Saturday, 25 March 2023

પ્રિયંકા ગાંધીને પીએમ કેન્ડિડેટ જાહેર થશે?

- આનંદ શુક્લ

શું કોંગ્રેસ પોતાના માટે બ્રહ્માસ્ત્ર ગણાતા પ્રિયંકા ગાંધીને 2024ની લોકસભા ચૂંટણીમાં ઉતારવાની તૈયારી કરી રહી છે? કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણનને ફરીથી પ્રિયંકા ગાંધીને પાર્ટીના પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગણી પણ કરી દીધી છે.

રાહુલ ગાંધીને ફોજદારી બદનક્ષીના કેસમાં માફી માંગવા પર રાહત મળવાની સંભાવના હતી અને આગામી સમયમાં ઉચ્ચ અદાલતોમાં અપીલ દરમિયાન પણ આની સંભાવના રહેશે. પરંતુ રાહુલ ગાંધી પોતે સાવરકર નહીં હોવાનું કહીને માફી માંગવાનો સદંતર ઈન્કાર કરી રહ્યા છે. આવા સંજોગોમાં તેમના માટે આગામી સમયમાં ચૂંટણીલક્ષી રાજકારણમાં પડદા પાછળ રહેવા સિવાય કોઈ વિકલ્પ રહે તેવી શક્યતા રહેશે નહીં. આમ કરીને રાહુલ ગાંધીએ રાજકીય શહાદતના આધારે સહાનુભૂતિ મેળવી છે. પરંતુ તેની સાથે જ તેમણે પોતાની રાજકીય કારકિર્દીમાં પડદા પાછળ જવાનો વિકલ્પ પણ પસંદ કરી લીધો છે.

આમ પણ કોંગ્રેસમાં 2013થી 2023 સુધીમાં અપવાદને બાદ કરતા દરેક હાર માટે રાહુલ ગાંધીને સીધા કે આડકતરા જવાબદાર ઠેરવવામાં આવતા હતા. જેના કારણે તેમને પાર્ટટાઈમ પોલિટિશિયન કે અપરિપક્વ રાજનેતા કે ફેલ પોલિટિશયન જેવા ટેગ આપવામાં આવતા રહ્યા છે. આવા સંજોગોમાં રાહુલ ગાંધી ખુદ પડદા પરથી હટીને પડદા પાછળ જવાનો વિકલ્પ વિચારતા હોય. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે પણ તૈયાર થયા ન હતા. આવા સંજોગોમાં હાલની રાજકીય શહાદતની સ્થિતિ તેમના માટે પડદા પાછળ જવાનો સારો વિકલ્પ બની શકે છે.

આવા સંજોગોમાં ગાંધી પરિવારના એક એવા વ્યક્તિ કે જેમના પર કોંગ્રેસ પાર્ટીની સાથે ઘણાં લોકોને લાગે છે કે તેઓ રાહુલ ગાંધી કરતા સારી રાજનીતિ કરી શકશે. હાલમાં જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસને જીતાડી શકતા ન હતા, ત્યારે તેવા સંજોગોમાં પ્રિયંકા ગાંધી માટે આપોઆપ રાહ આસન થતી દેખાય રહી હતી. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતનો શહેરો પણ પ્રિયંકા ગાંધીના માથે જ બાંધવામાં આવ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ કૃષ્ણને આ સપ્તાહે એક મીડિયા હાઉસ માટે લખ્યું છે કે હવે સમય આવી ગયો છે કે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરે. તેમણે કહ્યુ છે કે એવું નથી કે રાહુલ ગાંધીમાં કોઈ ખામી છે. પરંતુ તેઓ સંત છે. તેમનું કહેવું છે કે ભાજપ અને નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે પ્રિયંકા ગાંધીમાં જ કાબેલિયત છે. આ વાત માત્ર પ્રમોદ કૃષ્ણન દ્વારા આવી છે, તેવું નથી.

આમ તો પ્રિયંકા ગાંધી ભાઈ રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દીમાં અડચણ પેદા થાય નહીં, તેથી નેતૃત્વથી બચતા રહ્યા છે. પરંતુ રાજકીય વર્તુળોમાં એ પણ ચર્ચા છે કે પરિવારમાં પાર્ટી પર પ્રભુત્વને લઈને કોઈ સંઘર્ષ નથી, પરંતુ બધું ઠીકઠાક પણ નથી રહ્યું. કોંગ્રેસમાં રાહુલ ગાંધીના સમર્થકો પર સોનિયા ગાંધીના ટેકેદારો ભારે પડી રહ્યા છે. રાહુલ ગાંધીના નજીકના સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા ઘણાં લોકો પાર્ટી છોડી ગયા. સચિન પાયલટ હજી સુધી પોતાની તાજપોશી માટે ફરી રહ્યા છે. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધૂ-કેપ્ટન અમરિન્દરસિંહ વિવાદ અને ચન્ની વચ્ચે જે પણ કંઈ થયું તેને પરિવારના સંઘર્ષ તરીકે કેટલાક જાણકારો દ્વારા જોવામાં આવ્યું હતું.  જો કે આ વાતને લઈને કોઈ નક્કર વાત હજી સુધી સામે આવી નથી.

પરંતુ કોંગ્રેસ માટે સમયની માંગ છે કે પ્રિયંકા ગાંધી આગળ આવીને કોંગ્રેસનું નેતૃત્વ સંભાળે. હિમાચલ પ્રદેશમાં થોડીક પણ રાજકીય અદૂરર્શિતાથી કોંગ્રેસ હારે તેવી સ્થિતિ હતી. પરંતુ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા અને આખો મોરચો પ્રિયંકા ગાંધીએ સંભાળ્યો હતો. હિમાચલમાં કોંગ્રેસની જીત થઈ હતી. ઓલ્ડ પેન્શન સ્કીમ, અગ્નિવીર અને સ્થાનિક મુદ્દાઓને કોંગ્રેસે અહીં લોકો વચ્ચે લઈ જઈને જીત મેળવી હતી. જૂથબંધી છતાં કોંગ્રેસને જીત મળી હતી.

એક બીજી ઘટનાને પણ ટાંકવી જરૂરી છે. એક વર્ષ પહેલા પ્રશાંત કિશોરની સોનિયા ગાંધી સાથે 10 દિવસ લાંબી વાતચીત ચાલી હતી. પરંતુ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થયા ન હતા. આની પાછળનું કારણ એ હતું કે પ્રશાંત કિશોર ઈચ્છતા હતા કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા મોરચો સંભાળે. પરંતુ સોનિયા ગાંધી રાહુલ ગાંધીને જ પ્રિયંકાથી આગળ જોવા માંગતા હતા અને પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનું માંડી વાળ્યું હતું. હવે કોંગ્રેસના બ્રહ્માસ્ત્ર મનાતા પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે.


No comments:

Post a Comment