રકાશની જેમ છે.

 

આ પહેલા તેજપ્રતાપ યાદવે સપનામાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવે તેમને ગળે લગાવ્યા અને ખૂબ વાતો કર્યાનો દાવો કર્યો હતો. લાલુના લાલનો દાવો હતો કે મુલાયમે તેમની સાથે સાઈકલ ચલાવી હતી. તેના કારણે તે દિવસે તેજપ્રતાપ સાઈકલથી પોતાના કાર્યાલય પહોંચ્યા હતા.

 

હવે અહીં સવાલ એ છે કે નાના ભાઈ તેજસ્વી યાદવ બિહારના ઉપમુખ્યમંત્રી છે અને લાલુ યાદવના રાજકીય વારસદાર પણ બની ચુક્યા છે. ત્યારે લાલુના સપનાબાજ મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ વિવાદો અને આવી પોલિટિકલ કોમેડીવાળી હરકતો કરીને કદાચ હાંસીને પાત્ર બની રહ્યા છે. આવી હરકતો તેમના ડીમ થયેલા પોલિટિકલ કેરિયરને બ્રાઈટ બનાવશે કે કેમ, તેમા ઢગલાબંધ આશંકાઓ છે.

No comments:

Post a Comment